Categories
વાચન સમૃદ્ધિ

જીરું અને તેના રોગો

ઘરગથ્થુ મસાલાસામગ્રી તથા ઔષધદ્રવ્ય. લૅ. Cuminum cyminum L. તેનું કુળ ઍપિયેસી (અમ્બેલિફેરી) છે. તેમાં દ્વિગુણિત રંગસૂત્રોની સંખ્યા ૧૪ છે. ઉદભવસ્થાન ભૂમધ્ય સમુદ્રવિસ્તાર મનાય છે. વાવેતર ભારત ઉપરાંત ઈરાન, ઇરાક, પાકિસ્તાન, તુર્કસ્તાન, સીરિયા, ઇઝરાયલ, સાઇપ્રસ, અલ્જિરિયા અને દક્ષિણ રશિયામાં થાય છે. જીરાના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત અને રાજસ્થાનનું લગભગ ૯૦% જેટલું પ્રદાન છે. ગુજરાતમાં જીરાનું વાવેતર મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રવી ઋતુમાં થાય છે. જીરાનો છોડ નાનો અને કુમળો, વધુ ડાળી ધરાવતો, ૨૦થી ૨૫ સેમી. ઊંચો અને જાંબલી રંગનાં ઝીણાં ફૂલોવાળો હોય છે. જીરાનો દાણો વરિયાળીથી નાનો, લાંબો અને પાતળો, રાખોડી રંગનો અને ઉપર ૫થી ૭ જેટલી નસોવાળો હોય છે.

જીરાનો છોડ   

   જીરું                                          

જીરાની સુગંધી તેના બાષ્પતેલમાં રહેલ ૨૦%થી ૪૦% જેટલા ક્યુમિન આલ્ડિહાઇડને આભારી છે. જીરાની વિશિષ્ટ પ્રકારની સુગંધ અને મનભાવતો સ્વાદ હોવાના કારણે તેને ‘મસાલાનો રાજા’ ગણવામાં આવે છે. અથાણાં અને દાળ-શાકમાં કે સૂપમાં દળેલું કે ખાંડેલું ધાણાજીરું વપરાય છે. આ ઉપરાંત વઘારમાં તેમજ ગોટા, ખમણ અને પાતરાં જેવાં ફરસાણમાં કે નમકીનમાં જીરાનો ઉપયોગ જાણીતો છે. હવે તો ઠંડાં પીણાંમાં, પનીરમાં, બિસ્કિટ-કેક વગેરેમાં અને જુદી જુદી માંસાહારી બનાવટોમાં પણ તેનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો જાય છે.

