Categories
વાચન સમૃદ્ધિ

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ

જ. 20 ફેબ્રુઆરી, 1894 અ. 2 માર્ચ, 1980

બહુમુખી પ્રતિભા ધરાવનાર, સાહિત્યકાર જારોસ્લાવનો જન્મ કાલ્નિક પોલૅન્ડમાં થયો હતો. 1912માં કીવ વિશ્વવિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918માં તેઓ પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં રહેવા ચાલ્યા ગયા. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષ દરમિયાન તે પાર્લમેન્ટના સ્પીકરના અંગત સચિવ રહ્યા. ત્યારબાદ વિદેશ મંત્રાલયમાં જોડાયા. 1932થી 1936 દરમિયાન તેમણે જુદી જુદી મહત્ત્વની રાજકીય કામગીરી સ્વીકારી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી રાજકીય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી. 1953માં શાંતિ માટેની પોલૅન્ડની સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી તેમણે સંભાળી અને પાર્લમેન્ટના અધ્યક્ષ તરીકે સેવા આપી, રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયા. 1943થી 1949 અને 1959થી 1972 એમ બે વખત તે પોલૅન્ડના લેખકસંઘના અધ્યક્ષ બન્યા. 1955થી તેમણે ‘ક્રિયેશન’ (Two rezosc) નામના સાહિત્યિક માસિકના મુખ્ય સંપાદક તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમનાં કાવ્યોમાં મુખ્યત્વે પોલૅન્ડનાં પ્રકૃતિદૃશ્યની ઊર્મિકવિતાનો આવિષ્કાર છે. ગદ્યલેખનના ક્ષેત્રે પણ તેમણે નિબંધો, નાટકો, જીવનચરિત્રો, ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને ભાષાંતરો દ્વારા તમામ સ્વરૂપોમાં વૈવિધ્યપૂર્ણ ખેડાણ કર્યું છે. તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સ્ટોરીઝ’ (1959) તથા નવલકથા ‘ફેઇમ ઍન્ડ ગ્લૉરી’ વિશેષ ઉલ્લેખનીય છે. ત્રણ ખંડોમાં આલેખાયેલી તે નવલકથામાં 1914થી 1945 દરમિયાન પોલૅન્ડમાં વ્યાપેલી અશાંતિ અને ક્ષુબ્ધતાનું નિરૂપણ છે. તેઓ ચાર વખત સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝ માટે નામાંકિત થયા હતા. તેમને અનેક પોલિશ પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

તેલ-અવીવ (સત્તાવાર રીતે તેલ-અવીવ જાફા – Tel-Aviv Jaffa)

ઇઝરાયલનું જેરૂસલેમ પછીનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 05´ ઉ. અ. અને 34° 48´ પૂ. રે.. મધ્યપૂર્વનું આ અત્યાધુનિક શહેર ઇઝરાયલનું મુખ્ય વ્યાપારી, નાણાકીય, ઔદ્યોગિક અને રાજકીય કેન્દ્ર છે. તે ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠે નૈઋત્ય તરફ આશરે 80 કિમી. તથા જેરૂસલેમથી વાયવ્ય હાઇફાથી આશરે 56 કિમી. દૂર આવેલું છે. વિસ્તાર : 1516 ચોકિમી., તેની વસ્તી : 41,56,000 (2023, આશરે) છે. ઇઝરાયલની રચના પહેલાં તે એકમાત્ર યહૂદી વસ્તી ધરાવતું નગર હોઈને તેના મધ્યવર્તી સ્થાનને લઈને તે વ્યાપારી, રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સૌથી વધારે મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું હતું. ઔદ્યોગિક કેન્દ્ર તરીકેના તેના વિકાસમાં મોટી સંખ્યામાં બહારથી આવેલ ટૅકનિકલ અને સંચાલકીય કૌશલ ધરાવતા લોકો અને મૂડીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કાપડ, ઇલેક્ટ્રૉનિક્સ, ખાદ્ય-પ્રક્રમણ, રસાયણ, દવાઓ તથા યંત્રોના ઉત્પાદનને લગતા ઉદ્યોગો અહીં મુખ્ય છે. બૅંકો, શૅરબજાર, ચેમ્બર ઑવ્ કૉમર્સ તથા શ્રમ-સંઘનાં વડાં મથકો પણ તેલ-અવીવ ખાતે આવેલ છે. દેશના તમામ રાજકીય પક્ષોની વડી કચેરીઓ પણ અહીં છે. તેલ-અવીવમાંથી તમામ મુખ્ય અખબારોનું પ્રકાશન થાય છે.

