જ. 19 મે, 1908 અ. 3 ડિસેમ્બર, 1956

વીસમી સદીના પ્રખ્યાત બંગાળી નવલકથાકાર અને વાર્તાકારનો જન્મ દુમકા, બિહાર(હાલમાં ઝારખંડ)માં થયો હતો. તેમનું મૂળ નામ પ્રબોધ કુમાર, પણ હુલામણું નામ માણિક હતું. શાળામાં તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. 1928માં કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ગણિતના વિષય સાથે બી.એસસી. કર્યું. ત્યારબાદ જીવનમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થતાં કૉલેજ છોડી દેવી પડી. મિત્રોનો પડકાર ઝીલતાં તેમણે એક વાર્તા લખી – ‘અતશીમામી’, જે પ્રતિષ્ઠિત માસિક ‘વિચિત્ર’માં પ્રકટ થઈ અને તેઓ બંગાળી વાચકોમાં પ્રસિદ્ધ બની ગયા. 1935માં તેમની પ્રથમ નવલકથા ‘જનની’ પ્રગટ થઈ અને તે જ વર્ષે ‘અતશીમામી અને અન્ય વાર્તાઓ’નો સંગ્રહ પ્રગટ થયો. 1936માં તેમની સૌથી લોકપ્રિય બે નવલકથાઓ ‘પદ્માનદીર માંઝી’ અને ‘પુતલનાચેર’ પ્રકાશિત થઈ, જે દુનિયાના પીડિતો અને દલિતો વાસ્તવિક પ્રતિનિધિના રૂપમાં આવે છે. 1941માં તેમણે ‘અહિંસા’ લખી જેમાં જે ધર્મને અસંખ્ય લોકો પાળી રહ્યા હતા તેની પોકળતા ઉઘાડી પાડી છે. વળી બીજા વિશ્વયુદ્ધના સમયે લોકો જે સંદેહમાં જીવન જીવતા હતા તેનો ચિતાર રજૂ કર્યો છે. તેઓએ માર્કસ, લેનિન અને સ્ટાલિન જેવા સોશિયાલિસ્ટ ફિલસૂફોની ફિલૉસૉફીથી પ્રભાવિત થઈ 1944માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બનવાનું પસંદ કર્યું, જે જીવનભર નિભાવ્યું. 1945માં ‘દર્પણ’ની રચના થઈ જેમાં જુદા જુદા સમુદાયોની વચ્ચેનો સંઘર્ષ આલેખ્યો છે. આ ઉપરાંત ‘આદાયેર ઇતિહાસ’ (1947), ‘માટિર મશૂલ’(1948)ની વાર્તાઓમાં આઝાદી પછીના વ્યાપક ભ્રમનિરસનનું ચિત્રણ છે. ‘સ્વાધીનતાનો સ્વાદ’ (1951), ‘સોનાર ચેયે દામી’, ‘આરોગ્ય’ નવલકથાઓની રચના કરી છે. અઠ્ઠાવીસ વર્ષની સાહિત્યિક સફરમાં તેમણે 38 નવલકથાઓ, 306 વાર્તાઓ, નાટક, કવિતાઓ અને નિબંધોની રચના કરી હતી. તેમની નવલકથાઓ ભારતીય ભાષાઓ અને અંગ્રેજી ભાષામાં પણ અનૂદિત થયેલી છે. તેમની નવલકથા ‘પદ્માનદીર માંઝી’ (બોટમૅન ઑફ પદ્મા) 7-8 ભારતીય ભાષાઓમાં, ત્રણ વાર અંગ્રેજી ભાષામાં તથા સ્વીડિશ, ઝેક, જર્મન, હંગેરિયન, ચાઇનીઝ, બલ્ગેરિયન, રશિયન તથા ફ્રેન્ચ ભાષાઓમાં અનૂદિત થઈ છે. લગભગ 70 જેટલી ટૂંકી વાર્તાઓ ભારતીય અને બીજી વિદેશી ભાષાઓમાં અનુવાદ પામી છે.
રાજશ્રી મહાદેવિયા
