જ. 11 એપ્રિલ, 1869 અ. 22 ફેબ્રુઆરી, 1944

ગાંધીજીનાં પત્ની, વિનમ્ર છતાં મક્કમ સ્વાતંત્ર્યસેનાની કસ્તૂરબાનો જન્મ પોરબંદરમાં થયો હતો. પિતા ગોકુળદાસ કાપડિયા અને માતા વ્રજકુંવરબા. સાત વર્ષની ઉંમરે તેમની સગાઈ મોહનદાસ ગાંધી સાથે થઈ અને તેર વર્ષે લગ્ન થયાં. તેમણે આજીવન ગાંધીજીને સાથ અને હૂંફ આપ્યાં. તેઓ ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયાં. વર્ષો સુધી ત્યાં રહ્યાં. એ દરમિયાન તેઓ આશ્રમવાસીનું જીવન જીવ્યાં. તેમણે 1913માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સાથે થતા દુર્વ્યવહાર સામે વિરોધ કર્યો. આથી એમની ધરપકડ કરવામાં આવી અને સખત મજૂરીની સજા કરવામાં આવી હતી. જેલવાસ દરમિયાન અશિક્ષિત મહિલાઓને અક્ષરજ્ઞાન માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. 1914માં ગાંધીજી સાથે તેઓ ભારત આવ્યાં. ગાંધીજીની સાથે આઝાદીની લડતમાં જોડાયાં. તેમણે સત્યાગ્રહીઓનું જીવન અપનાવ્યું. તેઓ બધો સમય આશ્રમમાં સેવા કરતાં હતાં. 1917માં બિહારના ચંપારણમાં મહિલા ઉત્કર્ષ માટે કાર્ય કર્યું. બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં મહિલાઓને ઘરમાંથી નીકળી આઝાદીની લડતમાં જોડાવા માટે પ્રેરણા આપી. 1939માં રાજકોટમાં અંગ્રેજો સામે અહિંસક આંદોલનમાં ભાગ લીધો. તેમણે સરકારી માલિકીની દારૂની દુકાનો પર જઈ ધરણા કર્યાં હતાં અને મહિલાઓનું નેતૃત્વ કર્યું હતું. 1930થી 1932 સુધીમાં છ એક વખત જેલવાસ ભોગવ્યો હતો. તેમણે પારિવારિક અને જાહેરજીવનને ન્યાય આપ્યો હતો. ગાંધીજીની સફળતા પાછળ તેમનું અમૂલ્ય પ્રદાન હતું. `હિંદ છોડો’ આંદોલન વખતે 9 ઑગસ્ટ, 1942ના રોજ તેમની અને ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને પૂનાના આગાખાન મહેલમાં કેદ રાખવામાં આવ્યાં હતાં. ત્યાં તેમની તબિયત કથળતાં શિવરાત્રિના દિવસે તેમનું નિધન થયું. તેમની સ્મૃતિમાં કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. ઘણાં શહેરોના રસ્તાઓ, સંસ્થાઓ વગેરેનાં નામ કસ્તૂરબાનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. નારાયણ દેસાઈએ ‘કસ્તૂરબા’ નાટક લખ્યું હતું જેનું દિગ્દર્શન અદિતિ દેસાઈએ કર્યું હતું.
અનિલ રાવલ