જીરાનો મસાલા તરીકેનો ઉપયોગ તેમાં રહેલ ઔષધીય ગુણોના કારણે છે. તે કૃમિનાશક છે. ખાસ કરીને આંતરડાંની બીમારીમાં વધુ અસરકારક હોઈ પેટનો દુખાવો, અપચો, ઝાડા વગેરેમાં ગુણકારી છે. તે શરદી, સળેખમ માટેની દવામાં પણ વપરાય છે. તેનું બાષ્પતેલ સાબુ, સૌંદર્યપ્રસાધનો ઉપરાંત કેફી કે ઠંડાં પીણાંમાં સુગંધ લાવવા ઉપયોગમાં લેવાય છે. એશિયાના ‘સૌથી મોટું ખેતઉત્પન્ન બજાર’ મનાતા ઊંઝામાં વાર્ષિક રૂ. ૫૦૦ કરોડથી પણ વધુ વેપાર એકલા જીરાનો જ થાય છે. ભારતનું જીરું ગુણવત્તાની દૃષ્ટિએ સારું હોવા છતાં આંતરિક ભાવો ઊંચા હોઈ કેટલીક વાર આંતરરાષ્ટ્રીય બજારની હરીફાઈમાં ટક્કર ઝીલવી મુશ્કેલ પડે છે; આમ છતાં તેનું ઉત્પાદન વધારી નિકાસ દ્વારા વધુ હૂંડિયામણ કમાવાની શક્યતા ઘણી રહેલી છે. જીરાના રોગો : જીરું મરીમસાલા વર્ગનો અગત્યનો પાક છે. તેમાં જુદા જુદા વ્યાધિજનથી ચરેરી, છારો, સુકારો અને પીળિયો રોગ સામાન્ય રીતે જીરું ઉગાડતા પ્રદેશોમાં જોવા મળે છે. છારો : ફૂગથી થતો આ રોગ જીરાના પાકનો એક મહત્ત્વનો રોગ છે. જો રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે થઈ હોય તો ઉતાર ૫૦% જેટલો ઓછો આવે છે. જ્યારે દાણા બેસવાના સમયે રોગ આવે તો ૧૦%થી ૧૫% ઉતાર ઓછો આવે છે. રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે એટલે કે જાન્યુઆરી માસમાં થાય છે. શરૂઆતમાં છોડનાં પાન પર સફેદ રંગનાં આછાં ટપકાં જણાય છે અને ધીમે ધીમે સમગ્ર છોડ ઉપર આવાં ટપકાં થાય છે. છેવટે આખો છોડ સફેદ થઈ જાય છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાય છે, દાણા બેસતા નથી અને દાણાની શરૂઆત થઈ હોય તો તે અલ્પવિકસિત રહે છે, તેથી જીરાનો ઉતાર ઘટે છે. શરૂઆતમાં છોડ રાખોડી રંગના અને છેવટે સફેદ રંગના, છાશ જેવા થઈ જાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જીરું અને તેના રોગો,
પૃ. ૭૯૩)

હિંમતસિંહ લા. ચૌહાણ

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગા ભાગવત

જ. ૧૦ ફેબ્રુઆરી, ૧૯૧૦ અ. ૭ મે, ૨૦૦૨

મરાઠી ભાષાનાં જાણીતાં લેખિકા અને લોકસાહિત્યનાં અભ્યાસી દુર્ગા નારાયણ ભાગવતનો જન્મ ઇંદોરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ નાશિક, પુણેમાં લીધું અને ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું. ૧૯૩૨માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ૧૯૩૫માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૩૯માં તેમનો મહાનિબંધ પ્રકાશિત થયો. ત્યાર બાદ તેઓએ ગાંધીજીથી પ્રભાવિત થઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા માંડ્યો અને અભ્યાસ છોડી દીધો. ૧૯૭૬માં કરાડ ખાતે આયોજિત ૫૧મા મરાઠી સાહિત્ય સંમેલનનાં અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ. તેમનાં લખાણોમાં સર્જનાત્મક કલ્પનાશીલતા જોવા મળે છે. તેમણે શરૂઆતમાં અંગ્રેજીમાં કેટલાંક લખાણો લખ્યાં હતાં. તેમના ઉત્તમ સર્જનમાં ‘ઋતુચક્ર’ (૧૯૪૮), ‘ભાવમુદ્રા’ (૧૯૬૦), ‘વ્યાસપર્વ’ (૧૯૬૨), ‘રૂપરંગ’ (૧૯૬૭) તથા ‘પૈસ’(૧૯૭૦)નો સમાવેશ થાય છે. ‘કેતકરી કાદંબરી’ અને ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ તેમનાં સાહિત્યિક તત્ત્વવિષયક વ્યાખ્યાનો છે. તેમણે જુદા જુદા પ્રદેશોની લોકકથાઓ અતિ સરળ અને સુગમ શૈલીમાં લખી છે. તેઓએ નિબંધલેખનમાં પણ સારું કામ કર્યું છે. તેમનાં લખાણોમાં વિષયવૈવિધ્ય, ઊર્મિસભરતા તથા માનવમનની ઇચ્છાઓ વિશે જાણવા મળે છે. તેમનું ‘ઋતુચક્ર’ મરાઠી ભાષાનાં ઉત્તમ પુસ્તકોમાં સ્થાન ધરાવે છે. તેમાં પ્રકૃતિના બદલાવો વિશે લખવામાં આવ્યું છે. તેમાં ભારતની બધી મોસમો અને તેની ખાસિયત વિશેનું નિરૂપણ છે.  તેમનું ‘ધર્મ આણિ લોકસાહિત્ય’ (૧૯૭૫) પુસ્તક પણ ખૂબ જાણીતું થયું છે. તેમણે સંસ્કૃત, અંગ્રેજી તથા અમેરિકન કૃતિઓનાં પણ સુંદર ભાષાંતરો કર્યાં છે. તદ્ઉપરાંત તેમની કેટલીક ઉત્તમ કૃતિઓનો ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. દુર્ગા ભાગવતે કદી લગ્ન કર્યાં નહીં. જીવનભર ગૌતમ બુદ્ધ, વ્યાસ, આદિશંકરાચાર્ય, અમેરિકન દાર્શનિક હેનરી ડેવિડ થોરો અને ભારતીય લેખક શ્રીધર વેંકટેશ કેતકર તેમના આદર્શ હતા. ૧૯૭૧માં તેમના પુસ્તક ‘પૈસ’ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ ‘મરાઠી સરસ્વતીચી સરસ્વતી’થી નામના પામ્યાં હતાં.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અડગ કાર્યનિષ્ઠા

નોબેલ પારિતોષિક વિજેતા, સાપેક્ષતા(રિલેટિવિટી)ના સિદ્ધાંતના સ્થાપક એવા ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇન (૧૮૭૯-૧૯૫૫) પોતાના સાથી મદદનીશ સાથે એક સંશોધનપત્ર તૈયાર કરી રહ્યા હતા. એક પછી એક કાગળો લખતા ગયા અને અંતે સંશોધનલેખ પૂરો થયો ત્યારે એમણે એ કાગળોને એક સાથે રાખવા માટે મોટી યૂ-પિનની જરૂર પડી. પુસ્તકો અને કાગળોના ઢગ વચ્ચે આ મહાન વિજ્ઞાનીએ મોટી યૂ-પિનની શોધ ચલાવી, પણ મળતી નહોતી. આખરે રૂમમાં બધું ફેંદી વળતાં એકમાત્ર યૂ-પિન મળી અને તે પણ સાવ વળી ગયેલી ! આઇન્સ્ટાઇને એ પિનને સીધી કરવાનું વિચાર્યું. એને બરાબર ટીપવા માટે કોઈ સાધન શોધતા હતા, ત્યાં તો યૂ-પિનનું આખું બૉક્સ મળી આવ્યું. મદદનીશે વિચાર્યું કે આખું બૉક્સ મળતાં આઇન્સ્ટાઇનને નિરાંત થઈ હશે, પરંતુ આઇન્સ્ટાઇને તો એ યૂ-પિન સીધી કરવાનું કામ ચાલુ રાખ્યું. એમનો મદદનીશ આ જોઈને બોલી ઊઠ્યો. ‘અરે, હવે નવી યૂ-પિનનું આખું બૉક્સ મળી ગયું છે, પછી આ વાંકી વળી ગયેલી પિનને સીધી કરવાની શી જરૂર ? એની પાછળ શાને સમય વેડફો છો?’ આઇન્સ્ટાઇને કહ્યું, ‘જુઓ, એક વાર હું જે કામ કરવાનું નક્કી કરું છું, એમાંથી ચલિત થવાનું ક્યારેય પસંદ કરતો નથી.’ અને આઇન્સ્ટાઇને વાંકી વળેલી પિન બરાબર કરીને એને કાગળોમાં બરાબર ભરાવી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અધ્યાપક આઇન્સ્ટાઇનને એમની યુનિવર્સિટીના એક અધ્યાપકે એમના જીવનમંત્ર વિશે પૂછ્યું, ત્યારે આઇન્સ્ટાઇને આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

કુમારપાળ દેસાઈ