Categories
વાચન સમૃદ્ધિ

તક્ષશિલા

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે. ઈ. સ. પૂ.ના છઠ્ઠા સૈકામાં ઈરાનીઓની, બીજા સૈકામાં ઇન્ડો-બૅક્ટ્રિયનોની અને પહેલા સૈકામાં સીથિયનોની તો ઈસુના પ્રથમ સૈકામાં કુષાણોની અને પાંચમા સૈકામાં હૂણોની રાજસત્તા અહીં પ્રવર્તતી હતી. ઈસુના છઠ્ઠા સૈકામાં આ શહેરનો નાશ થયો. મધ્ય એશિયા અને ભારત વચ્ચેના વેપારી માર્ગ ઉપરનું સ્થાન હોઈ એનું રાજકીય મહત્ત્વ તો હતું જ, પણ એક વિદ્યાકેન્દ્ર તરીકેની એની ખ્યાતિ વિશ્વમાં હતી. ઈ. સ. પૂ. સાતમી સદીથી ઈસવી છઠ્ઠી સદી સુધી તક્ષશિલા અપ્રતિમ ખ્યાતિ ધરાવતું વિદ્યાકેન્દ્ર હતું. ઉજ્જયિની, મથુરા, મિથિલા, રાજગૃહ, વારાણસી જેવાં મહાનગરો તથા કુરુ–કોશલ જેવા પ્રદેશોમાંથી નાતજાતના ભેદભાવ વિના વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચશિક્ષણ લેવા આવતા હતા. આ વિદ્યાકેન્દ્ર ગુરુકુલ સ્વરૂપનું હતું. વિદ્યાર્થીઓ ગુરુ–આચાર્યને ઘેર રહેતા હતા. ગરીબ વિદ્યાર્થીઓ દિવસે ગુરુના ઘરનું કામ કરતા અને રાતે અભ્યાસ કરતા. શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા. વિષમ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

તક્ષશિલા ખાતેનો બૌદ્ધ સ્તૂપ

આચાર્ય જીવક, ભગવાન કૌટિલ્ય, વૈયાકરણી પાણિનિ, કોશલ સમ્રાટ પ્રસેનજિત અહીંના વિદ્યાર્થી હતા. જીવક અને કૌટિલ્ય અહીં આચાર્યપદે રહેલા. બ્રાહ્મણદર્શનનું આ વિદ્યાકેન્દ્ર હોઈ અહીં ત્રણ વેદ, વ્યાકરણ અને દર્શન મુખ્ય વિષયો હતા. ઉપરાંત વૈદક, શલ્યકર્મ, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, યુદ્ધવિદ્યા, જ્યોતિષ, નામું, વાણિજ્ય, કૃષિ, ખગોળ, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે વિષયોનું અહીં અધ્યાપન થતું. અહીં વિશેષજ્ઞતા માટે જ વિદ્યાર્થીઓ આવતા. ચારિત્ર્ યનું ઘડતર, વ્યક્તિત્વનો વિકાસ, ધર્મ અને નીતિનું સિંચન, સંસ્કૃતિનું સંરક્ષણ વગેરે આ વિદ્યાકેન્દ્રનાં વ્યાવર્તક લક્ષણો હતાં. આજની મુક્ત વિદ્યાપીઠનું આ પૂર્વકાલીન સ્વરૂપ હતું. પદવી પરીક્ષા ન હતી. અભ્યાસ પૂરો કર્યા પછી વ્યાવહારિક અનુભવ માટે વિદ્યાર્થીઓ દેશાટને જતા. હૂણોના આક્રમણને પરિણામે આ નગરનો નાશ થયો તે પહેલાં ચીની પ્રવાસી ફાહિયાન અહીં આવ્યો હતો; પરંતુ સાતમી સદીમાં આવેલા યુઅન શ્વાંગે આ નગરની મુલાકાત લીધી તે વખતે તે ખંડિયેર અવસ્થામાં હતું, આ નગરના અવશેષો પ્રજાને પ્રત્યક્ષ કરવાનું  પ્રથમ કાર્ય જનરલ કનિંગહામે 19મી સદીના ઉત્તરાર્ધમાં કર્યું હતું. પરંતુ તેનું વ્યવસ્થિત ઉત્ખનન સર જ્હૉન માર્શલના માર્ગદર્શન હેઠળ આ સદીની શરૂઆતમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યારપછી 1944–45માં સર મોર્ટિમર વ્હીલરે તેના પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

