જુથિકા રૉય


જ. 20 એપ્રિલ, 1920 અ. 5 ફેબ્રુઆરી, 2014

અત્યંત મધુર અવાજ અને પ્રતિભા ધરાવતાં ભજનગાયિકા જુથિકા રૉયનો જન્મ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં થયો હતો. ખૂબ નાની વયથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. માત્ર સાત વર્ષની ઉંમરે તેમણે ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી અને બાર વર્ષની વયે તેમનું પ્રથમ હિંદી ભજન ધ્વનિમુદ્રિત થયું. વિખ્યાત બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ ઉર્ફે ‘કાઝીદા’ જુથિકા રૉયના માર્ગદર્શક અને પથપ્રદર્શક હતા. તેમની દોરવણી હેઠળ જુથિકાનું પ્રથમ આલબમ બહાર પડ્યું હતું. તે સિવાય બંગાળી સંગીતનિર્દેશક કમલ દાસગુપ્તાના સંગીત હેઠળ પણ તેમણે સુંદર ગીતો ગાયાં છે. 1934-1961ના લગભગ ત્રણ દાયકામાં જુથિકાએ ગાયેલાં હિંદી ગીતોની સંખ્યા આશરે 225 અને બંગાળી ગીતોની સંખ્યા આશરે 140 જેટલી છે. બંગાળી અને હિંદી ભાષાનાં ભજનો ઉપરાંત તેમણે ઉર્દૂ અને તમિળ ભાષામાં પણ થોડાંક ગીતો ગાયાં છે. ભજન અને ગીતો ઉપરાંત તેમણે કવ્વાલી પણ રજૂ કરેલ છે. મીરાંનાં ભજનો ગાવામાં તે વિશેષ ખ્યાતિ ધરાવે છે. મીરાંનાં ભજનોની વિશિષ્ટ પ્રકારની ગાયકીને કારણે જુથિકા રૉય તેમના પ્રશંસકોમાં ‘આધુનિક મીરાં’ના ઉપનામથી જાણીતાં બન્યાં છે. મીરાંબાઈનાં ભજનો ઉપરાંત જુથિકાએ સંત તુલસીદાસ, સંત સૂરદાસ અને સંત કબીર જેવા સંતકવિઓની રચનાઓને પણ પોતાનો કંઠ આપ્યો છે. તેમણે થોડાંક ફિલ્મી ગીતો ગાયાં છે, તેમ છતાં ભજનગાયિકા તરીકે તેમની પ્રતિષ્ઠા વધારે ઊંચી છે. તેમના પ્રશંસકોમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ અને સત્ય સાંઈબાબા જેવાનાં નામ મોખરે મૂકી શકાય. 15 ઑગસ્ટ, 1947ના રોજ તીનમૂર્તિ ભવનના પોતાના શાસકીય નિવાસથી લાલ કિલ્લા સુધી રાષ્ટ્રને સંબોધવા જવા માટે પંડિત નહેરુ પસાર થતા હતા તે જ સમયે આકાશવાણી પરનું જુથિકાનું ગાયન પૂરું થયું હતું, પરંતુ પંડિતજીના સૂચનથી જુથિકા તરત જ આકાશવાણી કેન્દ્ર પાછાં ફર્યાં હતાં અને પંડિતજી લાલ કિલ્લા પર પહોંચે ત્યાં સુધી ભક્તિસંગીત ચાલુ રાખ્યું હતું. ગાંધીજી કોમી એખલાસ અને શાંતિ પ્રસ્થાપિત કરવા માટે નોઆખલીનો પ્રવાસ ખેડતા હતા ત્યારે બેલઘાટ ખાતેના તેમના રોકાણ દરમિયાન ગાંધીજીના આગ્રહથી જુથિકાએ તેમને પાંચથી છ ભજન સંભળાવ્યાં હતાં. 1972માં ભારત સરકારે તેમને પદ્મશ્રી ઇલકાબથી સન્માન્યાં હતાં.