જ. 21 મે, 1860 અ. 27 સપ્ટેમ્બર, 1927

ડચ ચિકિત્સક અને શરીરક્રિયા વિજ્ઞાની (Physiologist) વિલેમ આઇંથોવનનો જન્મ ઇન્ડોનેશિયામાં જાવાના સેમારંગમાં થયો હતો. તેમને આધુનિક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ(ECG/EKG)ના જનક માનવામાં આવે છે. તેમના પિતા જેકબ આઇંથોવન નેધરલૅન્ડની સેનામાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વિલેમની છ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેમનાં માતા બાળકોને લઈને નેધરલૅન્ડ આવીને ઉટ્રેક્ટમાં વસ્યાં. 1885માં તેમણે ઉટ્રેક્ટ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરની પદવી મેળવી. માત્ર 26 વર્ષની વયે તેઓ લીડેન વિશ્વવિદ્યાલયમાં ફિઝિયૉલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્તિ પામ્યા. લીડેનમાં અધ્યાપન દરમિયાન શરૂઆતમાં તેમણે પ્રકાશિકી, શ્વસન તથા હૃદયને લગતાં સંશોધનકાર્યો કરવા માંડ્યાં. પાછળથી તેમણે હૃદયની ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સ્ટ્રીંગ ગૅલ્વેનોમીટરની શોધ કરી. સ્ટ્રીંગ ગૅલ્વેનોમીટરનો ઉપયોગ શરૂઆતમાં દરિયાની અંદર પસાર થતા કેબલમાં વિદ્યુત signalને મજબૂત (amplify) બનાવવા કરાતો. વિલેમે વિચાર્યું કે આ તકનીકનો ઉપયોગ હૃદય દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિકલ સંવેદનો માપવા માટે કરી શકાય. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી તેમણે ECGની શોધ કરી. તેમનું કાર્ય આજે પણ હૃદયરોગના નિદાન માટે આધારભૂત ગણાય છે. આજે પણ દુનિયાભરની હૉસ્પિટલોમાં ECG મશીનોનો ઉપયોગ કરાય છે. સમય સાથે ટૅક્નૉલૉજી વિકસિત થતી ગઈ, પરંતુ હજી પણ ECG મશીનો વિલેમ દ્વારા વિકસિત મૂળ સિદ્ધાંતો અને ટૅક્નૉલૉજી અનુસાર કાર્ય કરી રહ્યાં છે. તેમણે હૃદયની વિદ્યુત ગતિવિધિઓને માપવા માટે શરીરનાં અંગો પર ઇલેક્ટ્રોડ લગાડવાની એક પ્રણાલી વિકસિત કરી, જે આઇંથોવન ત્રિકોણ (Einthoven’s Triangle) તરીકે જાણીતી છે. તેમના જીવનકાળ દરમિયાન તેમની ઉપલબ્ધિઓ માટે અનેક સન્માનો પ્રાપ્ત થયાં. 1924માં તેમને ચિકિત્સાક્ષેત્રે અદ્ભુત શોધ કરવા બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
શુભ્રા દેસાઈ
