Categories
વાચન સમૃદ્ધિ

સ્પૃહાવાન અમીર એ સૌથી

મોટો ગરીબ ————

ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયેલા વૈશેષિક દર્શનની વિચારધારાને સૌપ્રથમ સૂત્રબદ્ધ કરનાર મહર્ષિ કણાદ ‘કણભૂક’ કે ‘કણભક્ષ’ તરીકે ઓળખાતા હતા. એમની આવી ઓળખનું કારણ એ કે ખેતરમાં અનાજ લણ્યા પછી ધરતી પર પડી રહેલા અનાજના કણનું જ તેઓ ભોજન કરતા હતા. કણાદ તરીકે ઓળખાયેલા આ મહર્ષિએ દસ અધ્યાય અને પ્રત્યેકમાં બે બે આહનિક ધરાવતા ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી. ખેતરમાં પડેલા અન્નના કણ(દાણા)નું  ભોજન કરીને અખંડ વિદ્યાસાધના કરતા આ મહર્ષિ અત્યંત સંયમી જીવન જીવતા હતા. આ પ્રદેશના રાજાને જ્યારે ખબર પડી કે પોતાના રાજ્યના આવા જ્ઞાની દાર્શનિક નીચે પડેલા દાણાનું ભોજન કરીને જીવે છે, તે વાત રાજાને પસંદ પડી નહીં. એમણે રાજ્યના મંત્રીને આદેશ આપ્યો કે મહર્ષિ કણાદને માટે તત્કાળ ઉત્તમ ભોજન મોકલાવો. ભાતભાતનાં પકવાન ધરાવતું ભોજન મહર્ષિ સમક્ષ મૂકવામાં આવ્યું, ત્યારે મહર્ષિએ આવું ભોજન લેવાની ના કહી. એમણે કહ્યું કે, ‘આની મારે કોઈ જરૂર નથી. તમે આ ભોજન ગરીબોને વહેંચી નાખજો.’ રાજાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એમને અકળામણ અને અધીરાઈ બંને થયાં. આ તે કેવા મહર્ષિ ? રાજા સ્વયં ભોજનસામગ્રી લઈને મહર્ષિ પાસે ગયા. મહર્ષિએ એ જ સાહજિકતાથી કહ્યું, ‘મારે આવા કોઈ ભોજનની જરૂર નથી. એને ગરીબોમાં વહેંચી દેજો.’ ગર્વભંગ થયેલા રાજવીએ કહ્યું, ‘ઓહ ! તમારાથી વધુ ગરીબ આ રાજ્યમાં બીજો કોણ હશે ? મહર્ષિ મૌન રહ્યા. રાજા મહેલમાં પાછા ફર્યા અને રાણીને સમગ્ર ઘટના કહી, ત્યારે રાણીએ કહ્યું, ‘મહારાજ, મહર્ષિ કણાદને ગરીબ કહીને તમે ઘણી ગંભીર ભૂલ કરી. એમની પાસે તો સુવર્ણસિદ્ધિ છે. કોઈ પણ ધાતુને સુવર્ણમાં પલટાવી શકે તેવી સિદ્ધિ. તમારે તો એમની પાસેથી આવી સુવર્ણસિદ્ધિ માગવાની જરૂર હતી.’ રાજાના મનમાં લોભ જાગ્યો એટલે મહર્ષિ પાસે આવીને ક્ષમાયાચના કરતાં કહ્યું, ‘હે મહર્ષિ ! કૃપા કરીને મને સુવર્ણસિદ્ધિ વિદ્યા શીખવો.’ ‘વાયુપુરાણ’ જેવો ગ્રંથ જેમને પ્રભાસપાટણના નિવાસી ગણાવે છે તેવા મહર્ષિ કણાદે કહ્યું, ‘હે રાજન્, થોડા સમય પહેલાં તમે મને ગરીબ કહેતા હતા. હવે કહો, ગરીબ તમે છો કે હું ? શું હું તમારે દરવાજે યાચના કરવા આવ્યો ખરો ? યાચના તો તમે કરો  છો.’ મહર્ષિ કણાદની વાત સાંભળીને રાજાનો ગર્વ ખંડિત થઈ ગયો.

