Categories
વાચન સમૃદ્ધિ

સુચિત્રા સેન

જ. ૬ એપ્રિલ, ૧૯૩૫ અ. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪

‘મહાનાયિકા’નું બિરુદ મેળવનાર સુચિત્રા સેનનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો. તેમનું મૂળ નામ રોમા દાસગુપ્તા હતું. પિતા કરુણામય દાસગુપ્તા અને માતા ઇન્દિરા દેવી. તેમનો ઉછેર પટણામાં તેમના મોસાળમાં થયો હતો. નાની વયે જ તેમનાં લગ્ન દીબાનાથ સેન સાથે થયાં હતાં. સુચિત્રા પરણીને સાસરે ગયાં તે પછી તેમના સસરા અને પતિએ તેમની પ્રતિભા પારખી, તેમને અભિનય માટે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે સુચિત્રા સેન નામ સાથે બંગાળી ચિત્રોમાં કામ શરૂ કરી દીધું. પરિણીત અભિનેત્રીને પ્રેક્ષકો પ્રણયદૃશ્યોમાં સ્વીકારતા નથી એવી એક માન્યતા તેમણે તોડી નાખી હતી. બંગાળી ચિત્રોના લોકપ્રિય અભિનેતા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ વર્ષો સુધી એક પછી એક સફળ ચિત્રો આપ્યાં હતાં. તેમણે અભિનય આપેલી ૬૦ ફિલ્મોમાં ૩૦ ફિલ્મો તેમણે ઉત્તમકુમાર સાથે કરી હતી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ તેમણે મેળવી હતી. બધાં ચિત્રોમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વને કારણે તેમની ભૂમિકાઓ મહત્ત્વની બની રહી હતી. તેમણે ‘દેવદાસ’, ‘મમતા’ અને ‘આંધી’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ દમદાર અભિનય આપ્યો હતો.

સુચિત્રાના પતિ દીબાનાથનું ૧૯૬૯માં એક અકસ્માતમાં અવસાન થયું હતું. જોકે કાનૂની રીતે તે પહેલાં જ બંને છૂટાં પડી ગયાં હતાં. ૧૯૭૮ના અરસામાં તેમનું ચિત્ર વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં સુચિત્રાએ એકાએક જ માયા સંકેલી લીધી હતી. તેમણે જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું હતું. અભિનયમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં પારિતોષિક મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાં હતાં. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘કજરી’, ‘સદાનંદેર જોલા’, ‘ઓરા થાકે ઓધારે’, ‘ગૃહપ્રવેશ’, ‘અગ્નિપરીક્ષા’, ‘દેવદાસ’, ‘ભાલોબાસા’, ‘સાગરિકા’, ‘દીપ જ્વલે જાય’, ‘સાત પાકે બાંધા’, ‘મમતા’, ‘આલો અમાર આલો’, ‘આંધી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમને મળેલા પુરસ્કારોમાં ૧૯૭૨માં ‘પદ્મશ્રી’, ૨૦૧૨માં ‘બાન્ગા વિભૂષણ’, ૨૦૦૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ(જે તેમણે સ્વીકાર્યો ન હતો)નો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સંધિ (રાજકીય કે વ્યવહાર-ક્ષેત્રમાં)

બે દેશો વચ્ચે સ્વીકૃત થયેલ અને નિશ્ચિત પદ્ધતિ દ્વારા સત્તાધીશો દ્વારા માન્ય થયેલું સુલેહનામું.

તેમાં સુલેહ કે શાંતિના કરાર અને સ્વીકૃતિપત્રના ભાવાર્થ આવરી લેવાયા હોય છે. સંધિ સાથે અંગ્રેજીના ‘કન્વેન્શન’, ‘પ્રોટોકૉલ’, ‘કૉવેનન્ટ’, ‘ચાર્ટર’, ‘પૅક્ટ’, ‘સ્ટેચ્યૂટ’, ‘ઍક્ટ’, ‘ડેક્લેરેશન’ વગેરેની અર્થચ્છાયાઓ પણ જોવા મળે છે. આવી સંધિથી બે દેશોની સરકારો વચ્ચે હક્કો અને જવાબદારીઓ નક્કી થાય છે. જે તે સંધિકરારનું પાલન થાય તે માટે જવાબદાર અધિકારીઓને કામની સોંપણી કરવામાં આવે છે. આવી સંધિ તેમાં ભાગ લેનાર સૌ પક્ષકારોને બંધનકર્તા હોય છે. સામાન્ય રીતે આવી સંધિઓની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કરવામાં આવે છે. વધુમાં આંતરરાષ્ટ્રીય સંગઠનો આ માટેનાં ધારાધોરણો નક્કી કરે છે. મહદ્અંશે વિવિધ દેશો વચ્ચેના સરહદી ઝઘડાઓ, વ્યાપારી લેવડદેવડ, આયાત-નિકાસ, નાગરિકોની માન્યતા અને જળવિવાદ તેમ જ યુદ્ધો જેવી બાબતે આ પ્રકારની સંધિઓ દ્વારા મતભેદોનો ઉકેલ લાવવામાં આવે છે. આ અર્થમાં સંધિ એ દેશો વચ્ચેના મતભેદોની શાંતિમય અને સમજદારીપૂર્વકની પતાવટ હોય છે.

વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ

૧૯૧૯માં થયેલી વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ અનુસાર પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪થી ૧૯૧૮)નો અંત લાવવામાં આવ્યો હતો. જેમાં એક તરફ વિજયી મિત્રરાષ્ટ્રો (allies) હતાં અને બીજી તરફ જર્મની, ઇટાલી (axis) જેવાં પરાજિત રાષ્ટ્રો હતાં. તેમાં મુખ્યત્વે વિશ્વયુદ્ધ બંધ કરી સુલેહને લગતી શરતો સામેલ કરવામાં આવી હતી. દેશો દેશો વચ્ચેના ગુનેગારોને પકડવા અંગેની સંધિ પ્રત્યર્પણ સંધિ તરીકે ઓળખાય છે. વિવિધ દેશો વચ્ચે એકબીજાને મુશ્કેલીના સમયે સહકાર આપવા માટે પણ સંધિ કરવામાં આવે છે. નૉર્થ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) અથવા સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (SEATO) દેશોના સમૂહને સલામતી આપતી સંધિઓ છે. આવી કોઈ સંધિ ટૂંકા સમય માટે નક્કી થઈ હોય તો તે કામચલાઉ સંધિ તરીકે ઓળખાય છે. દેશની અંદર કે બે દેશો વચ્ચે સંઘર્ષોના ઉકેલ માટે સંઘર્ષનિવારણ સંધિઓ પણ કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાન દેશો વચ્ચે થયેલા સિમલા કરાર આ પ્રકારની સંધિ છે. આવી સંધિઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓથી માન્ય થાય પછી જ તેનો અમલ કરી શકાય છે. સંધિ સંઘર્ષોને સમજદારીથી ઉકેલવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

બાબુ જગજીવનરામ

જ. ૫ એપ્રિલ, ૧૯૦૮ અ. ૬ જુલાઈ, ૧૯૮૬

બાબુજી તરીકે જાણીતા જગજીવનરામ સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી હતા. જેમણે ૩૦ વર્ષથી વધુ સમય માટે વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૨૭માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા હતા જ્યાં તેમને બિરલા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. ૧૯૩૧માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી અને મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ અસ્પૃશ્યતા વિરોધી ચળવળમાં પણ ભાગ લીધો હતો. બાબુ જગજીવનરામે ૧૯૩૫માં અસ્પૃશ્યો માટે સમાનતા પ્રાપ્ત કરવાના હેતુસર સમર્પિત સંગઠન ઑલ ઇન્ડિયા ડિપ્રેસ્ડ ક્લાસીસ લીગની સ્થાપના કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા બાદ ‘સત્યાગ્રહ’ અને ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય ભાગીદારી બદલ બે વાર જેલવાસ પણ ભોગવ્યો હતો. આઝાદી પ્રાપ્ત થયા બાદ જવાહરલાલ નહેરુની કામચલાઉ સરકારમાં અને ત્યારબાદ પ્રથમ ભારતીય મંત્રીમંડળમાં શ્રમમંત્રી તરીકે યુવાવયે હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેઓ ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર બંધારણ સભાના પણ સભ્ય હતા. ઇન્દિરા ગાંધીની સરકારમાં ૧૯૬૬થી ૧૯૭૦ સુધીનો તેમનો કાર્યકાળ હરિયાળી ક્રાંતિનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવા માટે યાદગાર રહ્યો છે. તેમણે સપ્ટેમ્બર, ૧૯૭૬થી એપ્રિલ, ૧૯૮૩ સુધી ભારત સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી. મોરારજીભાઈ દેસાઈની સરકાર વખતે તેમણે ૨૪ જાન્યુઆરી, ૧૯૭૯થી ૨૮ જુલાઈ, ૧૯૭૯ સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો હતો. ૧૯૫૨માં પહેલી ચૂંટણીથી ૧૯૮૬માં તેમના મૃત્યુ સુધી પાંત્રીસ વર્ષથી વધુ સમય સુધી બાબુ જગજીવનરામ સંસદસભ્ય તરીકે રહ્યા તે એક વિશ્વરેકૉર્ડ છે. તેમના અગ્નિસંસ્કાર સ્થળને ‘સમતા સ્થળ’ નામના સ્મારકમાં ફેરવવામાં આવ્યું છે. તેમની જન્મજયંતીને એટલે કે પાંચ એપ્રિલને સમતા દિવસ કે સમાનતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દિલ્હીમાં ‘બાબુ જગજીવનરામ રાષ્ટ્રીય ફાઉન્ડેશન અને મુંબઈમાં ‘જગજીવનરામ હૉસ્પિટલ’ તેમની લોકપ્રિયતાનાં દ્યોતક છે.