Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. ઉપેન્દ્ર ધીરજલાલ દેસાઈ

જ. ૧૦ માર્ચ, ૧૯૨૫ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧

કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશવિજ્ઞાનક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન કરનાર ભારતીય વિજ્ઞાની. તેમનો જન્મ અમદાવાદમાં બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. ૧૯૪૧માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવી મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર અને ગૌણ વિષય ગણિત સાથે ૧૯૪૫માં બી.એસસી. કર્યું. ૧૯૪૮માં ઇલેક્ટ્રૉનિક્સ સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની પદવી મેળવી. ત્યારબાદ ભૌતિકશાસ્ત્રના નિર્દેશક તરીકે ગુજરાત કૉલેજમાં જોડાયા. તે સમયે ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં સ્થાપેલી ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(PRL)માં તેઓ સંશોધનકર્તા તરીકે જોડાયા. તેમના સંશોધનકાર્ય ‘ટાઇમ વેરિયેશન ઑવ્ કૉસ્મિક રેઝ’ માટે ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ. ૧૯૫૯માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો તરીકે નાસામાં જોડાયા. તેઓ ગોડાર્ડ સ્પેસ લાઇટ સેન્ટર(GSFC)માં કૉસ્મિક કિરણોના અભ્યાસ માટે કાર્યરત બન્યા. ૧૯૬૩માં ડૉ. વિક્રમ સારાભાઈના અધ્યક્ષપણા હેઠળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ (Incospar) અને થુંબા ઇક્વિટોરિયલ રૉકેટ લોન્ચિંગ સ્ટેશન(TERLS)ની સ્થાપના કરી. આ સંસ્થા શરૂ કરવામાં તેમનો ફાળો અત્યંત મહત્ત્વનો બની રહ્યો. ત્યાર બાદ તેમણે અમેરિકા ખાતે કાયમી વસવાટ કર્યો અને નાસામાં કાર્યરત રહ્યા. અમેરિકાએ અવકાશમાં છોડેલા ઍપોલો-IIની ઇલેક્ટ્રૉનિક્સની તમામ કામગીરી તેમણે સંભાળી હતી. તેમના સહયોગથી ભારતમાં પણ પહેલું રિસર્ચ રૉકેટ થુમ્બા સ્ટેશનેથી છોડવામાં આવેલું. ડૉ. ઉપેન્દ્ર દેસાઈએ કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશસંશોધનને લગતા લેખો લખ્યા છે. સ્વાવલંબી, પરોપકારી અને સાદગીસભર જીવન જીવનાર ડૉ. દેસાઈ અમેરિકામાં રહીને પણ ભારતીય સંસ્કારો સાથે જોડાયેલા રહ્યા. વિજ્ઞાનક્ષેત્રે કરેલા બહુમૂલ્ય પ્રદાન બદલ ૧૯૮૧માં તેમને વિશ્વગુર્જરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

યોગ્ય વળતર

અમેરિકાના પ્રમુખ થયા પૂર્વે અબ્રાહમ લિંકન (ઈ. સ. ૧૮૦૯થી ૧૮૬૫) એક સફળ અને નામાંકિત વકીલ હતા. એ સમયે વકીલાતનો વ્યવસાય પ્રમાણિક ગણાતો નહીં. એમાં કાવાદાવા અને છેતરિંપડી ચાલતાં હતાં. સામા પક્ષના સાક્ષીઓને ફોડવા માટે લાંચરુશવત પણ અપાતી હતી. ખોટા કેસને બુદ્ધિચાતુર્યથી કે આક્રમક દલીલબાજીથી સાચા સાબિત કરવાની પેંતરાબાજી પણ થતી, ત્યારે અબ્રાહમ લિંકન કદી પ્રલોભનને વશ થયા નહીં. હીન પ્રણાલીથી અળગા રહ્યા. આ વ્યવસાયને એમના માનવતાવાદી હૃદયસ્પર્શથી એક ગૌરવ અપાવ્યું. પોતાના અસીલની સ્થિતિ પ્રમાણે એની પાસેથી એ વકીલાતની ફી લેતા. કેટલાક કેસમાં તો એ ફી જતી પણ કરતા, પરંતુ જો કોઈ એમના કામની કિંમત ઓછી આંકે અને હાથે કરીને કે ઉપેક્ષાભાવથી મળવી જોઈએ એના કરતાં ઓછી ફી આપવાનો પ્રયત્ન કરે, તો એને બરાબર પદાર્થપાઠ પણ શીખવતા. એક રેલવે કંપનીએ અબ્રાહમ લિંકનને સરક્યૂટ કોર્ટમાં પોતાના વતી કેસ લડવાની કામગીરી સોંપી. અબ્રાહમ લિંકનની સામે ઘણા સમર્થ અને નામાંકિત વકીલો હતા. આ કેસમાં લિંકનની હાર થઈ, પરંતુ એમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી અને જીત મેળવી. તેને પરિણામે કંપનીને લાખો ડૉલરનો ફાયદો થયો. અબ્રાહમ લિંકને રેલવે કંપનીને બે હજાર ડૉલરની ફીનું બિલ મોકલ્યું, ત્યારે રેલવેના મૅનેજરે કહ્યું, ‘આટલી બધી ફી હોય ? આટલી ફી આવા સામાન્ય વકીલને ન અપાય.’ એમ કહીને લિંકનને એની ફી પેટે બસો ડૉલરનો ચેક મોકલી આપ્યો. લિંકને જોયું કે આ મૅનેજરને એમના કામની કશી કદર નથી. કંપનીને લાખો ડૉલરનો ફાયદો કરી આપ્યો, છતાં માત્ર બસો ડૉલરનો ચેક મોકલ્યો છે. આજે મારી આવી અવગણના કરે છે. આવતીકાલે બીજાની પણ કરશે. આથી લિંકને રેલવે કંપની પર પાંચ હજાર ડૉલરનો દાવો માંડ્યો. લિંકન એ કેસમાં જીત્યા. બે હજારને બદલે એમને પાંચ હજાર ડૉલર મળ્યા.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ ઝાકિરહુસેન

જ. ૯ માર્ચ, ૧૯૫૧ અ. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪

તબલાવાદનની કલાના ઉસ્તાદ અને તે દ્વારા વિશ્વભરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર ઝાકિરહુસેનનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતા ઉસ્તાદ અલ્લારખાં પંજાબ ઘરાનાના ખ્યાતનામ અને પારંગત તબલાવાદક હતા. તેમની તબલાવાદનની કલા ઝાકિરહુસેનને વારસામાં મળી હતી. શિશુવયથી જ પિતાને મળવા આવતા પ્રસિદ્ધ ગાયકો-વાદકોને મળવાનું થતું. પિતાના સ્ટુડિયોમાં પોતાનું રેકૉર્ડિંગ ચાલતું હોય ત્યારે બાળ ઝાકિરને પોતાની નાની આંગળીઓ વડે તબલાં વગાડવાની તક મળતી. ઝાકિરહુસેનને પિતા અલ્લારખાં ઉપરાંત પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબરખાં વગેરે જેવા મહાન વાદક કલાકારોની સંગત કરીને ઘણું શીખવા મળ્યું. તેઓએ તેમના પુરોગામી અને સમકાલીન ધુરંધર કલાકારોને ખૂબ સાંભળ્યા, ખૂબ શીખ્યા અને તબલાંના તાલની વિવિધ ખૂબીઓમાં પારંગત બન્યા. તેમણે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા અને લોકોને મંત્રમુગ્ધ કર્યા. પશ્ચિમનાં વાજિંત્રો સાથે સંગત કરીને તેમણે જે સંવાદ સાધ્યો તે અજોડ છે. શાસ્ત્રીય સંગીતની સાથે સાથે અવનવા પ્રયોગો કરવામાં પણ તેઓ રસ ધરાવતા. લોકોને આનંદ આપે તેવી સંગીતની નવીનતાને તેઓ સ્વીકારતા. અમદાવાદમાં દર વર્ષે યોજાતા સપ્તક સ્કૂલ ઑવ્ મ્યુઝિકના શાસ્ત્રીય સંગીતના સમારોહમાં તેમના તબલાવાદનનું આયોજન કરવામાં આવતું જે ખૂબ લોકપ્રિય નીવડતું. તેમણે અનેક પ્રશસ્તિપત્રો, ઇનામો, વિશિષ્ટ પદકો અને સુવર્ણચંદ્રકો મેળવ્યાં છે. ૧૯૮૮માં તેમને સંગીતક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન બદલ ‘પદ્મશ્રી’ પુરસ્કાર અને ૨૦૦૨માં ‘પદ્મભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ૧૯૯૨ અને ૨૦૦૯માં સંગીતના પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ગ્રેમી ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૨૩માં ‘પદ્મવિભૂષણ’ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

શુભ્રા દેસાઈ