રામચંદ્ર ગાંધી


જ. 9 જૂન, 1937 અ. 13 જૂન, 2007

અગ્રણી દાર્શનિક મહાત્મા. મહાત્મા ગાંધીજીના પૌત્ર. રામચંદ્રના પિતા દેવદાસ ગાંધી અને માતા લક્ષ્મી (રાજાજીનાં પુત્રી). તેમણે સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. તેમણે અનુસ્નાતક સ્તરથી પ્રથમ પદવી ભૌતિકશાસ્ત્રમાં મેળવી, પછી દિલ્હીની સેન્ટ સ્ટીવન્સ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રની અનુસ્નાતકની પદવી મેળવી. ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફીની પદવી મેળવી હતી. તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રનું ડિપાર્ટમેન્ટ સ્થાપ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત ઇંગ્લૅન્ડની સાઉધમ્પટન યુનિવર્સિટી, અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી, રવીન્દ્રનાથ ઠાકુરે સ્થાપેલી શાંતિનિકેતન યુનિવર્સિટી અને હૈદરાબાદ ખાતેની કેન્દ્રીય યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમનું હિંદી અને અંગ્રેજી ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ હતું. ‘રામુ’ નામના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતા થયેલા રામચંદ્રની દર્શનશાસ્ત્ર વિષય પરની પકડથી પશ્ચિમના દાર્શનિકો વ્હાઇટહેડ અને લુડવિંગ વિટેન્સ્ટેન તથા ભારતના મહર્ષિ અરવિંદ અને રમણ મહર્ષિ પણ પ્રભાવિત થયેલા. ઉપનિષદોની બારીકાઈનો ઊંડાણથી અભ્યાસ કરી દર્શનશાસ્ત્ર જેવા જટિલ વિષય પરનાં તેમનાં પ્રવચનોથી શ્રોતાઓ દિગ્મૂઢ થઈ જતા. તેમણે લખેલાં પુસ્તકોમાં તેમની પ્રતિભા જણાઈ આવે છે. 1976માં ‘ધ અવેલેબિલિટી ઑવ્ રિલિજિયસ લૅંગ્વેજ’, 1984માં ‘આઈ એમ ધાઉ’, 1992માં ‘સિતાઝ કિચન : અ ટેસ્ટીમોની ઑફ ફેઇથ ઍન્ડ ઇન્કયારી’, 2003માં ‘સ્વરાજ – અ જર્ની વિથ તૈયબ મહેતાઝ શાંતિનિકેતન ત્રિપ્ટીચ’ અને 2005માં ‘મુનિયાઝ લાઇટ : અ નેરેટિવ ઑફ ટ્રૂથ ઍન્ડ મિથ’ તેનાં ઉદાહરણો છે.