સુરૈયા


જ. 15 જૂન, 1929 અ. 31 જાન્યુઆરી, 2004

હિન્દી ફિલ્મજગતનાં ખ્યાતનામ અભિનેત્રી અને ગાયિકા સુરૈયાનો જન્મ અઝીઝ જમાલ શેખ તથા મુમતાઝ બેગમ શેખને ત્યાં ચુસ્ત મુસ્લિમ પરિવારમાં લાહોર(પાકિસ્તાન)માં થયો હતો. તેમનું મૂળ નામ સુરૈયા જમાલ શેખ હતું. તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે એમનો પરિવાર અર્થોપાર્જન માટે લાહોરથી મુંબઈ આવી સ્થાયી થયો. મામા એમ. ઝહૂર તથા નાની બાદશાહ બેગમ હિન્દી ફિલ્મજગત સાથે જોડાયેલાં હોવાથી સુરૈયાને બાળપણથી જ ફિલ્મજગત પ્રત્યે આકર્ષણ હતું. શાળાકીય અભ્યાસ ન્યૂ હાઈસ્કૂલ મુંબઈમાં શરૂ કર્યો. નાની પાસેથી ઇસ્લામનું જ્ઞાન તથા પર્શિયન ભાષાનું જ્ઞાન મળ્યું. 1936માં ફિલ્મ ‘મદામ-એ-ફૅશન’માં બાળકલાકાર તરીકે અભિનય કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. 1941માં મામા સાથે ફિલ્મનું શૂટિંગ જોવા ગયાં અને ફિલ્મ તાજમહેલમાં ‘મુમતાઝમહલ’નું પાત્ર ભજવવા માટે આમંત્રણ મળ્યું. જે એમણે સ્વીકાર્યું. કિશોર વયમાં આકાશવાણીનાં બાળકોના કાર્યક્રમમાં એમનો અવાજ સાંભળતા સંગીતકાર નૌશાદના ધ્યાનમાં આવ્યાં. 1942માં ફિલ્મ ‘નયી દુનિયા’ માટે એમણે પ્રથમ ગીત ગાયું. ત્યારબાદ અનેક ફિલ્મોમાં અભિનય કરીને અભિનય અને ગાયન એમ બંને ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવી. ‘ઇશારા’, ‘તદબીર’, ‘ફૂલ’, ‘અનમોલ ઘડી’, ‘ઉમર ખય્યામ’, ‘પરવાના’, ‘દર્દ’, ‘શાયર’, ‘દાસ્તાન’, ‘અફસર’, ‘દિવાના’ જેવી અનેક ફિલ્મોમાં એમણે યાદગાર અભિનય કર્યો. 1954માં ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’ એમના જીવનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક પુરવાર થઈ. એમના  કાર્યકાળના સર્વોચ્ચ સમય દરમિયાન ‘મલિકા-એ-હુસ્ન’ તથા ‘મલિકા-એ-અદાકારી’ જેવા ખિતાબ સુરૈયાને પ્રાપ્ત થયા. એમણે 70 ફિલ્મોમાં અભિનય કર્યો તેમજ 338 ગીતોને કંઠ આપ્યો. 1963માં ‘રુસ્તમ સોહરાબ’ ફિલ્મ સાથે ફિલ્મજગતને તિલાંજલિ આપી. અંગત જીવન એકલતાભર્યું રહ્યું. પ્રિયપાત્ર સાથે લગ્ન ન થઈ શકવાને કારણે આજીવન હતાશાભર્યો સમય પસાર કર્યો. એક સમયે પુરુષ અભિનેતાઓ કરતાં વધુ મહેનતાણું મેળવતાં સુરૈયા જીવનનાં અંતિમ વર્ષોમાં અનેક બીમારીઓ તથા એકલતામાં રહ્યાં બાદ હરકિશન હૉસ્પિટલમાં એમનું અવસાન થયું. ફિલ્મક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન માટે તેમને 1996માં સ્ક્રીન વીડિયોકોન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, 1999માં બિમલ રૉય મેમોરિયલ લાઇફટાઇમ એચીવમેન્ટ ટ્રૉફી, 2003માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ ઉપરાંત અન્ય સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 2013માં ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.