Categories
વાચન સમૃદ્ધિ

જાફરાબાદ

ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ ૩૬૫.૬ ચોકિમી. અને વસ્તી ૯૦,૭૨૬ (૨૦૦૧) છે. અહીં ૫૨૪.૪ મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી છે. વલસાડ જિલ્લાના માછીમારો ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી માછલાં પકડવા અહીં આવે છે. જાફરાબાદમાં ૧૦ લાખ ટન સિમેન્ટ ઉત્પન્ન કરી શકે તેવું સિમેન્ટનું કારખાનું છે. જાફરાબાદ શહેર સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ૨૦ ૫૨´ ઉ. અ. અને ૭૧ ૨૨´ પૂ. રે. ઉપર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. જાફરાબાદની ખાડી ૫ કિમી. લાંબી અને ૧.૬ કિમી. પહોળી છે. નવું બંદર ખાડીના જમણા કાંઠે ૪૦૦ મી.નો બ્રેક વૉટર બાંધીને સુરક્ષિત બનાવાયું છે. ખાડીના ડાબા કાંઠે માછીઓ માટેનો ધક્કો છે. જાફરાબાદ ખાતે લાકડું, વિલાયતી નળિયાં, કપાસિયાં, અનાજ, પેટ્રોલિયમ વગેરે આયાત થાય છે, જ્યારે મીઠું, સિમેન્ટ અને માછલાં નિકાસ થાય છે.

નવું બંદર, જાફરાબાદ

સિમેન્ટનું કારખાનું, જાફરાબાદ

જાફરાબાદની ૨૦૦૧માં ૨૫,૦૮૧ વસ્તી હતી. ત્યાંની ઉચ્ચતર માધ્યમિક શાળા વિવિધલક્ષી શાળા છે. શહેરનું પુસ્તકાલય સમૃદ્ધ છે. જાફરાબાદ સાતમી-આઠમી સદી દરમિયાન ચાવડા રજપૂતોના કબજા નીચે હતું. ત્યારબાદ ચૂડાસમાઓને તાબે હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં દીવના રક્ષણ માટે જાફરાબાદમાં થાણું નાખ્યું હતું અને કિલ્લો બાંધ્યો હતો. સુલતાન મુઝફ્ફરશાહના નામ ઉપરથી તેને મુઝફ્ફરાબાદ નામ અપાયું હતું. ૧૫૨૧માં પોર્ટુગીઝોએ દીવ પહેલાં જાફરાબાદ જીતવા પ્રયત્ન કર્યો હતો, ૧૫૩૧માં તુર્કસ્તાનના નૌકાધિપતિ સુલેમાન પાશાએ અહીં તેનો નૌકા-કાફલો રાખ્યો હતો. તેથી પોર્ટુગીઝોના આક્રમણનો તે ભોગ બન્યું હતું. અઢારમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં મુઘલ થાણદારનું થાણું હતું. સ્થાનિક કોળીઓ સાથે મળીને ચાંચિયાગીરી કરતા સૂરતના મુઘલ કાફલાના અધિપતિ સીદી હિલાલે આક્રમણ કરી જાફરાબાદનો કબજો લીધો હતો. સીદી હિલાલ જાફરાબાદને વધારે વખત સુરક્ષિત રાખી શકે તેમ ન હતો. તેથી તેણે તે જંજીરાના નવાબને વેચી દીધું. આમ તે જંજીરાના નવાબના કબજા નીચે આઝાદી સુધી રહ્યું હતું. જાફરાબાદનાં શિયાળ, ભેંસલો અને સવાઈ બેટ સહિત ૧૨ ગામો હતાં. આઝાદી પછી જાફરાબાદ મહાલ ભાવનગર જિલ્લા નીચે હતો. ૧૯-૬-૫૯ના સરકારી હુકમથી જાફરાબાદ મહાલને અમરેલી જિલ્લા નીચે મૂકવામાં આવ્યો છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ રફી

