Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ ટાગોર

જ. ૧ જૂન, ૧૮૪૨ અ. ૯ જાન્યુઆરી, ૧૯૨૩

તેઓ ભારતીય સનદી અધિકારી, કવિ, સંગીતકાર અને સમાજસુધારક તેમ જ ભાષાશાસ્ત્રી હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર સત્યેન્દ્રનાથ ટાગોરનો જન્મ મહર્ષિ દેબેન્દ્રનાથ ટાગોર અને શારદાદેવીને ત્યાં કૉલકાતાના જોરાસાંકોમાં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોર સહિત તેઓ નવ ભાઈ-બહેન હતાં. તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ભારતીય સિવિલ સર્વિસ(ICS)ના અધિકારી બનનારા પ્રથમ ભારતીય હતા. ૧૮૫૯માં તેમનાં લગ્ન જ્ઞાનનંદિનીદેવી સાથે થયાં અને ૧૮૬૨માં તેઓ લંડન ગયા. ત્યાં પ્રોબેશનરી તાલીમ લઈને પાછા આવ્યા અને ૧૮૬૪માં મુંબઈમાં સેવામાં જોડાયા. તેમણે આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે અમદાવાદમાં પણ કામગીરી કરી હતી. નોકરી દરમિયાન સમગ્ર ભારતમાં પ્રવાસ કરવાની તક મળી અને તેને કારણે તેઓ જુદી જુદી ભારતીય ભાષાઓ શીખ્યા. તેમણે તુકારામ અને બાલગંગાધરનાં પુસ્તકોનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે સંસ્કૃતમાંથી પણ બંગાળી ભાષામાં અનુવાદ કર્યા છે. સત્યેન્દ્રનાથ ટાગોર પાસેથી આપણને ‘સુશીલા ઓ બિરસિંહા, ‘બૉમ્બે ચિત્રા’, ‘નબરત્નમાલા’, ‘બૌદ્ધ ધર્મ’, ‘સ્ત્રીસ્વાધીનતા’, ‘ભારતબારસિયો ઇંગ્રેજ’, ‘રાજા રામમોહન રૉય’, ‘અમર બાલ્યાકોઠા’ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમણે મુખ્યત્વે ગીતો લખ્યાં છે. તેમનું દેશભક્તિપૂર્ણ બંગાળી ભાષાનું ગીત ‘મિલે સાબે ભારત સંતન, એકતાન ગાગો ગાન’ (એક થાઓ, ભારતનાં બાળકો, એક સ્વરમાં ગાય છે) જેને ભારતના પ્રથમ રાષ્ટ્રગીત તરીકે બિરદાવવામાં આવ્યું હતું. તેઓ બ્રહ્મોસમાજના સક્રિય સભ્ય હતા. ૧૯૦૭માં તેઓ આદિ બ્રહ્મોસમાજના પ્રમુખ બનેલા. તેમના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોર સાથે આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. ૧૯મી અને ૨૦મી સદીમાં સામાજિક અને ધાર્મિક વિચારોમાં પરિવર્તન લાવવામાં તેમનો સમાજસુધારક તરીકે મહત્ત્વનો ફાળો છે. નિવૃત્તિ પછી તેઓ કૉલકાતામાં સ્થાયી થયા અને તેમના ઘરે માત્ર સગાંઓ અને મિત્રો જ નહીં, પરંતુ કૉલકાતાના મહાનુભાવો પણ આવતા. તેમના ઘરે સાહિત્યની મજલિસ પણ થતી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ટબ્રિઝ (tabriz)

