Categories
વાચન સમૃદ્ધિ

અરદેશર દારાબશા શ્રોફ

જ. ૪ જૂન, ૧૮૯૯ અ. ૨૭ ઑક્ટોબર, ૧૯૬૫

ઉદ્યોગપતિ, બૅન્કર, કુશળ વહીવટકાર અને બાહોશ અર્થશાસ્ત્રી અરદેશરનો જન્મ મુંબઈમાં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને લંડન યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ અમેરિકન ચેઇઝ બૅન્કમાં જોડાયા હતા. ભારત પરત આવી સિડનહામ કૉલેજ ઑવ્ કૉમર્સમાં એડવાન્સ બૅન્કિંગ વિષયના પ્રાધ્યાપક તરીકે પણ કામગીરી બજાવી હતી. ત્યારબાદ પંદર વર્ષમાં શૅરદલાલ તરીકે સફળતા પ્રાપ્ત કરી અને એક ગણનાપાત્ર શૅરદલાલ તરીકે તેઓ તાતા જૂથમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. ૧૯૪૪માં બ્રેટન વુડ્ઝ ખાતે મળેલ વિશ્વ નાણાકીય અધિવેશનમાં તેઓ પ્રતિનિધિ તરીકે ગયા અને ત્યાં ભારતનો દાવો સબળતાથી રજૂ કર્યો. ૧૯૫૪માં મુક્ત સાહસ અને લોકશાહી વિચારસરણીનો પ્રચાર થાય તે માટે ફોરમ ઑવ્ ફ્રી એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી હતી. દેશના વિકાસની દૃષ્ટિએ અમુક ઉદ્યોગો સરકારે જ ચલાવવા જોઈએ. તેઓ જાહેર અને ખાનગી સ્પર્ધાના વિરોધી હતા. તેઓ ન્યૂ ઇન્ડિયા એશ્યૉરન્સ કંપની લિમિટેડ અને ટાટા ટેક્સ્ટાઇલ જૂથના ચૅરમૅન પણ રહ્યા હતા. તેમણે ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તથા બૉમ્બે શૅરહોલ્ડર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે તથા અન્ય અનેક સંસ્થામાં કોઈ ને કોઈ સભ્યપદે રહી જે તે કંપનીની સેવા કરી હતી. ઊંડી સૂઝ ધરાવનાર અર્થશાસ્ત્રી, પ્રામાણિક સજ્જન તરીકે પ્રસિદ્ધ એ. ડી. શ્રોફ ૧૯૬૦માં તાતા સન્સ લિમિટેડના ડિરેક્ટરપદેથી નિવૃત્ત થયા હતા. ૧૯૯૯માં ભારત સરકાર તરફથી તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. પત્રકાર સુચેતા દલાલે તેમની જીવનકથા ઈ. સ. ૨૦૦૦માં પ્રકાશિત કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

આપત્તિનો આશીર્વાદ

અમેરિકાનો ઉદ્યોગસાહસિક, શોધક અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર સ્ટીવ જોબ્સ(જ. ૧૯૫૫, અ. ૨૦૧૧)ને જન્મથી જ દત્તક લેવામાં આવ્યો હતો. માત્ર થોડો સમય રીડ કૉલેજમાં અભ્યાસ કર્યો. ૧૯૭૪માં આંતરિક શાંતિ મેળવવા અને ઝેનનો અભ્યાસ કરવા ભારત આવ્યો. એ પછી ઍપલ કંપનીનો સહસ્થાપક બન્યો. એ પછી પણ સ્ટીવ જોબ્સના જીવનમાં એનું આખું અસ્તિત્વ હચમચી ઊઠે તેવી ઘટનાઓ બની. વીસ વર્ષની ઉંમરે સ્ટીવ વોઝનેટની સાથે પોતાના ઘરના ભંડકિયામાં એણે ઍપલ કમ્પ્યૂટર બનાવ્યું અને માત્ર દસ વર્ષમાં તો ભંડકિયામાંથી શરૂ થયેલો આ પ્રયત્ન ઍપલ કંપનીમાં પરિવર્તિત થયો. બે અબજ ડૉલર અને ચાર હજાર કર્મચારીઓ ધરાવતી ઍપલ કંપનીમાં મેકિન્ટોસ કમ્પ્યૂટર બનાવ્યું, પણ ત્રીસ વર્ષની વયે મતભેદો થતાં સ્ટીવ જોબ્સને પોતે સ્થાપેલી કંપનીમાંથી પાણીચું મળ્યું. દુનિયા આખીએ એક તમાશાની માફક આ ઘટના જોઈ, પણ સ્ટીવ જોબ્સે વિચાર્યું કે ભલે મારી અવગણના થઈ હોય છતાં કાર્યો પ્રત્યેનો મારો પ્રેમ તો એટલો જ સાબૂત છે. એણે નવેસરથી શરૂઆત કરી. ફરી નવી સર્જનાત્મક સિદ્ધિઓ પ્રાપ્ત થતી ગઈ. પછીનાં પાંચ વર્ષ એણે પોતાની કંપની ‘નેક્સ્ટ’ સ્થાપવામાં પસાર કર્યાં. એ પછી બીજી કંપની ‘પિક્સલ’ સ્થાપી અને એ કંપનીએ ‘ટૉય સ્ટોરીઝ’ નામની પહેલી કમ્પ્યૂટર ઍનિમેટેડ ફિલ્મ બનાવી. આ પ્રયાસોએ સ્ટીવ જોબ્સને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી. સ્ટીવ જોબ્સનો ઍનિમેશન સ્ટુડિયો અભૂતપૂર્વ સફળતાને પામ્યો. ઘટનાઓ એવી બનતી ગઈ કે ઍપલ કંપનીએ ફરી સ્ટીવ જોબ્સને બોલાવ્યો. સ્ટીવ જોબ્સે નેક્સ્ટમાં જે ટૅકનૉલૉજી વિકસાવી હતી, તે ફરી ઍપલના પુનરુત્થાનનું કારણ બની. યુવાનીના એ સમયગાળામાં સ્ટીવ જોબ્સ એ શીખ્યો કે જિંદગીમાં ગમે તેવી આપત્તિ આવે, તોપણ હિંમત હારવી નહીં. અને માનવા લાગ્યો કે ઍપલમાંથી મળેલી રુખસદ આશીર્વાદરૂપ બની, કારણ કે જો ઍપલમાંથી એની હકાલપટ્ટી થઈ ન હોત તો આવા ટૅકનૉલૉજીના નવા વિશાળ ક્ષેત્રની ખોજ કરવાની એની સર્જનશીલતાને તક સાંપડી ન હોત.