જ. ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ અ. ૩૧ જુલાઈ, ૧૯૮૦

જાણીતા પાર્શ્વગાયક મોહમ્મદ રફીનો જન્મ પંજાબના અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘ ગામમાં એક મુસ્લિમ જાટ પરિવારમાં થયો હતો. છ ભાઈઓના પરિવારમાં તેઓ સૌથી નાના હતા. તેમણે ગામના એક ફકીરની નકલ કરતાં કરતાં ગાવાનું શરૂ કર્યું હોવાથી લોકો તેમને ‘ફિકો’ના હુલામણા નામથી બોલાવતા હતા. રફીએ ઉસ્તાદ બડે ગુલામ અલીખાન, ઉસ્તાદ અબ્દુલ વાહિદખાન, પંડિત જીવનલાલ મટ્ટો અને ફિરોઝ નિઝામી પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. મોહમ્મદ રફીએ ૧૩ વરસની વયે જાહેરમાં ગાવાની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૪૧માં પાર્શ્વગાયક તરીકે શ્યામસુંદર દિગ્દર્શિત પંજાબી ફિલ્મ ‘ગુલ બાલોચથી શરૂઆત કરી હતી અને પછીનાં વર્ષોમાં ‘ધી બૉમ્બે’ અને ‘ગાંવ કી ગોરી’ જેવી ફિલ્મમાં પણ પાર્શ્વગાયન કર્યું હતું. રફીએ ‘લૈલા-મજનૂ’ અને ‘જુગનુ’ જેવી ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. ફિલ્મ ‘લૈલા-મજનૂ’ના ‘તેરા જલવા જિસને દેખા’ નામના ગીતમાં તેમણે સમૂહગાનના ભાગ રૂપે ગાયું પણ હતું. ૧૯૪૫માં ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ માટે ‘અજી દિલ હો કાબુ મેં’ ગીત રેકૉર્ડ કર્યું હતું, જે તેમનું હિન્દી ભાષામાં ગાયેલ પ્રથમ ગીત હતું. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ ૧૯૪૮માં મોહમ્મદ રફી, રાજેન્દ્ર ક્રિષ્ના અને હુસેનલાલ ભગતરામે સાથે મળીને રાતોરાત ‘સુનો સુનો એ દુનિયાવાલો, બાપુજી કી અમર કહાણી’ નામનું એક ગીત તૈયાર કર્યું હતું. રફીસાહેબ પોતાના સમયના ઘણા સંગીતકારો સાથે જોડાયેલા હતા. જેમાં નૌશાદ મુખ્ય હતા. નૌશાદ માટે તેમણે કુલ ૧૪૯ ગીત ગાયાં હતાં. આ સિવાય તેમણે એસ.ડી. બર્મન, શંકર-જયકિશન, રવિ, મદનમોહન, ઓ. પી. નૈયર અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે પણ અનેક ગીતો ગાયાં હતાં. ૧૯૬૭માં મોહમ્મદ રફીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ૧૯૭૪માં ફિલ્મ વર્લ્ડ મૅગેઝિન દ્વારા સર્વોત્તમ ગાયક તરીકેનો પુરસ્કાર ગીત ‘તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ’ ફિલ્મ ‘હવસ’ માટે એનાયત થયો હતો. ૨૦૦૧માં રફીને સદીના સર્વોત્તમ ગાયક તરીકેનું સન્માન ‘હીરો હોન્ડા’ અને ‘સ્ટારડસ્ટ’ સામયિક દ્વારા આપવામાં આવ્યું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

ટિકિટે એની ફરજ અદા કરી છે !

