Categories
વાચન સમૃદ્ધિ

અયોધ્યાનાથ (એ.એન.)

ખોસલા ———-

જ. ૧૮ ડિસેમ્બર, ૧૮૯૨ અ. ૨૯ મે, ૧૯૮૪

સિંચાઈ ઇજનેરીના પ્રખર તજજ્ઞ અને ઉચ્ચકોટિના સિવિલ ઇજનેર અયોધ્યાનાથ ખોસલાનો જન્મ જલંધરમાં થયો હતો. ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ તેમણે રૂરકીની ધ થૉમ્સન કૉલેજ ઑવ્ સિવિલ એન્જિનિયરિંગમાંથી કર્યો હતો. ૧૯૫૩માં તેમણે ભારત સરકારના સિંચાઈ અને વીજળી મંત્રાલયના ખાસ સચિવ તરીકે સેવા આપી હતી. બંધો અંગે તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. સિંચાઈ સંબંધી અનેક ટૅકનિકલ પ્રશ્નો ઉકેલવામાં તેમની સલાહ લેવામાં આવતી. તેમના અનેક સંશોધનલેખો પ્રસિદ્ધ થયા હતા. જલપ્રવાહ અને કાંપથી બંધના પાયા ઉપર પરિણમતા ઊર્ધ્વ દબાણ અંગે તેમણે વિશિષ્ટ સિદ્ધાંતો સ્થાપિત કરીને મહત્ત્વનું યોગદાન કર્યું હતું. ભાખરા બંધ યોજના, બિયાસ, શબરીગિરિ, રામગંગા, યમુના નહેર જેવી વિવિધ સિંચાઈ યોજનાઓની સલાહકાર સમિતિઓમાં ખોસલાએ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હતી. ૧૯૫૧-૫૪ના સમયગાળામાં તેઓ આંતરરાષ્ટ્રીય સિંચાઈ અને નહેર કૉર્પોરેશનના અધ્યક્ષપદે  હતા. ૧૯૫૪-૫૯ના સમય દરમિયાન રૂરકી યુનિવર્સિટીનું કુલપતિપદ શોભાવ્યું હતું. ૧૯૬૦-૬૨માં તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના અધ્યક્ષ તથા ૧૯૫૯-૬૨ સુધી ભારત સરકારના આયોજન પંચના સભ્ય હતા. ૧૯૬૨-૬૭ના સમયગાળામાં  ઓડિશા રાજ્યના રાજ્યપાલ નિયુક્ત થયા હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. ભારતની પંચવર્ષીય યોજના હેઠળ સિંચાઈ કાર્યક્રમોની સમીક્ષા કરવા નિમાયેલ તજજ્ઞ સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યા હતા. આ સમિતિની ભલામણો પછીથી ‘ખોસલા સમિતિની ભલામણો’ તરીકે ખૂબ જાણીતી થઈ હતી. તેમની યશસ્વી કામગીરી અને તેમના બહુમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ૧૯૫૫માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૭૭માં ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૯૭૪માં તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ હિદાયતુલ્લાહ

જ. ૧૭ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૯૨

ભારતના વિદ્વાન ન્યાયશાસ્ત્રી, શિક્ષણવિદ અને ભાષાશાસ્ત્રી મોહમ્મદ હિદાયતુલ્લાહે ઉપરાષ્ટ્રપતિ, કાર્યકારી રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ભારતનામુસ્લિમ સમાજના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. ભારતમાં અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મેળવી ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજમાંથી તેઓ બૅરિસ્ટર એટ લૉ થયા હતા. ભારત આવીને તેમણે ઍડ્વોકેટ તરીકે નાગપુર વડી અદાલતમાં કામગીરી બજાવી હતી. ૧૯૩૦-૧૯૪૬ના દોઢ દાયકા દરમિયાન યુનિવર્સિટી કૉલેજ ઑવ્ લૉમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું. ૧૯૩૪-૧૯૪૩ દરમિયાન તેઓએ સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય પૂર્વેના મુંબઈ ઇલાકાના ઍડ્વોકેટ જનરલ તરીકે સેવાઓ આપી. ૧૯૪૩-૧૯૪૬ દરમિયાન નાગપુરની વડી અદાલતના ન્યાયમૂર્તિ અને ૧૯૪૬-૧૯૫૪ દરમિયાન ત્યાંના જ મુખ્ય ન્યાયાધીશ નિમાયા હતા. ૧૯૪૬માં તેમને ‘ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ૧૯૫૪-૧૯૫૬ દરમિયાન મધ્યપ્રદેશની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા. ૧૯૫૬-૧૯૫૮ દરમિયાન ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ફેબ્રુઆરી ૧૯૬૮-૧૯૭૦ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. ૧૯૭૯-૧૯૮૪ દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ વિવિધ વ્યવસાયલક્ષી સંગઠનોમાં વિવિધ સ્થાનો ગ્રહણ કરેલાં, જેવાં કે નાગપુર ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પેસ લૉ (પૅરિસ), એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ ઍસોસિયેશન ઑવ્ જજીઝમાં નાગપુર, અલીગઢ અને વિક્રમ યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્થાઓમાંની કાયદાશાખાના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા હતા. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેઓએ સક્રિય કામગીરી બજાવી હતી. તેમની સ્મૃતિમાં તેમના વતન રાયપુર, છત્તીસગઢ ખાતે ૨૦૦૩માં હિન્દુ નૅશનલ લૉ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જાત્રા

