Categories
વાચન સમૃદ્ધિ

સઘળી દોલતની કિંમત

ઈરાનના બાદશાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્યનો અને અઢળક ધન-સંપત્તિનો અતિ અહંકાર હતો. આ અહંકારે એને ગર્વિષ્ઠ અને તોછડો બનાવી દીધો હતો. નોકર-ચાકર તો ઠીક, પરંતુ રાજના દીવાનો સાથે પણ એનો વ્યવહાર સૌજન્યહીન હતો. આવા ઘમંડી બાદૃશાહને મળવા માટે અબુ શકીક નામના મહાન મુસ્લિમ સંત આવ્યા. આ અબુ શકીકે બાદશાહને પૂછ્યું, ‘‘બાદશાહ, તમારી ધનદોલતનું કુલ મૂલ્ય કેટલું છે ?’’ સૂફી સંતના પ્રશ્ને બાદશાહને વિચારમાં ડુબાડી દીધો. બાદશાહનો ગર્વ બોલી ઊઠ્યો, ‘‘અરે ! એટલી બેશુમાર દોલત મારી પાસે છે કે જેની મને ખુદને ખબર નથી. એનો અંદાજ હું કઈ રીતે આપું ! તમારી કલ્પના બહારની આ વાત છે.’’ સૂફી સંતે કહ્યું, ‘‘બાદશાહ, ધારો કે તમે સહરાના રણમાં ભૂલા પડ્યા છો, તમને ખૂબ તરસ લાગી છે. પણ તમારી પાસે પીવાના પાણીનું એક ટીપું નથી. તમને એવો અનુભવ થાય છે કે હમણાં તમે વિના પાણીએ તરફડીને મૃત્યુ પામશો ! ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઈ તમને પાણીનો ગ્લાસ ધરે તો તમે એને શું આપશો ?’’ બાદશાહ હારૂન અલ રશીદે કહ્યું, ‘‘અરે ! આવે વખતે તો હું એને અર્ધું રાજ્ય આપી દઉં.’’ સૂફી સંતે બીજો પ્રશ્ન કર્યો, ‘‘બાદશાહ, ધારો કે તમે ખૂબ બીમાર પડ્યા હો, બચવાની કોઈ આશા ન હોય, દુનિયાના કાબેલ હકીમોએ કરેલા ઉપચાર નિષ્ફળ નીવડ્યા હોય અને એ જ સમયે તમને કોઈ દવાની પડીકી આપે અને સાજા થઈ જાવ, તો તમે એને શું આપો ?’’ બાદશાહ બોલી ઊઠ્યા, ‘‘અરે ! આવા જાન બચાવનારને તો અર્ધું રાજ્ય આપી દઉં.’’ સૂફી સંત અબુ શકીકે કહ્યું, ‘‘બાદશાહ, તમારા સામ્રાજ્યની તમામ દોલતની કિંમત પાણીના એક ગ્લાસ અને દવાની એક પડીકી જેટલી જ છે. જો તમારા ધન-દોલતની આટલી જ કિંમત હોય, તો એનું આટલું બધું અભિમાન શાને?’’

