જ. 28 જુલાઈ, 1926 અ. 19 ફેબ્રુઆરી, 2019

હિન્દી સાહિત્યના પ્રખ્યાત વિવેચક, સંપાદક, પ્રાધ્યાપક નામવર સિંહનો જન્મ ઉત્તરપ્રદેશના જીયનપુર ગામમાં થયો હતો. ઘરમાંથી શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર મળ્યા હતા. તેઓ અભ્યાસ માટે બનારસ ગયા. એ જ વર્ષે ‘ક્ષત્રિયમિત્ર’ સામયિકમાં ‘દીવાલી’ કવિતા છપાઈ. તેમણે રવીન્દ્ર સાહિત્ય અને સંગીતનો અભ્યાસ કર્યો હતો. તેઓ 1949માં બી. એ. અને 1951માં એમ.એ. થયા હતા. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. તેમણે ત્યાં જ થોડો સમય અધ્યાપન કર્યું હતું. 1959માં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા પરંતુ હાર્યા. એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી છોડી. એમણે જુદી જુદી યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું. તેઓ જવાહરલાલ યુનિવર્સિટીમાં જોડાયા. તેઓ તે યુનિવર્સિટીમાં ભારતીય ભાષા કેન્દ્રના સ્થાપક અને ચૅરમૅન હતા. તેઓ અંગ્રેજી, હિન્દી, અપભ્રંશ, ભોજપુરી, ઉર્દૂ, સંસ્કૃત અને બંગાળી ભાષાના જ્ઞાતા હતા. તેઓ ‘જનયુગ’ સાપ્તાહિક અને ‘આલોચના’ ત્રિમાસિકના સંપાદક હતા. તેમણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ હિન્દી યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિના સભ્ય હતા. તેમણે રશિયા, મોરેશિયસ, ઇટાલી, હંગેરી, વિયેટનામ, જર્મની, ઇંગ્લૅન્ડ જેવા અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. આઠેક જેટલાં સંપાદનો પણ આપ્યાં છે. ‘છાયાવાદ’, ‘ઇતિહાસ ઔર આલોચના’, ‘કવિતા કે નયે પ્રતિમાન’, ‘દૂસરી પરંપરા કી ખોજ’, ‘કહાની: નઈ કહાની’, ‘આલોચક કે મુખ સે’ જેવા વિવેચનગ્રંથો; ‘કહના ના હોગા’, ‘બાત બાત મેં બાત’, ‘સાથ સાથ’ ઇન્ટરવ્યૂ અને સંવાદો તથા ‘કાશી કે નામ’, ‘તુમ્હારા નામવર’ પત્રસંગ્રહો તેમની જાણીતી કૃતિઓ છે. તેમણે આપેલા સાહિત્યિક પ્રદાન માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, શલાકા સન્માન, સાહિત્ય ભૂષણ સન્માન, શબ્દસાધક શિખર સન્માન, મહાવીરપ્રસાદ દ્વિવેદી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ
