Categories
વાચન સમૃદ્ધિ

યજ્ઞેશ હરિહર શુક્લ

જ. ૧૩ માર્ચ, ૧૯૦૯ અ. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૧

પીઢ પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણમાં જ પિતાનું અવસાન થવાથી માતા વિજયાબહેને ઉછેર્યા. પછી મુંબઈમાં પિતરાઈ મોટા ભાઈ જયકૃષ્ણ સાથે રહી દાવર્સ કૉલેજમાં અભ્યાસ કરવા લાગ્યા. જોકે અભ્યાસ પણ અધવચ્ચે છોડી સામયિકોમાં લેખો-વાર્તાઓ લખવા લાગ્યા. સાહિત્યના અભ્યાસી પત્રકાર અંબાલાલ બુલાખીરામ જાની પાસે પત્રકારત્વની તાલીમ લીધી. ૧૯૨૭માં મુંબઈના પ્રસિદ્ધ સાપ્તાહિક ‘ગુજરાતી’માં જોડાયા. ત્યારબાદ ‘હિન્દુસ્તાન-પ્રજાપતિ’, ‘જન્મભૂમિ’  અને ‘વંદે માતરમ’માં જોડાયા. શામળદાસ ગાંધીના અવસાન બાદ ‘વંદે માતરમ્’ બંધ થવાથી ‘પ્રજામત’ નામના દૈનિકનું તંત્રીપદ સંભાળ્યું, પણ હૃદયરોગના હુમલાને કારણે તે કામ પડતું મૂકવું પડ્યું. ૧૯૨૯થી એક દસકા સુધી સ્ત્રી-માસિક ‘ગુણસુંદરી’નું સંપાદનકાર્ય સંભાળ્યું. સાથે સાથે જ્ઞાતિની ‘વિદ્યોત્તેજક સભા’ તથા મુંબઈના સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા. ૧૯૫૫માં સ્વાસ્થ્ય સુધરતાં ‘મુંબઈ સમાચાર’ પત્રે તેમને જવાબદારી સોંપી. ૧૯૫૮માં પત્રના અગ્રલેખ-લેખક તરીકે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી, જીવનપર્યંત કાર્યરત રહ્યા. તેમના વિશદ અને વિસ્તૃત અગ્રલેખોમાં રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કારિક અભ્યાસની ગહનતા જોવા મળે છે. ૧૯૬૮માં ઉત્તર મુંબઈની રોટરી ક્લબે તેમના માહિતીસભર અને નીડરતાભર્યા અગ્રલેખોની કદર કરતાં ‘સ્વ. બેન્જામિન ગાઇ હૉર્નિમૅન’ના નામનો વર્ષના શ્રેષ્ઠ પત્રકારને અપાતો પુરસ્કાર અર્પણ કરાયો હતો.

તેમણે અગિયાર જેટલાં પુસ્તકોની રચના કરી છે. તેમણે નવલકથા અને ટૂંકી વાર્તાક્ષેત્રે પ્રદાન કર્યું છે. ‘એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા’ અને ‘અર્ધી શતાબ્દીની અખબાર-યાત્રા’ નામનાં પુસ્તકોમાં પોતાની જ ઘડતરકથા સાથે પત્રકારત્વક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓ તથા ઘટનાઓને વર્ણવી છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

સલાટ

પથ્થર ઘડવાનો વ્યવસાય કરનાર.

‘સલાટ’ શબ્દને ‘શિલાકાર’, ‘શિલા-પટ્ટ’ જેવા શબ્દો સાથે સંબંધ હોવાનું જણાય છે. આમ શિલા(પથ્થર)પાટ ચીરનાર સલાટના કામને ચોસઠ કળાઓમાં વાસ્તુવિદ્યામાં સ્થાન મળ્યું છે. સલાટ પથ્થર ઘડવા ઉપરાંત મૂર્તિઓ બનાવવાનું કામ પણ કરે છે. રાજાઓના સમયમાં ગુપ્ત ભોંયરાં, ધનભંડારોનાં ગુપ્ત દ્વારો, ભુલભુલામણીવાળા ગુપ્ત માર્ગો તેમ જ મનુષ્ય અને દેવોની મૂર્તિઓ વગેરે બનાવવાનું કાર્ય સલાટો કરતા.

