જ. 29 જૂન, 1751 અ. 18 ફેબ્રુઆરી, 1815

સ્કોટિશ તબીબ અને વનસ્પતિશાસ્ત્રી વિલિયમ રોક્સબર્ગનો જન્મ ક્રેગી નજીક આયરશાયર(Ayershire)માં થયો હતો. ભારતમાં વનસ્પતિશાસ્ત્રક્ષેત્રે આવેલ ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ભારતીય વનસ્પતિવિજ્ઞાનના જનક (Father of Indian Botany) માનવામાં આવે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ ‘અંડરવુડ પૅરિસ’ શાળામાં લીધું. 1771માં મૅટ્રિક પાસ કર્યા બાદ તેમણે ડૉ. એલેકઝાન્ડર મોનરોના હાથ નીચે તબીબી શસ્ત્રક્રિયાનો અભ્યાસ કર્યો અને જોન હોપના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1772માં તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજમાં સર્જન તરીકે ભારત આવ્યા. અહીં મદ્રાસ (ચેન્નાઈ) અને બીજાં કેટલાંક બંદરો પર પોતાની સેવાઓ આપી. 28 મે, 1776ના રોજ તેઓ ચેન્નાઈ મેડિકલ સર્વિસમાં સહાયક સર્જન તરીકે અને 1780માં મુખ્ય સર્જન તરીકે નિયુક્ત થયા. તેમને પ્રથમ ડૉક્ટરેટ(M.D.)ની ઉપાધિ એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી મળી જ્યારે બીજી ડૉક્ટરેટની પદવી એબરડીનની મેરિશ્ચલ(Marischal) કૉલેજમાંથી પ્રાપ્ત થઈ. ભારતમાં રહી તેમણે વનસ્પતિ, છોડ, પર્ણ તથા જડીબુટ્ટીઓનો ગહન અભ્યાસ કર્યો. 1793માં તેઓને કૉલકાતાના શિવપુરમાં આવેલા રૉયલ બૉટનિકલ ગાર્ડનના અધિક્ષક નિયુક્ત કરાયા. તેમણે વનસ્પતિશાસ્ત્રમાં પોતાનાં સંશોધનો માટે ભારતીય કલાકારોને અસંખ્ય વનસ્પતિઓનું ચિત્રીકરણ કરવાનું કામ સોંપ્યું. તેમણે વનસ્પતિની અનેક પ્રજાતિઓનું વર્ણન Icones Roxburghianeeમાં પ્રકાશિત કર્યું. તેમણે ભારતની હજારો વનસ્પતિઓની પ્રમાણભૂત માહિતી આપતો દસ્તાવેજ રજૂ કરી આધુનિક વનસ્પતિશાસ્ત્રનો પાયો નાંખ્યો. તેમણે ‘ફ્લોરા ઇન્ડિકા’ નામનું પુસ્તક લખ્યું જે ભારતીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓના જ્ઞાન માટેનો સૌપ્રથમ આધારભૂત દસ્તાવેજ ગણાય. 1791માં તેમને રૉયલ સોસાયટી ઑફ એડિનબરોના ફેલો બનાવવામાં આવ્યા. 1805માં સોસાયટી ફોર ધ પ્રમોશન ઑફ આર્ટસનો સુવર્ણચંદ્રક, 1803માં ભારતમાં વૃક્ષોના વિકાસ પરના સંશોધનો માટેનો સુવર્ણચંદ્રક અને 1814માં નોફોર્ડના ડ્યુક દ્વારા સુવર્ણચંદ્રક અર્પણ કરાયા. તેમને અનેક મરણોત્તર સન્માનો પણ પ્રાપ્ત થયાં હતાં.
શુભ્રા દેસાઈ
