જ. 13 જુલાઈ, 1892 અ. 16 સપ્ટેમ્બર, 1977

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જયપુર-અત્રોલી ઘરાનાની પ્રસિદ્ધ ગાયિકા કેસરબાઈ કેરકરનો જન્મ ગોવાના કેરી નામના નાનકડા ગામમાં થયો હતો. આઠ વર્ષની કુમળી વયે તે કોલ્હાપુર ગયાં અને અબ્દુલ કરીમખાં પાસે સંગીતની તાલીમ લીધી. પછી પાછાં ગોવા ગયાં અને રામકૃષ્ણ બુવા વઝે પાસે તાલીમ લીધી. 1909માં તેઓ મુંબઈ આવ્યાં. પટિયાલા રાજ્યના સિતારવાદક અને દરબારી સંગીતકાર બરકતુલ્લા ખાંસાહેબ પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. તેમણે નૃત્યની પણ તાલીમ લીધી હતી. 1911માં તેમણે જયપુર ઘરાનાના સંગીતકાર ખાંસાહેબ અલ્લાદિયાખાં પાસેથી કઠિન શરતો સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. તેઓ દરરોજ નવથી દસ કલાક સુધી રિયાજ કરતાં. તેમણે 1929થી જાહેર કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું હતું. 1930માં પેશાવર ગાયિકી શરૂ કરી. તેનાથી કેસરબાઈને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ અને ઉચ્ચ વર્ગના શ્રોતાઓની સામે પોતાની ગાયિકી રજૂ કરવા લાગ્યાં. તેઓ પોતાની પેઢીના સૌથી સારાં ખયાલ ગાયિકા બન્યાં. મોટા ભાગની ગ્રામોફોન રેકૉર્ડ કંપનીઓએ તેમની રેકૉર્ડ બહાર પાડી હતી. સંગીતક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરવા બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 1953માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો. તેમને 1948માં કૉલકાતાની સંગીતપ્રવીણ સંગીતાનુરાગી સજજન સન્માન સમિતિ દ્વારા સુરશ્રી સન્માન મળ્યું હતું. 1969માં ભારત સરકારે તેઓને પદ્મભૂષણથી નવાજ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યનાં પ્રથમ રાજ્ય-ગાયિકાની ઉપાધિ અને 1975માં સૂરસિંગાર સંસદ દ્વારા શારંગદેવ ફેલોશિપ આપવામાં આવ્યાં હતાં. તેમની સ્મૃતિમાં કલા અકાદમી, ગોવા દ્વારા દર વર્ષે સુરશ્રી કેસરબાઈ કેરકર સ્મૃતિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. નાસાના 1977ના વૉયેજર મિશનમાં તેમનું રેકૉર્ડિંગ સુવર્ણ રેકૉર્ડમાં જળવાયેલું છે. આમ અવકાશમાં પ્રથમ ભારતીય અવાજ કેસરબાઈ કેરકરનો હતો.
અંજના ભગવતી
