ભારતમાં દક્ષિણ મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે ૧૨° ૪૧´ થી ૧૯° ૦૭´ ઉ. અ. અને ૭૭° ૦૦´ થી ૮૪° ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જેનો વિસ્તાર ૧,૬૨,૯૬૭ ચો.કિમી. છે આ રાજ્યની ઉત્તરે તેલંગાણા, પશ્ચિમથી વાયવ્યે છત્તીસગઢ, ઉત્તરે ઓડિશા, પૂર્વે બંગાળનો ઉપસાગર, દક્ષિણે તમિળનાડુ જ્યારે પશ્ચિમે અને નૈઋત્યે કર્ણાટક રાજ્યની સીમા આવેલી છે. તેના દરિયાકિનારાની લંબાઈ આશરે ૯૭૦ કિમી. છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી છે. નવું પાટનગર બને તે દરમિયાન હંગામી ધોરણે હૈદરાબાદ ગણાય છે. વસ્તી ૨૦૨૬ મુજબ આશરે ૯.૬૦ કરોડ છે. આ રાજ્યનું ભૂષૃષ્ઠ વૈવિધ્યસભર છે. આ રાજ્યને ભૌગોલિક દૃષ્ટિએ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી શકાય. પૂર્વમાં બંગાળના ઉપસાગરથી શરૂ કરીને પૂર્વઘાટની પર્વતમાળા અને દરિયાકિનારાનાં મેદાનો. પશ્ચિમથી પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરમાં ઠલવાતી અનેક નદીઓના જળથી આ મેદાનો સમૃદ્ધ બન્યાં છે. એમાં ગોદાવરી અને કૃષ્ણાનદીના ત્રિકોણાકાર પ્રદેશો કાંપના નિક્ષેપને કારણે અત્યંત ફળદ્રુપ બન્યા છે. અન્ય નદીઓમાં તુંગભદ્રા, પેનાર, વંશધારા અને નાગાદળીનો સમાવેશ થાય છે.

અહીં સાગ, વાંસ, યુકેલિપ્ટ્સ, કાજુ અને સરુનાં વૃક્ષો આવેલાં છે. આંધ્રપ્રદેશના અર્થતંત્રનો મુખ્ય પાયો ખેતી છે. ડાંગર અને દ્રાક્ષ તેના મુખ્ય પાક છે. તે ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ વગેરે ખાદ્ય પાકો છે. તમાકુ, કપાસ, શેરડી, મરચાં, કેરી, મગફળી જેવા રોકડિયા પાકોની ખેતી લેવામાં આવે છે. આ રાજ્ય ચોખાની મહત્તમ નિકાસ કરતું હોવાથી તે ‘ભારતનો ચોખાનો વાટકો’ તરીકે ઓળખાય છે. જંગલોમાં હાથી વાઘ, હરણ, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અહીં યુરેનિયમ અને બૉકસાઇટનો જથ્થો રહેલો છે. વહાણવટું, પેટ્રોકેમિકલ, કાપડ, રસાયણ, સિમેન્ટ, ખાતર, યંત્રસામગ્રી અને દવાઓના ઉદ્યોગો વ્યાપક પ્રમાણમાં વિકસ્યા છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી જાહેર કર્યું છે છતાં કાર્યકારી પાટનગર હૈદરાબાદ છે. મુખ્ય શહેરો વિશાખાપટ્ટનમ્, તિરુપતિ, વિજયવાડા, ગુંતૂર, કર્નૂલ, કડાવા વગેરે છે. આ રાજ્યનું સૌથી મોટું કુદરતી બંદર અને શહેર વિશાખાપટ્ટનમ્ છે. જોવાલાયક સ્થળોમાં તિરુપતિ મંદિર, કલાહસ્તી મંદિર, બોજ્ જન્નાકોન્ડા અને નાગાર્જુનકોન્ડાનાં બૌદ્ધ સ્થાપત્યો મુખ્ય છે.
નીતિન કોઠારી, અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંધ્રપ્રદેશ, પૃ. 143)
