Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણ

જ. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૦ અ. ૧૨ જુલાઈ, ૨૦૧૩

હિંદી ફિલ્મના મુખ્યત્વે ચરિત્ર અભિનેતા પ્રાણનો જન્મ દિલ્હીમાં સમૃદ્ધ પંજાબી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ પ્રાણકિશન સિકંદ હતું. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા. અભ્યાસ બાદ લાહોરમાં છબીકાર તરીકે નોકરીની શરૂઆત કરી. નસીબજોગે તેમનો સંપર્ક વલીસાહેબ સાથે થયો. તેમણે પ્રાણને પંચોલી સ્ટુડિયોમાં જોડાવા નિમંત્રણ આપ્યું. તેમની અભિનયયાત્રા પંજાબી ફિલ્મ ‘યમલાજટ’થી ૧૯૩૯માં શરૂ થઈ. ત્યારબાદ પંજાબી ફિલ્મ ‘ચૌધરી’ અને હિંદી ફિલ્મ ‘ખજાનચી’માં નાની ભૂમિકાઓ ભજવી. ૧૯૪૨માં હિંદી ફિલ્મ ‘ખાનદાન’માં નૂરજહાંની સામે નાયકની ભૂમિકા નિભાવી. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યાં સુધી દસેક ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૯૪૮માં મુંબઈ આવ્યા. મિત્ર શ્યામની ભલામણથી ‘ઝિદ્દી’ ફિલ્મમાં અભિનય કરવાની તક મળી. ૫૪ સપ્તાહ ચાલેલી આ ફિલ્મે પ્રાણને નવી ઊંચાઈ બક્ષી. ત્યારબાદ ખલનાયક તરીકેની અનેક ભૂમિકાઓ ભજવી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે ચોર, બદમાશ, ડાકુ વગેરે જેવી ભૂમિકાઓ ભજવી. ખલનાયકી સાથે હાસ્યરસનું પણ મિશ્રણ કરી અનેકવિધ અદાઓ અપનાવી તેઓ અત્યંત લોકપ્રિય બન્યા અને સિનેસૃષ્ટિમાં છવાઈ ગયા. ખલનાયક ઉપરાંત પણ તેમણે ‘આહ’, ‘મધુમતી’, ‘શહીદ’, ‘ઉપકાર’, ‘જંજીર’, ‘મજબૂર’ વગેરે ફિલ્મોમાં યાદગાર વિશિષ્ટ ભૂમિકાઓ ભજવી. ‘જંગલ મેં મંગલ’માં વિવિધ પ્રકારની ત્રણ ભૂમિકાઓ ભજવી. ૩૫૦થી પણ વધુ હિંદી તેમજ અન્ય ભાષાઓની ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો. ખલનાયક તરીકે પ્રેક્ષકોમાં ધિક્કારની લાગણી જગાડનાર પ્રાણ વાસ્તવિક જીવનમાં નરમ દિલ, પરગજુ સજ્જન વ્યક્તિ હતા. તેઓ સમાજ-રાજકારણ ક્ષેત્રે અન્યાયનો પ્રતિકાર કરતા. સિનેસૃષ્ટિના આ સદાબહાર કલાકારને ‘ઉપકાર’, ‘આંસુ બન ગયે ફૂલ’ અને ‘બેઈમાન’માં ઉત્કૃષ્ટ અભિનય બદલ દરેક માટે ફિલ્મફેર ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ૧૯૯૭માં ફિલ્મફેર લાઇફટાઇમ એચીવમેન્ટ એનાયત કરવામાં આવ્યો. ૨૦૦૧માં તેમને પદ્મભૂષણથી અને ત્યારબાદ દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પોતાના અનુભવો પાસેથી કશી

કેળવણી પામતો નથી ======================

વ્યર્થ, નિરર્થક અને નિષ્ફળ જીવનની એક પારાશીશી એ છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય નિરાંત ન હોય. નિરાંતની ક્ષણો વિનાનું જીવન વ્યર્થ એ માટે પુરવાર થાય છે કે વ્યક્તિને એના જીવનોપયોગી અનુભવોનું ઉપયોગી તારણ કાઢવાનો પણ સમય મળતો નથી. એ એક અનુભવમાંથી બીજા અનુભવમાં ગબડતી રહે છે, પરંતુ પ્રથમ અનુભવનો પદાર્થપાઠ એ શીખી શકતી નથી. પરિણામે જીવનની પાઠશાળાના સૌથી મોટા શિક્ષક એવા અનુભવ પાસેથી એને ભાવિ જીવનની કોઈ દીવાદાંડી મળતી નથી, આથી એક દોષિત સંબંધમાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે બીજો દોષિત સંબંધ બાંધી બેસે છે. જીવનની એક ભૂલ કે પછડાટમાંથી કશું પામવાને બદલે એ બીજી પછડાટ માટે ધસી જાય છે. એક અણગમતો વ્યવસાય છોડીને એનાથીય નઠારો બીજો વ્યવસાય પસંદ કરે છે. આવી વ્યક્તિના જીવનમાં માત્ર અનુભવોની હારમાળા હોય છે. એણે ખાધેલી ઠોકરો અને પછડાટોનો દીર્ઘ ઇતિહાસ હોય છે. હકીકતમાં જીવનનો પ્રત્યેક અનુભવ એ વ્યક્તિને માટે કશીક નવી સમજ, આગવો વિચાર, મૌલિક અભિગમ કે વિશિષ્ટ દર્શન લઈને આવતો હોય છે. સફળ માણસોને નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે, પરંતુ તેઓ એમની નિષ્ફળતાના અનુભવોમાંથી સબક લેતા હોય છે. એમને માટે પ્રત્યેક નિષ્ફળતા એ સફળતા માટેનું સોપાન ત્યારે જ બને છે કે જ્યારે તેઓ એ અંગે ગહન વિચાર કરે છે. એ અનુભવને બધી રીતે ચકાસે છે. એમાં જોવા મળેલી પોતાની મર્યાદાઓ વિશે વિચારે છે અને આ બધાં તારણો કાઢીને એ અનુભવમાંથી અર્થ તારવે છે અને ત્યારબાદ નવું પ્રયાણ આરંભે છે. પોતાના અનુભવના મૂલ્યને વેડફી નાખનાર જીવન વેડફી નાખે છે. અનુભવ પર મનન-ચિંતન કરનાર ભાવિ જીવનનું પાથેય પામે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