ઈરાનના પૂર્વ ઍઝારબૈજાન પ્રાંતની રાજધાની અને મુખ્ય શહેર. તેનું નામ ઈરાની ભાષાના ‘ટપરીઝ’ ઉપરથી પડ્યું છે, જેનો અર્થ વહેતી ગરમી થાય છે. તે આર્મેનિયા રાજ્યની સરહદથી દક્ષિણે ૯૭ કિમી., તુર્કસ્તાનથી પૂર્વમાં ૧૭૭ કિમી. અને ઉર્મિયા સરોવરથી આશરે ૫૫ કિમી. અંતરે છે. તે ૩૮° ઉ. અ. અને ૪૬° ૩´ પૂ. રે. ઉપર, કૂહઈ-સહંડ પર્વતની ઉત્તર તરફ છે. તે ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલું છે. ઈરાનનાં શહેરોમાં તેનું ચોથું સ્થાન છે. ૨૦૨૪માં તેની વસ્તી ૧૬ લાખ ૭૦ હજાર (આશરે) હતી. તેની આસપાસ ગરમ પાણીના ઝરાઓ આવેલા છે. આ સ્થળની આબોહવા ખંડસ્થ છે. ઉનાળો ગરમ અને સૂકો છે. દિવસનું સરેરાશ તાપમાન ૩૨°થી ૩૬° સે. રહે છે, જ્યારે રાત્રિનું તાપમાન ૧૧°થી ૧૭° સે. રહે છે. શિયાળામાં બરફ પડે છે ત્યારે તાપમાન –૮° સે. થઈ જાય છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આશરે ૬૩૫ મિમી. વરસાદ પડે છે. ટબ્રિઝ ધરતીકંપના વિસ્તારમાં છે. ઈ. સ. ૭૯૧, ૮૫૮, ૧૦૪૧, ૧૭૨૧, ૧૭૮૦, ૧૭૯૧ અને ૧૯૯૦માં થયેલા ધરતીકંપને લીધે જાન-માલની ખૂબ હાનિ થઈ હતી.

ટબ્રિઝ શહેર

તે મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે. હાથવણાટના કીમતી ગાલીચા અહીં તૈયાર થાય છે અને તેની નિકાસ થાય છે. આ ઉપરાંત ચામડાની વસ્તુઓ બનાવવાનાં, ખાદ્ય પદાર્થો, ગરમ, રેશમી અને સુતરાઉ કાપડ અને સૂતર, દીવાસળી, મોટરસાઇકલ, ઘરગથ્થુ વપરાશનાં સાધનો બનાવવાનાં કારખાનાં તથા ક્રૂડ ઑઇલ શુદ્ધ કરવાનું કારખાનું અહીં છે. તે ઇજિપ્ત અને મધ્ય એશિયાનાં શહેરોને જોડતા વણઝાર-માર્ગ ઉપર આવેલું હોવાથી ભૂતકાળમાં આ પ્રદેશો સાથે તેનો બહોળો વેપાર હતો. હાલ પાકા ધોરી માર્ગો તથા તહેરાન અને રશિયાના વર્ચસવાળા દેશો સાથે રેલવે અને ભૂમિમાર્ગો દ્વારા તે જોડાયેલું છે. તેનું વિમાનમથક આંતરિક સ્થળો અને બાહ્ય દેશોને સાંકળે છે. મૉંગોલ શહેનશાહ મહમૂદ ઘાઝાન(૧૨૯૫-૧૩૦૯)ના રાજ્યનું તે પાટનગર હતું. ૧૩૯૨માં તૈમૂરે તે જીતી લીધું હતું. કેટલાક દશકા બાદ તે કારા કોયુનબુ તુર્કોનું, ૧૪૩૬માં ઈરાનનું અને સોળમી સદીમાં શાહ ઇસ્માઇલના રાજ્યનું પાટનગર હતું. ઑટોમન તુર્ક અને રશિયાનાં આક્રમણોનું તે અવારનવાર ભોગ બન્યું હતું. ૧૮૨૬માં રશિયાએ તેના પર આક્રમણ કરેલું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શરૂઆતમાં તુર્કીએ અને ત્યારપછી રશિયાએ તે કબજે કર્યું હતું. ૧૯૪૬માં ઈરાની લશ્કરે ટબ્રિઝમાંના ઍઝરબૈજાન પ્રજાસત્તાકના મુખ્ય મથકનો નાશ કર્યો હતો. ૧૯૭૮-૭૯માં ઈરાનના શાહ વિરુદ્ધની ક્રાંતિને કારણે ત્યાં હુલ્લડો અને અથડામણો થઈ હતી. મસ્જિદ-એ-કબુદ તરીકે ઓળખાતી ‘ભૂરી મસ્જિદ’ (૧૪૬૫-૬૬), ઘાઝાન ખાનની બાર બાજુઓવાળી કબરના અવશેષો છે. ૧૩૨૨ પૂર્વે મસ્જિદ તરીકે બંધાયેલો કિલ્લો વગેરે જોવાલાયક છે. અહીં યુનિવર્સિટી સ્થપાતાં, વિદ્યાધામ તરીકે તેનો વિકાસ થયો છે — પ્રવાસધામ તરીકે પણ તેની ખ્યાતિ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

