Categories
વાચન સમૃદ્ધિ

પ્રતિકૂળતા સાથે દોસ્તી

યુવાવસ્થામાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થનારા રિચર્ડ એટનબરોના મનમાં ગાંધીજી પર એક ફિલ્મ બનાવવાનો વિચાર જાગ્યો. પોતાના આ વિચારને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન આદર્યો. મહાત્મા ગાંધીજીના જીવન પર ચલચિત્રનું નિર્માણ કરવા માટે અભ્યાસ, આયોજન, પાત્રવરણી, સેટિંગ્સ જેવી બાબતોમાં ઝીણવટ દાખવી. આ ફિલ્મનિર્માણમાં ખાસ્સાં વીસ વર્ષ વીતી ગયાં. આને માટે પચાસ વખત ભારતનો પ્રવાસ ખેડવો પડ્યો. પૈસા ખૂટ્યા ત્યારે ઇંદિરા ગાંધીને સ્ક્રિપ્ટ મોકલી અને એમણે પાંચ કરોડ રૂપિયાની મદદ અપાવી. આટલો બધો પુરુષાર્થ કરવા છતાં વાંકદેખુઓ રિચર્ડ એટનબરોને સવાલ પૂછતા હતા કે, ‘જે વ્યક્તિએ આખું જીવન સાદાઈથી ગાળ્યું, એવા ગાંધીને માટે આટલી મોંઘી ફિલ્મ બનાવાય ખરી ?’ પરંતુ રિચર્ડ એટનબરો ફિલ્મની કોઈ પણ બાબતમાં સમાધાન કરવા ચાહતા નહોતા. એમને માટે પૈસાની ગણતરી મહત્ત્વની ન હતી, પણ મહાત્મા ગાંધીજીનો સંદેશ જનહૃદય સુધી પહોંચે, તે મહત્ત્વનું હતું. ‘ગાંધી’ ફિલ્મ સમયે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલા રિચર્ડ એટનબરો કહેતા કે એમનું આખું જીવન જ પ્રતિકૂળતાઓ વચ્ચે વીત્યું છે. આ ફિલ્મ પહેલાંનું એમનું જીવન પ્રતિકૂળતાઓથી ઘેરાયેલું રહ્યું હતું. આથી મુશ્કેલીઓ એમને મૂંઝવી શકતી નહોતી. આ સંદર્ભમાં તેઓ 1945માં અભિનેત્રી શિલા સીમ સાથે કરેલા લગ્નના પ્રસંગની વાત કરતાં કહેતા, ‘એ લગ્નના દિવસે હું જ્યારે લગ્ન અંગેની પ્રતિજ્ઞા બોલતો હતો, ત્યારે પાછળ બૉમ્બ-ધડાકા થતા હતા. અને એના મોટા અવાજોને કારણે હું જોરથી બૂમ પાડીને મારી પત્નીને કહેતો હતો, ‘હું તને પત્નીના રૂપે કબૂલ કરું છું.’ ‘જ્યારે લગ્નના સમયે આવી મુશ્કેલીઓ આવે ત્યારે સામાન્ય જીવનમાં તો આવે જ ને !’ એમ કહીને રિચર્ડ એટનબરો પ્રતિકૂળતાઓને પાછી ધકેલી દેતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ખેમચંદ પ્રકાશ

