Categories
વાચન સમૃદ્ધિ

રાસબિહારી ઘોષ

જ. ૨૩ ડિસેમ્બર, ૧૮૪૫ અ. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૧

હિંદુ-મુસ્લિમ એકતા, રાષ્ટ્રીય કેળવણી, સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહ અને સ્વદેશી જેવા આદર્શોના હિમાયતી એવા રાસબિહારી ઘોષનો જન્મ બર્દવાન જિલ્લાના ટોરકોના ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના આગમન પહેલાંની કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા હતા. માધ્યમિક શિક્ષણ બર્દવાનમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક અને ૧૮૬૭માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા. ૧૯૭૧માં ઑનર્સ ઇન લૉની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. એમ.એ.ની પરીક્ષામાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૧૮૭૯માં કૉલકાતા યુનિવર્સિટીમાં ફેલો નિમાયા. ૧૮૯૩-૯૫ના ગાળામાં યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની વિદ્યાશાખાના પ્રેસિડેન્ટ પણ બન્યા. તેમની ગણના બંગાળના પ્રખર શિક્ષણકાર તથા ધારાશાસ્ત્રી તરીકે થતી હતી. ૧૯૦૫માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. ૧૯૦૭માં સૂરત ખાતે તથા ૧૯૦૮માં ચેન્નાઈ ખાતે ભરાયેલા વાર્ષિક અધિવેશનના પ્રમુખ ચૂંટાયેલા. તેઓ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના પણ સભ્ય હતા. તેઓ ગોપાલ કૃષ્ણ ગોખલેના રાજનૈતિક વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ૧૮૮૪માં કૉલકાતા વિશ્વવિદ્યાલયે તેમને ડૉક્ટર ઑવ્ લૉઝની પદવીથી સન્માન્યા હતા. ૧૯૦૮માં તૈયાર કરવામાં આવેલો સિવિલ પ્રોસિજર કોડ ખરડો તૈયાર કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. એક ધારાશાસ્ત્રી તરીકે તેઓ ખૂબ સફળ રહ્યા હતા. અઢળક સંપત્તિના માલિક એવા તેમણે પોતાની મોટા ભાગની સંપત્તિ શૈક્ષણિક હેતુ માટે દાનમાં આપી હતી. તેમણે આપેલા દાનમાંથી અનેક શિક્ષણસંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી, જેમાં કૉલકાતા યુનિવર્સિટીની સાયન્સ કૉલેજ, જાદવપુર ટૅકનિકલ કૉલેજ, ટોરકોના જગબંધુ શાળાનો સમાવેશ થાય છે. તેમણે પોતાના ગામમાં શાળાઓ તથા હૉસ્પિટલ પણ શરૂ કરી હતી. બૅંગાલ કેમિકલ્સ અને ફાર્માસ્યૂટિકલ વર્કસની સ્થાપના કરવામાં પણ તેમણે રકમ દાનમાં આપી હતી. ૧૯૦૬-૨૧ દરમિયાન તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનના પ્રમુખ હતા. તેમણે લખેલો ‘લૉ ઑવ્ મૉર્ટ્ગેજિઝ ઇન ઇન્ડિયા’ નામનો ગ્રંથ જાણીતો છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શેળો (Hedehog)

શરીર પર વાળની જગ્યાએ શૂળો (spines) ધરાવતું કીટભક્ષી પ્રાણી.

શૂળો વાસ્તવમાં વાળનું રૂપાંતર છે. તેનું શરીર શૂળોથી છવાયેલું હોય છે. તેની શૂળોના સ્નાયુઓ મજબૂત હોય છે. તેની શૂળો પોલી હોય છે જેથી તેના શરીરનું વજન ખૂબ વધી જતું નથી. જ્યારે તેના પર આક્રમણ થાય ત્યારે તે મજબૂત શૂળોને ટટ્ટાર કરી આક્રમણકારને ભોંકી શકે છે. તેને જ્યારે ભય જણાય ત્યારે તે પોતાના શરીરને શૂળોવાળા દડા જેવું કરી દઈ રક્ષણ મેળવે છે. સામાન્ય રીતે શેળો નિશાચર પ્રાણી છે. તે દિવસ દરમિયાન ખેતર, ઝાડી, વાડ જેવી જગ્યાઓમાં સંતાઈ રહે છે અને સાંજે ખોરાકની શોધમાં બહાર નીકળે છે. કીટકો ઉપરાંત શેળો કૃમિ, ગોકળગાય, ઈંડાં, જીવડાં તથા દેડકાં ખાય છે. શેળાના કાન કદમાં નાના હોય છે. રણમાં વસતા શેળા પ્રમાણમાં મોટા કાન ધરાવે છે. શેળાની આંખો વિકાસ પામેલી હોય છે. શાહુડીની જેમ તે પણ તેની પૂંછડી પાસે આવેલ ગ્રંથિમાંથી તીવ્ર વાસવાળા પ્રવાહીનો સ્રાવ કરે છે.