પથ્થર ઘડતો સલાટ

વર્તમાન સમયમાં મોટા ભાગે હિંદુ અને જૈન ધર્મનાં મંદિરો-દેરાસરો બનાવવામાં અને તેમના સમારકામ માટે સલાટની કળાનો લાભ લેવાય છે. તેઓ ઘંટીનાં પડ ટાંકવાનું અને ઘંટીઓ, ખલ, ઓરસિયા વગેરે ઘડીને વેચવાનું કામ પણ કરતા હોય છે. સલાટોમાં થેરા સલાટ એ પેટાજાતિ છે. થેરા સલાટો ઘંટીના પથ્થરો ટાંકવા એક ગામથી બીજે ગામ ફરતા રહે છે. તેઓ પોતાના કુટુંબ સાથે શહેર બહાર ઝૂંપડાં બાંધીને રહે છે. આ જાતિમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ ઓછું છે. થેરા સલાટો – સલાટો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગોની યાદીમાં આવે છે. સોમપુરા સલાટોને બ્રાહ્મણ ગણવામાં આવે છે. તેઓ મંદિરો બાંધવાની પ્રવૃત્તિ કરે છે. તેમની આર્થિક સ્થિતિ અન્ય સલાટો કરતાં વધુ સારી હોવાથી તેમનો સમાવેશ આર્થિક પછાત જાતિમાં થતો નથી. ધ્રાંગધ્રા અને તેની આસપાસના સોમપુરા સલાટો જાણીતા છે. ડભોઈની હીરાભગોળ સાથે સંકળાયેલા હીરા સલાટની દંતકથા જાણીતી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

યશવંતરાવ ચવાણ

જ. ૧૨ માર્ચ, ૧૯૧૪ અ. ૨૫ નવેમ્બર, ૧૯૮૪

મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તથા ભારતના સંરક્ષણપ્રધાન યશવંતરાવનો જન્મ સામાન્ય ખેડૂત કુટુંબમાં દેવરાષ્ટ્રે, સતારામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચશિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ. અને એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. ૧૯૩૦માં રાજકારણમાં સક્રિય બન્યા. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો. ૧૯૩૨માં પ્રથમ કારાવાસ ભોગવ્યો. ડાબેરી વિચારસરણી ધરાવતા હોવા છતાં જવાહરલાલ નહેરુના પ્રભાવને લીધે રાજકીય કારકિર્દી દરમિયાન તે કૉંગ્રેસ સાથે રહ્યા. ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન દરમિયાન ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને ૧૯૪૩માં તેમની ધરપકડ થઈ હતી. સાતારા જિલ્લામાં ક્રાંતિકારી આંદોલનમાં અગ્રણી ભાગ લઈ નેતૃત્વ લીધેલું.

૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલાયદાં રાજ્યો સ્થપાયાં ત્યારે તે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ વખતે ભારતના સંરક્ષણપ્રધાન તરીકે તેઓ નિમાયા. ત્યારપછીના ગાળામાં કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી. ૧૯૬૨-૬૬ દરમિયાન સંરક્ષણપ્રધાન, ૧૯૬૬-૭૦ દરમિયાન ગૃહપ્રધાન, ૧૯૭૦-૭૪ દરમિયાન નાણાપ્રધાન અને ૧૯૭૪-૭૭ દરમિયાન વિદેશપ્રધાન બન્યા. ૧૯૭૮માં ચૌધરી ચરણિંસઘના મંત્રીમંડળમાં તેઓ નાયબ વડાપ્રધાન નિમાયા.

૧૯૬૯માં કૉંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તે અટકાવવા માટે તેમણે પ્રયત્નો કરેલા, પરંતુ ભાગલા પડતાં તે કૉંગ્રેસ (૦) ‘સિન્ડિકેટ કૉંગ્રેસ સાથે રહ્યા હતા. ૧૯૭૫માં લદાયેલી કટોકટીનો તેમણે વિરોધ કરેલો. ૧૯૮૦ અને ૧૯૮૪માં કૉંગ્રેસની ઇન્દિરા પાંખમાં પાછા ફરનારામાં ચવાણનો પણ સમાવેશ થતો હતો, પરંતુ તેમને કોઈ પણ હોદ્દાથી વંચિત રાખવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં નાશિક ખાતે તેમના નામે ઓપન યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. તેઓ લેખક, વક્તા, વહીવટકર્તા, સાંસદ અને ઉદારમતવાદી નેતા હતા. તેમનાં ભાષણોના બે સંગ્રહો પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે : ‘સહ્યાદ્રિ ચે વારે’ (૧૯૬૨) અને ‘યુગાંતર’ (૧૯૭૦).

અમલા પરીખ