ભૂમધ્ય સમુદ્રના કિનારે તેલ-અવીવ શહેર

1933માં હાઇફા ખાતે આધુનિક બંદરની શરૂઆત થતાં તેલ-અવીવ તથા જાફા ખાતેનાં નાનાં બંદરો બંધ કરવામાં આવ્યાં. રેલ માર્ગે તે હાઇફા, જેરૂસલેમ તથા બેરસેબા સાથે સંકલિત છે. ઇઝરાયલનાં તમામ નગરો સાથે તે અદ્યતન વિશાળ માર્ગોથી જોડાયેલું છે. લૉડ તેનું આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે. ઇલાથ તથા ગેલીલી સાથેનો વિમાની સંપર્ક સ્થાનિક હવાઈ મથકેથી થાય છે. ઇઝરાયલની કલા અને રંગમંચની પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ તેલ-અવીવ બની રહ્યું છે. ત્યાં આવેલાં હાબીમા અને ચૅમ્બર નાટ્યગૃહો સુપ્રસિદ્ધ છે. ઇઝરાયલી ફિલહાર્મોનિક ઑરકેસ્ટ્રા તથા ઑપેરા પણ અહીંનું આકર્ષણ છે. તેલ-અવીવ યુનિવર્સિટીની સ્થાપના 1956માં થઈ. ‘શેલોમ ટાવર્સ’ નામની 32 માળની બહુમાળી ઇમારત યુનિવર્સિટીના કૅમ્પસની આભામાં વધારો કરે છે. તેનો શરૂઆતનો વિકાસ જાફાથી દૂર ઉત્તર તરફ મુગરાબી ચૉક સુધીનો હતો. 1930ના દાયકા દરમિયાન દરિયાકાંઠાની સાંકડી રેતાળ પટ્ટીને પગલે પગલે ઉત્તરમાં આવેલ યાર્કોન નદી સુધી તે વિસ્તર્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) પછી યહૂદી વસાહતીઓના ધસારાને સમાવવા માટે નવાં ઉપનગરો રચવામાં આવ્યાં અને તેનો વિસ્તાર નગરની પૂર્વ દિશાએ આગળ વધ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તેલ-અવીવ, પૃ. 922 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેલ-અવીવ/)

Categories
વાચન સમૃદ્ધિ

રામ વી. સુતાર

જ. 19 ફેબ્રુઆરી, 1925 અ. 8 ડિસેમ્બર, 2025

ભારતીય શિલ્પકાર રામ વણજી સુતારનો જન્મ બૉમ્બે પ્રેસિડેન્સીના ખાનદેશ જિલ્લાના ગોંડુર ગામમાં વિશ્વકર્મા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ કલા તરફની રુચિ તેમને મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં દોરી ગઈ. ત્યાં તાલીમ લીધી અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. તેઓ કહેતા કે, તેમણે શિલ્પો તરફની રુચિ અજંતા અને ઇલોરા ગુફાનાં શિલ્પોમાંથી મેળવી. તેઓ 1950નાં પાછલાં વર્ષોમાં મંદિરોની મૂર્તિઓને પુનઃપ્રસ્થાપનાનું કાર્ય કરતા તેથી શિલ્પકળામાં વધુ ને વધુ હથોટી કેળવતા ગયા. તેમણે ઇટાલિયન શિલ્પો પાસેથી વસ્ત્રો પર પડતી સળોને અપનાવી. તેમણે ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રચના કરી છે. 14 મીટર ઊંચા ચંબલ સ્મારક તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ બનાવી હતી, જેની નકલ કરીને અન્ય દેશોમાં મોકલવામાં આવી છે. તેમણે ભારતીય સંસદસ્થિત મહાત્મા ગાંધીની બેઠેલી સ્થિતિમાં પ્રતિમાની ડિઝાઇન કરી હતી. તેની મોટી પ્રતિકૃતિ તેમણે વિધાનસભા ખાતે બનાવી હતી. આ ઉપરાંત બૅંગાલુરુ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 33 મીટર ઊંચી કૅમ્પ ગૌડાની પ્રતિમાના ડિઝાઇનર પણ તેઓ હતા. 2008માં તેમણે કૃષ્ણ-અર્જુન રથની કાંસ્ય પ્રતિમા બનાવી હતી. બ્રિસ્બેનના ભારતીય સમુદાયે રોમા સ્ટ્રીટ પાર્કલૅન્ડ ખાતે રામ. વી. સુતાર અને અનિલ સુતાર દ્વારા બનાવવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી, જેનું અનાવરણ 2014માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને 1999માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઑક્ટોબર, 2018માં તેમને 2016ના સાંસ્કૃતિક સંવાદિતા માટે ટાગોર પુરસ્કાર મળ્યો હતો. તેમને રાજ્ય સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણ પસંદ કરવામાં આવ્યા હતા, જેની જાણકારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 20 માર્ચ, 2025ના રોજ વિધાનસભાને આપી હતી.