Categories
વાચન સમૃદ્ધિ

પંડિત જસરાજ

જ. 28 જાન્યુઆરી, 1930 અ. 17 ઑગસ્ટ, 2020

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના યુગપુરુષ, મેવાતી ઘરાનાના મહાન અને પ્રતિભાશાળી કલાકાર પંડિત જસરાજનો જન્મ હરિયાણાના સંગીતપ્રેમી કુટુંબમાં થયો હતો. જસરાજજી માત્ર ચાર વર્ષના હતા ત્યારે જ તેમના પિતા અને ગુરુશ્રી મોતીરામજી અવસાન પામ્યા હતા. સતત અને સખત સંઘર્ષ, ગરીબી અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ જસરાજજીનો સંગીત પ્રત્યેનો પ્રેમ અવિરત વહ્યો. સાત વર્ષની ઉંમરે તેમણે મોટા ભાઈ પંડિત પ્રતાપનારાયણ પાસેથી તબલાં શીખવાનું શરૂ કર્યું અને 14 વર્ષની ઉંમરથી તેમણે માત્ર ગાવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં બેગમ અખ્તર તેમનો પ્રેરણાસ્રોત રહ્યાં. તેઓ અવારનવાર ગુજરાતના સાણંદમાં, મેવાતી ઘરાનાના ગુરુ ઠાકુરસાહેબ જયવંતસિંહજી વાઘેલા પાસે સંગીત શીખવા આવતા. 1946માં તેમણે કલકત્તા રેડિયો પર શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું. તેઓ દિવસના 14 કલાક રિયાઝ કરતા. 1952માં માત્ર 22 વર્ષની ઉંમરે કાઠમંડુમાં નેપાળનરેશ ત્રિભુવનજી સમક્ષ તેમણે ગાયન પ્રસ્તુત કર્યું. પરંપરાગત રીતે ગવાતા ખયાલ, ઠૂમરી વગેરે ગાનપ્રકારોને તેમણે એવી હળવી શૈલીમાં રજૂ કર્યા કે ભારતીય શાસ્ત્રીય સંગીત વૈશ્વિક સ્તરે પહોંચી ગયું. નિયમોને આધીન રહીને તેમણે પરંપરાગત બંદીશોને નવું સ્વરૂપ આપ્યું. હવેલીસંગીત અને કૃષ્ણભક્તિથી ભરપૂર પદોમાં છલકતી તેમની આધ્યાત્મિકતા શ્રોતાઓને આકર્ષતી. પ્રાચીન ગાનપ્રકાર મૂર્છનાને તેમણે નવા સ્વરૂપે જુગલબંદીમાં રજૂ કરી. જે હવે ‘જસરંગી શૈલી’ તરીકે ઓળખાય છે. ભારત ઉપરાંત વિદેશમાં તેમણે શાસ્ત્રીય સંગીત માટેની શાળાઓ શરૂ કરી. સંગીત માત્ર કારકિર્દી જ નહીં, પણ જીવનપદ્ધતિ છે, એમ માનનાર જસરાજજીએ અનેક શિષ્યો તૈયાર કર્યા. તેમની ગુરુ-શિષ્ય પરંપરા આજે પણ જીવંત છે. સંગીતમાર્તંડ જસરાજજીના અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા અનેક પુરસ્કારો એનાયત કર્યા. 2023માં તેમની ટપાલટિકિટ પણ બહાર પડી છે. 1972થી તેમણે શરૂ કરેલ પંડિત મોતીલાલ મણિરામ સંગીત સમારોહ દર વર્ષે હૈદરાબાદમાં યોજાય છે. સ્વરને ઈશ્વર સાથે જોડીને સંગીતને આત્મિક અનુભૂતિ અપાવનાર જસરાજજીનું જીવન સંઘર્ષ, સાધના અને સફળતાનો પર્યાય અને પ્રેરણાસ્રોત હતું.

Categories
વાચન સમૃદ્ધિ

હિલસ્ટેશન

સમુદ્રસપાટીથી આશરે ૧૦૦૦ મીટર જેટલી ઊંચાઈ પરનું હવા ખાવાનું મથક.

ગિરિમથક અથવા હિલસ્ટેશન એ એક એવું સ્થળ હોય છે, જે નજીકના મેદાન કે ખીણથી અમુક ઊંચાઈ પર આવેલું હોય. એશિયા, આફ્રિકા અને ભારતમાં આવાં સ્થળોનો વિકાસ ઘણું કરીને અંગ્રેજોએ કર્યો હતો. જ્યાં જ્યાં અંગ્રેજો શાસન કરતા હતા એવા એશિયાઈ દેશોમાં ઉનાળાની ગરમીથી રાહત મેળવવા ઊંચાઈએ આવેલાં ઠંડાં સ્થળોની પસંદગી કરાતી હતી. ભારતમાં તેઓ ખાસ કરીને હિમાલય અને નીલગિરિ ટેકરીઓમાં આવેલાં ગિરિમથકોમાં સમય વિતાવતા. તેઓએ ગિરિમથક સિમલાને ઉનાળુ પાટનગર(‘સમર કૅપિટલ’)નો દરજ્જો આપેલો. ભારતમાં ૧૮૨૦ના સમયમાં આવાં સ્થળો સેનેટોરિયમ તરીકે ઉપયોગમાં લેવાતાં હતાં. બીમાર માણસોને – ઘણું કરીને ટી.બી. જેવા રોગથી પીડાતા લોકોને સ્વચ્છ હવા, ખુશનુમા વાતાવરણ મળી રહે એવાં ગિરિમથકો પર રાખવામાં આવતા. ત્યારબાદ ૧૮૪૦થી ૧૮૫૦ દરમિયાન ઘણાં નવાં ગિરિમથકોની સ્થાપના થઈ.