એમનું આખું નામ હતું શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, પરંતુ દીન અને દુ:ખી, પીડિત અને દલિત તથા પછાત લોકોની સેવામાં જાત ઘસી નાખનાર તેઓને ‘ઠક્કરબાપા’ના હુલામણા નામથી સહુ કોઈ ઓળખતા હતા. એક વાર ઠક્કરબાપા ટપાલો જોઈ રહ્યા હતા. ટપાલોના ઢગલામાંથી એક એક કવર લઈ, તેમને ખોલીને વાંચતા હતા. એમની નજીક બેઠેલા અંતેવાસીની નજર એક કવર પર પડી. આ કવર પર ટિકિટ લગાવેલી હતી, પરંતુ તેના પર ટપાલખાતાનો સિક્કો નહોતો. એમનો ઇરાદો એવો હતો કે ટપાલખાતાની આ સિક્કા વગરની ટિકિટનો પુન: ઉપયોગ કરવો. ઠક્કરબાપાની નજર એમની આ ‘પ્રવૃત્તિ’ પર પડી અને તેઓ બોલી ઊઠ્યા, ‘અરે ! કવર પરથી આમ ટિકિટ શા માટે ઉખાડે છે ? એની પાછળ શું કારણ છે ?’ અંતેવાસીએ કહ્યું, ‘આ કવર પર ટપાલખાતાએ સિક્કો લગાવ્યો નથી, તેથી આ ટિકિટનો ફરી ઉપયોગ થઈ શકશે. બીજા કવર પર લગાવીને ટપાલખર્ચ બચાવી શકાશે.’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘ભાઈ, મને એ કવર આપ. મારે એ કવરની ટિકિટ પર સિક્કો મારવો છે.’ આમ કહીને ઠક્કરબાપાએ પેનથી કવર પર લગાવેલી ટિકિટ પર ચોકડી કરીને કવર પાછું આપ્યું. એમણે કહ્યું કે આવી રીતે ટિકિટ વાપરવી તે અપ્રમાણિકતા કહેવાય. અંતેવાસીએ વિરોધ કરતાં કહ્યું, ‘આમાં વળી અપ્રમાણિકતા શું ? ટિકિટને ફરીથી વાપરવામાં વાંધો શું?’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘આ જરૂર વાંધાજનક કહેવાય. ટિકિટનું કામ છે ટપાલ પહોંચાડવાનું અને આ ટિકિટે એની ફરજ અદા કરી લીધી છે. એના વપરાશનો અધિકાર પત્ર મોકલનારનો હતો, તે પૂરો થયો છે. હવે આપણે તેનો ફરી ઉપયોગ કરી શકીએ નહીં.’

જીવનની નાની નાની બાબતો પ્રમાણિકતાની કસોટી કરનારી હોય છે. નાનકડી અપ્રમાણિકતા આચરવાથી ક્યાં અપ્રમાણિક બની જવાનું છે, એમ માનનાર ધીરે ધીરે મોટી અપ્રમાણિકતા આચરે છે. નાનકડું બિંદુ પાણીનો હોજ બને તેમ નાનકડી ક્ષતિ મહાન ભૂલોની જન્મદાત્રી બને છે. નાની નાની પ્રમાણિકતાથી જ મોટી પ્રમાણિકતા સધાતી હોય છે. મહાન વ્યક્તિઓના જીવનમાં સાવ સામાન્ય લાગતી બાબતોમાં પણ પ્રમાણિકતા પ્રગટ થાય છે. પ્રમાણિક માનવી ક્યારેય બેચેન બનતો નથી કે ઉજાગરા વેઠતો નથી. અપ્રમાણિક પાસે ધનના ઢગલા હશે, પણ અનિદ્રાના રોગથી પીડાતો હશે. દરેકને જુદી અને જુઠ્ઠી વાતો કહેનારે એ યાદ રાખવું પડે છે કે કોને શું કહ્યું ! કદાચ પકડાઈ જઈશું તો ? જ્યારે પ્રમાણિક માનવી નિરાંતના ઓશીકે ઊંઘી શકે છે.

કુમારપાળ દેસાઈ