વિષ્ણુ પ્રભાકર


જ. 21 જૂન, 1912 અ. 11 એપ્રિલ, 2009

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકરનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના મીરાપુર ગામમાં થયો હતો. પિતા દુર્ગાપ્રસાદ અને માતા મહાદેવી. તેમનું પ્રાથમિક શિક્ષણ મીરાપુરમાં થયું. વધુ અભ્યાસ માટે મામાને ત્યાં હિસ્સાર ગયા. 1929માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરકારી નોકરીમાં જોડાયા. નોકરી દરમિયાન હિન્દીમાં ‘પ્રભાકર’ અને ‘ભૂષણ’ પરીક્ષા પાસ કરી. અંગ્રેજી સાથે સ્નાતક થયા. તેમણે સંસ્કૃતની ‘પ્રજ્ઞા’ પદવી પણ મેળવી. તેઓ હિન્દુસ્તાની નાટક કંપનીમાં જોડાયા હતા. તેમણે 1931માં પહેલી ટૂંકી વાર્તા ‘પ્રેમબંધુ’ ઉપનામથી લખી. 1939માં પહેલું નાટક ‘હત્યા કે બાદ’ લખ્યું. પ્રાથમિક શાળામાં તેમનું નામ વિષ્ણુ દયાલ લખાવ્યું હતું. પછી આર્યસમાજની પ્રાથમિક શાળામાં ‘વિષ્ણુગુપ્ત’ નામ નોંધાયું. નોકરીમાં વિષ્ણુ ગુપ્ત નામની બીજી વ્યક્તિ પણ હોવાથી વિષ્ણુધર્મદત્ત નામ કર્યું. લેખનસર્જન શરૂ કર્યું ત્યારે ‘વિષ્ણુ’ નામ લખતા પરંતુ તંત્રીએ એમના નામ સાથે એમની ડિગ્રી પ્રભાકર જોડીને વિષ્ણુ પ્રભાકર બનાવ્યા. પછી સાહિત્યજગતમાં એ જ નામે ખ્યાતિ પામ્યા. તેમણે વાર્તા, નવલકથા, નાટક, એકાંકી, જીવનચરિત્ર ક્ષેત્રે પોતાની કલમ ચલાવી. તેમણે તેમની આત્મકથા ‘પંખીહીન’ ત્રણ ભાગમાં લખી છે. બંગાળી સર્જક શરદચંદ્રનું જીવનચરિત્ર ‘આવારા મસીહા’ ખૂબ પ્રશંસા પામી. ‘સંઘર્ષ કે બાદ’, ‘ખંડિત પૂજા’, ‘ધરતી અબ ભી ઘૂમ રહી હૈ’ વાર્તાસંગ્રહો, ‘ઢલતી રાત’, ‘ક્ષમાદોષ’, ‘અર્ધનારીશ્વર’ નવલકથાઓ, ‘જ્યોતિપુંજ હિમાલય’ પ્રવાસકથા તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે પ્રેમચંદના ‘ગબન’નું ‘ચન્દ્રહાર’ અને ‘ગોદાન’નું ‘હોરી’ નામે નાટ્ય રૂપાંતર કર્યું છે. તેમણે બાળકો માટે ‘પાપ કા ગડા’, ‘જાદુ કી ગાય’, ‘સ્વરાજ કી કહાની’, ‘નૂતન બાલ એકાંકી’, ‘મોતિયોં કી ખેતી’ પુસ્તકો આપ્યાં છે. તેમને અનેક સન્માનોથી પોંખવામાં આવ્યા છે. પદ્મભૂષણ, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ, શલાકા ઍવૉર્ડ, પાબ્લો નેરુદા સન્માન, મૂર્તિદેવી સન્માન, મહાપંડિત રાહુલ સાંસ્કૃતાયન ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી, દિલ્હીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.