સિમલા-કુલુ-મનાલીનાં હિલસ્ટેશન

આ પૂર્વે પણ ઊંચાઈ પર આવેલાં અનેક તીર્થધામોનો પણ વિકાસ થયેલો હતો, જ્યાં લોકો જાત્રા કરવા અવારનવાર જતા હતા. ૧૯મી સદીના અંતમાં ગિરિમથકોનો ઉપયોગ સામાન્ય માનવી હરવાફરવા માટે પણ કરતો થયો. ગિરિમથકો પર પ્રવર્તતી આબોહવાકીય પરિસ્થિતિ મુજબ ત્યાંનું વનસ્પતિજીવન પાંગરેલું હોય છે. અહીં વિવિધ પ્રકારનાં વૃક્ષો, ફૂલો વગેરે થાય છે. અનુકૂળ હવામાનને કારણે સફરજન, પ્લમ, લીચી, નારંગી, દ્રાક્ષ જેવાં વિવિધ ફળોનો પાક લેવામાં આવે છે. આવાં સ્થળોએ વન્ય પ્રાણીઓનું જીવન પણ ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનો તેમ જ અભયારણ્યોમાં વિહરતાં વિવિધ જાતનાં પ્રાણીઓ અને પક્ષીઓને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે ગિરિમથકોને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. ગિરનાર, પાવાગઢ, પાલિતાણા, તારંગા અને સાપુતારા ગુજરાતનાં જાણીતાં ગિરિમથકો છે. ગિરિમથક આબુને જ્યારે રાજસ્થાનમાં સમાવી લેવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં સાપુતારાનો ગિરિમથક તરીકે વિકાસ કરવામાં આવ્યો. ભારતનાં જાણીતાં ગિરિમથકોમાં શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, કુફરી, સિમલા, ડેલહાઉસી, કુલુ-મનાલી, નૈનિતાલ, રાણીખેત, અલમોડા તથા મસૂરી, ગંગટોક, દાર્જિલિંગ, ક્લિમપૉંગ, ચમ્બા, માથેરાન, મહાબળેશ્વર, આબુ, મુનાર, કોડાઈકેનાલ અને ઉટાકામંડનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હિલસ્ટેશન, પૃ. 178)

Categories
વાચન સમૃદ્ધિ

જનરલ અરુણ વૈદ્ય

જ. 27 જાન્યુઆરી, 1926 અ. 10 ઑગસ્ટ, 1986

ભારતીય સેનાના જનરલ અરુણ વૈદ્યનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતા શ્રીધર અને માતા ઇન્દિરા. તેમનું પ્રારંભિક શિક્ષણ પુણેમાં અને પછી મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં થયું હતું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજ અને પછી સૂરતની એમટીબી આર્ટસ કૉલેજમાં અભ્યાસ કર્યો. એલ્ફિન્સ્ટન કૉલેજમાં યુનિવર્સિટી ટ્રેનિંગ કોર્પ્સની 1લી બૉમ્બે બટાલિયનમાં જોડાયા. 1945માં રોયલ ડેક્કન હોર્સમાં સેવા આપી. તેમણે બીજા વિશ્વયુદ્ધ વખતે બર્મામાં પ્રવેશવા માટે બ્રિટિશ લશ્કરની ટુકડીને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ખેમકરણ સેક્ટરમાં 70 જેટલી દુશ્મન ટૅન્કોનો નાશ થયો એ માટે એમણે અપૂર્વ શૌર્ય બતાવ્યું હતું. આ માટે તેમને મહાવીરચક્ર એનાયત થયો હતો. ભારતના ઉત્તર-પૂર્વમાં ચીન દ્વારા પ્રશિક્ષિત નાગા બળવાખોરોને ખાળવા માટે તેમને અતિવિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવ્યો હતો. 1971માં પાકિસ્તાન સાથે યુ્દ્ધમાં શકરગઢ સેક્ટરમાં યુદ્ધ દરમિયાન ટૅન્કોને બહાર કાઢવા માટે મહાવીરચક્ર તથા 1983માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ભારતીય સેનામાં વિવિધ પદો પર કામ કર્યું હતું. તેઓ 1983થી 1986 સુધી બારમા ચીફ ઑફ ધ આર્મીસ્ટાફ હતા. તેમણે સેના જનરલ તરીકે પણ કાર્ય કર્યું હતું. પંજાબમાં આતંકવાદ ખાળવા ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નિવૃત્તિ પછી પંજાબના ખાલિસ્તાન તરફી બે આતંકવાદીઓએ એમના પર ગોળીઓ છોડી હત્યા કરી હતી. આ ઉપરાંત તેમને બહાદુરીભર્યા કાર્ય બદલ બર્મા સ્ટાર વૉર ચંદ્રક, ઇન્ડિયા સર્વિસ મેડલ, સૈન્ય સેવા મેડલ, રક્ષા મેડલ, મરણોત્તર પદ્મવિભૂષણ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા હતા.