હકીકત એ છે કે નિસ્પૃહી ઋષિ કરતાં સ્પૃહાવાન રાજા અતિ ગરીબ હોય છે. પોતાની ગરીબી કે ફકીરીમાં સંતોષથી જીવન જીવનાર કરતાં વધુ સમૃદ્ધિની સ્પૃહા રાખનાર અમીર વધુ ગરીબ હોય છે. ગરીબ આજના સંતોષ પર જીવતો હોય છે. અમીરની આજ સંતોષથી ભરેલી હોય છે અને એની આવતી કાલ વધુ સમૃદ્ધિ મેળવવાની ઝંખનાથી ઊગતી હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ

જ. ૧૯ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૫ ડિસેમ્બર, ૧૯૫૧

ગોપાળદાસ દેસાઈ ગાંધીવાદી, રાજનૈતિક અને સમાજસેવક હતા. તેઓ દરબાર ગોપાળદાસ તરીકે જાણીતા હતા. તેઓ સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંઓ પૈકી ઢસા રજવાડાના રાજા હતા, પણ બ્રિટિશ રાજથી ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડનાર પ્રથમ રાજવી હતા. તેમના પાલક પિતા અંબઈદાસ પછી તેઓ ઢસાની ગાદીએ આવ્યા હતા. તેમના નાનાજીએ તેઓને દત્તક લીધા હતા. ગોપાળદાસ મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસથી ઘણા પ્રભાવિત હતા. તેઓ તેમને નાણાકીય સહાય પણ આપતા હતા. શિક્ષણ પ્રત્યે તેઓ સજાગ હતા અને મેડમ મૉન્ટેસોરીના વિચારોથી પ્રભાવિત હતા. ૧૯૧૫માં તેમણે વસોમાં મોતીભાઈ અમીનની સહાય લઈને મૉન્ટેસોરી શાળા શરૂ કરી હતી, જે ગુજરાતની અને ભારતની કદાચ સૌપ્રથમ મૉન્ટેસોરી શાળા હતી. તેમની પ્રજાને શિક્ષણ મફત અપાતું હતું. ૧૯૨૧ સુધી તેઓ ભારતના રાષ્ટ્રીય કૉંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા અને ખેડા જિલ્લા કૉંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા. વૉરન હેસ્ટિંગની ચેતવણી હતી કે તેઓએ ભારતીય કૉંગ્રેસની સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ ન લેવો અને નાણાકીય સહાય ન આપવી, પણ તે ચેતવણીનો અનાદર કરતાં ગોપાળદાસ પાસેથી તેમનું રજવાડું છીનવી લીધું. આથી ૧૯૨૨માં ગોપાલદાસ અને તેમનાં પત્ની ભક્તિબા સક્રિય સ્વાતંત્ર્યવીર બની ગયાં. તેમના ત્રણ પુત્રો પણ આ માર્ગે વળી ગયા. અસ્પૃશ્યતાનાબૂદી તથા સ્ત્રી-શિક્ષણ જેવા ગાંધીમાર્ગે ગોપાળદાસ અને ભક્તિબા અવિરત કામ કરતાં રહ્યાં. ગુજરાતમાં સ્ત્રી-શિક્ષણના તેઓ આગ્રહી હતા. ૧૯૩૫માં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને ૧૯૪૬માં વલ્લભ કન્યા વિદ્યાલયની કન્યા છાત્રાલય બાંધી તેમણે પહેલ કરી. સ્વતંત્રતા બાદ ૧૯૪૭માં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં તેમની યાદમાં બનાવેલ કીર્તિમંદિરનું ભૂમિપૂજન તેઓના હાથે થયેલ. વડોદરાથી તેઓ ભારતની કૉન્સ્ટિટ્યુએન્ટ ઍસેમ્બ્લીના સભ્ય નિમાયા હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેમનું રજવાડું પાછું સોંપાતાં તેઓએ સ્વેચ્છાથી ભારત સાથે બિનશરતી વિલીનીકરણમાં સહમતી આપી હતી. આવી સહમતી આપનાર ૫૫૦ રજવાડાંના તેઓ પ્રથમ રાજા હતા. રાજમોહન ગાંધીએ તેમની જીવનકથા ‘ધ પ્રિન્સ ઑફ ગુજરાત’ નામે પ્રસિદ્ધ કરી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

શેરડી

ધાન્ય કુળની એક ઊંચા તૃણસ્વરૂપવાળી વનસ્પતિ.

