Categories
વાચન સમૃદ્ધિ

નીતિન બોઝ

જ. ૨૬ એપ્રિલ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૮૬

ફિલ્મદિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને પટકથાલેખક નીતિન બોઝને બાળપણથી જ ફોટોગ્રાફીમાં રસ હતો. પિતા હેમેન્દ્રમોહન બોઝ ઉદ્યોગપતિ હતા, જે સત્યજિત રેના ભત્રીજા હતા અને માતા મૃણાલિની લેખક ઉપેન્દ્રકિશોર રે ચૌધરીનાં બહેન હતાં. નીતિન બોઝે બેલ્જિયમના સમ્રાટની ભારત મુલાકાત આધારિત બનાવેલી દસ્તાવેજી ફિલ્મનું સૌપ્રથમ વાર દિગ્દર્શન કર્યું હતું. તેમણે જયગોપાલ પિલ્લઈની ‘પુનર્જન્મ’ ફિલ્મથી સિનેમેટોગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તેઓ ન્યૂ થિયેટર્સમાં મુખ્ય ટૅકનિકલ સલાહકાર અને કૅમેરા વિભાગના વડા તરીકે જોડાયા. એમણે બંગાળી અને હિન્દી બંનેમાં દ્વિભાષી ફિલ્મો બનાવી. ત્યારબાદ મુંબઈ ગયા અને બૉમ્બે ટૉકીઝ અને ફિલ્મિસ્તાનના બૅનર હેઠળ દિગ્દર્શન કાર્ય કર્યું. ૧૯૩૫માં તેમણે ફિલ્મ ‘ભાગ્યચક્ર’માં સૌપ્રથમ વખત પાર્શ્વગાયનનો પ્રયોગ કર્યો, જે અત્યંત સફળ નીવડ્યો. આ ફિલ્મ હિન્દીમાં ‘ધૂપછાંવ’ નામે બનાવવામાં આવી, જે પાર્શ્વગાયનવાળી પ્રથમ હિન્દી ફિલ્મ હતી. તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગા-જમના’ આજે પણ ભારતીય સિનેમાની સર્વકાલીન બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ગણાય છે. તેમની ‘દુશ્મન’, ‘મિલન’, ‘દીદાર’, ‘કઠપૂતલી’ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી હતી. નીતિન બોઝને ૧૯૬૧માં ‘ગંગા-જમના’ માટે દ્વિતીય શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે મેરિટ પ્રમાણપત્ર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો હતો.  તેમને ૧૯૭૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સાઉદી અરેબિયા

અરેબિયન દ્વીપકલ્પમાં આવેલો મય-પૂર્વના દેશો પૈકીનો એક દેશ.

તે આશરે ૧૬° ૦૦´થી ૩૨° ૧૦´ ઉ. અ. તથા ૩૪° ૩૦´થી ૫૬° ૦૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની દક્ષિણમાં યેમેન; અગ્નિમાં ઓમાન; પૂર્વમાં સંયુક્ત આરબ અમીરાત તથા કતાર; ઉત્તરમાં જૉર્ડન, ઇરાક, કુવૈત તથા પશ્ચિમમાં રાતો સમુદ્ર આવેલા છે. તેના મધ્ય ભાગેથી કર્કવૃત્ત પસાર થાય છે. તે આશરે ૨૨,૫૦,૦૭૦ ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી આશરે ૩,૪૫,૬૬,૦૦૦ (૨૦૨૨) જેટલી છે. તે મંત્રીમંડળ સહિતની રાજાશાહી શાસનપદ્ધતિ ધરાવે છે, જે શેખ-શાસનપદ્ધતિ તરીકે પ્રચલિત છે. તેની કાનૂની પદ્ધતિ શરિયતના ઇસ્લામિક કાયદાઓ પર આધારિત છે. આ દેશનું પાટનગર રિયાધ છે જ્યારે જિદ્દાહ વહીવટી કેન્દ્ર છે. આ દેશની ઓમાન સીમાએ ગેડ પર્વતો આવેલા છે. પશ્ચિમે રાતા સમુદ્રકાંઠે તિહમાહનું સાંકડું મેદાન આવેલું છે. પૂર્વ વિભાગમાં પર્શિયન અખાતનાં કિનારાનાં મેદાનો પટ્ટી સ્વરૂપનાં છે. તે જાડા પંકથર ધરાવે છે. રાતા સમુદ્રકાંઠાનાં સાંકડાં મેદાનોની સમાંતરે અને ઉચ્ચ પ્રદેશની પશ્ચિમની કિનારી પર હિજાઝ અને આસિરની તૂટક તૂટક પર્વતશ્રેણીઓ આવેલી છે. તેનું સર્વોચ્ચ શિખર જેબેલ રાઝિખ ૩,૬૫૮ મી.ની ઊંચાઈ ધરાવે છે.

