નંદશંકર મહેતા


જ. 21 એપ્રિલ, 1835 અ. 17 જુલાઈ, 1905

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ના લેખક નંદશંકર મહેતાનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા તુળજાશંકર અને માતા ગંગાલક્ષ્મી. બાળપણ મોસાળ ઓલપાડમાં વીત્યું. તેમણે અંગ્રેજી માધ્યમની શાળામાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો અને એ જ શાળામાં શિક્ષક તરીકે જોડાયા. 1958માં તેઓ પહેલા ભારતીય હેડમાસ્ટર બન્યા. એ પછી સૂરતની શિક્ષક તાલીમ કૉલેજના આચાર્ય તરીકે જોડાયા અને 1867 સુધી કાર્ય કર્યું. તેમણે લાઇસન્સ ટૅક્સ ખાતામાં અને મુલકી ખાતામાં કામ કર્યું. તેઓ અંકલેશ્વરના મામલતદાર બન્યા. 1880થી 1883 સુધી કચ્છ રાજ્યના દીવાન અને 1883માં ગોધરામાં આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ થયા. તેઓ નાંદોદમાં આસિસ્ટન્ટ ઍડમિનિસ્ટ્રેટર અને ચીફ રેવન્યૂ ઑફિસર હતા. સૂરત મ્યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ સમાજસુધારક હતા. તેઓ વિધવા પુનર્લગ્ન, સ્ત્રીશિક્ષણ માટે તેમજ વિદેશયાત્રા પર પ્રતિબંધ નાબૂદી માટે સતત પ્રયત્ન કરતા હતા. તેમણે અસ્પૃશ્યતાનો પણ વિરોધ કર્યો હતો. દુર્ગારામ મહેતા, દલપતરામ તથા અન્ય સાથીદારો સાથે ‘માનવધર્મની સભા’ની સ્થાપના કરી. તેઓ ‘બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય હતા. 1890માં નિવૃત્ત થયા પછી તેમણે વિવિધ સામાજિક સંગઠનોમાં કામ કર્યું હતું. તેમણે એકમાત્ર નવલકથા ‘કરણઘેલો’ લખી. આર. જી. ભંડારકરના ‘સંસ્કૃત માર્ગોપદેશિકા’ અને ‘ત્રિકોણમિતિ’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. તેમણે ‘ગુજરાત મિત્ર’માં વિવેચનલેખો લખ્યા હતા. તેમના પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે. તેઓ હંસા જીવરાજ મહેતાના દાદા હતા. 1877માં તેમને રાવબહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો.