Categories
વાચન સમૃદ્ધિ

થોડા સમયની ભરતી

સાપેક્ષતા (રિલેટિવિટી) સિદ્ધાંતના સ્થાપક, નોબેલ પારિતોષિક વિજેતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન(૧૮૭૯થી ૧૯૫૫)ને ઘેર એક પૅકેટ આવ્યું અને એમનાં પત્ની ઇસ્લાએ એ ખોલ્યું તો એમાં બ્રાઝિલ અને આફ્રિકામાં વૈજ્ઞાનિક ટુકડીઓએ લીધેલી સૂર્યગ્રહણની છબી હતી. ઇસ્લાએ આ તસવીરો પતિ આઇન્સ્ટાઇનને આપી, ત્યારે એ જોઈને આઇન્સ્ટાઇનના મુખમાંથી ‘અતિસુંદર’ એવા શબ્દો સરી પડ્યા. આ સાંભળી એમની પત્નીએ કહ્યું, ‘હા, હવે તમને તમારા રિલેટિવિટીના સિદ્ધાંતની સાબિતી મળી ગઈ.’ આઇન્સ્ટાઇને આત્મવિશ્વાસભેર કહ્યું, ‘મારે વળી ક્યાં મારા સિદ્ધાંતની આવી સાબિતીની જરૂર હતી ? મને તો એ દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું. એમ કહો કે એમને જે સાબિતી જોઈતી હતી, તે આનાથી મળી.’ એ પછી વિશ્વભરમાં આઇન્સ્ટાઇનનું નામ ગાજવા લાગ્યું. માન-સન્માનોની વર્ષા થવા લાગી. દુનિયાના ખૂણેખૂણેથી વ્યાખ્યાનો માટે નિમંત્રણો આવવા લાગ્યાં. એમના હસ્તાક્ષર મેળવવા માટે પડાપડી થવા લાગી. વેપારીઓ પોતાની પેદાશને ‘આઇન્સ્ટાઇન’ કે ‘રિલેટિવિટી’ નામ આપવા લાગ્યા. એમને ઘેર ટપાલોનો ઢગલો થવા લાગ્યો. આઇન્સ્ટાઇનની આ નવી શોધથી વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં ઊથલપાથલ થઈ. આઇન્સ્ટાઇને પ્રાથમિક અવલોકનોની મદદ વિના શુદ્ધ ચિંતનથી ગાણિતિક મૉડલ તૈયાર કરીને તેના ગુણધર્મો તારવ્યા પછી તેને અવલોકનો દ્વારા તપાસવાની નવી પ્રણાલી સ્થાપી. આ બધું જોઈને આઇન્સ્ટાઇને એમની પત્નીને કહ્યું, ‘આ બધાથી સહેજે ગભરાતી નહીં. આ બધું તો ભરતી જેવું છે. ત્રણ માસમાં તો લોકો બધું ભૂલી જશે અને આપણે શાંતિથી કામ કરી શકીશું.’ જોકે એ પછી આઇન્સ્ટાઇનની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ અને એ વિશ્વવિભૂતિ બન્યા, પણ આવી લોકપ્રિયતાથી એ સહેજ પણ લેપાયા નહીં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બીજુ પટનાયક

જ. ૫ માર્ચ, ૧૯૧૬ અ. ૧૭ એપ્રિલ, ૧૯૯૭

કુશળ રાજનીતિજ્ઞ અને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે બે વાર સ્થાન શોભાવનાર બીજુ પટનાયકનો જન્મ ગંજામના ભંજનગરના એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ લક્ષ્મીનારાયણ અને માતાનું નામ આશાલતા પટનાયક હતું. તેમના પિતા પરલાખેમુન્ડી એસ્ટેટના દીવાન હતા. તેમણે કટકની રેવેનશૉ કૉલેજમાં પ્રવેશ લીધો હતો પરંતુ ઉડ્ડયનમાં વિશેષ રુચિ હોવાને લીધે તેમણે નોકરી છોડીને પાઇલટ તરીકે તાલીમ લીધી હતી. રૉયલ ઇન્ડિયન ઍરફોર્સમાં જોડાયા બાદ તેઓ હવાઈ પરિવહન કમાન્ડરના વડા બન્યા હતા. આ સેવા દરમિયાન તેમને રાષ્ટ્રવાદી રાજકારણમાં રસ પડ્યો હતો. બર્મામાં બ્રિટિશ કમાન્ડ હેઠળ લડતા ભારતીય સૈનિકોને રાજકીય પત્રિકાઓ ફેંકવા અને ભારતનાં વિવિધ સ્થળોએથી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓને ગુપ્ત બેઠકોમાં લઈ જવા બદલ બ્રિટિશ સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. બીજુ પટનાયક ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતી વખતે જવાહરલાલ નહેરુને મળ્યા હતા અને તેમના વિશ્વાસુ મિત્રોમાંના એક બન્યા હતા. ૪૫ વર્ષની વયે તેઓ ૨૩ જૂન, ૧૯૬૧ના રોજ ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯૬૭માં કૉંગ્રેસ પાર્ટીની કમાન સંભાળનાર ઇન્દિરા ગાંધીના નજીકના લોકોમાં બીજુ પટનાયક હતા. જયપ્રકાશ નારાયણ તેમના જૂના મિત્ર હોવાથી ૧૯૭૪માં તેમણે જેપી ચળવળમાં પણ ઝંપલાવ્યું હતું. ૧૯૭૭માં તેઓ કેન્દ્રપાડાથી લોકસભામાં ચૂંટાયા બાદ ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણિંસહ બંને સરકારોમાં સ્ટીલ અને ખાણમંત્રીપદે રહ્યા હતા. વી. પી. સિંહને વડાપ્રધાનપદ સુધી પહોંચાડવામાં પડદા પાછળની ભૂમિકા ભજવ્યા બાદ ૧૯૯૦થી ૧૯૯૫ સુધી તેઓ બીજી વખત ઓડિશાના મુખ્યમંત્રી બન્યા હતા. તેમના નાના પુત્ર નવીન પટનાયક જૂન ૨૦૨૪ સુધી ઓડિશાના મુખ્યમંત્રી હતા. બીજુ પટનાયકની કાયમી સ્મૃતિ રહે તે માટે ભુવનેશ્વર ખાતે બીજુ પટનાયક ઍરપૉર્ટ, બીજુ પટનાયક યુનિવર્સિટી ઑફ ટૅકનૉલૉજી અને બીજુ પટનાયક સ્ટેડિયમ વગેરેનો સમાવેશ થાય છે. તેમના જન્મદિવસ પાંચ માર્ચને પંચાયતીરાજ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

સરોવર (Lake)

બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલું કુદરતી જળાશય.

સરોવર મોટા ભાગે તો બધી બાજુએથી જમીનથી બદ્ધ થયેલું હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળ-ઉમેરણ અને તેમાંથી જળ-નિર્ગમન થતું હોય છે. નાનાથી માંડીને દરિયા જેવડાં મોટા કદનાં સરોવર પણ હોય છે. કેટલાંક સરોવરો પર્વતોની ઊંચાઈ પર (દા.ત., ટિટિકાકા સરોવર) તો કેટલાંક ભૂમિસપાટી પર (દા.ત., નળસરોવર) આવેલાં હોય છે. પૃથ્વીના તળ પર આવેલ ગર્ત, ખાડા કે થાળામાં પાણીનો પૂરતો પુરવઠો જમા થાય ત્યારે ત્યાં સરોવર રચાય છે. સરોવર બે પ્રકારનાં હોય છે : મીઠા (સ્વચ્છ) જળનાં અને ખારા જળનાં. જે સરોવરથાળામાં મળી રહેતા જળપુરવઠાના પ્રમાણમાં બાષ્પીભવનનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યાં કાળક્રમે ક્ષારોનું પ્રમાણ વધી જાય છે, પરિણામે એવા સરોવરનું પાણી ખારું બની જાય છે. ક્યારેક પવનને લીધે મીઠાના કે ક્ષારના રજકણો ઊડીને સરોવરમાં પડ્યા કરતા હોવાથી સરોવરનું પાણી ખારું બની જાય છે. સૂકા પ્રદેશોના સરોવરમાં જળઆવક ઓછી હોય અને બાષ્પીભવન વધારે થતું રહેતું હોય તો તેનું પાણી ખારું થઈ જાય છે. કેટલાંક છીછરાં સરોવરો તો બાષ્પીભવનથી સૂકાં થાળાં બની રહે છે; પરંતુ ચોમાસા દરમિયાન તેઓ પાણીથી ભરાય છે. આથી ઊલટું, ભેજવાળા પ્રદેશમાંનાં સરોવર મીઠા પાણીનાં હોય છે, કારણ કે ત્યાં બાષ્પીભવનનું પ્રમાણ ઓછું હોય છે.

દાલ સરોવર

સરોવરની તેની આજુબાજુના પ્રદેશની આબોહવા તથા તેના લોકજીવન પર અસર થાય છે. સરોવરને લીધે તેની આજુબાજુના વિસ્તારમાં ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી ઓછી લાગે છે. સરોવરના જળનો ઉપયોગ માણસોની અવરજવર, માલસામાનની હેરફેર માટે થાય છે. એ રીતે વેપાર-વાણિજ્યના જળમાર્ગ તરીકે તેની ઉપયોગિતા જોવા મળે છે. સરોવરની આસપાસ વસતા લોકો મનોરંજન અર્થે સરોવરનો લાભ લે છે. સરોવરમાં નૌકાવિહાર, માછીમારી, વૉટર-સ્કેટિંગ વગેરે થઈ શકે છે. સરોવરમાં વિવિધ જાતની વનસ્પતિ તથા કાચબા, મગર, માછલી, દેડકાં જેવાં પ્રાણીઓ રહેતાં હોય છે. ત્યાં યાયાવર પક્ષીઓ મુલાકાતે આવે છે. ભારતના વિશાળ ભૂભાગમાં અનેક સરોવરો આવેલાં છે; જેમ કે, દાલ સરોવર, વુલર સરોવર, પૅંગોગ, નૈનિતાલ, ચિલ્કા, કોલેરુ સરોવર, પુલિકટ સરોવર, પેરિયાર સરોવર, નળ સરોવર, સાંભર સરોવર અને લોણાર સરોવર.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરોવર, પૃ. ૪૨)

અંજના ભગવતી