Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રકાંત ગોખલે

જ. ૭ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૨૦ જૂન, ૨૦૦૮

ચંદ્રકાંત ગોખલે મરાઠી રંગભૂમિ અને ચલચિત્રના પીઢ અને ચરિત્ર અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે તેમની અભિનેતા તરીકેની કારકિર્દી દરમિયાન ૧૯૩૮થી ૨૦૦૮ સુધીમાં ૮૦ મરાઠી ફિલ્મ, ૧૬ હિંદી  ફિલ્મ અને ૬૪ મરાઠી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે અભિનય કરેલ પ્રથમ ફિલ્મ ‘લક્ષ્મીચે ખેળ’ (૧૯૩૮) અને છેલ્લી ફિલ્મ ‘વળૂ’ (૨૦૦૮) હતી. ચંદ્રકાંત ગોખલેએ મરાઠી સંગીત-રંગભૂમિના સમયમાં સંગીતનાટકોમાં પણ સરસ ભૂમિકા ભજવી હતી. તેમની ખૂબ જ લોકપ્રિય બનેલી ભૂમિકાઓમાં રાજેમાસ્ટરની ભૂમિકા, જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા ‘કુસુમાગ્રજ’ દ્વારા લિખિત ‘નટસમ્રાટ’ નાટકમાંની બેલવલકરના પાત્રની ભૂમિકા, વિજયા મહેતા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ‘બૅરિસ્ટર નાટકમાંની તાત્યાની ખલનાયકની ભૂમિકા તથા મનોહર સ્ત્રી નાટક કંપની દ્વારા પ્રસ્તુત ‘પુન્હા હિંદુ’ નાટકમાંની મહાદજીની ભૂમિકા વિશેષ ઉલ્લેખનીય છે. જે મરાઠી ફિલ્મમાં ચંદ્રકાંત ગોખલેની યાદગાર ભૂમિકા રહી હતી તેમાં ‘સુવાસિની’, ‘માનિની’ અને ‘ધર્મકન્યા’ ખાસ નોંધપાત્ર છે. ‘વિશ્વાસઘાત’ અને ‘ઈર્ષા’ આ બે હિન્દી ફિલ્મની ભૂમિકાઓ પણ ઉલ્લેખનીય છે. ‘માનિની’ ફિલ્મના અભિનય માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર વર્ષે અપાતા આઠ પુરસ્કારોમાંનો એક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૦૧માં તેમને જીવનગૌરવ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમનો અભિનયવારસો તેમના પુત્ર અને જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેમાં સુપેરે ઊતર્યો છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

ત્યાગનો રાગ ત્યજવો મુશ્કેલ છે !

માનવીમાં અહંકાર એટલી બધી સૂક્ષ્મતાથી પ્રવર્તતો હોય છે કે એને સ્વયં એનો ખ્યાલ હોતો નથી. કોઈ માણસને તમે કૉફી આપો એટલે કહેશે કે મને માફ કરજો, હું કૉફી ક્યારેય પીતો નથી, ચાનું પૂછો તો જવાબ પરખાવશે કે ચા તો જિંદગીમાં કદી ચાખી નથી. લીંબુના શરબતની વાત કરશો તો કહેશે કે એ મને ભાવતું નથી. કોઈ પીણાનું પૂછશો તો કહેશે કે એવાં પીણાંને હું હાથ પણ અડાડતો નથી, ત્યાં હોઠે અડાડવાનું તો ક્યાં ? તમે એને પૂછતા રહેશો અને એ સતત ઇન્કાર કરતો રહેશે, પરંતુ એ માણસ પોતે શું લેશે એ પહેલાં કહેશે નહીં, કારણ કે એણે પોતાની જાતનો મહિમા કરવા માટે ‘નથી લેતો’નું શરણું લીધું છે. એનો પ્રયાસ પોતાને સંયમી દર્શાવવાનો હોય છે, પરંતુ એનો એ સંયમ અહંકારમાં પરિવર્તિત થઈ ગયો છે. આવા ઇન્કાર દ્વારા એ પોતાના અહંકાર પર સંયમનું આવરણ ઓઢાડે છે. પોતાની જાતને અત્યંત ગુણવાન પુરવાર કરવા માટે એ સતત હવાતિયાં મારતો હોય છે. એનું જીવન અપારદર્શક રાખીને પોતાના અહંકારને આગળ ધરતો હોય છે. એ પોતાની આવશ્યકતા સીધેસીધી જણાવવાને બદલે સામી વ્યક્તિના પ્રશ્નની રાહ જુએ છે. ક્યારેક તો ભોજન પીરસાઈ રહ્યું હોય, ત્યારે ‘આ ખાતો નથી’ અને ‘આ લેતો નથી’નું રટણ શરૂ કરે છે. સીધેસીધી વાત કરે, તો અન્ય વ્યક્તિનો શ્રમ ઓછો થાય, પરંતુ  પોતાના અવળીમતિયુક્ત અહંકારને કારણે એ સીધી લીટીમાં ચાલી શકતો નથી. પોતાને અમુક વાનગીની બાધા છે એ કહેતો નથી પણ જ્યારે એ વાનગી એને પીરસવામાં આવે ત્યારે એના ઇન્કારની અહંકારભરી ગર્જના કરે છે. ઘણી વાર સાધક કે ત્યાગી આવા અહંકારમાં કેદ થઈ જાય છે અને પછી પોતાના ત્યાગને દર્શાવવાનો રાગ એને વળગી પડે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

