જ. 11 મે, 1964 અ. 10 એપ્રિલ, 2026

ભારતીય લશ્કરના નિવૃત્ત કર્નલ. આખું નામ વાંગચુક સોનમ. હિમાચલ પ્રદેશના સોલન નગર ખાતે સેંટ લુકેની પ્રાથમિક શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. 1973માં તેમના પિતા 14મા દલાઈલામાની સુરક્ષા વિભાગમાં જોડાતાં તેમણે ધરમશાલા ખાતે સ્થળાંતર કરવું પડ્યું. 1975માં દિલ્હીની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરીને શ્રી વેંકેટશ્વર કૉલેજમાંથી ઇતિહાસ વિષયમાં સ્નાતક થયા. તેમના સગા કર્નલ વાંગડુએ તેમને લશ્કરમાં જોડાવા આગ્રહ કર્યો. વાંગચુકે ચેન્નાઈ ખાતે આવેલી ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીમાં તાલીમ મેળવીને અસમ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટનો હોદ્દો મેળવ્યો. ભારતીય સૈન્ય દ્વારા તેઓએ ‘ભારતીય શાંતિદળ’માં જોડાઈને શ્રીલંકા ખાતે સેવા આપી. ત્યારબાદ સિંધુ વિભાગના ‘લદ્દાખ સ્કાઉટ’માં નિયુક્ત થયા. ભારત-પાકિસ્તાનના 1994ના કારગીલ યુદ્ધમાં સિંધુ વીંગ અને લદ્દાખ સ્કાઉટના સહયોગથી ઑપરેશન વિજયનો પ્રારંભ કર્યો. ચોરબાટ લા ઘાટ પાસે પાકિસ્તાનના સૈનિકોને શિકસ્ત આપીને 5,500 મીટર ઊંચાઈએ હિમાચ્છાદિત વિસ્તારની ‘Line of Control’ની કરાડ (Ridge) ઉપર પ્રભુત્વ મેળવ્યું. આ સફળતાને લક્ષમાં રાખીને ભારત સરકાર તરફથી તેમણે મહાવીર ચક્રનો ખિતાબ મેળવ્યો. તેઓએ જીવના જોખમે બટાલિક યુદ્ધ ક્ષેત્રને દુશ્મનોથી મુક્ત કર્યો. આ સાહસને લક્ષમાં રાખીને 2017ના ઑગસ્ટ માસની 21મી તારીખે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ‘Lion of Ladakh’ તરીકે નવાજ્યા હતા. ભારતીય સૈન્યમાં તેઓએ મહાવીર ચક્ર, ઑપરેશન વિજય, 50મી ઍનિવર્સરી ઑફ ઇન્ડિપેન્ડન્સ મેડલ, સૈન્ય સેવા મેડલ, સ્પેશિયલ સર્વિસ મેડલ જેવા મહત્ત્વના બાર જેટલા ઍવૉર્ડ મેળવ્યા હતા. હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.
નીતિન કોઠારી
