Categories
વાચન સમૃદ્ધિ

કર્તાભાવ સતત કૂદકા લગાવે છે !

દ્રષ્ટાને બદલે કર્તા બનવાના અતિ ઉત્સાહને કારણે માનવીએ એના સાહજિક જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યું છે. માણસને કર્તા બનવાની વારંવાર એવી હોંશ જાગતી હોય છે કે એ કોઈ પણ સારા કાર્યમાં કોઈ પણ રીતે પોતાના કર્તૃત્વની છાપ ઘુસાડવા પ્રયત્ન કરે છે. ‘મેં આ કામ કર્યું’, ‘મેં આ સિદ્ધિ મેળવી’, ‘મારે કારણે એમનું જીવન સુધર્યું’, ‘મેં એમને સુખ આપ્યું’ – આ રીતે પોતાના કર્તૃત્વને આગળ ધરવાની બૂરી આદત ઘણા માણસોમાં હોય છે. સારી વાતમાં કર્તા થવાની આતુરતાને કારણે એ જરૂર પડે તો અન્ય વ્યક્તિની વાતને અધવચ્ચેથી અટકાવીને પણ પોતાના કર્તૃત્વની બાંગ પોકારે છે. કર્તાભાવ એ ચાલતો નથી, ગતિ કરતો નથી, પરંતુ હંમેશાં કૂદકો લગાવતો હોય છે. મનમાં કૂદકો મારતો એ કર્તાભાવ સતત ઊછળ્યા કરતો હોય છે.  ઊછળતી વખતે એના મનમાં અહમ્ હોય છે અને એના ઉછાળમાં પોતાની આવડત દેખાય એવો એનો હેતુ હોય છે. ચેપી રોગની માફક એ લાગુ પડે પછી એવો વ્યાપ થઈ જાય છે કે એને અંદેશો પણ આવતો નથી કે પોતાના આવા કર્તાભાવના કૂદકાને બધા હાંસીપાત્ર ગણે છે. સમય જતાં આનું પરિણામ એ આવે છે કે આવી વ્યક્તિ યેનકેપ્રકારેણ પોતાની શક્તિ આગળ ધરવાની વૃત્તિને કારણે બીજાની ક્ષમતાને જોઈ શકતી નથી. પરિસ્થિતિને પામવાને બદલે પોતાના અહમના પ્રાગટ્ય પર એનો ભાર હોય છે. કર્તાભાવની પ્રબળતાને કારણે એનો દ્રષ્ટાભાવ આથમી જાય છે. એના વ્યક્તિગત જીવનમાં દુ:ખ આવે કે સુખ, વિષાદ જાગે કે ઉલ્લાસ  – એ બધાને કર્તાની દૃષ્ટિએ જુએ છે, દ્રષ્ટાની દૃષ્ટિએ નહીં. વ્યક્તિ પોતાના જીવનને દ્રષ્ટા બનીને દૂરથી જુએ તો જ એ પરિસ્થિતિનાં મૂળ કારણો સુધી પહોંચી શકે છે અને આગળ વધીને આત્મચિંતન અને આત્મવિશ્લેષણ કરી શકે છે.

