Categories
વાચન સમૃદ્ધિ

પરમ કર્તવ્યને ક્યારેય યાદ કરે છે ખરો ?

આજે સમાજમાં માણસ બીજાના પર જવાબદારીનો ટોપલો ઓઢાડવા માટે અતિ આતુર છે. ‘આ તમારું કામ છે’ ત્યાંથી માંડીને ‘આ તમારી જવાબદારી છે’ ત્યાં સુધીનાં સૂચનો, શિખામણો અને સલાહો આપતો હોય છે. એને બીજાને એમની જવાબદારી શિખવાડવામાં જેટલો રસ છે, એટલો રસ પોતાની જવાબદારી શી છે એ વિશે વિચારવામાં નથી. એ મોટા  ભાગે પોતાની મર્યાદાઓ માટે કુટુંબ, સમાજ કે રાષ્ટ્રને દોષ આપતો હોય છે. આનું કારણ શું ? આનું કારણ એટલું જ કે માણસને પોતાની જવાબદારી શી છે, એ વિશે વિચાર કરતી વખતે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એને ખ્યાલ જ નથી કે એની જવાબદારી કઈ છે ? એ કોને વફાદાર છે ? એને પરિણામે જેના તરફ એની સૌથી મોટી જવાબદારી છે, એની સૌથી વધુ ઉપેક્ષા કરે છે. વ્યક્તિની સૌથી મોટી જવાબદારી એના આત્મા પ્રત્યે છે, પણ માનવી ભાગ્યે જ પોતાના આત્માનો વિચાર કરતો હોય છે. એ બીજાની દુર્ગતિ વિશે જેટલું બોલતો હોય છે, એમાંનું કશુંય પોતાની સારી ગતિ વિશે વિચારતો નથી, આથી એની ખરી જવાબદારી પોતાના આત્મા પ્રત્યે છે અને એ આત્મા જ એના સુખ અને દુ:ખનું કારણ છે. એ પોતાના સુખ માટે ભૌતિક વસ્તુઓને મહત્ત્વ આપે છે અને પોતાના દુ:ખ માટે બીજાને દોષ આપે છે. જો એ સમજે કે આત્માને યોગ્ય માર્ગે ગતિ આપવાની પોતાની જવાબદારીમાંથી એ ચૂક્યો છે, તો જ એને સચ્ચાઈનો ખ્યાલ આવે. આ આત્મા મળ્યો છે, એને ઉચ્ચ માર્ગે લઈ જવો, પછી તેને તમે મુક્તિ કહો કે મોક્ષ, તે વ્યક્તિનું પરમ કર્તવ્ય છે. વક્રતા તો એ છે કે એ જીવનમાં પરિવારની, કુટુંબની કે રાષ્ટ્રની જવાબદારીનો વિચાર કરે છે પણ ક્યારેય એ પોતાના પરમ કર્તવ્યનો વિચાર કરતો નથી.

Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ વિલાયતખાંસાહેબ

જ. ૨૮ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૧૩ માર્ચ, ૨૦૦૪

ભારતીય શાસ્ત્રીય પરંપરાના જાણીતા સિતારવાદક. સંગીતનિર્દેશક, સિતારવાદક ઉસ્તાદ ઇનાયતખાં તથા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા નસીરન બેગમના પુત્ર વિલાયતખાં મોખરાના સિતારવાદકોમાં સ્થાન ધરાવે છે. માતા-પિતા – બંનેનાં કુટુંબો પેઢીઓથી સંગીતની સાધના તેમજ વ્યવસાયમાં હોવાને કારણે વિલાયતખાંના જીવનનું એકમાત્ર ધ્યેય સંગીત હતું. સંગીતોપયોગી કંઠ ધરાવવા છતાં વિલાયતખાં કંઠ્ય સંગીતને બદલે સિતારવાદન તરફ વળે એવી એમનાં માતાની ઇચ્છાને વશ એમણે સિતારવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી. દાદાના નામથી બનેલું ઇમદાદખાની ઘરાનું વિલાયતખાંની સિતાર સાથે વધુ લોકપ્રિય બન્યું. તેર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં એમની ઉપર કૌટુંબિક જવાબદારીઓ આવી પડવાને કારણે કિશોર વયમાં અનેક કષ્ટો વેઠવાં પડ્યાં. જે દુ:ખોની પીડાની અનુભૂતિને કારણે એમના સંગીતમાં લાગણી પણ વાચા પામતી હતી એવું તેઓ કહેતા. પિતાના અવસાન પછી કાકા વાહિદખાં તથા નાના બંદેહસન પાસે સંગીતની તાલીમ લીધી. ગાયકી અંગેનું સિતારવાદન એ એમની આગવી ઓળખ હતી. અત્યંત સ્વાભિમાની તેમજ અલગ મિજાજના સિતારવાદક એવા વિલાયતખાંએ ભારત સરકાર તરફથી મળતા પદ્મભૂષણના સન્માનનો અસ્વીકાર કર્યો હતો. ‘આફતાબ-એ-સિતાર’, ‘ભારત સિતાર સમ્રાટ’, ‘સન ઑફ ધ સિતાર’ જેવાં સન્માનો એમણે સ્વીકાર્યાં હતાં. એમના પુત્ર શુજાતહુસેનખાં, હિદાયતખાં પણ ખ્યાતનામ સિતારવાદક છે. સત્યજિત રેની ફિલ્મ ‘જલસાઘર’માં વિલાયતખાં દ્વારા સ્વરબદ્ધ થયેલું પશ્ચાદભૂ સંગીતે ફિલ્મની કલાત્મકતાને વધુ નિખારી હતી. વિલાયતખાંના શિષ્યોમાં કાશીનાથ મુખરજી, અરિંવદ પરીખ, હસુ પટેલનો સમાવેશ થાય છે. ફેફસાંના કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ડબલિન

આયર્લૅન્ડ પ્રજાસત્તાકનું પાટનગર, સૌથી મોટું શહેર અને આ જ નામ ધરાવતું પરગણું. ભૌગોલિક સ્થાન : ૫૩° ૨૦´ ઉ. અ. અને ૬° ૧૫´ પ.રે.. દેશના દક્ષિણ કાંઠા પર લેનસ્ટર પ્રાંતમાં આવેલું આ નગર લિફી નદીના બંને કાંઠે વસેલું છે અને ડબલિનના ઉપસાગરથી ત્રણ કિમી. દૂર છે. પ્રાચીન આયરિશ ભાષા ગૅલિકમાં તેનું નામ ‘બ્લા ક્લીઆ’ બોલાય છે. આધુનિક આયરિશ ભાષાના ડભલીન (Dubh Linn – black pool) પરથી તેનું નામ ‘ડબલિન’ પડ્યું છે. શહેરની દક્ષિણ બાજુની સામેના ભાગમાં  ૬૦૦ મી. ઊંચો વિકલો ડુંગર છે. દેશના અંદરના ભાગમાં જવાનો માર્ગ અહીંથી શરૂ થાય છે. મહાનગરનો કુલ વિસ્તાર ૧૧,૭૫૮ ચોકિમી. તથા નગરની વસ્તી ૫,૯૨,૭૦૦ (૨૦૨૪, આશરે) તથા મહાનગરની વસ્તી ૧૫,૩૪,૦૦૦ (૨૦૨૪, આશરે) છે. દેશની કુલ વસ્તીના આશરે ૩૦% લોકો આ પરગણામાં રહે છે. શિયાળામાં જાન્યુઆરી માસમાં ડબલિનનું તાપમાન સરેરાશ ૬° સે. હોય છે. શિયાળો ગરમ પ્રવાહની અસરને કારણે પ્રમાણમાં હળવો હોય છે. ઉનાળાનું જુલાઈ માસનું તાપમાન સરેરાશ ૧૫° સે. હોય છે. ઉનાળો એકંદરે શીતળ અને આહલાદક હોય છે. દર વરસે સરેરાશ ૭૫૦ મિમી. વરસાદ પડે છે.

ડબલિન નગર

જંગલો કપાઈ જવાથી કુદરતી વનસ્પતિ ખાસ રહી નથી પણ પર્ણપાતી (ડેસિડ્યુઅસ) પ્રકારનાં ઓક, બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે. જમીન સમતલ અને ફળદ્રૂપ છે. શહેર ફરતી ટેકરીઓ છે. જવ, ઘઉં, બટાકા, શાકભાજી તથા ફળફળાદિ વગેરે મુખ્ય પેદાશો છે. લોકો ઢોર, ભુંડ, ઘોડા વગેરે ઉછેરે છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. ડબલિન  આયર્લૅન્ડનું સૌથી મહત્ત્વનું વાણિજ્ય અને ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનો, વીજળીનાં ઉપકરણો, પ્રક્રમણ કરેલ એમાં ખાદ્ય પદાર્થો, દારૂ, સિગારેટ, કાચ, વહાણો, કાગળ, સ્ટીમરો તથા કાપડ વગેરેના નાના ઉદ્યોગો વિક્સ્યા છે. એક જમાનામાં તે ગરમ, સુતરાઉ અને રેશમી કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું. આ સિવાય હૅટ અને ખેતીનાં સાધનો બનાવવાં તથા મચ્છીમારી અને પ્રવાસનના ઉદ્યોગો મહત્ત્વના છે. રૉયલ અને ગ્રાન્ડ કૅનાલ દ્વારા લિફી નદી અને શેનોન નદીનું જોડાણ થયું છે. ડબલિનનું બંદર પૂર્વ કિનારાના મધ્યભાગે આવેલું છે. રસ્તાઓ અને રેલવે દ્વારા તે આયર્લૅન્ડનાં અન્ય મહત્ત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે. લિફી નદીના ધક્કા સુધી નાનાં વહાણો આવે છે. બીફ, ખોરાકી ચીજો અને ઢોરની નિકાસ થાય છે જ્યારે કોલસો, પેટ્રોલિયમ તથા તેની પેદાશો, યંત્રો, દવા, ચા વગેરેની આયાત થાય છે. આયરિશ પ્રજાસત્તાક રાજ્યનો ૫૦% જેટલો વિદેશ વેપાર ડબલિનના બંદર હસ્તક છે. ફિનિક્સ પાર્કમાં જેમ્સ જોઇસનું સંગ્રહસ્સ્થાન છે. નૅશનલ લાઇબ્રેરી અને નૅશનલ મ્યુઝિયમનાં મકાનો ઓગણીસમી સદીનાં છે. રાષ્ટ્રીય સંગ્રહસ્થાનમાં આયર્લૅન્ડની પ્રાચીન વસ્તુઓનો ભંડાર છે. તેની જૂની યુનિવર્સિટીની શરૂઆત ટ્રિનિટી કૉલેજ તરીકે ૧૫૯૧માં થઈ હતી, જ્યારે રોમન કૅથલિક યુનિવર્સિટી ૧૮૫૧માં શરૂ થઈ હતી. ૧૯૦૨માં ઍબી થિયેટર સ્થપાયું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ડબલિન, પૃ. ૪૫૬)