જ. 23 જુલાઈ, 1909 અ. 12 ડિસેમ્બર, 1979

ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર બાબુભાઈ વૈદ્યનો જન્મ દ્વારકામાં થયો હતો. તેમના પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં અને માધ્યમિક શિક્ષણ જેતપુરમાં થયું હતું. 1927-1930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો પણ વચ્ચે એક વર્ષ વડોદરાની કૉલેજમાં પણ અભ્યાસ કર્યો હતો. 1929માં પિતામહનું અવસાન થતાં તેમનું ઔષધાલય પણ તેઓ અભ્યાસની સાથે ચલાવતા હતા. અભ્યાસનાં વર્ષોમાં સત્યાગ્રહની લડતમાં પ્રભાવશાળી ભાષણો કરી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. 1930થી 1943માં જેતપુરની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિયપણે જોડાયેલા રહ્યા. તેઓ એક સારા વક્તા પણ હતા.
વ્યવસાયે વૈદ્ય અને રાજકીય-સામાજિક કાર્યકર હોવા છતાં તેમણે સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમનું લેખનકાર્ય જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજના મુખપત્રથી શરૂ થયું. તેમણે 1937થી ‘ફૂલછાબ’માં ગ્રંથાવલોકનો લખવાં શરૂ કર્યાં અને 1943માં ‘ફૂલછાબ’ દૈનિકના સહતંત્રી તરીકે જોડાયા. 1945માં એમણે સંપાદક મેઘાણી સાથે ‘ફૂલછાબ’ છોડ્યું અને 1946માં મુંબઈમાં ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં જોડાયા. 1947માં રાજકોટથી ‘જયહિન્દ’ નામે દૈનિક શરૂ થતા એના આદ્યતંત્રી બન્યા. તેમણે વાર્તાસંગ્રહ, નાટકો અને જીવનચરિત્રોનાં અનેક પુસ્તકો લખ્યાં છે – ‘અ. સૌ. વિધવા’, ‘નિરાંતનો ઓટલો’, ‘મા વિનાનાં’, ‘રોતી ઢીંગલી’ અને ‘રાણકદેવી’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. મોટેભાગે કુટુંબજીવનની ઘટના પ્રધાન વાર્તાઓ આ સંગ્રહોમાં છે. ‘એ……આવજો’ અને ‘પ્રેરણા’ તેમનાં મૌલિક નાટકો છે. આ ઉપરાંત ઇબ્સનનાં નાટકોના અનુવાદ પણ એમણે આપ્યા છે. ‘નંદબાબુ’, ‘ઉપમા’ ‘ગોદાવરી’, ‘વિશ્વામિત્ર’ જેવી નવલકથાઓ પણ તેમણે લખી છે. ‘રેતીમાં વહાણ’ એમનું સંસ્મરણોનું પુસ્તક છે. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં પણ તેમનો મહત્ત્વનો ફાળો છે. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના બોર્ડના મંત્રી હતા. 1962થી 1967 દરમિયાન ગુજરાત રાજ્યના તેઓ અપક્ષ ધારાસભ્ય હતા.
અંજના ભગવતી