થોમસ આલ્વા ઍડિસન

જ. ૧૧ ફેબ્રુઆરી, ૧૮૪૭ અ. ૧૮ ઑક્ટોબર, ૧૯૩૧

જાણીતા અમેરિકન સંશોધક થોમસ આલ્વાના પિતાનું નામ સૅમ્યુઅલ ઑગ્ડન અને માતાનું નામ નાન્સી ઇલિયટ ઍડિસન હતું. ચાર ભાઈ-બહેનોમાં તે સૌથી નાના હતા. પ્રાથમિક શાળાના શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહી શાળામાંથી કાઢી મૂક્યા હતા. તેથી એ પછીનાં ત્રણ વર્ષ તેમની માતાએ જ તેમને ઘરે શિક્ષણ આપ્યું અને તેમની જ્ઞાન પ્રત્યેની અભિરુચિને કેળવી હતી. તેમને ભૌતિકશાસ્ત્રમાં એટલો બધો રસ પડ્યો કે દસ જ વર્ષની ઉંમરે તેમણે ઘરમાં પ્રયોગશાળા બનાવી હતી અને સ્વરચિત ટેલિગ્રાફ સેટ ચાલુ કર્યો હતો. થોમસ આલ્વા ઍડિસનની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે ૧૨ વર્ષની ઉંમરે તેમણે રેલવેમાં છાપાં અને ખાટી-મીઠી ગોળીઓ વેચવાનું શરૂ કર્યું હતું. ૧૫ વર્ષની વયે તેઓ ટેલિગ્રાફ ઑફિસમાં જોડાયા હતા. ટેલિગ્રાફ માટેના ટ્રાન્સમિટર અને રિસીવર તેમની પ્રથમ શોધ હતી. આ સિવાય શૅરબજારના ભાવતાલ છાપવા માટેની યાંત્રિક યુક્તિ તેમની નોંધપાત્ર શોધ  હતી. તે માટે તેમને ૪૦,૦૦૦ ડૉલર મળ્યા હતા. આ રકમમાંથી તેમણે પ્રયોગશાળાની સાથોસાથ નાનું કારખાનું પણ શરૂ કર્યું હતું. તેમની આ પ્રયોગશાળા હેન્રી ફૉર્ડ મ્યુઝિયમ ખાતે સાચવી રાખવામાં આવી છે. વિલિયમ વૉલેસે રચેલ ૫૦૦ કૅન્ડલ પાવરના આઠ ઝગમગતા દીવા જોઈને તેમણે વીજળીના દીવાની શોધ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું. ઘણા પ્રયોગને અંતે સેલ્યુલોઝના તારને કાર્બોનાઇઝ કરવાથી મળતા કાર્બન તંતુ(filament)નો ઉપયોગ કરીને ૨૧ ઑક્ટોબર, ૧૮૭૯ના રોજ વીજળીનો દીવો (Lamp) શરૂ કર્યો હતો. ૧૮૮૨માં તેમણે વરાળથી ચાલતા ૯૦૦ હોર્સપાવરના જનરેટરની મદદથી ૭૨૦૦ દીવાઓને પ્રકાશિત કર્યા હતા. ૧૮૭૭માં તેમણે ગ્રામોફોનની શોધ કરીને સંગીતને ઘેર ઘેર પહોંચતું કર્યું હતું. સેલ્યુલૉઇડ ફિલ્મની તેમણે કરેલી શોધ તથા તેમણે સુધારેલા પ્રોજેક્ટરથી હાલ પ્રચલિત છે તે સિનેમા શક્ય બન્યાં. તેમની અન્ય શોધમાં આલ્કેલાઇન સંગ્રાહકકોષ, લોહના ખનિજને અલગ કરવાની ચુંબકીય પદ્ધતિ, ટેલિફોનનું કાર્બન ટ્રાન્સમિટર મુખ્ય છે. તેમના નામે કુલ ૧૦૯૩ પેટન્ટ હતી.

અશ્વિન આણદાણી