Categories
વાચન સમૃદ્ધિ

કરમસીભાઈ જેઠાભાઈ સોમૈયા

જ. ૧૬ મે, ૧૯૦૨ અ. ૯ મે, ૧૯૯૯

દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ કરમસીભાઈનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના માલુંજામાં થયો હતો. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. કરમસીભાઈના જીવનનો નૈતિક પાયો બાળપણથી જ મજબૂત રીતે બંધાયો હતો. તેમણે કચ્છના તેરા ગામ, મહારાષ્ટ્રના બેલાપુર અને મુંબઈમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધું હતું, પરંતુ મૅટ્રિક સુધી પહોંચી શક્યા ન હતા. જોકે તેમણે પછીથી અંગ્રેજી, મરાઠી અને હિંદી ભાષાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓ કચ્છી, મારવાડી, સોરઠી તથા સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. ૧૯૨૭માં ખાંડનો વેપાર કરતી એક પેઢીમાં તેઓ ભાગીદાર તરીકે જોડાયા અને નોંધપાત્ર પ્રગતિ કરી. ૧૯૩૬ના અરસામાં તેમણે મહારાષ્ટ્રના બેલાપુર, કોપરગાંવ અને વૈજાપુર તાલુકામાં શેરડીના ઉત્પાદન માટે જમીનો ખરીદી અને પોતાના ખાંડના કારખાનાની સ્થાપના કરવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. તેમણે પોતાની માલિકીની ધ ગોદાવરી શુગર મિલ્સ લિમિટેડના હસ્તક ભારતમાં શેરડીનું ઉત્પાદન યાંત્રિક પદ્ધતિઓ દ્વારા કરવાના શ્રીગણેશ કર્યા. શેરડીની બાગાયતી તથા ખાંડનું ઉત્પાદન – આ બંને ક્ષેત્રોમાં અવનવા પ્રયોગો કરવાનું સાહસ તેમણે દાખવ્યું હતું. મહારાષ્ટ્રમાં જમીનધારણની મહત્તમ મર્યાદાને લગતો કાયદો પસાર થતાં કરમસીભાઈની માલિકીની શેરડીનું ઉત્પાદન કરતી હજારો એકર જમીન તે કાયદા હેઠળ આવરી લેવામાં આવી અને અંતે બધા જ એકમો સમેટી લેવાની નોબત આવી. ૧૯૭૦માં કર્ણાટકના મુધોળ ખાતે કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍપ્લાઇડ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ(K.I.A.A.R.)ની સ્થાપના કરી શેરડીના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી ટૅકનૉલૉજીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની પહેલ કરી. તેમને કર્ણાટક સરકારનો પૂરો ટેકો મળ્યો. શિક્ષણક્ષેત્રમાં પણ રુચિ હોવાથી તેમણે સોમૈયા ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેમના વતન કચ્છ, સાકરવાડી, લક્ષ્મીવાડી વગેરે જગ્યાએ શિક્ષણસંસ્થાઓ શરૂ કરી હતી. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સોમૈયા વિદ્યાવિહાર નામના મહત્ત્વાકાંક્ષી શૈક્ષણિક સંકુલની શરૂઆત કરી હતી. દહાણુમાં નરેશવાડી નામથી શરૂ કરવામાં આવેલ કેન્દ્રમાં આદિવાસીઓ અને ગિરિજનો માટે સેવાપ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૦૦માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’ના મરણોત્તર ખિતાબથી સન્માન્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઝુનઝુનુ

રાજસ્થાન રાજ્યનો જિલ્લો અને જિલ્લાનું વડું મથક. ભૌગોલિક સ્થાન : ૨૮° ૦૮´ ઉ. અ. અને ૭૫° ૨૪´ પૂ. રે.. પૂર્વ દિશાએ હરિયાણા, વાયવ્ય ખૂણે ચુરુ, પશ્ચિમ અને દક્ષિણે સીકર જિલ્લાઓ આવેલા છે. જિલ્લાના ઉદેપુર, ખેતરી અને ચીરવા ત્રણ તાલુકાઓ છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૫૯.૨૮ કિમી. અને વસ્તી ૨૪,૦૦,૦૦૦ (૨૦૨૪, આશરે) છે. જિલ્લામાં દર ચોકિમી.દીઠ ૮૦૦ માણસોની વસ્તી છે. મોટા ભાગની વસ્તી ગ્રામવિસ્તારમાં રહે છે. આ પ્રદેશ અર્ધસૂકો છે. સરેરાશ તાપમાન ૪૨° સે. રહે છે. પણ સૌથી વધુ તાપમાન ક્યારેક ૪૯° સે. થઈ જાય છે. સૌથી ઓછું રાત્રિનું તાપમાન ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ૧૨° સે. રહે છે. જિલ્લાનો મોટો ભાગ ડુંગરાળ છે. ડુંગરો અરવલ્લીના ફાંટા છે. ડુંગરોની સામાન્ય ઊંચાઈ ૩૦૦થી ૪૫૦ મી. છે. ઊંચામાં ઊંચો ડુંગર લોહગામ પાસે આવેલો છે, જેની ઊંચાઈ ૧૦૫૧ મી. છે. અગ્નિખૂણાનો ભાગ રેતાળ છે. કેટલાક વિસ્તારમાં રેતીના ઢૂવા આવેલા છે, જે ખસતા રહે છે અને તેથી ખેતીને નુકસાન થાય છે. જિલ્લામાં સૌથી લાંબી કાંતલી નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. દોહન, ચન્દ્રાવતી, સુખનદી તથા લોહગામ પાસેની નદીઓ વહેળા જેવી છે, ચોમાસા સિવાય આ નદીઓમાં પાણી હોતું નથી. ખેતરીથી ૧૧ કિમી. દૂર આવેલ અજિતસાગર બંધના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આ સિવાય સીકરી, કાળા તળાવ અને પોંખ તળાવ નાનાં તળાવો છે.

બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, પિલાની

જિલ્લામાં બાવળ અને બોરડી જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસનાં બીડો આવેલાં છે. ખીજડો, રોહિડો, લીમડો, પીપળો, વડ ઉપરાંત થોડાં આંબાનાં વૃક્ષો જોવા મળે છે. જિલ્લામાં બાજરી, જુવાર, મગ, મઠ, એરંડા મુખ્ય પાક છે. જ્યાં સિંચાઈની સગવડો છે ત્યાં ઘઉં થાય છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. જંગલી પશુઓમાં ભુંડ, વાંદરાં, લોંકડી, શિયાળ, જરખ વગેરે છે. પાળેલાં પશુઓમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘોડાં, ઊંટ, ગધેડાં વગેરે છે. મારવાડી ઓલાદનાં ઘેટાંનું ઊન ગાલીચા બનાવવા વપરાય છે. અહીંની જમીન જોધપુર જેવી રેતાળ છે. કેટલેક સ્થળે રેતીનું પ્રમાણ ૬૦%થી વધુ છે. ડુંગરાળ પ્રદેશની જમીન ઓછી ઉપજાઉ ને હલકી હોય છે. ક્યાંક લોહયુક્ત લાલ માટી પણ જોવા મળે છે. ક્વાર્ટ્ઝાઇટ, આરસ, શિસ્ટ, ગ્રૅનાઇટ, ફિલાઇટ, કૅલ્સાઇટ અને તાંબું નીકળે છે. ખેતરીની તાંબાની ખાણ જાણીતી છે. આ ઉપરાંત ફ્લોરાઇટ, નિકલ અને ચૂનાના પથ્થરો થોડા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત ખનન પ્રવૃત્તિ થોડા પ્રમાણમાં છે. ઝુનઝુનુ, ચિડાવા, નવલગઢ, સૂરજગઢ, ખેતરી, પિલાની, બિસાઉ વગેરે વેપારી કેન્દ્રો છે. જિલ્લામથક નજીકના ચુરુ, જયપુર, સીકર વગેરે સાથે રાજ્ય અને જિલ્લા માર્ગ દ્વારા જોડાયેલું છે. પાકા રસ્તાઓનું તથા રેલવેનું પ્રમાણ ઓછું છે. પિલાનીમાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી છે. તે સિવાય અન્ય ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ પણ આવેલી છે. નવલગઢમાં પણ કૉલેજ છે. રાણી સતી, રામદેવજી, નોહાપીર વગેરેના મેળા ભરાય છે. ખેતરીમાં જૂનો કિલ્લો અને મહેલ જોવાલાયક છે. આઝાદી પછી ખેતરી, બીસો, નવલગઢ, મંડાવા અને ઉદયપુરવટીની જાગીરો મળીને આ જિલ્લો બન્યો. તે પૂર્વે આ સમગ્ર પ્રદેશ જયપુર રાજ્યનો ભાગ હતો.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી