Categories
વાચન સમૃદ્ધિ

પારકી આંખમાંથી પ્રેમી જોતો

હોય છે ——

પ્રેમનું એક રૂપ છે સુખની શોધ અને એનું બીજું રૂપ છે સુખનું સમર્પણ. વ્યક્તિ પ્રેમ પામવા નીકળે ત્યારે જો એના દ્વારા સુખ પામવા નીકળશે તો એની પાછળ એની ‘ઇચ્છા’ નિહિત હોય છે. એ સુખ પ્રાપ્ત થાય તો એના પ્રેમને આનંદ થાય છે અને સુખ ન મળે તો મનને ઉદાસી થાય છે. પ્રાપ્તિની આશાએ થયેલો પ્રેમ સદાય વણછીપ્યો રહે છે અને એમાં સતત ભરતી-ઓટ આવતાં રહે છે. પ્રેમી દ્વારા થતી સુખની શોધ ક્યારેક પ્રાપ્તિની આકાંક્ષામાં પરિવર્તિત થઈ જાય છે અને જો એ પ્રાપ્તિ ન થાય તો પ્રેમ શૂન્ય બની જાય છે. પ્રેમી બેચેન થઈ જાય છે અને પ્રેમમાં વિસંવાદ ઊભો થાય છે.

પ્રેમનો બીજો પ્રકાર તે પ્રાપ્તિનો નહીં, પણ સમર્પણનો છે. જ્યાં વ્યક્તિ સર્વસ્વ સમર્પિત કરીને પ્રેમ કરે છે. એ સમયે એના પ્રેમમાં કોઈ સ્વાર્થ, પ્રાપ્તિ કે ઉદ્દેશ હોતાં નથી. પ્રેમનો અનુભવ એ જ એની મુખ્ય બાબત હોય છે અને એથી એ પ્રેમનો જેમ જેમ અનુભવ મેળવતો જાય છે, તેમ તેમ બે વ્યક્તિ વચ્ચેનો હૃદયસ્પર્શ થતો જાય છે. આવો પ્રેમ એ કોઈ માગણી પર આધારિત નથી. કોઈ અપેક્ષા પર જીવતો નથી. એ વિચારે છે કે જીવનમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ બધાની પાછળ કોઈ કારણ હોય તો તે પોતે છે, પોતાનો પ્રેમી નહીં. સ્વજીવનની નિષ્ફળતા, અતૃપ્તિ કે અજંપાને માટે એ પોતાને દોષ આપશે, પોતાના પ્રેમને કે  પ્રિયજનને નહીં !

પ્રેમીની આંખમાં પ્રિયજન વસતો નથી, પણ પ્રિયજનની આંખથી પ્રેમી જોતો હોય છે. મિલનની ઝંખના કે વિરહની વેદનાની બંને સમાન રૂપે પીડા અનુભવે છે, વત્તી-ઓછી નહીં. આથી જ પ્રેમને સ્થળ-કાળ કે રૂપ-રંગની મર્યાદા નડતી નથી. આકાશે સૂર્ય ઊગે અને ધરતી પર સૂરજમુખી ખીલે, એવી સાહજિક આ ઘટના છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કેશવચંદ્ર સેન

જ. ૧૯ નવેમ્બર, ૧૮૩૮ અ. ૮ જાન્યુઆરી, ૧૮૮૪

બંગાળના સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’ના વરિષ્ઠ કાર્યકર કેશવચંદ્ર સેનનો જન્મ કૉલકાતામાં બંગાળી વૈદ્ય પરિવારમાં થયો હતો. તેમણે દસ વર્ષની ઉંમરે પિતા પેરીમોહન સેનની છત્રછાયા ગુમાવી. એ પછી એમના કાકાએ એમનો ઉછેર કર્યો. શાળેય શિક્ષણ પૂર્ણ કરી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. તેઓ ૧૮૫૪માં એશિયાટિક સોસાયટીના સેક્રેટરી બન્યા પછી થોડા સમય માટે બૅન્ક ઑવ્ બંગાળમાં ક્લાર્ક તરીકે પણ કાર્ય કર્યું. ૧૮૫૫માં ગુડવિલ ફ્રેટરનિટીના સેક્રેટરી બન્યા અને સાંજની શાળાની સ્થાપના કરી. તેઓ બ્રહ્મસમાજમાં જોડાયા. બ્રહ્મસમાજના મુખપત્ર ‘ઇન્ડિયન મિરર’ માટે લેખો લખ્યા. તેમણે ૧૮૬૩માં ‘ધ બ્રહ્મસમાજ વિન્ડિકેટેડ’ લખ્યું. તેમણે રાજા રામમોહન રાયે સ્થાપેલ બ્રહ્મોસમાજનું નેતૃત્વ કર્યું. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી માર્ગે ચલાવવા ઇચ્છતા હતા જ્યારે દેવેન્દ્રનાથ વેદ-ઉપનિષદના આધારે ચલાવવા ઇચ્છતા હતા. બ્રહ્મસમાજના ભાગલા પડતાં કેશવચંદ્રના નેતૃત્વવાળો બ્રહ્મસમાજ ‘ભારતવર્ષીય બ્રહ્મસમાજ’ કહેવાયો.

રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્રને મળ્યા ત્યારે કેશવ ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ આવી ગયા હતા, પરંતુ રામકૃષ્ણ પરમહંસના પ્રભાવથી બ્રહ્મસમાજમાં ભક્તિસંપ્રદાયની અસર પડી. કેશવચંદ્રે ૧૮૮૧માં ‘નવવિધાન’ નામની સંસ્થા શરૂ કરી, જે પછીથી ‘ધ અર્થ ઑવ્ ધ ન્યૂ ડિસ્પેન્સેશન’ નામે જાણીતી બની.

તેમણે નવજાગૃતિ માટે કાર્ય કર્યું. સમાજમાં કન્યાઓને કેળવણી અને સ્ત્રીઓને સામાજિક સ્વતંત્રતા માટે પ્રયત્નો કર્યા. તેમણે કન્યાશાળાઓ શરૂ કરી. બાળલગ્ન અટકાવવા અને વિધવાઓનાં પુનર્લગ્ન માટે કાર્યો કર્યાં. તેમણે કન્યાના લગ્ન માટે ૧૬ વર્ષની ઉંમર હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે ‘સુલભ સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને ‘ધી ઇન્ડિયન મિરર’ પાક્ષિકને દૈનિક બનાવ્યું. તેમણે સમાજમાં નવજાગૃતિની સાથે સાથે પત્રકારત્વક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

વી. શાંતારામ

જ. ૧૮ નવેમ્બર, ૧૯૦૧ અ. ૩૦ ઑક્ટોબર, ૧૯૯૦

ભારતીય ફિલ્મનિર્માતા, નિર્દેશક, અભિનેતા અને પટકથાલેખક તરીકે જાણીતા વી. શાંતારામને લોકો ‘શાંતારામ બાપુ’ અને ‘અન્નાસાહેબ’ તરીકે પણ ઓળખે છે. તેઓ હિન્દીની સાથોસાથ મરાઠી ફિલ્મોમાં પણ તેમના ઉત્તમ કામ માટે જાણીતા હતા. તેમનો જન્મ મરાઠી જૈન પરિવારમાં થયો હતો. શાંતારામ જાણીતા મરાઠી ફિલ્મદિગ્દર્શક માસ્ટર વિનાયકના મામાના પિતરાઈ ભાઈ હતા. આ માસ્ટર વિનાયક બોલિવુડની અભિનેત્રી નંદાના પિતા છે. કર્ણાટકમાં હુબલી ખાતે રેલવે વર્કશૉપમાં ફિટર તરીકે તેઓ જોડાયા હતા. જ્યાં તેમનો પગાર રોજના આઠ આના એટલે કે ૫૦ પૈસા હતો. તેમની અથાગ મહેનતથી પ્રભાવિત થઈને તેમનો પગાર રોજના બાર આના એટલે કે ૭૫ પૈસા કરવામાં આવ્યો હતો. સાંજે તેમણે હુબલી ખાતે ન્યૂ ડેક્કન સિનેમા થિયેટરમાં ડૉરકીપર તરીકે પણ કામ કર્યું હતું. જોકે આ કામ માટે તેને કોઈ ચુકવણી કરવામાં આવતી ન હતી, પરંતુ તેમને બધી ફિલ્મો મફતમાં જોવાની છૂટ હતી. ત્યાં તેમણે ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકેની ફિલ્મો જોઈ અને ફિલ્મક્ષેત્રે આગળ વધવાનો જુસ્સો કેળવ્યો. તેઓ ફોટોગ્રાફી અને સાઇન બોર્ડ પેઇન્ટિંગ પણ શીખ્યા હતા.

વી. શાંતારામે અભિનેતા તરીકે ‘સુરેખાહરણ’ (૧૯૨૧), ‘સ્ત્રી’ (૧૯૬૧) અને ‘દો આંખે બારહ હાથ’ (૧૯૫૭) જેવી છ ફિલ્મોમાં અને નિર્માતા તરીકે ‘ભક્તિમાલા’ (૧૯૪૪), ‘સેહરા’ (૧૯૬૩) અને ‘જલ બિન મછલી નૃત્ય બિન બિજલી’ (૧૯૭૧) જેવી ૧૦ ફિલ્મોમાં સરસ કામ કર્યું હતું. તેમણે દિગ્દર્શક તરીકે મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીની ‘નેતાજી પાલકર’ (૧૯૨૭)માં, પ્રભાત ફિલ્મ કંપનીની ‘ગોપાલકૃષ્ણ’, ‘ધર્માત્મા’, ‘માનુસ’, ‘આદમી’ અને ‘પડોસી’ જેવી ૧૯ ફિલ્મોમાં અને રાજકમલ કલામંદિરની ‘ભગવાનદાસ પટેલ’થી માંડી ‘અપના દેશ’ અને ‘તીન બત્તી ચાર રસ્તા’ જેવી ૨૧ ફિલ્મોમાં અદભુત સેવા આપી છે. ૧૯૫૨થી ૧૯૫૯ સુધીમાં જુદા જુદા ૯ ઍવૉર્ડ અને ચંદ્રક પ્રાપ્ત કરેલ વી. શાંતારામને ૧૯૮૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અને ૧૯૯૨માં પદ્મવિભૂષણ(મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૭ નવેમ્બર, ૨૦૦૧ના રોજ તેમને સમર્પિત એક ટપાલટિકિટ ભારતીય ડાક વિભાગે બહાર પાડી હતી.

અશ્વિન આણદાણી