તેના સાંઠા જુદી જુદી જાડાઈ અને આછા કે ઘેરા લીલાથી માંડી ઘેરો પીળો, રતાશ પડતો કે જાંબલી રંગ ધરાવે છે. આ સાંઠામાં રેસા ઓછા અને ખાંડ (સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ) વધારે હોય છે. તેનાં પાન સાદાં, મોટાં, લાંબાં-સાંકડાં, પટ્ટી આકારનાં અને એકાંતરે ગોઠવાયેલાં હોય છે. પુષ્પોનો સમૂહ મોટો અને પીંછાં જેવો હોય છે. શેરડી તીવ્ર પ્રકાશમાં પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે. તેનો પ્રકાશસંશ્લેષણનો દર વધારે ઝડપી હોવાથી તે ઘણું વધારે ઉત્પાદન આપે છે. તેના પાકને ગરમ ભેજવાળી આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૭૫૦-૧૦૦૦ મિમી. વરસાદવાળા વિસ્તારની આબોહવા સૌથી ઉત્તમ ગણાય છે. તે સારી નિતારવાળી મધ્યમ કાળી કે ગોરાડુ જમીનમાં સારી રીતે થાય છે. વધારે ક્ષારવાળી ઍસિડિક જમીન શેરડી માટે અનુકૂળ આવતી નથી. શેરડીના રસમાં ખાંડનું પ્રમાણ ૧૨-૧૫ % જેટલું અને તેની સારી જાતોમાં લગભગ ૨૦-૨૧ % જેટલું હોય છે. શેરડીના રસમાં વિટામિન B-સંકુલ અને વિટામિન D સારા પ્રમાણમાં હોય છે.

શેરડીનું ખેતર

તે એક લાંબા ગાળાનો અગત્યનો રોકડિયો પાક છે. કૃષિ-આધારિત કાપડ-ઉદ્યોગ પછી ખાંડ-ઉદ્યોગ બીજા ક્રમે આવે છે. દુનિયામાં થતા ખાંડના ઉત્પાદન પૈકી લગભગ ૬૦ % ખાંડ શેરડીમાંથી બને છે. શેરડીમાંથી ખાંડ અને ગોળ પ્રાપ્ત કર્યા પછી આશરે ૩૦-૩૫ % જેટલા શેરડીના કૂચા મળે છે. આ કૂચાઓનો ઊર્જાના સ્રોત તરીકે અને બળતણ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. કૂચામાંથી પૂંઠાં, ફિલ્ટર-પેપર વગેરે બને છે. કૂચામાંથી મળતી રાખ ખાતર તરીકે વાપરવામાં આવે છે. રાખમાંથી ઊંચી ગુણવત્તાવાળા ગ્લાસ બનાવી શકાય છે. ગોળની રસી (મૉલૅસિઝ) સૌથી સસ્તો કાર્બોદિત પદાર્થનો સ્રોત છે. તે પશુઓ અને મરઘાંના આહારમાં ચોક્કસ પ્રમાણમાં વાપરી શકાય છે. શેરડીના કૂચાનાં કે ગોળની રસીનાં ચોસલાં બનાવી ખાણ-દાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ગોળની રસીમાંથી પેટ્રો-રસાયણો પણ બનાવી શકાય છે. શેરડીનાં મૂળિયાં અને સૂકાં પાનમાંથી ખાતર બનાવવામાં આવે છે. શેરડીના સાંઠાના કટકા કરી ચાવીને ખાઈ શકાય છે. શેરડીનો રસ ઠંડો, મીઠો તથા તૃપ્તિ અને આનંદ આપનાર છે. તે બળવર્ધક છે અને થાક દૂર કરે છે. આયુર્વેદમાં નવા ગોળ કરતાં જૂનો ગોળ ઔષધો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. શેરડીનો કમળામાં, સૂર્યના તાપથી લૂ લાગવા ઉપર, આંખ અને મૂત્ર સંબંધી રોગો, કાચ કે કાંટો વાગ્યો હોય અથવા કાનખજૂરો કરડે ત્યારે, હેડકી અને ઘૂંટીના દર્દમાં ઉપયોગ કરવામાં આવે છે. દિનપ્રતિદિન ખાંડની વધતી જતી માંગ અને તેના થઈ રહેલા ભાવવધારાથી શેરડીની ખેતીનું મહત્ત્વ ઘણું વધ્યું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી