Categories
વાચન સમૃદ્ધિ

જૉર્ડન

અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન  ૩૧° ઉ. અ. અને ૩૬° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો છે. તેની ઉત્તરે સીરિયા, પૂર્વે ઇરાક તથા સાઉદી અરેબિયા, દક્ષિણે સાઉદી અરેબિયા તથા પશ્ચિમે ઇઝરાયલ દેશો આવેલા છે. તેનો કુલ વિસ્તાર ૮૯,૨૮૭ ચોકિમી. છે. તેનું સર્વોચ્ચ બિંદુ સમુદ્રસપાટીથી ૧,૭૫૪ મી. ઊંચાઈ પર છે, તો લઘુતમ બિંદુ સમુદ્રસપાટીથી ૩૯૬ મીટર નીચું છે. તેની કુલ વસ્તી ૧,૧૪,૮૪,૦૦૦ (૨૦૨૩, આશરે) તથા વસ્તીની ગીચતા ૩૫ પ્રતિ ચોકિમી. છે. કુલ વસ્તીના ૬૮% લોકો શહેરી વિસ્તારમાં તથા ૩૨% લોકો ગ્રામ વિસ્તારમાં વસે છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૭% છે. કુલ વસ્તીમાં ૯૫% સુન્ની મુસલમાનો છે. કુલ વસ્તીમાંના ૫૫% લોકો મૂળ દેશવાસીઓ છે અને બાકીના પૅલેસ્ટાઇન પ્રદેશમાંથી આવેલા છે. ૧૦% વસ્તી શરણાર્થી શિબિરોમાં વસે છે. અરબી એ રાષ્ટ્રભાષા છે, જોકે અંગ્રેજી ભાષાનો દેશમાં બહોળો ઉપયોગ થાય છે. એક જમાનામાં આ દેશ ટ્રાન્સજૉર્ડન નામથી ઓળખાતો હતો. ઇસ્લામ રાજ્યનો અધિકૃત ધર્મ છે.

અલ અકાબા બંદર                                         મૃત સરોવર

જૉર્ડન નદીની પૂર્વે ૫૫ કિમી. અંતરે આવેલું અમાન તેનું પાટનગર અને દેશનું મોટામાં મોટું નગર છે. અકાબાના અખાત પર આવેલું અકાબા એકમાત્ર બંદર છે. દેશની પશ્ચિમ તરફની સરહદ જેરૂસલેમ નગરમાંથી પસાર થતી હતી.

૧૯૬૭ પહેલાંના તેના કુલ વિસ્તારમાંથી માત્ર ૧૦% ખેતીલાયક છે, ૭૫% રણથી છવાયેલ છે અને ૧% વિસ્તાર જંગલ હેઠળ છે. જૉર્ડન નદીના પૂર્વ કિનારા પરનો પ્રદેશ, તેના પૂર્વ તરફનો રણપ્રદેશ, પશ્ચિમી કિનારા તરફનો પ્રદેશ તથા જૉર્ડનની ખીણનો પ્રદેશ એ ૪ જૉર્ડનના મુખ્ય ભૌગોલિક કે ભૂપૃષ્ઠ વિભાગ ગણાય છે. તેના પૂર્વ કિનારા પરનો મેદાની પ્રદેશ પૂર્વ તરફ ઢળતો જાય છે. આ પ્રદેશની દક્ષિણ તરફની ઊંચાઈ આશરે ૧,૭૫૦ મી. જેટલી છે અને તેમાં ૧,૭૫૪ મી. ઊંચાઈ ધરાવતું જેબેલ રામ્મ શિખર આવેલું છે. જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા તરફનો પ્રદેશ પૅલેસ્ટાઇનના ઉચ્ચ પ્રદેશથી વ્યાપ્ત છે. આ પ્રદેશને પૂર્વ તરફના મેદાની વિસ્તારથી જુદા પાડતો પ્રદેશ જૉર્ડન નદીની સમતલ ખીણનો પ્રદેશ છે. ખીણોથી છવાયેલો આ પ્રદેશ વિશાળ ફાટખીણ(ધ ગ્રેટ રિફ્ટ વૅલી)નો ભાગ છે. વિશ્વનું સૌથી વધુ ખારા પાણીનું સરોવર (૨૪૦% ક્ષારતા) આ ખીણપ્રદેશના સૌથી નીચાણવાળા ભાગમાં આવેલું છે અને તે ‘મૃત સરોવર’ના નામથી ઓળખાય છે. તે પૃથ્વીતલનો સૌથી નીચો ભાગ પણ છે. જૉર્ડનનો સૌથી મોટો ભૂભાગ ટ્રાન્સજૉર્ડન પઠારનો સર્વોચ્ચ મેદાની પ્રદેશ છે.

દેશની આયાતોમાં ખાદ્ય પદાર્થો, યંત્રો, ખનિજ-તેલ તથા વાહનવ્યવહારનાં સાધનો મુખ્ય છે, નિકાસમાં ફૉસ્ફેટ, શાકભાજી તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. દેશનો મોટા ભાગનો વિદેશવ્યાપાર સાઉદી અરેબિયા, ઇરાક, અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી, જાપાન અને ભારત સાથે થાય છે. વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ક્ષેત્રે જૉર્ડને નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેના પડોશી દેશો સાથે તે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. તેનું એકમાત્ર બંદર અલ અકાબા અદ્યતન સગવડો ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જૉર્ડન, પૃ. 35)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત રવિશંકર

જ. ૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૨

ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીતજ્ઞ તરીકે પંડિત રવિશંકર જગમશહૂર છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. એમણે વિશ્વભરના કેટલાય મહત્ત્વના સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.

