જ. 24 એપ્રિલ, 1903 અ. 14 જાન્યુઆરી, 1956

પ્રસિદ્ધ માનવશાસ્ત્રી એસ. એફ. નાડેલનો જન્મ તેમજ ઉછેર ઑસ્ટ્રિયામાં થયો હતો. તેમણે વિયેના યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી, પરંતુ તેમને શરૂઆતમાં સંગીત પ્રત્યે ઊંડી રુચિ હતી. તેમણે ઑપેરા સંગીત મંડળી પણ સ્થાપી હતી. નાડેલે સંગીતના મનોવિજ્ઞાન અને દર્શન વિશે પુસ્તક લખ્યું છે. તેમણે સંગીતના કેટલાક કાર્યક્રમો પણ આપ્યા હતા. 1930માં આફ્રિકામાં વાસ્તવિક રીતે માનવશાસ્ત્રમાં ક્ષેત્રકાર્ય દ્વારા પ્રવેશ કર્યો હતો. તેમણે Nupe જાતિ અને અન્ય આદિવાસી જાતિઓ વિશે નાઇજીરિયામાં અને ઍંગ્લો-ઇજિપ્શિયન સુદાનમાં ન્યુબા જાતિ પર સંશોધનકાર્ય કર્યું હતું. 1954માં આદિવાસી જાતિના ધાર્મિક જીવન વિશે સુંદર પુસ્તક લખ્યું છે. સમાજની સંરચનાના પૃથક્કરણની દૃષ્ટિએ તે મહત્ત્વનું ગણાય છે. આ ગ્રંથે તેમને ઍથ્નોગ્રાફર ઉપરાંત માનવશાસ્ત્રના સૈદ્ધાંતિક અભ્યાસની કક્ષામાં પ્રવેશ આપ્યો હતો. તેમના વિચારો પર અનેક ખ્યાતનામ સમાજશાસ્ત્રીઓની છાયા હતી છતાં તેમનાં લખાણો કોઈ વિચારશાખાના બીબામાં ગોઠવાયેલાં ન હતાં. તેમણે વર્ણનાત્મક રજૂઆત કરવાને બદલે સૈદ્ધાંતિક પૃથક્કરણ પર વધુ ભાર મૂક્યો છે. તેમના લખેલ ગ્રંથ ‘ધ થિયરી ઑવ્ સોશિયલ સ્ટ્રક્ચર’માં વ્યક્તિની ક્રિયાઓ અને દિશાઓ પ્રત્યે સંરચનાત્મક વિશ્લેષણની રજૂઆત કરી છે. સામાજિક સંરચનાને દર્શાવવા તેઓ ત્રણ પ્રકારનાં ભૂમિકા સ્વરૂપોની સમજણ આપે છે. આમ સામાજિક સંરચના વિશેના માનવશાસ્ત્રમાં તેમના વિચારો માર્ગદર્શક ભૂમિકારૂપ બન્યા છે. આ રીતે સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રમાંના સામાજિક સંરચના વિશેના તેમના વિચારો ચિંતનમાં મહત્ત્વના બન્યા. માનવશાસ્ત્રીય પૃથક્કરણમાં તેમણે મનોવૈજ્ઞાનિક ભૂમિકાને સ્થાન આપવા પર ભાર મૂક્યો તથા સહસંબંધ બાંધવાના અભિગમને વધુ મહત્ત્વ આપ્યું. આફ્રિકાના વિદ્યાર્થીઓ માટે ઍથ્નોગ્રાફિક લખાણના સંદર્ભમાં નાડેલ આશીર્વાદરૂપ બન્યા છે.
શુભ્રા દેસાઈ