Categories
વાચન સમૃદ્ધિ

ઑટો હાન

જ. 8 માર્ચ, 1879 અ. 28 જુલાઈ, 1968

જર્મન રસાયણશાસ્ત્રી અને 1944ના વર્ષના નોબેલ પારિતોષિક વિજેતા ઑટો હાનનો જન્મ ફ્રેન્કફર્ટમાં થયો હતો. ઑટો હાનનાં માતાપિતાએ તેમને સ્થપતિ બનાવવાનો વિચાર સેવેલો પણ ઑટો હાનને પહેલેથી જ રસાયણશાસ્ત્રમાં રુચિ હતી તેથી તેમણે યુનિવર્સિટી ઑફ માર્બર્ગમાં રસાયણશાસ્ત્ર ભણવા પ્રવેશ મેળવ્યો. 1901માં તેમણે ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1904માં તેઓ અંગ્રેજી ભણવા લંડન ગયા. ત્યાં રેડિયોઍક્ટિવિટીમાં રસ ધરાવતા સર વિલિયમ રામસે સાથે કામ કર્યું. અહીં કાચા રેડિયમને શુદ્ધ બનાવવાના કાર્યમાં જોડાયા. આ પ્રક્રિયા દરમિયાન એક નવો જ કિરણોત્સર્ગ પદાર્થ, જેને તેમણે રેડિયોથોરિયમ નામ આપ્યું તે મળ્યો. સર રામસેની મદદથી તેમને બર્લિનની યુનિવર્સિટીમાં પોસ્ટ મળી તેથી 1906માં તેઓ જર્મની આવ્યા. ત્યારબાદ ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રી લીઝ મેટનર સાથે બર્લિન-ડેહલેનની ‘કેઇઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર કેમિસ્ટ્રી’માં જોડાયા. અહીં તેઓ નાની પણ સ્વાયત્ત રેડિયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વડા બન્યા. 1913માં તેમનાં લગ્ન એડિથ જંગહેન્સ સાથે થયાં. બીજે વર્ષે વિશ્વયુદ્ધ થવાથી તેઓ 1915માં કેમિકલ વૉરફેર સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત રહ્યા. વિશ્વયુદ્ધ બાદ લીઝ મેટનર સાથે મળી તેમણે સૌપ્રથમ વાર પ્રોટેક્ટિનિયમ-231 છૂટું પાડ્યું. ત્યારબાદ 12 વર્ષ રસાયણશાસ્ત્રમાં રેડિયોઍક્ટિવની ઍપ્લિકેશન (પ્રસ્તુતતા) માટે ફાળવ્યા. 1934માં ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી એનરિકો ફર્મીના કાર્યમાં તેમને ઘણો રસ પડ્યો. તેમણે લીઝ મેટનર અને સ્ટ્રાસમૅન સાથે મળી યુરેનિયમના વિખંડનની પ્રક્રિયા પર કાર્ય કર્યું. વિશ્વયુદ્ધ બાદ બીજા ન્યૂક્લિયર વૈજ્ઞાનિકો સાથે તેમને ઇંગ્લૅન્ડ લઈ જવામાં આવ્યા અને 1944માં તેમને નોબેલ પારિતોષિકવિજેતા જાહેર કર્યા. જ્યારે તેઓ જર્મની પાછા આવ્યા ત્યારે તેમને ‘કેઇઝર વિલ્હેમ સોસાયટી’(પછીથી મેક્સ પ્લેન્ક સોસાયટી ફોર ધ એડવાન્સમેન્ટ ઑફ સાયન્સ)ના પ્રમુખ બનાવ્યા. આ ઉપરાંત 1966માં તેમને લીઝ મેટનર અને સ્ટ્રાસમૅન સાથે એનરિકો ફર્મી ઍવૉર્ડ પણ એનાયત થયો.

Categories
વાચન સમૃદ્ધિ

અડાલજની વાવ

અમદાવાદની ઉત્તરે આશરે ૨૦ કિમી. દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ. આ વાવ અડાલજના વાઘેલા રાવ વીરસિંહનાં ધર્મપત્ની રાણી રૂડાબાઈએ પોતાના પતિના સ્મરણાર્થે સંવત ૧૫૫૫(ઈ. સ. ૧૪૯૯ ?)માં બંધાવી હતી. આ વાવ બંધાવવામાં તે સમયના પાંચ લાખ ટાકા(રૂપિયા)નો ખર્ચ થયો હતો. આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા. આ વાવને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં એક એક પ્રવેશદ્વાર – મુખ છે અને તેથી તે ‘જયા’ પ્રકારની વાવ ગણાય છે. દક્ષિણ દિશામાં વાવનું મુખ્ય પ્રવેશદ્વાર છે. વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે. વાવની લંબાઈ ૭૫.૩ મીટર છે. તેને ચાર મંડપ છે. ત્રણેય પ્રવેશદ્વાર નીચેના પહેલા માળ તરફ જાય છે અને ત્યાં દ્વારમંડપ ભેગા થાય છે.

અડાલજની કલાત્મક વાવ                    અડાલજની વાવમાંનો એક સુંદર ગોખ

વાવના બધા જ સ્તંભને ચાર ભાગ છે : (૧) કુંભી, (૨) સ્તંભ, (૩) ભરણું, (૪) સરું. સરુંના ભાગ પર આડા પાટડા છે. બધા જ પાટડા શિલ્પકામથી ભરપૂર છે. પ્રથમ મંડપને બે માળ છે. દરેક માળમાં ત્રણ ત્રણની હારમાં ચાર ચાર એમ બાર સ્તંભ છે. સરું અને સ્તંભને જોડતાં ત્રાંસાં નેજવાં છે. ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે અષ્ટકોણ કુંડ આવેલો છે. કુંડને નવ મીટરના સમચોરસમાં ગોઠવેલ છે. બીજે માળે ઊતરતાં સીડીના પ્રવેશદ્વાર પર નવગ્રહ કંડારેલા છે. વાવમાં ૫૬ જેટલા શિલ્પકામથી ભરપૂર ગોખલા છે. વાવમાં દુર્ગા, ચામુંડા વગેરે દેવીઓનાં શિલ્પો કંડારેલાં છે.

શિલ્પસ્થાપત્યની દૃષ્ટિએ આખી વાવ સર્જનકળાનો શ્રેષ્ઠ નમૂનો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1