પંડિત રવિશંકરનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. ૧૯૪૪માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સત્યજિત રેલિખિત ફિલ્મ ‘અપુ ટ્રાયોલૉજી’ માટે સંગીત આપ્યું હતું. ૧૯૪૯થી ૧૯૫૬ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો, નવી દિલ્હી ખાતે સંગીતનિર્દેશક તરીકે તેમણે સેવા આપી હતી. બ્લૉકબસ્ટર ‘ગાંધી’ (૧૯૮૨) ફિલ્મના અનુસંધાને એકૅડેમી ઍવૉર્ડ માટે તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા.

વિશ્વવિખ્યાત ગિટારવાદક જ્યૉર્જ હેરિસન સાથેના તેમના સંપર્કથી ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પશ્ચિમી પોપ સંગીતમાં ભારતીય વાદ્યોનો ઉપયોગ લોકપ્રિય બન્યો હતો. સિતાર અને અન્ય ઑર્કેસ્ટ્રા માટે રચનાઓ લખીને તેઓ પશ્ચિમી સંગીતમાં જોડાયા હતા. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં તેમણે વિશ્વભરનો પ્રવાસ કર્યો હતો. ૧૯૮૮માં મૉસ્કોમાં તેમણે ૧૪૦ સંગીતકારો સાથે પર્ફૉર્મ કર્યું હતું. ૧૯૮૯માં તેમણે નૃત્યનાટક ‘ઘનશ્યામ’ રચ્યું હતું. સમકાલીન સંગીતકાર ફિલિપ ગ્લાસ સાથે તેમણે ૧૯૯૦માં ટેન્જેરીન ડ્રીમ બૅન્ડના પીટર બૌમન દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં ‘પૅસોજીસ નામનું આલબમ બહાર પાડ્યું હતું.

પંડિત રવિશંકરે ૧૯૬૮માં ‘માય મ્યુઝિક, માય લાઇફ’ નામની આત્મકથા લખી હતી. ૧૯૯૭માં તેમણે ‘રાગમાલા’ નામે બીજી આત્મકથા લખી હતી. તેમણે ૧૯૮૬થી ૧૯૯૨ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.

પંડિત રવિશંકરને નાનાંમોટાં ૨૫થી વધુ સરકારી અને શૈક્ષણિક સન્માનો અને કલા-પુરસ્કારો પ્રાપ્ત થયાં હતાં. ભારત સરકારે તેમને ૧૯૬૭માં પદ્મભૂષણ, ૧૯૮૧માં પદ્મવિભૂષણ અને ૧૯૯૯માં ભારતરત્નથી નવાજ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વાઘ કરતાં ખતરનાક

ચીનના મહાન ચિંતક અને ધર્મસ્થાપક કૉન્ફ્યૂશિયસે (ઈ. સ. પૂર્વે ૫૫૧થી ઈ. સ. પૂર્વે ૪૭૯) બાવીસમા વર્ષે પોતાના ઘરમાં પાઠશાળા સ્થાપી અને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા.

સત્યના ઉપાસક એવા કૉન્ફ્યૂશિયસ મિતભાષી અને મન, વચન અને કર્મમાં એકતા ધરાવતા હતા, એથીય વિશેષ ઈશ્વર કે પરલોક જેવી પરોક્ષ વસ્તુઓની પાછળ પડવાને બદલે આ લોકને સુધારીએ તેમ કહેતા. આ ભૂમિ પર સદાચાર દ્વારા નંદનવન વસાવીએ એ એમનું સૂત્ર હતું.

કૉન્ફ્યૂશિયસ એક વાર પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે એમને કાને કોઈ આક્રંદ કરતી સ્ત્રીનો અવાજ પડ્યો. કૉન્ફ્યૂશિયસે એક શિષ્યને તપાસ કરવા માટે એ સ્ત્રીની પાસે મોકલ્યા ત્યારે તે સ્ત્રીએ કહ્યું,

‘આ જંગલમાં વાઘે આતંક મચાવી દીધો છે. થોડા દિવસ પહેલાં મારા સસરાને વાઘે ફાડી ખાધા અને એ પછી મારા પતિને પણ વાઘે ફાડી ખાધા.’

શિષ્યે ગુરુ કૉન્ફ્યૂશિયસને આ વાત કરી, ત્યારે કૉન્ફ્યૂશિયસે એ સ્ત્રીને કહ્યું, ‘આટલા બધા ભય અને દુ:ખમાં જીવો છો શા માટે ? એના કરતાં બીજી જગાએ રહેવા કેમ જતાં રહેતાં નથી ?’

આ સાંભળીને સ્ત્રીએ કહ્યું, ‘આપની વાત સાચી છે, પરંતુ અહીંનો રાજા અત્યંત દયાળુ છે, સહેજે જુલમી નથી, રાજના કર્મચારીઓ પ્રામાણિક છે, સહેજે લાંચિયા નથી. અહીંના વેપારીઓ બમણા ભાવે કશું વેચતા નથી, આથી વાઘનો ભય હોવા છતાં મને અહીં રહેવું ગમે છે.

કૉન્ફ્યૂશિયસે પોતાના શિષ્યો તરફ ફરીને કહ્યું, ‘કેવી સમજવા જેવી વાત છે. માણસો જુલ્મી રાજા અને ભ્રષ્ટાચારી અમલદારોને વાઘ કરતાંય ખતરનાક ગણે છે.’