લક્ષ્મણરાવ કાશીનાથ કિર્લોસ્કર


જ. 20 જૂન, 1869 અ. 26 સપ્ટેમ્બર, 1956

વિખ્યાત  ઉદ્યોગપતિ તથા કિર્લોસ્કર ઔદ્યોગિક ગૃહના સંસ્થાપક લક્ષ્મણરાવ કિર્લોસ્કરનો જન્મ બેળગાંવ (કર્ણાટક) જિલ્લાના ગુર્લહોસૂરમાં થયો હતો. તેમને ઔપચારિક શિક્ષણમાં રસ ન હોવાથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટસમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. તે આંશિક રંગઅંધત્વથી પીડાતા હોવાથી ચિત્રકલાનો અભ્યાસ છોડી મિકૅનિકલ ડ્રૉઇંગ અભ્યાસક્રમમાં જોડાયા. 1887માં મુંબઈની V.J.T.I.માં મિકૅનિકલ ડ્રૉઇંગના શિક્ષક બન્યા. નોકરી સિવાયના સમય દરમિયાન વધારાની આવક મેળવવા માટે યંત્રોની સ્થાપના તથા સમારકામ શરૂ કર્યું. 1888માં કિર્લોસ્કર બ્રધર્સ નામની પેઢી કરી જે ભવિષ્યના વિશાળ ઔદ્યોગિક સંકુલનું પ્રારંભિક કેન્દ્રબિંદુ સાબિત થયું. 1897માં બેળગાંવ ખાતે પોલાદનાં કૃષિયંત્રો અને ઓજારોના ઉત્પાદનનું કારખાનું સ્થાપ્યું. ત્યારપછી એન્જિનિયરિંગની વિચક્ષણ કોઠાસૂઝને કારણે બૅંગાલુરુ, પુણે તથા દેવાસ જેવી જગ્યાઓએ નવા ઔદ્યોગિક એકમો પ્રસ્થાપિત થયા. સંકુલના આ એકમોમાં કૃષિઉપકરણો ઉપરાંત ડીઝલ એન્જિન, વીજળીની મોટર તથા મશીનટૂલ્સનું વૈવિધ્યપૂર્ણ ઉત્પાદન શરૂ કર્યું. લક્ષ્મણરાવ ઉદ્યોગપતિ ઉપરાંત પ્રખર દેશભક્ત તથા સમાજસુધારક પણ હતા. તેમણે જીવનભર ખાદીનાં વસ્ત્રો અપનાવ્યાં હતાં. ભારતની સ્વાધીનતાની લડતને તેઓ સક્રિય સહાય આપતા હતા. તેમના માર્ગદર્શન હેઠળ કિર્લોસ્કરવાડી સામાજિક રીતે એક આદર્શ વસાહત તરીકે વિકસી હતી જ્યાં શ્રમ, સહકાર તથા સમભાવ – આ ત્રણેયને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. 1910માં અસ્પૃશ્યતાનિવારણ અપનાવવામાં આવ્યું હતું. ઔધ રિયાસતમાં પ્રજાકીય શાસનપ્રણાલી દાખલ થઈ ત્યારે લક્ષ્મણરાવ મંત્રીપદે નિમાયા. આ કારકિર્દીમાં પણ તેમણે ઔદ્યોગિક વિકાસ, ગ્રામોદ્ધાર તથા કેળવણીમાં ખૂબ રસ દાખવ્યો હતો. આ અગ્રણી ઉદ્યોગપતિના સાહસ, સૂઝ તથા નિયોજન કુશળતાની જાહેર પ્રશંસા કરનારામાં લોકમાન્ય તિલક, જવાહરલાલ  નહેરુ, શ્યામાપ્રસાદ મુખર્જી, ચક્રવર્તી રાજગોપાલાચારી તથા એમ. વિશ્વેશ્વરૈયા જેવી મહાન વિભૂતિઓનો સમાવેશ થાય છે. તેમના ચારે પુત્રો કુટુંબના વ્યવસાયમાં જોડાયેલા છે.

1969માં તેમની જન્મશતાબ્દીને અનુલક્ષીને ભારત સરકારે એક ખાસ ટપાલટિકિટ બહાર પાડી હતી.