Categories
વાચન સમૃદ્ધિ

તરલા દલાલ

જ. ૩ જૂન, ૧૯૩૬ અ. ૬ નવેમ્બર, ૨૦૧૩

પાકશાસ્ત્રનાં નિષ્ણાત, રાંધણકળાનાં પુસ્તકોનાં લેખિકા તરલાબહેનનો જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને તેઓનો ઉછેર પુણેમાં થયો હતો. ૧૯૬૦માં તેઓ નલિન દલાલને પરણી મુંબઈમાં સ્થાયી થયાં. તેમના પતિના પ્રોત્સાહનને લીધે તરલાબહેને રાંધણકળામાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું. સૌપ્રથમ તેઓએ વિદેશી વાનગીઓને શાકાહારી ઢબે રજૂ કરી. ૧૯૬૬માં તેઓએ આ માટેના વર્ગો પોતાના ઘરમાં શરૂ કર્યા. તેમની વાનગીની રીતમાં ચોક્કસ માપમાં કઈ સામગ્રી લેવી, તેમાંથી તબક્કાવાર વાનગી બનાવવાની રીત, ચોક્કસ માપ તથા કેટલી વ્યક્તિઓને વાનગી પૂરી પડશે તે બધી વાત ખૂબ ચોકસાઈથી મૂકતાં હતાં. પરિણામે નવા નિશાળિયા પણ તેમની વાનગીની રીત પ્રમાણે સહેલાઈથી બનાવી શકતા. આ પછી તેમની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધતી ગઈ. તેમનું નામ રાંધણકળાના સંદર્ભે ઘેર ઘેર જાણીતું થઈ ગયું. તેમના વર્ગમાં જોડાવા માટે છોકરીઓની લાંબી કતાર થવા લાગી. ૧૯૭૪માં વાનગીઓ બનાવવાનું પ્રથમ પુસ્તક ‘ધ પ્લેઝર ઑફ વેજિટેરિયન કૂકિંગ’ લખ્યું. ત્યારબાદ તેઓએ આશરે એકસો વિષયો પર રાંધણકળાનાં પુસ્તકો લખ્યાં. જેની ૩૦ લાખથી વધારે નકલ વેચાઈ. તેમનાં પુસ્તકોનો અનુવાદ હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ડચ અને રશિયન ભાષાઓમાં થયો છે. તેઓ કાયમ સમયની સાથે રહ્યાં અને સમયની માંગ મુજબ જે અનિવાર્ય હતું તે કરતાં ગયાં. તેઓએ ટીવી પર રાંધણકળાનો કાર્યક્રમ ચાલુ કર્યો – ‘કૂક ઇટ અપ વિથ તરલા દલાલ’ અને ‘તરલા દલાલ શો’ વગેરે. આ કાર્યક્રમો ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયા, ગલ્ફના દેશો, ઇંગ્લૅન્ડ તેમજ અમેરિકામાં પણ દર્શાવવામાં આવતા હતા. ૨૦૦૫માં તેઓને ‘વુમન ઑફ ધ યર’નું ટાઇટલ ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મળ્યું. ૨૦૦૭માં રાષ્ટ્રપતિ ડૉ. કલામના હાથે ‘પદ્મશ્રી’ એનાયત થયો. પાકશાસ્ત્રમાં ‘પદ્મશ્રી’ મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય છે.