આનંદ બક્ષી


જ. 21 જુલાઈ, 1930 અ. 30 માર્ચ, 2002

હિન્દી ફિલ્મજગતના ખ્યાતનામ કવિ-ગીતકાર આનંદ બક્ષીનો જન્મ રાવલપિંડી, પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ ભારતના ભાગલા સમયે એમના પરિવારે જીવ બચાવીને દિલ્હી ભાગી આવવું પડ્યું હતું. કવિતા લખવાનો શોખ આનંદ પ્રકાશ બક્ષીને કિશોર વયથી હતો. થોડો સમય ભારત નેવીમાં તથા ત્યાંથી ભારતીય આર્મીમાં કામ કર્યું, પરંતુ એમના કવિજીવને બંધનયુક્ત કામ માફક ન આવ્યું અને મુંબઈ જઈને ફિલ્મજગતમાં પ્રયત્ન કરવાનું સપનું જોયું. શરૂઆતનો સમય ઘણો સંઘર્ષમય રહ્યો. દરમિયાન અભિનેતા ભગવાન દાસને મળવાનું બન્યું. એમના નિર્માણમાં બનતી ફિલ્મ માટે તાત્કાલિક ગીતો લખી આપવાનો પડકાર સ્વીકારીને આનંદ બક્ષીએ ત્યાં બેઠા બેઠા ચાર ગીતો લખી આપ્યાં. આમ ‘ભલા આદમી’ ફિલ્મ સાથે આનંદ બક્ષીનું હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ થયું. એમની ગીતકાર તરીકેની કારકિર્દી સાડાચાર દાયકાથી વધુ ચાલી. આ શબ્દયાત્રામાં નિસાર બાઝમીથી અનુમલિક સુધી તમામ સંગીતનિર્દેશકો સાથે કામ કર્યું. 300 ફિલ્મોમાં 6000 ગીતો લખ્યાં. કવિતાના માધ્યમથી સમાજને સાહિત્ય સાથે જોડનાર આનંદ બક્ષીની કલમે લખાયેલાં ગીતો ફિલ્મની વાર્તા તથા પ્રસંગોની માંગને ધ્યાનમાં રાખીને લખાયાં છતાં એની ગુણવત્તા ભાવકોના હૃદયને સ્પર્શી જતી. હિમાલય કી ગોદ મેં, જબજબ ફૂલ ખીલે, હરે ક્રિશ્ના હરે રામ, સત્યમ્ શિવમ્ સુંદરમ્, શોલે, શક્તિ, વિધાતા, આરાધના, મેરા ગાંવ મેરા દેશ વગેરે ફિલ્મોમાં આનંદ બક્ષીલિખિત પ્રત્યેક ગીત ભાવકોના મન પર તરત જ અંકિત થઈ જતું. ગીતલેખનના પ્રથમ પુરસ્કાર રૂપે ચાર ગીતોના 150 રૂપિયા પ્રાપ્ત થયા હતા. 1954માં કમલા બક્ષી સાથે તેમણે લગ્ન કર્યાં. એમને ચાર સંતાનો હતાં. પૌત્ર આદિત્ય દત્તા ફિલ્મજગતમાં દિગ્દર્શક તરીકે કાર્યરત છે. એમના લેખનના કાર્યકાળ દરમિયાન એમને ચાર વખત ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. 2002માં હૃદય અને ફેફસાંની બીમારીને કારણે એમનું અવસાન થયું. આનંદ બક્ષી એમનાં ગીતો દ્વારા આજે પણ ભાવકોના હૃદયમાં જીવંત છે.