વી. કે. કૃષ્ણ મેનન


જ. 3 મે, 1896 અ. 6 ઑક્ટોબર, 1974

ભારતની આઝાદીના પુરસ્કર્તા, રાજકારણી અને વકીલ વી. કે. કૃષ્ણ મેનનનો જન્મ થિરુવાંગડમાં થયો હતો. તેમનું નામ વેંગલીલ કૃષ્ણન કૃષ્ણ મેનન હતું. પ્રારંભિક શિક્ષણ આયનચેરી અને થાલાસ્સેરીમાં થયું. 1818માં ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયા, પછી અધ્યાપન કર્યું. તેઓ થિયૉસૉફીમાં જોડાયા અને એની બેસન્ટ દ્વારા સ્થાપિત ‘બ્રધર્સ ઑવ્ સર્વિસ’ના સભ્ય બન્યા હતા. તેમણે ઇંગ્લૅન્ડ જઈ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એ.ની અને પછી બી.એસસી. ઑનર્સ તથા એમ.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. 1934માં બૅરિસ્ટર બન્યા. તેઓ વિદેશમાં પણ ભારતની આઝાદી માટે સક્રિય રહ્યા હતા. તેમણે ઇન્ડિયા લીગની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ તેના મંત્રી પણ હતા. તેઓ લંડનના સેન્ટ પાર્કન્સમાંથી કાઉન્સિલર અને આર્ટસ કાઉન્સિલના પ્રમુખ હતા. તેઓ પેલિકન બુક્સના પ્રારંભથી સંપાદક હતા. આઝાદી પછી ઇંગ્લૅન્ડમાં ભારતના પ્રથમ ઉચ્ચાયુક્ત બન્યા. તેમણે 1949થી 1962 સુધી રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું હતું. તેમણે કાશ્મીર મુદ્દા પર રાષ્ટ્રસંઘમાં સતત ચાર દિવસ ભાષણ આપ્યું હતું. આ ભાષણ રાષ્ટ્રસંઘમાં આપવામાં આવેલ સૌથી લાંબું ભાષણ હતું. ‘ધ ગિનિસ બુક ઑવ્ રેકૉર્ડઝ’માં આ ભાષણનો સમાવેશ થયો છે. તેઓ 1956માં કેન્દ્રીય મંત્રીમંડળમાં ખાતા વિનાના પ્રધાન, 1957-61 દરમિયાન વિદેશપ્રધાન અને 1961-62માં સંરક્ષણ પ્રધાન હતા. તેઓ સેનામાં યોગ્યતા આધારિત પ્રમોશનના હિમાયતી હતા. સંરક્ષણપ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી પણ તેઓ નહેરુના સલાહકાર હતા. તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતમાં સિનિયર કાઉન્સેલર હતા. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘બ્રિટન્સ પ્રિઝનર’, ‘અગેન્સ્ટ ફાસિઝમ’, ‘બ્રિટન ઍન્ડ ફ્રીડમ’ ઉલ્લેખનીય છે. તેમને પદ્મવિભૂષણ, સીરિયન ઑર્ડર ઑવ્ મેરિટ તેમજ બાંગ્લાદેશ લિબરેશન વૉર ઑનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1997માં તેમની સ્મૃતિમાં બે રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.