રાજધાની રિયાધનું એક દૃશ્ય

અહીં  પહાડી ક્ષેત્રો અને ઉચ્ચપ્રદેશના કેટલાક ભાગોમાં તથા રણદ્વીપના વિસ્તારોમાં ટૂંકું ઘાસ, વૃક્ષો અને કાંટાળાં ઝાંખરાં જેવી વનસ્પતિ થાય છે. રેતાળ રણપ્રદેશોમાં વનસ્પતિનું પ્રમાણ નહિવત્ છે. હિજાઝ પ્રાન્તમાં બાવળનાં વૃક્ષો, રણદ્વીપોમાં ઘાસ અને ખજૂરનાં વૃક્ષો, જ્યારે દેશના દક્ષિણ ભાગોમાં ઔષધીય વનસ્પતિ ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં શિયાળ, સસલાં, નોળિયા, ઘો, કાચિંડા અને સર્પની વિવિધ જાતોનો સમાવેશ થાય છે. પહાડી ક્ષેત્રોમાં દીપડા જોવા મળે છે. અહીંનાં પાળેલાં પ્રાણીઓમાં ઊંટ, ખચ્ચર, ઘોડા, ગધેડાં, ઘેટાંબકરાં વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ગીધ, સમડી, ગરુડ, બાજ તથા બીજાં રણનિવાસી પક્ષીઓ જોવા મળે છે. જિદ્દાહ અને દમ્મામ દેશનાં મુખ્ય બંદરો છે. આ સિવાય એન્બો, એલ્વોઝ, રેબીગ, લીથ વગેરે અન્ય નાનાં બંદરો છે. આ દેશ આશરે ૧,૩૯૦ કિમી. લંબાઈનો દમ્મામ અને રિયાધને જોડતો એક જ રેલમાર્ગ ધરાવે છે. તે સાઉદી અરેબિયાની જીવાદોરી સમાન ગણાય છે. અહીં મુસ્લિમ ધર્મનાં પવિત્ર યાત્રાધામો મક્કા તથા મદીના આવેલાં છે. મક્કા મહમદ પયગમ્બરસાહેબનું જન્મ-સ્થળ ગણાય છે. તેમના સમયમાં મદીના પાટનગર હતું. આ ઉપરાંત મદીનામાં તેમની પવિત્ર કબર આવેલી છે. અહીં દર વર્ષે લાખો મુસ્લિમો હજ કરવા આવે છે. તેથી અહીં પ્રવાસન અને હોટલ-ઉદ્યોગનો વિકાસ થયો છે. આ દેશની પ્રજા પ્રાચીન સેમેટિક જાતિની છે. કુલ વસ્તીમાં સાઉદી લોકોની વસ્તી ૬૬ % જેટલી છે. તે સિવાય એશિયા અને ઇજિપ્તના લોકો પણ અહીં વસે છે. અહીંના લોકોની મૂળ ભાષા અરબી છે. તે ઉપરાંત અંગ્રેજી ભાષાનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થાય છે. મુખ્ય ધર્મ ઇસ્લામ છે. વસ્તીવિતરણ તથા વસ્તીગીચતાનું પ્રમાણ અત્યંત અસમાન છે. અહીં જિદ્દાહ, રિયાધ, મક્કા, મદીના, દમ્મામ, તૈફ, બુરૈદા, અનેજા, હોકુફ વગેરે અગત્યની શહેરી વસાહતો છે. દેશનું સૌથી મોટું નગર રિયાધ છે. તૈફ મુખ્ય પર્યટન-કેન્દ્ર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઉદી અરેબિયા, પૃ. 95)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

હેમવતી નંદન બહુગુણા

જ. ૨૫ એપ્રિલ, ૧૯૧૯ અ. ૧૭ માર્ચ, ૧૯૮૯

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના બુઘાનીમાં એક ગઢવાલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પૌરીથી ૧૦મું ધોરણ પાસ કરીને ૧૯૩૭માં અલાહાબાદની સરકારી ઇન્ટરમીડિયેટ કૉલેજમાં બી.એસસી.માં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૪૬માં તેમણે બી.એ.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. ૧૯૪૨થી ૧૯૪૬ સુધીની ‘ભારત છોડો’ ચળવળના ભાગ રૂપે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. હેમવતી નંદન બહુગુણાને ૧૯૭૧માં કેન્દ્રીય મંત્રીમંડળમાં સંચાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેમને ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઑગસ્ટથી ડિસેમ્બર, ૧૯૭૯ દરમિયાન ચૌધરી ચરણિંસહના વહીવટ હેઠળ નાણામંત્રી બન્યા હતા. જાન્યુઆરી, ૧૯૮૦ની સંસદીય ચૂંટણીમાં તેઓ ઇન્દિરા ગાંધીના કૉંગ્રેસ(આઈ) પક્ષના ઉમેદવાર તરીકે ગઢવાલથી જીત્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ૧૯૮૪ની સંસદીય ચૂંટણીમાં તેમણે અલાહાબાદ મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર અમિતાભ બચ્ચન સામે ચૂંટણી લડી હતી. જેમાં અભિતાભ બચ્ચન ચૂંટણી જીત્યા હતા. હેમવતી નંદન બહુગુણા ૧૯૮૮માં બીમાર પડ્યા અને કોરોનરી બાયપાસ સર્જરી માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. સર્જરી નિષ્ફળ જવાથી ૧૭ માર્ચ, ૧૯૮૯ના રોજ ક્લેવલૅન્ડની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમની કાયમી સ્મૃતિ રહે તે માટે તેમનું નામ હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું છે. જે ઉત્તરાખંડના શ્રીનગરની સૌથી મોટી યુનિવર્સિટી છે. આ ઉપરાંત હેમવતી નંદન બહુગુણા ઉત્તરાખંડ મેડિકલ એજ્યુકેશન યુનિવર્સિટી દહેરાદૂન સાથે પણ તેમનું નામ સુવર્ણઅક્ષરે જોડાયેલું છે.