જ. 12 જુલાઈ, 1904 અ. 23 સપ્ટેમ્બર, 1973

દક્ષિણ અમેરિકાના જગપ્રસિદ્ધ સ્પૅનિશ કવિ પાબ્લો નેરુદાનો જન્મ ચિલીમાં થયો હતો. તેઓ 20મી સદીના સૌથી પ્રભાવશાળી, લોકપ્રિય કવિ તથા રાજનેતા હતા. તેમનું મૂળ નામ નેફતાલી રિકાર્ડો રેઇસ બોસાલ્ટો હતું. તેમની ચાર વર્ષની વયે માતાનું અવસાન થતાં પિતાએ પુનર્લગ્ન કર્યાં અને ચિલીની દક્ષિણે તેમુકામાં રહેવા ગયા. ત્યાં વનપ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને નેરુદાની કલ્પનાશક્તિને વેગ મળ્યો. ત્યાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ સાથે જ તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું. તેમુકાનાં અખબારોમાં નેરુદાના આરંભનાં કાવ્યો પ્રગટ થવા માંડ્યાં. પોતાનો પુત્ર કવિ થાય તે સામે પિતાનો પ્રચંડ વિરોધ હતો આથી કવિએ પોતાના પ્રિય ચેક સાહિત્યકાર યાન નેરુદાની અટક અપનાવી પાબ્લો નેરુદા તખલ્લુસ અપનાવ્યું. સોળ વર્ષની વયે તેઓ ચિલીની રાજધાની સાન્ટિયાગોમાં વધુ અભ્યાસાર્થે ગયા. ત્યાંની શિક્ષણ-સંસ્થામાં તેમની કાવ્યકૃતિ ફિએસ્ટા સૉંગને પ્રથમ પારિતોષિક મળ્યું. 1923માં તેમનો પ્રથમ અને 1924માં બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થતાં ચિલીમાં તેમની કીર્તિ ચારેકોર ફેલાઈ. ચિલીની સરકારે નવોદિત કવિઓને પ્રોત્સાહન આપવા માટે તેમને પ્રથમ યુરોપ અને ત્યારબાદ પૂર્વના દેશોમાં મોકલ્યા. 1932માં તેઓ ભારત સહિત કેટલાક દેશોમાં ફરી દક્ષિણ અમેરિકા પાછા ફર્યા. 1936માં સ્પેનમાં ફાટી નીકળેલ આંતરવિગ્રહ દરમિયાન તેમણે પ્રગતિવાદી દૃષ્ટિકોણ અપનાવી સામાજિક રીતે પ્રતિબદ્ધ થઈને કવિતાઓ લખી. 1943માં તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેઓ ધારાસભામાં પણ સેનેટર તરીકે ચૂંટાયા. 1950માં તેમણે કેન્ટો જનરલ નામે દીર્ઘકાવ્ય પ્રગટ કર્યું. જે તેમનું ઉત્તમ, યશસ્વી મહત્ત્વાકાંક્ષી સર્જન છે. તેમણે લખેલું એલિમેન્ટલ ઓડ્ઝ 1954થી 1957 દરમિયાન ત્રણ ખંડોમાં પ્રકાશિત થયું. તેમણે લગભગ 12થી વધુ કાવ્યસંગ્રહો અને લગભગ 7000 પૃષ્ઠોમાં તેમણે કાવ્યો લખ્યાં છે. વિશ્વની અનેક ભાષાઓમાં તેમનાં કાવ્યો તથા વ્યાખ્યાનોનો અનુવાદ થયેલો છે. ગહન પ્રેમ, પ્રકૃતિ, ક્રાન્તિ, માનવઅધિકારો પ્રત્યેની તેમની ભાવુકતા અને સશક્ત કવિતાઓ માટે પ્રસિદ્ધ નેરુદાને 1971માં સાહિત્યના નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ
