નગરના રક્ષણ અર્થે બાંધવામાં આવતો કિલ્લો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં દુર્ગ-નિર્માણને રાજ્યના અનિવાર્ય અંગ તરીકે લેખવામાં આવેલ છે. દુર્ગ વિનાના રાજાને ઝેરવિહીન સર્પ કે દંતશૂળવિહીન હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. એક હજાર હાથી અને એક લાખ ઘોડા જેટલું બળ રાજા એક દુર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રકારોનું વિધાન છે.

ભારતીય વાસ્તુવિદ્યામાં દુર્ગના વિવિધ પ્રકારો ગણાવ્યા છે, જેમાં નૈસર્ગિક રીતે ભૌગોલિક પરિસ્થિતિઓથી, પર્વત, નદી વગેરેને આશ્રયે રચાતા દુર્ગોને સ્વાભાવિક કે અકૃત્રિમ દુર્ગ કહ્યા છે. આવા સ્વાભાવિક દુર્ગોમાં જલદુર્ગ, પ્રાસ્તારદુર્ગ, વનદુર્ગ, મિશ્રક દુર્ગ અને મરુદુર્ગ જેવા પ્રકારો પણ પડે છે. ઊંડા પાણી કે મહાજળથી ઘેરાયેલ દુર્ગ જે સાધારણ રીતે નદી કે સમુદ્રજળથી ઘેરાયેલા હોય તેને ‘જલદુર્ગ’ કે ‘સલિલદુર્ગ’ કહે છે. આવા દુર્ગ ઘણું કરીને ઊંડા વહેણવાળી નદી કે સમુદ્ર વચ્ચે આવેલ દ્વીપ પર હોય છે. યમુનાકાંઠે આવેલો મુઘલકાલીન લાલ કિલ્લો આનું સારું દૃષ્ટાંત છે. પ્રાસ્તાર કે શૈલમય દુર્ગના ગિરિદુર્ગ, ગુહાદુર્ગ અને ગર્તાદુર્ગ એવા ત્રણ પ્રકારો જાણીતા છે. પર્વતની ટોચ પર આવેલા દુર્ગને ગિરિદુર્ગ કહે છે. એમાં ચઢાણ આકરું હોય છે અને દુર્ગને ફરતી ઝાડી હોય છે. દુર્ગમાં જળસંચય અને અનાજના કોઠાર તથા લાંબા સમય સુધી સુરક્ષાકવચ તરીકે કામ લાગે તેમજ બાહ્ય આક્રમણ વખતે પૂરેપૂરું રક્ષણ મળી રહે તેવી જોગવાઈ હોય છે. શાસ્ત્રોમાં ગિરિદુર્ગને શ્રેષ્ઠ કહ્યા છે. ભારતમાં આ પ્રકારના દુર્ગોનાં સંખ્યાબંધ દૃષ્ટાંત મળી આવે છે. જેમ કે, દેવગિરિનો કિલ્લો, ગ્વાલિયરનો કિલ્લો, મેવાડમાં ચિતોડગઢ, જયપુરનો આંબેરગઢ, ગુજરાતમાં જૂનાગઢનો ઉપરકોટ, પાવાગઢ, ઈડરનો ગઢ, મહારાષ્ટ્રમાં રાયગઢ, સિંહગઢ વગેરે આ પ્રકારના ગિરિદુર્ગ છે. જે દુર્ગ ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો હોય તેને ગુહાદુર્ગ કહે છે. જયપુર અને ઉદયપુરના કિલ્લા આ પ્રકારના છે. બે પહાડોની વચ્ચેની ખીણમાં રચાયેલ દુર્ગને ગર્તાદુર્ગ કહે છે. બુંદીનો કિલ્લો આ પ્રકારનો છે. વનની મધ્યે ગીચ ઝાડીથી આવૃત દુર્ગને ‘વનદુર્ગ’ કહેવામાં આવે છે.
પ્રવીણચંદ્ર પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દુર્ગ/)