દારાસિંહ

જ. 19 નવેમ્બર, 1928 અ. 12 જુલાઈ, 2012

પ્રખ્યાત પહેલવાન અને અભિનેતા તરીકે જાણીતા દારાસિંહનો જન્મ પંજાબના અમૃતસર પાસે ધરમૂચક નામના ગામમાં થયો હતો. તેમનું આખું નામ દીદારસિંહ રંધાવા હતું. તેમના પિતાનું નામ સૂરતસિંહ અને માતાનું નામ બલવંત કૌર હતું. મજબૂત કદકાઠી ધરાવતા હોવાથી નાનપણથી જ કુસ્તીનો શોખ જાગ્યો હોવાથી તેમણે અખાડામાં જવાનું શરૂ કર્યું હતું. અખાડામાં કુસ્તીના દાવપેચ શીખી પહેલાં મેળા અને અન્ય સમારંભોમાં યોજાતી કુસ્તી હરીફાઈમાં તેઓ ભાગ લેવા લાગ્યા. ધીરે ધીરે તેમની પહેલવાનીને લોકોની માન્યતા મળવા લાગી અને તેઓ ભારતમાં કુશળ પહેલવાન તરીકે જાણીતા થયા. 1947માં દારાસિંહ સિંગાપુર ગયા હતા, ત્યાં તેમણે ભારતીય શૈલીની કુસ્તીમાં ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. એ પછી તેમણે પહેલવાન તરીકે અનેક દેશોમાં પોતાની ધાક જમાવી દીધી હતી. 1952માં તેઓ ભારત પાછા ફર્યા અને 1954માં ભારતીય ચૅમ્પિયન બન્યા. ત્યારબાદ તેમણે બધા રાષ્ટ્રમંડળ દેશોની મુલાકાત લીધી અને ઓરિએન્ટલ ચૅમ્પિયન કિંગકાંગને હરાવી દીધો. દારાસિંહના નામનો દેશ અને દુનિયામાં ડંકો વાગવાને કારણે કૅનેડા અને ન્યૂઝીલૅન્ડના પહેલવાનો દ્વારા તેમને કુસ્તી લડવાની ચુનૌતી મળી. કૉલકાતામાં આયોજિત રાષ્ટ્રમંડળ-કુસ્તી ચૅમ્પિયનશિપમાં કૅનેડાના ચૅમ્પિયન જ્યોર્જ ગાડીયાંકા અને ન્યૂઝીલૅન્ડના ચૅમ્પિયન જોન ડિસિલ્વા તથા અન્ય કુસ્તીબાજોને હરાવીને 1959માં તેમણે ચૅમ્પિયનશિપ પોતાના નામે કરી 1968માં અમેરિકાના વિશ્વચૅમ્પિયન લાઉ થેજને હરાવીને ફ્રી સ્ટાઇલ કુસ્તીના વિશ્વચૅમ્પિયન બની ગયા અને તેમણે વિશ્વવિજેતાનો તાજ ભારતને અપાવ્યો. 1983માં તેમણે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી, એ સમયે તેમને અપરાજય ચૅમ્પિયનના ખિતાબથી નવાજવામાં આવ્યા. 500થી વધુ કુસ્તીજંગમાં તેમણે ભાગ લીધો હતો અને ક્યાંય પણ તેમનો પરાજય થયો ન હતો. એક નિર્માતાના આગ્રહને લીધે તેમણે ફિલ્મોમાં ઝંપલાવ્યું. મુમતાઝ સાથે 16 ફિલ્મોમાં અભિનય ઉપરાંત દારાસિંહે ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. રામાયણ અને મહાભારતમાં તેમની હનુમાનની ભૂમિકા આજે પણ વખણાય છે. તેઓ 60થી 70ના દાયકામાં બોલિવુડના ઍક્શનકિંગ રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

મારી હારથી આનંદ

ફિલ્મોના મહાન અભિનેતા, સર્જક અને દિગ્દર્શક ચાર્લી ચૅપ્લિને પાંત્રીસ જેટલી ટૂંકી સ્લેપસ્ટિક કૉમેડીમાં પોતાની અભિનયક્ષમતા દાખવી અને એમની કારકિર્દીનાં ત્રીસ વર્ષમાં એમણે કરેલી મોટા ભાગની કૉમેડી ફિલ્મોમાં રસ્તે રઝળતા રખડું(ટ્રમ્પ)નું રમૂજી પાત્ર ભજવ્યું અને તે સતત વિકસતું રહ્યું. લઘરવઘર વસ્ત્રપરિધાન, બહાદુરી સાથે ડરપોકપણાનું સંમિશ્રણ, જુસ્સાભર્યો સ્વતંત્ર મિજાજ, અસંગત ગણાતું વરણાગિયાપણું, નારીરક્ષક હોવાની લાક્ષણિકતા સાથે ડોકાઈ જતી નારીપીડનવૃત્તિ અને એ બધાની સાથે ચૅપ્લિનની આગવી હાજરબુદ્ધિ. એને પરિણામે આ પાત્ર અત્યંત સફળ થયું. આ પાત્રએ આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એનાં ગીતો રચાવા લાગ્યાં. એની બાળરમતો યોજાતી અને રખડુની લાક્ષણિકતા ધરાવતી નાની નાની પ્રતિકૃતિ પૂતળા રૂપે એક ડૉલરમાં બજારમાં વેચાતી મળતી હતી. આ પાત્રની લાક્ષણિકતાએ સઘળા સાંસ્કૃતિક ભેદો ઓગાળી નાખ્યા હતા. આમ 1914માં ‘કિડ ઓટો રેસ ઇન વેનિસ’માં આપેલા રખડું વરણાગિયાના પ્રતીક પાત્રનો 1940માં ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મથી અંત આવ્યો. એક વાર ચાર્લી ચૅપ્લિનના આ રખડુ વરણાગિયાના પાત્રનું અનુકરણ કરવાની જર્મનીના એક શહેરમાં સ્પર્ધા યોજાઈ. જુદા જુદા અદાકારોએ આ રખડુ વરણાગિયાના અભિનયની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. આવી સ્પર્ધાનું બોર્ડ વાંચીને ચાર્લી ચૅપ્લિને પણ એમાં ભાગ લીધો અને એમણે ચાર્લી ચૅપ્લિન જેવા અભિનય કરતા અદાકારોની વચ્ચે ઝુકાવ્યું. સ્પર્ધાનું આંચકાજનક પરિણામ આવ્યું અને સાચા ચાર્લી ચૅપ્લિનનો નકલ કરવાની સ્પર્ધામાં પરાજય થયો ! એક બીજો અદાકાર આ સ્પર્ધા જીતી ગયો. ત્યારે ચૅપ્લિને કહ્યું, ‘મારા દેખાવ અને અભિનયની નકલ બધા કરી શકે, પરંતુ અભિનયના મારા અંદાજની અને મારી બુદ્ધિની નહીં. મને મારી હારથી આનંદ થયો, કારણ કે હું સાચો ચૅપ્લિન છું, બે નંબરી નહીં.’

કુમારપાળ દેસાઈ