અમૂલ્ય પ્રમાણપત્રો


વિશ્વના મહાન નવલકથાકાર, ચિંતક અને નાટકકાર લિયૉ ટૉલ્સ્ટૉય(જ. ઈ. સ. 1828, અ. ઈ. સ. 1910)ને એમના મિત્રએ મીઠો ઉપાલંભ આપતાં કહ્યું કે મેં નોકરી માટે મારા એક પરિચિતને તમારી પાસે મોકલ્યો હતો. એની પાસે અનેક ઊંચી પદવીઓ હતી. અભ્યાસમાં એની કારકિર્દી પણ અત્યંત તેજસ્વી હતી. આટલાં બધાં પ્રમાણપત્રો ધરાવતો હોવા છતાં તમે એમની પસંદગી કરી નહીં. એ તો ઠીક, પરંતુ તમે એ સ્થાન માટે એવી વ્યક્તિની પસંદગી કરી કે જેની પાસે કોઈ ઊંચી પદવી નહોતી કે કોઈ વિશાળ અનુભવ નહોતો, તો મારે જાણવું એ છે કે તમે શા માટે મારા સૂચનનો અનાદર કર્યો અને પદવીધારી યુવાનને નોકરી આપી નહીં? લિયૉ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘મેં જેની પસંદગી કરી, તેની પાસે અમૂલ્ય પ્રમાણપત્રો હતાં. એવાં પ્રમાણપત્રો કે જે કૉલેજ કે યુનિવર્સિટી દ્વારા મળ્યાં ન હોય; પરંતુ જીવનની પાઠશાળામાંથી મેળવેલાં હોય.’ ટૉલ્સ્ટૉયનો મિત્ર મૂંઝવણમાં પડી ગયો. એણે કહ્યું, ‘મને તો એવી કોઈ જીવનની પાઠશાળાની ખબર નથી કે જે આવાં પ્રમાણપત્રો આપતી હોય.’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘જુઓ, તમે જે વ્યક્તિને મોકલી હતી, એણે પ્રવેશતાંની સાથે જ ધડાધડ પોતાનાં પ્રમાણપત્રો બતાવવા માંડ્યાં, પોતાને વિશે મોટી બડાશ હાંકવા લાગ્યો. તમારી સિફારિશનો પણ ઉલ્લેખ કર્યો અને જાણે ઉપકાર કરતો હોય એ રીતે એણે કહ્યું કે તમે મને નોકરીમાં રાખશો, તો તમને ઘણો લાભ થશે.’ મિત્રએ પૂછ્યું, ‘તમે જેને નોકરીમાં રાખ્યો, એણે શું કર્યું ?’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘ખંડમાં પ્રવેશતાં પૂર્વે એણે અમારી પરવાનગી માગી. બારણું અથડાય નહીં એ રીતે એને ધીમેથી બંધ કર્યું. એનાં કપડાં સામાન્ય હતાં; પરંતુ અત્યંત સ્વચ્છ હતાં. અમારી રજા માગીને એ ખુરશી પર બેઠો અને આત્મવિશ્વાસથી પ્રશ્નોના ઉત્તર આપ્યા. એના જવાબો વ્યવસ્થિત અને સચ્ચાઈપૂર્ણ હતા. એનામાં પ્રગતિ કરવાની એક ધગશ હતી. આવી ગુણસંપન્ન વ્યક્તિની પાસે કોઈની સિફારિશ કે મોટી મોટી પદવીઓ ન હોય તેથી શું ? હવે તમે જ કહો કે મેં યોગ્ય વ્યક્તિની પસંદગી કરી ને.’