બંગાળી લોકનાટ્યનો એક પ્રકાર. તે મધ્યકાળથી શરૂ થઈ આજ સુધી જુદે જુદે સ્વરૂપે પ્રવર્તમાન રહ્યો છે. ભૂતકાળમાં કોઈ ઉત્સવ પ્રસંગે ભક્તો નાચતાંગાતાં, સરઘસાકારે એક સ્થળેથી બીજે સ્થળે જતાં. સમય જતાં તેમાં પુરાણોમાંથી કે કોઈ દંતકથામાંથી વાર્તાને જોડવામાં આવી, અને તેમાંથી ઉદભવ્યું જાત્રા–નાટક. આ જાત્રા તે લોક-રંગભૂમિ. તે ગામડાંમાં લોકોને મનોરંજન તેમજ ઉપદેશ પૂરાં પાડતી. અભિનય, પોશાક, રૂપસજ્જા (મેકપ) ટૅકનિક વગેરે બાબતમાં જાત્રાનો સ્તર નિમ્ન હતો. વળી રંગમંચ તો હતો જ નહિ. પણ પ્રેક્ષકો અને અભિનય વચ્ચેનું અનુસંધાન સંપૂર્ણ હોવાથી શ્રોતા-પ્રેક્ષકને ખૂબ આનંદ મળતો. મધ્યકાળમાં ઘણી વાર જાત્રાને નટ-ગીત કે ગીત-નટ પણ કહેવામાં આવતું, જેમાં જુદાં જુદાં પાત્રો પ્રેક્ષકો સમક્ષ આવી તેમની ભૂમિકાનો ભાગ ગાતાં.

લોકનાટક, લોકગીત, લોકનૃત્ય જેવાં તત્ત્વો જાત્રામાં ભળ્યાં. ‘મંગળચંડી’ અને ‘મનસા’નાં ગીતો આ રીતે ગવાતાં. ‘ગંભીર’, ‘ગજેગણ’, ‘ઝુમુર’, ‘પાંચાલી’ અને ‘ધમાલી’માં જાત્રાનાં લક્ષણો હતાં, જે પાછળથી પૂર્ણવિકસિત જાત્રા–નાટકમાં પરિણમ્યાં.

ચૈતન્યના સમય પહેલાં ભજવાતી જાત્રાઓ ચંડી જાત્રાઓ અથવા રામ-જાત્રાઓ હતી. પણ ચૈતન્ય પછી, રાધા-કૃષ્ણના દૈવી પ્રેમને નિરૂપતી અથવા ચૈતન્યના સંન્યાસને પ્રગટ કરતી જાત્રાઓ  સ્તિત્વમાં આવી. કૃષ્ણ-જાત્રા ‘કાલિયદમન’ નામથી વધુ પ્રચલિત બની. લાંબી પરંપરા પણ રહી, જેમાં ગોવિંદ અધિકારી આ ‘કાલિયદમન’ના બહુ મોટા પ્રણેતા થયા; તે પોતે વૃંદા દૂત્તીની ભૂમિકા ભજવી શ્રોતાઓને રમૂજભર્યાં કથનોથી રંજન પૂરું પાડતા. ‘કાલિયદમન’ જાત્રા-પ્રકાર ચીલાચાલુ બનતાં, ‘સખાર જાત્રા’ નાટક જન્મ્યું, જેમાં હાસ્યગીતો વધારે હતાં. ધાર્મિક મનોવૃત્તિવાળા બંગાળીઓને આ બહુ રુચ્યું નહિ; પરિણામે ધાર્મિક-જાત્રા જેવું ‘ગીતાભિનય’ જાત્રા વિકસ્યું જેમાં રંગમંચ પરના નાટક અને જાત્રાનો સમન્વય કરીને ખુલ્લી જગ્યામાં તેમજ રંગમંચ પર ભજવવામાં આવતાં. મોતીલાલ રાય (૧૮૪૩-૧૯૧૧) ‘ગીતાભિનય’ જાત્રાના પ્રખ્યાત ઉદગાતા થયા. પછી તો, જાત્રા રંગમંચીય પદ્ધતિઓને પણ પ્રયોજવાનું શરૂ કરે છે, ધાર્મિક-પૌરાણિક કથાઓ ઉપરાંત ઐતિહાસિક વિષયો પણ જાત્રામાં લેવામાં આવે છે, દા.ત., ‘પદ્મિની’. લોકજાગૃતિ માટેનું પ્રભાવશાળી માધ્યમ હોવાથી, મુકુંદદાસે (૧૮૮૮-૧૯૩૪) જાત્રા–નાટકને ‘સ્વદેશી જાત્રા પાર્ટી’ નામ આપીને ગામડાંમાં રાષ્ટ્રભાવના જગાડી. જોકે આધુનિક જાત્રા પરંપરાગત જાત્રાથી તદ્દન ભિન્ન થઈ ગઈ છે; તે હવે શિક્ષણ, નીતિ વગેરેના પ્રચારનું લોકમાધ્યમ રહ્યું નથી. આજે ‘બંગાળી જાત્રા’ એ રંગભૂમિનો જ નવો અવતાર છે. ઉત્પલ દત્ત અને રામેન લાહિરી જેવા રંગભૂમિના મોટા અભિનેતાઓ અને લેખકોએ જાત્રા-નાટકો લખ્યાં છે અને તેમાં ભૂમિકા ભજવી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

અનિલા દલાલ