માદા ૩૦થી ૫૦ દિવસ સુધી ગર્ભ ધારણ કરે છે. તેઓ મોટા ભાગે વર્ષમાં બે વાર એકીસાથે બે અથવા તેથી વધારે બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં જન્મસમયે અંધ હોય છે. માદા શેળોના નીચેના વાળ કોમળ હોય છે. આથી તેનાં બચ્ચાંને ધવરાવતી વેળાએ ઈજા થતી નથી. શેળા લગભગ ૩૦ સેમી. લાંબા અને ૪૦૦ ગ્રામ કે તેથી વધુ વજન ધરાવતા હોય છે. તેઓ લગભગ દસ વર્ષનું આયુષ્ય ધરાવતા હોય છે. શેળાની જીવાત, કૃમિ, પક્ષીઓ વગેરે ખાવાની આદતને લીધે ખેતરમાંના ખેડૂતોને તથા બગીચામાંના માળીઓને તેઓ ખૂબ ઉપયોગી લાગે છે. શેળા અનુકૂળ સમયમાં ખૂબ ખોરાક ખાઈ લે છે અને શિયાળાની ઠંડીમાં જ્યારે ખોરાક ન મળે અથવા ઓછો મળે ત્યારે શીતનિદ્રામાં પોઢી જાય છે. ખેતરોની વાડમાંથી શેળાને પકડીને તેના આગલા પગેથી ઝુલાવવાથી તે નાના બાળકના રડવા જેવો તીણો અવાજ કાઢે છે. ગામડામાં ખેડૂતોનાં બાળકો તેથી મનોરંજન મેળવે છે ! ભારત અને ઉત્તર એશિયામાં તથા યુરોપ-આફ્રિકામાં શેળાની વિવિધ જાતો જોવા મળે છે. તેમાં Erinaceus europaens મુખ્ય છે. શેળાની ઘણી જાતો ભારત, મ્યાનમાર, સિયામ (થાઇલૅન્ડ), જાવા, સુમાત્રા અને બોર્નિયોમાં મળી આવે છે. પર્વતીય પ્રદેશોમાં ૨૭૪૩ મીટર જેટલી ઊંચાઈ સુધી શેળા મળી આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીનિવાસ આયંગર રામાનુજન

જ. ૨૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૬ એપ્રિલ, ૧૯૨૦

ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. તમિળનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. નાનપણથી જ ખૂબ તેજસ્વી એટલે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે દસમા ધોરણ સુધીનું ગણિત સમજી શકતા. ગણિત અને અંગ્રેજીમાં સારાં પરિણામો લાવતા તેથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મળી પણ ગણિતના અતિ આકર્ષણથી બીજા વિષયો પ્રત્યેના દુર્લક્ષને કારણે કૉલેજના પ્રથમ વર્ષમાં જ નાપાસ થયા અને શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ. ૧૯૦૭માં અભ્યાસ છોડી દેવો પડ્યો. આથી આર્થિક સ્થિતિ માટે ગણિતનાં ટ્યૂશન તથા બીજે ખાતાવહીનું કામ કરવા લાગ્યા. ૧૯૧૨માં તેઓ ‘મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટ’માં કારકુન તરીકે જોડાયા. કેટલાક હિતેચ્છુઓની સલાહથી તેમણે ૧૯૧૩ના જાન્યુઆરીમાં ઇંગ્લૅન્ડના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હાર્ડીને પોતાનાં સંશોધનોનો પરિચય આપતો પત્ર લખ્યો. હાર્ડીએ તેમને ઇંગ્લૅન્ડ આવવા આમંત્રણ આપ્યું. મદ્રાસ યુનિવર્સિટીને ભલામણ કરીને રામાનુજનને સંશોધન માટે શિષ્યવૃત્તિ અપાવી. પરિણામે ૧૯૧૪ના માર્ચમાં  તેઓ ઇંગ્લૅન્ડ ગયા. કેમ્બ્રિજમાં હાર્ડી સાથે જ ઉત્તમ કોટિનું સંશોધનકાર્ય કર્યું અને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના ફેલો બન્યા. ૧૯૧૮માં ‘રૉયલ સોસાયટી’એ પણ તેમને  ફેલો બનાવ્યા. આ માન મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય ગણિતજ્ઞ હતા. તબિયત નાદુરસ્ત રહેવાથી ૧૯૧૯ના માર્ચ મહિનામાં ભારત પાછા આવ્યા. તેમનું સંશોધન મુખ્યત્વે સંખ્યાગણિત, અધિભૌમિતિક શ્રેઢિઓ, પરંપરિત અપૂર્ણાંકો, પૂર્ણાંકોનાં વિભાજનો વગેરે ક્ષેત્રોમાં હતું. ૧૯૦૨થી લઈ ઇંગ્લૅન્ડ ગયા ત્યાં સુધી તેમનાં બધાં પરિણામો તેમણે જે નોટમાં લખ્યાં હતાં તે તેમના જ હસ્તાક્ષરોમાં ૧૯૫૭માં મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રકાશિત થયાં છે. મરણપથારીએથી પણ નવી શોધો કરી ઇંગ્લૅન્ડ મોકલી તે ખોવાઈ ગઈ, પણ ૧૯૭૬માં જી. ઈ. એન્ડ્રુઝે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના પુસ્તકાલયમાં શોધી કાઢી. પૂર્ણાંકનાં વિભાજનોની સંખ્યા શોધવા અંગેનું ૧૯૧૭માં પ્રકાશિત થયેલું હાર્ડી અને રામાનુજનનું સંયુક્ત સંશોધનપત્ર યુગપ્રવર્તક બન્યું. તેમના વિશિષ્ટ પ્રદાનની યાદમાં ‘રામાનુજન પુરસ્કાર’ તથા રામાનુજન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ.

રાજશ્રી મહાદેવિયા