વિજય તેંડુલકર

જ. ૬ જાન્યુઆરી, ૧૯૨૮ અ. ૧૯ મે, ૨૦૦૮

ભારતપ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર. સોળ વર્ષની ઉંમરે કારણોવશાત્ શિક્ષણ છોડવું પડ્યું પણ એક સંનિષ્ઠ શિક્ષક અનંત કાણેકરે વિજયની ક્ષમતાનો ખ્યાલ આવવાથી મરાઠી સંવાદકલાની સમજણ આપી અને તેંડુલકરની નાટ્યશક્તિને વેગ મળ્યો. આમ ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન એમણે ઊગતા નાટ્યકાર તરીકે સ્થાન મેળવ્યું. પહેલું નાટક ૧૯૫૭માં લખ્યું, પણ મરાઠી અગ્રગણ્ય નાટ્યકાર તરીકે સ્થાન ‘અજગર આણિ ગંધર્વ’ ૧૯૬૬માં પ્રકાશિત થયું. તે રંગમંચ પર અનેક વાર ભજવાયું. ૧૯૬૭માં ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’ નાટકે ભારતીય નાટ્યકાર તરીકે પ્રતિષ્ઠા અપાવી. તે ચૌદ ભાષાઓમાં અનુવાદિત થયું છે. આધુનિક ભારતનાં શ્રેષ્ઠ નાટકોમાં તેમને સ્થાન મળ્યું છે અને સંગીતનાટક અકાદમીનું કમલાદેવી ચટ્ટોપાધ્યાય પારિતોષિક મળ્યું છે. મધ્યમવર્ગ અને બૌદ્ધિક વર્ગને છોડીને ગ્રામીણ અને તળપદી ભાષાના લોકનાટ્ય અને ‘તમાશા’ શૈલીનો પ્રયોગ કર્યો છે. ‘સખારામ બાઇન્ડર’ (૧૯૭૨) તથા ‘ગીધાડે’ (૧૯૬૧)માં પ્રતિબંધિત થયેલા પણ લાંબી કોર્ટની કાર્યવાહી પછી પ્રતિબંધ ઉઠાવાયેલો. તેમણે નાટકોમાં મરાઠી લોકસંગીતનો પણ પ્રયોગ કરી નાટકોને વધુ રસપ્રદ બનાવેલાં. આથી જ ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’ યુરોપ અને અમેરિકામાં પણ ભજવાયું હતું.

તેમણે ફિલ્મના ક્ષેત્રમાં પણ પ્રદાન કર્યું છે. તે માટે કથાનક તથા સંવાદો લખ્યાં છે. એમની ફિલ્મ ‘નિશાન્ત’, ‘આક્રોશ’, ‘આદત’, ‘ભૂમિકા’ અને ‘અર્ધસત્ય’ને રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાએ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. એમણે સમાચારપત્રોના તંત્રી તરીકે પણ નામના મેળવી છે. ‘મરાઠા’ તથા ‘લોકસત્તા’ પત્રોના તંત્રીલેખો માટે રાજ્ય સરકાર તરફથી પુરસ્કારો મળ્યા છે. તેમના નિબંધસંગ્રહો ‘રાતરાણી’ (૧૯૮૧) અને ‘ગોવ્યાચી ઉન્હે’(૧૯૮૨)ને મહારાષ્ટ્ર રાજ્ય તરફથી પુરસ્કાર મળ્યો છે. ૧૯૭૯માં તેમને રાષ્ટ્રીય નાટ્યસંસ્થાનના ઉપકુલપતિપદે નિયુક્ત કરવામાં આવેલા. પાંચ વર્ષ સુધી તે પદને શોભાવ્યું. ૧૯૮૪માં નાટકના ક્ષેત્રમાં મહત્ત્વના પ્રદાન માટે પદ્મભૂષણના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા