જાગેલા રાજાનો ચુકાદો


ગ્રીસની ઉત્તરે આવેલા મેસિડોનિયાના રાજા અને ઍલેક્ઝાંડર(સિકંદર)ના પિતા ફિલિપ દ્વિતીય (ઈ. સ. પૂ. 382થી ઈ. સ. પૂ. 336) ગાદી પર આવ્યા પછી ગ્રીસનાં મોટા ભાગનાં રાજ્યો પર વિજય હાંસલ કર્યો.

એક વાર સિકંદરના પિતા રાજા ફિલિપ ન્યાયાલયમાં બેસીને મુકદ્દમાને સાંભળતા હતા. બંને વ્યક્તિ પોતપોતાનો પક્ષ પ્રસ્તુત કરતી હતી. બન્યું એવું કે એમાંની પહેલી વ્યક્તિ જ્યારે એની વાત રજૂ કરતી હતી, ત્યારે રાજા ફિલિપને ઝોકું આવી ગયું. પરિણામે તેઓ પહેલી વ્યક્તિની વાત પૂરી સાંભળી શક્યા નહીં અને એ ઊંઘમાંથી જાગ્યા ત્યારે બીજી વ્યક્તિ પોતાનો પક્ષ પ્રભાવક રીતે રજૂ કરતી હતી. રાજા ફિલિપે એની દલીલનો સ્વીકાર કરીને એના પક્ષમાં ન્યાય આપ્યો. એમણે પહેલી વ્યક્તિને સજા ફરમાવી, ત્યારે એ વ્યક્તિએ કહ્યું, ‘હું આપના નિર્ણય સાથે સહમત નથી અને આપને આપના નિર્ણય વિશે પુનર્વિચાર કરવાની વિનંતી કરું છું.’ આ શબ્દોએ ન્યાયસભામાં સન્નાટો ફેલાવી દીધો. કોઈએ પહેલી વાર પ્રતાપી રાજા ફિલિપના ન્યાયની સામે અવાજ ઉઠાવ્યો હતો. ન્યાયાલયમાં ઉપસ્થિત નગરજનોને લાગ્યું કે હવે રાજા ફિલિપ એમના ચુકાદાનો વિરોધ કરવા માટે એને સખત સજા કરશે. કિંતુ એને બદલે એમણે એ વ્યક્તિને વળતો પ્રશ્ન પૂછ્યો, ‘તમે પુનર્વિચાર કરવાનું શા માટે કહો છો?’ પેલી વ્યક્તિએ કહ્યું, ‘મહારાજ, હું તો માત્ર સૂઈ ગયેલા રાજાના નિર્ણયની સામે જાગેલા રાજાને પુનર્વિચાર કરવાનું કહું છું. હું જ્યારે મારો પક્ષ પ્રસ્તુત કરતો હતો, ત્યારે આપને જરા મીઠી ઊંઘ આવી ગઈ હતી અને તેથી તમે મારી પૂરી વાત સાંભળી શક્યા નથી. હવે આપ જાગી ગયા છો, ત્યારે ફરી એ વાત સાંભળો તેવી વિનંતી છે.’ એ વ્યક્તિની વાત સાંભળીને રાજા ફિલિપને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. એના પક્ષમાં સત્ય હોવાથી એને આરોપમુક્ત કર્યો અને બીજી વ્યક્તિને એની સજા સંભળાવી, અને સાથોસાથ રાજા ફિલિપે પહેલી વ્યક્તિની હિંમતને દાદ આપી.