Categories
વાચન સમૃદ્ધિ

ઇસ્મત ચુગતાઇ

જ. ૨૧ ઑગસ્ટ, ૧૯૧૫ અ. ૨૪ ઑક્ટોબર, ૧૯૯૧

ભારતીય ઉર્દૂ નવલકથાકાર, ટૂંકી વાર્તા-લેખિકા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતાં લેખિકા. ઇસ્મત ચુગતાઇનો જન્મ ઉત્તરપ્રદેશના બદાયૂંમાં થયો હતો. નાનપણથી જ બંડખોર સ્વભાવ ધરાવતાં ઇસ્મતે ઘર અને સમાજનો ઉગ્ર વિરોધ છતાં શાળા અને કૉલેજનું પણ શિક્ષણ લીધું. ૧૯૩૮માં લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી અને ૧૯૩૯માં અલીગઢ યુનિવર્સિટીમાંથી બી.ઍડ્.ની ડિગ્રી મેળવી. આમ બબ્બે ડિગ્રી મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ મહિલા હતાં. તેઓ બરેલીની મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષિકા બન્યાં અને એક વર્ષ બાદ મુંબઈની મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં સુપરિન્ટેન્ડેન્ટ બન્યાં. આ સાથે તેમણે ટૂંકી વાર્તાઓ લખી સાહિત્યક્ષેત્રે પણ પદાર્પણ કર્યું. ઉર્દૂ સામયિક ‘સાકી’ માટે ‘ફસાદી’ નામનું નાટક એ તેમનું પ્રથમ પ્રકાશિત લેખન હતું. તેમની શરૂઆતની કૃતિઓમાં ‘બચપન’, ‘કાફિર’ અને ‘ઘીત’નો સમાવેશ થાય છે. આદર્શવાદના સ્થાને વાસ્તવિકતાને મહત્ત્વ આપતા સમાજમાં પ્રવર્તતા દંભ, મહિલાઓ પર લાદવામાં આવતાં નિયંત્રણો, કુંઠિત જીવનમાંથી ઉદભવતા અવૈધ સંબંધો અને દૂષણોનો ચિતાર વેધકતાથી નિરૂપતાં. પરદામાં રહેતી સ્ત્રીઓની ઈર્ષા અને જાતીય વિકૃતિઓને રજૂ કરતી પોતાની વાર્તા ‘લિહાફ’ (રજાઈ) ૧૯૪૪માં તેમણે પ્રગટ કરી ત્યારે સાહિત્યકારોમાં ઊહાપોહ થયો અને લાહોર અદાલતમાં અશ્લીલતા નિરૂપવાના આરોપ બદલ કેસ ચાલ્યો. આ ઉપરાંત ‘ચૌથી કા જોડા’, ‘દો હાથ’ અને ‘બેકાર’ જેવી વાર્તાઓ જાતીય સંબંધોને સ્પર્શે છે. તેમણે ‘ગર્મ હવા’, ‘સોને કી ચિડિયા’ અને ‘જિદ્દી’ તથા ‘આરઝૂ’ ફિલ્મો માટે પટકથા પણ લખેલી. શાહિદ લતીફ નામના પટકથાલેખક સાથે લગ્ન કરી ‘ફિલ્મ ઇન્ડિયા કૉર્પોરેશન’ નામની કંપની સ્થાપી પાંચ ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમણે ૮ વાર્તાસંગ્રહો, ૭ નવલકથાઓની રચના કરી છે અને ઘણાના અંગ્રેજી અનુવાદો પણ થયા છે. તેમને ઉર્દૂ સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ગાલિબ પુરસ્કાર’, ‘ઇકબાલ સંમેલન’ અને ‘સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ’ પણ એનાયત થયેલ છે. તેમની વાર્તા ‘ગર્મ હવા’ને શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મ અને ફિલ્મફેર ઍવૉર્ડ મળેલ છે. ૧૯૭૬માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી તેમને સન્માનિત કરવમાં આવ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

સાંત્વના અને આશ્વાસન સત્યથી વેગળું છે

જેને આધાર રૂપે સ્વીકારીને વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન જેના પર ટેકવી દે છે એ સત્ય છે કે માત્ર સાંત્વના છે, એની એણે ખોજ કરવી જોઈએ. વ્યક્તિ સત્ય પામવા રાજી હોતો નથી, કારણ કે એ સત્ય આકરું હોય છે અને એની પ્રાપ્તિ માટે ઘણી તાવણીમાં તપવું પડે છે. સત્ય એ કોઈ જાતની બાંધછોડ કે શિક્ષક કહેશે તોપણ હું ચોરી નહીં કરું. એમાં સત્યનો સ્વીકાર છે, જ્યારે સાંત્વના શોધનારો માણસ એમ કહેશે કે જ્યારે શિક્ષક જ ચોરી કરવાનું કહે છે, તો પછી ચોરી કરવામાં વાંધો શો ? ચોરી કરી શકાય. આમ સાંત્વના એ કોઈ એક એવું આશ્વાસન શોધી કાઢશે અને પછી વ્યક્તિ એને સર્વમાન્ય ગણીને એનું જીવન ગાળતો રહેશે. આવી સાંત્વનાઓની જનની જૂઠાણું છે. એક ખોટી કે જુઠ્ઠી વાતને સ્વીકારીને વ્યક્તિ એમાંથી આશ્વાસન મેળવતો હોય છે. એ પોતાની નિષ્ફળતાને સમજવાને બદલે પોતાનાં કર્મોને દોષ આપતો હોય છે. ક્યારેક તો પૂર્વજન્મમાં કરેલાં કાર્યોને કારણે આવું થયું હશે એમ કહીને મનને મનાવતો હોય છે. ક્યારેક એ ઋણાનુબંધનો આશરો લેતો હોય છે અને જેની સાથે એને દુર્ભાવ હોય, એને અંગે એમ માનતો હોય છે કે એની સાથે એનો ઋણાનુબંધ નથી ! ક્યારેક આવી સાંત્વના મેળવવા માટે એ તંત્ર, મંત્ર કે જ્યોતિષનો આશરો લેતો હોય છે અને જ્યોતિષી એને એમ કહે કે એના જીવન પર કોઈ ગ્રહની કુદૃષ્ટિ છે એટલે એ જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓને માટે ગ્રહની કુદૃષ્ટિનું આશ્વાસન મેળવી લે છે. આમ અસત્ય વસ્તુઓને પણ પરમ સત્ય તરીકે સ્વીકારવા લાગે છે અને એનું પરિણામ એ આવે છે કે એનું આખુંય જીવન એ સાંત્વના અને આશ્વાસનનાં સ્થાનો શોધવામાં જાય છે. સત્યના સૂર્યનું એક કિરણ પણ એને લાધતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ ગુરુ

જ. ૨૦ ઑગસ્ટ, ૧૮૫૪ અ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૮

કેરળના સમાજસુધારક સંતનો જન્મ ચેમ્પાઝન્તી ગામે એળુવા નામની અસ્પૃશ્ય મનાતી જાતિમાં થયો હતો. પિતાનું નામ માતન આશન અને માતાનું નામ કુટ્ટી અમ્મા. પિતા મલયાળમ અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. વૈદ્ય હોવાથી ઘણા લોકો તેમની પાસે ઉપચાર માટે આવતા. લોકો તેમને લાડમાં ‘નાણુ’ કહેતા. ઘરનું વાતાવરણ સંસ્કારી હતું. તેમની માતાનું તેમની બાલ્યાવસ્થામાં જ અવસાન થયું હતું. તેમણે રામન પિળ્ળૈ નામના વિદ્વાન પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ૧૮૭૬થી ૧૮૭૯ના ત્રણ વર્ષમાં તેમણે તમિળ, સંસ્કૃત ભાષા તથા વેદાન્તનું અધ્યયન કર્યું. પિતા પાસેથી આયુર્વેદનું શિક્ષણ મેળવ્યું. ચટ્ટામ્પિ સ્વામી તથા તૈક્કડ અય્યુવૂ યોગીઓના માર્ગદર્શન નીચે યોગનો અભ્યાસ કર્યો. કન્યાકુમારીમાં મરુતવાભલૈ નામના સ્થળે પિલ્લાથાઈમ ગુફામાં તેમણે ઘોર તપસ્યા કરી. પછી સમાજજીવનના નિરીક્ષણ માટે તમિળનાડુ તથા કેરળમાં વિવિધ સ્થળે યાત્રા કરી. નારાયણે સમાજસુધારાનું કાર્ય શરૂ કર્યું. તેમણે પહેલું કાર્ય અસ્પૃશ્યો માટે મંદિરનું નિર્માણ કર્યું. અરુવિપ્પુરમ્ ગામે નેપ્યાર નદીના કાંઠે ૧૮૮૮માં શિવાલય બનાવ્યું અને ત્યાં પોતાનો સ્થાયી આશ્રમ સ્થાપ્યો. તેમણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌને આવકાર્યા. તેમાં શિક્ષણ અને આરોગ્યને પ્રથમ સ્થાન આપ્યું. તેમણે ઠેર ઠેર મંદિરો બંધાવ્યાં. અસ્પૃશ્ય વર્ગને સંન્યાસ લેવાની સગવડ કરી આપી. ૧૮૯૪માં ગુરુના આશ્રમમાં કુમારન્ આશન જોડાયા. પાછળથી તે મલયાળમ ભાષાના મહાકવિ કહેવાયા. ૧૮૯૭માં ગુરુએ અરુવિપ્પુરમમાં મલયાળમ ભાષામાં વેદાન્તના મહાગ્રંથ ‘આત્મોપદેશતકમ’ની રચના કરી. ‘સદાચાર એ જ સાચો ધર્મ’ – એમ તેમણે લોકોને શીખવ્યું. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરેલી. ૧૯૨૨માં રવીન્દ્રનાથ ટાગોરે અને ૧૯૨૫માં ગાંધીજીએ પણ આશ્રમની મુલાકાત લીધેલી. જીવનના અંતિમ વર્ષ સુધી તેઓ પ્રવૃત્તિશીલ રહેલા. બરકમ ગામે મહાસમાધિપૂર્વક તેમણે દેહત્યાગ કર્યો હતો.