લાલા જગત નારાયણ

જ. ૩૧ મે, ૧૮૯૯ અ. ૯ સપ્ટેમ્બર, ૧૯૮૧

સંસદસભ્ય, પંજાબ વિધાનસભાના સભ્ય અને ધ હિંદ સમાચાર મીડિયા જૂથના સ્થાપક લાલા જગત નારાયણનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ ગુજરાંવાલા જિલ્લાના વઝીરાબાદ ખાતે થયો હતો. તેઓ ૧૯૧૯માં લાહોરની ડીએવી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લાહોરની એક લૉ કૉલેજમાં જોડાયા હતા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં જોડાવાના આહવાન પર તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમને અઢી વરસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ જેલવાસ દરમિયાન તેમણે લાલા લજપતરાયના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું. ૧૯૨૪માં ભાઈ પરમાનંદના હિન્દી ભાષાના સાપ્તાહિક ‘આકાશવાણી’ના સંપાદક બન્યા હતા. આઝાદીની ચળવળ અને અલગ અલગ પ્રસંગોએ તેઓ લગભગ નવેક વરસ જેલમાં રહ્યા હતા. લાલા જગત નારાયણ સાત વર્ષ સુધી લાહોર શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ, લાહોર કૉર્પોરેશનમાં કૉંગ્રેસ પક્ષના નેતા, ત્રીસ વર્ષથી વધુ સમય સુધી પંજાબ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય અને લગભગ ૩૦ વરસ સુધી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્યપદે રહ્યા હતા. ઇન્દિરા ગાંધીની કટોકટી દરમિયાન તેમને MISA હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેઓ પક્ષથી અલગ થઈ ગયા હતા. લાલા જગત નારાયણ લાહોરથી શરણાર્થી તરીકે જલંધર આવ્યા હતા અને તેમણે ૧૯૪૮માં ‘હિંદ સમાચાર’ નામનું ઉર્દૂ દૈનિક શરૂ કર્યું હતું. સ્વતંત્ર ભારતમાં ઉર્દૂને સરકારી  સમર્થન ન મળતાં, તેમણે ૧૯૬૫માં હિન્દી ભાષાના દૈનિક ‘પંજાબ કેસરી’ની સ્થાપના કરી હતી. પંજાબી સૂબા ચળવળ દરમિયાન ૧૯૫૭માં અકાલી દળે સ્વીકારેલ પ્રાદેશિક ફૉર્મ્યુલા, જે પંજાબમાં પંજાબી અને હિન્દી ભાષાઓને સમાન દરજ્જો આપવાનો પ્રસ્તાવ હતો તેનો વિરોધ કરવા માટે તેમણે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. ૧૯૯૮માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં નારાયણના નામે એક ચૅરની સ્થાપના કરવામાં આવી હતી અને ૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે લાલા જગત નારાયણની યાદમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી.