Categories
વાચન સમૃદ્ધિ

શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવ

જ. ૩૦ એપ્રિલ, ૧૯૧૦ અ. ૧૫ જૂન, ૧૯૮૩

તેલુગુ કવિ, ગીતકાર અને ફિલ્મી પટકથાલેખક શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવનો જન્મ વિશાખાપટ્ટનમમાં થયો હતો. પિતા પુડીપેદ્દી વેંકટરામનૈયા અને માતા અટપ્પાકોંડા, પરંતુ તેમને શ્રીરંગમ્ સૂર્યનારાયણ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. તેઓ શ્રી શ્રીના નામે જાણીતા છે. તેમનું શાળેય શિક્ષણ વિશાખાપટ્ટનમમાં થયું. ૧૯૩૧માં મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી બી.એ. ઑનર્સ થયા. પછી વિઝાગની એસ.વી.એસ. કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. ૧૯૩૮માં ‘દૈનિક આંધ્રપ્રભા’માં સબ-એડિટર બન્યા. બાદમાં દિલ્હી આકાશવાણી અને દૈનિક આંધ્રવાણીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું. તેઓ પેન ઇન્ડિયા, સાહિત્ય અકાદમીના સભ્ય, આંધ્રના ક્રાંતિકારી લેખક સંગઠન, આંધ્રપ્રદેશ નાગરિક સ્વતંત્રતા સમિતિ અને પ્રગતિશીલ લેખક સંગઠનના પ્રમુખ તેમજ દક્ષિણ ભારતીય ફિલ્મ લેખક ઍસોસિયેશનના ઉપપ્રમુખ હતા. તેમણે સાત વર્ષની ઉંમરે લેખનકાર્યનો આરંભ કર્યો હતો. ૧૯૨૮માં ‘પ્રભાવ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો હતો. તેમણે પરંપરાગત શૈલીથી ભિન્ન કાવ્યલેખન કર્યું. તેમણે સામાન્ય માણસના રોજિંદા જીવનને અસર કરતા મુદ્દાઓને કવિતામાં પ્રતિબિંબિત કર્યા. તેમણે જુન્નારકરની ‘નીરા ઔર નંદા’(૧૯૪૬)નું તેલુગુ સંસ્કરણ ‘આહુતિ’ (૧૯૫૦) સાથે તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો. તેમણે ઘણી તેલુગુ ફિલ્મો માટે પટકથાઓ અને ગીતો લખ્યાં. તેમણે કન્નડ ફિલ્મ ‘કન્યાદાનમ્’ માટે એક જ દિવસમાં ૧૨ ગીતો લખ્યાં હતાં, જે એક રેકૉર્ડ છે. તેમને શ્રેષ્ઠ ગીતકાર માટે ૧૯૭૪નો રાષ્ટ્રી ફિલ્મ પુરસ્કાર, નંદી પુરસ્કાર, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને રાજા-લક્ષ્મી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સાગરસૃષ્ટિ

સાગરમાં રહેતા અનેક સૂક્ષ્મ તથા મોટા જીવોની દુનિયા.

પૃથ્વીની સપાટી પરનો ૭૧% ભાગ સાગરોથી રોકાયેલો છે. પૃથ્વી પરના અતિસૂક્ષ્મ જીવોથી માંડીને વિશાળકાય જીવોનું અસ્તિત્વ સાગરમાં હોવાને કારણે તે જીવો માટેનું સૌથી મોટું રહેઠાણ મનાય છે. જીવસૃષ્ટિની ઉત્પત્તિ અને તેનો પ્રારંભિક વિકાસ પાણીમાં – સાગરમાં થયો હોવાનું મનાય છે. કરોડો વર્ષોના ગાળા દરમિયાન જીવો સાગરમાંથી ધરતી પર આવી પ્રસર્યા અને સ્થાયી થયા. સમુદ્રનું પાણી ખારું હોય છે. તેમાં ભરતી-ઓટ જોવા મળે છે. તેમાં સતત પ્રવાહો વહેતા હોય છે. સાગરમાં અઢળક જળરાશિનું દબાણ હોય છે. તાપમાનની દૃષ્ટિએ તે પ્રકાશીય ઊર્જાનો સૌથી મોટો ભંડાર છે. સાગરના પાણીમાં પ્રવેશતા પ્રકાશને લીધે દરિયાઈ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. વળી તે ઊર્જાસ્તર અને પ્રાણીઓની દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે. પાણીના સૌથી ઉપરના આ ક્ષેત્રને સુપ્રકાશિત ક્ષેત્ર કહે છે. સુપ્રકાશિત ક્ષેત્રની નીચેનો પાણીનો જથ્થો અપ્રકાશિત હોય છે. તેથી ત્યાં પ્રકાશસંશ્લેષણ થઈ શકતું નથી. આથી અહીં વનસ્પતિ જોવામાં આવતી નથી.

(૧) વહેલ માછલી, (૨) શાર્ક માછલી, (૩) જેલીફિશ, (૪) ડૉલ્ફિન, (૫) ઓક્ટોપસ

સાગરના છીછરા પાણીના ક્ષેત્રમાં પ્રકાશ, પ્રાણવાયુ અને અંગારવાયુ વિશાળ માત્રામાં મળી રહેતા હોવાથી અહીં વનસ્પતિની વૃદ્ધિ મોટા પાયે થાય છે. વનસ્પતિને કારણે પ્રાણીઓને ખોરાક મળી રહે છે. ખડકાળ તટમાં ખડકોની વચ્ચેની જગ્યામાં વાદળી, સમુદ્રફૂલ, સ્નેલ, કોપેપૉડ વગેરે જોવા મળે છે. ખડકો પર લીલ, સેવાળ મોટી માત્રામાં મળી આવે છે. વળી કરચલા, જેલીફિશ, બહુલોમી કીડા, પોલિપ, રેતીકીડા, કોડી, અષ્ટપાદ, સમુદ્રતારા, સમુદકાકડી, સાઇકોન, બેલેનસ, લેપસ વગેરે અનેક પ્રાણીઓ મળી આવે છે. ગુજરાતમાં ઓખાના ખડકાળ તટ પરથી તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અનેક પ્રકારની લીલ જોવા મળે છે. અહીં કૃમિઓ, કરચલા, મૃદુકાય તથા કેટલાંક શૂળત્વચી પ્રાણીઓ મળી આવે છે. કાદવીય તટ પર ઝૉસ્ટેરા અને અલ્વા વનસ્પતિ મુખ્યત્વે હોય છે, જે પ્રાણીઓને સુરક્ષાકવચ પૂરું પાડે છે. અહીંનાં મુખ્ય પ્રાણીઓમાં સૂત્રકૃમિ, પ્રજીવો, કેટલીક વાદળીઓ, સેરિયસ જેવા કોષ્ઠાંત્રીઓ, કેટલાક કૃમિઓ, હર્મિટ કરચલા, લૉબસ્ટર જેવા સંધિપાદો તથા મૃદુકાય અને શૂળત્વચી પ્રાણીઓ સામાન્ય રીતે જોવા મળે છે. કાદવીય તટમાં રહેતાં પ્રાણીઓ કાદવ જેવા રંગનાં, મુલાયમ અને પાતળા શરીરવાળાં હોય છે. ઊંડા સમુદ્રના આવાસમાં અનેક પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ અહીં દરેક સમુદાયનાં પ્રાણીઓ વસેલાં જોવા મળે છે. અહીં અનેક પ્રકારની માછલીઓ – વહેલ, ડૉલ્ફિન, સીલ વગેરે જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાગરસૃષ્ટિ, પૃ. 98)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ અલ્લારખાં

જ. ૨૯ એપ્રિલ, ૧૯૨૦ અ. ૩ ફેબ્રુઆરી, ૨૦૦૦

પ્રસિદ્ધ તબલાવાદક અને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં નિપુણ, ઉસ્તાદ અલ્લારખાંનો જન્મ પંજાબના ગુરદાસપુર જિલ્લાના રતનગઢમાં થયો હતો. પિતા હાશિમઅલીના ખેતીકામના વ્યવસાયમાં તેમનું મન લાગ્યું નહીં. બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે આકર્ષણ હતું. ૧૫ વર્ષની ઉંમરે તેઓ પઠાણકોટની એક નાટક કંપનીમાં જોડાયા. તે પછી તબલાવાદનની તાલીમ પ્રથમ પંજાબ ઘરાનાના લાહોરના કાદરબક્ષ પાસેથી અને ત્યારબાદ તેમના શાગિર્દ લાલમુહમ્મદ પાસેથી લીધી. થોડા સમય પછી પાછા ગુરદાસપુર આવી સંગીત-પાઠશાળા ખોલી. સાથે સાથે આકાશવાણીના લાહોર, દિલ્હી અને અન્ય કેન્દ્રો પર તબલાવાદન કરતા રહ્યા. મુંબઈ આવ્યા બાદ તેમણે ફિલ્મોમાં સંગીતનિર્દેશન કરવાનું શરૂ કર્યું. તેઓ એ. આર. કુરેશીના નામથી ફિલ્મોમાં સંગીતનિર્દેશન કરતા. ૧૯૪૩થી ૧૯૬૪ની વચ્ચે લગભગ ૨૩ ફિલ્મો માટે સંગીતનિર્દેશન કર્યું જેમાં ‘મા-બાપ’, ‘સબક’, ‘મદારી’, ‘આલમઆરા’, ‘જગ્ગા’ વગેરે જેવી હિંદી ફિલ્મોનો સમાવેશ થાય છે. પંજાબી ફિલ્મોએ પણ તેમને ખૂબ લોકપ્રિય બનાવ્યા. તેમણે દેશવિદેશમાં અનેક કાર્યક્રમો કર્યા. તેમણે વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર સાથે વિશ્વના ઘણા દેશોમાં તબલાસંગત કરી હતી. તબલાવાદન ઉપરાંત અલ્લારખાંએ ઠૂમરી અને ગઝલ જેવા ઉપશાસ્ત્રીય સંગીતમાં પણ કુશળતા પ્રાપ્ત કરી હતી. તેઓ મુંબઈ સંગીત વિદ્યાલય ચલાવતા હતા, જેમાં તબલાવાદનની તાલીમને ખૂબ મહત્ત્વ આપતા. ૧૯૫૮માં ભારતીય સાંસ્કૃતિક મંડળના સભ્ય તરીકે તેમણે વિદેશયાત્રા કરી હતી. ૧૯૬૦માં યુનેસ્કો દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહેફિલમાં તબલાવાદન પ્રસ્તુત કરીને ખૂબ પ્રશંસા અને ખ્યાતિ મેળવ્યાં હતાં. દૃઢ નિશ્ચય, કઠોર તાલીમ અને અનુશાસનને પરિણામે તેમણે તબલાવાદનમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી, જેને કારણે તેમની આ કલા દુનિયાભરમાં લોકપ્રિય બની અને આ કલા તથા વાદ્ય પ્રત્યે શ્રોતાઓનાં રુચિ અને સન્માન વધ્યાં. તેમને ૧૯૭૭માં પદ્મશ્રી પુરસ્કારથી અને ૧૯૮૨માં સંગીતનાટક અકાદમી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. તેમના પુત્ર ઝાકિરહુસેને તબલાવાદનમાં સમગ્ર દુનિયામાં અસાધારણ ખ્યાતિ મેળવી.