જ. 12 ડિસેમ્બર, 1907 અ. 10 ઑગસ્ટ, 1950

‘ફિલ્મ સંગીતનો પ્રકાશપુંજ’ કહેવાતા હિન્દી ફિલ્મઉદ્યોગના જાણીતા સંગીતકાર, ખેમચંદ પ્રકાશનો જન્મ બ્રિટિશ સમયના રાજપૂતાનાના બિકાનેર રાજ્યના સુજાનગઢમાં થયો હતો. તેમના પિતાજી દ્રુપદ સંગીતના જાણકાર અને કથક નૃત્યશૈલીના પણ જાણકાર હોવાથી ખેમચંદજીને પણ બાલ્યકાળથી જ તેનું અનેરું આકર્ષણ હતું. પિતાજીની જેમ તેમણે પણ બિકાનેરના રાજદરબારમાં અને ત્યારપછી નેપાળના રાજદરબારમાં સંગીત અને નૃત્યકલા દર્શાવી હતી. ત્યારબાદ કૉલકાતામાં ‘ન્યૂ થિયેટર’માં સંગીતકાર તિમિર બરનના સહાયક સંગીતકાર તરીકે 1935માં ‘દેવદાસ’ ફિલ્મમાં જોડાયા. 1938માં ‘સ્ટ્રીટ સિંગર’માં એક કૉમેડી ગીત ‘લો ખા લો મેડમ ખાના’ ગાયું. કહેવાય છે કે તેમણે એક વખત રસ્તે રઝળતી અને ગાયન ગાઈને ગુજરાન ચલાવતી ‘ખુર્શીદ’ નામની એક યુવતીનું ગીત સાંભળ્યું અને સંમોહિત થઈ ગયા. આથી 1939માં જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે ખુર્શીદને પણ સાથે લાવ્યા. અહીં ‘સુપ્રીમ પિક્ચર્સ’ની ફિલ્મો ‘મેરી આંખે’ અને ‘ગાઝી સલાઉદ્દીન’માં સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું. ચંદુલાલ શાહે જામનરેશ રણજિતસિંહના નામ પરથી ‘રણજિત મૂવીટોન’ની સ્થાપના કરી અને ખેમચંદ આ બૅનર નીચે ઉત્તમ સંગીત આપતા થયા. તેમાં ‘પરદેશી’, ‘હોલી’, ‘ચાંદની’, ‘સિંદૂર’, ‘સાવન આયા રે’, ‘ફરિયાદ’ વગેરેને ગણાવી શકાય. 1948માં બૉમ્બે ટૉકીઝની ‘ઝિદ્દી’ ફિલ્મ પણ ઘણી પ્રશંસા પામી. આ ફિલ્મ દ્વારા તેમણે લતા મંગેશકર અને કિશોરકુમારને ફિલ્મસંગીત દુનિયામાં પ્રવેશ અપાવ્યો. તેમની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ‘મહલ’માં લતા મંગેશકરે ગાયેલું ‘આયેગા આનેવાલા’ ખૂબ જ લોકપ્રિય બન્યું અને સદીઓ સુધી લોકોની જીભે રમતું રહ્યું. સંગીતકાર તરીકે ખેમચંદ પ્રકાશની કેટલીક વિશેષતાઓ તેમને અન્ય સંગીતકારો કરતાં મુઠ્ઠી ઊંચેરા બનાવે છે. તેઓ ગાયક-ગાયિકાઓ માટે એવું સ્વરનિયોજન કરતા કે ગીતોમાં અલૌકિકતા પ્રગટ થતી. તેમની મૌલિકતા એ પણ હતી કે રાજસ્થાની અને મારવાડી લોકગીતોની મધુર ધૂનોને હિન્દી ફિલ્મોમાં સ્થાન આપીને નવી ક્ષિતિજો ઉઘાડી આપી અને વળી નૌશાદ, મન્નાડે, કિશોરકુમાર અને લતા મંગેશકર જેવા દિગ્ગજોની ભેટ આપી.

Categories
વાચન સમૃદ્ધિ

હરિયાણા

ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય.

તે ૨૭O ૩૫´થી ૩૦O ૫૫´ ઉ. અ. અને ૭૪O ૨૦´થી ૭૭O ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનો વિસ્તાર ૪૪,૨૧૨ ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વમાં દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તરપ્રદેશ તથા દક્ષિણ અને પશ્ચિમમાં રાજસ્થાન રાજ્યો આવેલાં છે. તેની વસ્તી લગભગ 3,09,36,000 (2025, આશરે) જેટલી છે. હરિયાણા સ્વાતંત્ર્ય પહેલાં તેમ જ પછીથી થોડાં વર્ષો સુધી પંજાબ રાજ્યનો એક ભાગ હતું. નવેમ્બર, ૧૯૬૬માં હરિયાણાના અલગ રાજ્યની રચના કરવામાં આવી. તેનું પાટનગર ચંડીગઢ છે.

વેદોના સમયથી હરિયાણાનો આનુશ્રુતિક તથા ગૌરવપૂર્ણ ઇતિહાસ મળે છે. આપણા દેશને ‘ભારત’ નામ જેના પરથી મળ્યું તે ભરતવંશના રાજાઓ આ પ્રદેશમાં થઈ ગયા. ‘મહાભારત’માં હરિયાણાનો ઉલ્લેખ છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું તે કુરુક્ષેત્રનું મેદાન હરિયાણામાં છે. પાણીપતની લડાઈઓ પણ આ જ ક્ષેત્રમાં થઈ હતી. મધ્યયુગ દરમિયાન પણ હાલના હરિયાણા રાજ્યમાં અનેક ઐતિહાસિક લડાઈઓ થઈ હતી. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં આ પ્રદેશના લોકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

ધ રૉક ગાર્ડન, ચંડીગઢ

અહીંનાં જંગલોમાં મલબરી, નીલગિરિ, પાઇન, સીસમ અને બાવળ જેવાં વૃક્ષો ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં કાળિયાર, નીલગાય, દીપડો, શિયાળ, વરુ, નોળિયો વગેરે મુખ્ય છે. પક્ષીઓની લગભગ ૩૦૦ જેટલી જાતિઓ અહીં જોવા મળે છે. હરિયાણામાં બે રાષ્ટ્રીય ઉદ્યાન તથા આઠ અભયારણ્યો તેમ જ પશુપક્ષી-સંવર્ધનકેન્દ્ર પણ આવેલાં છે. ઘઉં, બાજરી, કઠોળ (મુખ્યત્વે ચણા), તેલીબિયાં, કપાસ, શેરડી, ડાંગર, જવ, મરચાં અને મકાઈ રાજ્યના પાકો છે. અહીં જુદા જુદા અનેક ઉદ્યોગો વિકસ્યા છે. તેમાં કાપડ, કાગળ, સિમેન્ટ, સાઇકલ-ઉદ્યોગ, ખાંડ, ગરમ કાપડ, યંત્રસામગ્રી, કૃષિવિષયક ઓજારો, ઇલેક્ટ્રૉનિક્સ, મોટરકાર, ઘરગથ્થુ ઉપકરણો વગેરેના એકમોનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી વધુ ટ્રૅક્ટરો અહીં બને છે. ગુરગાંવમાં ઑટોમોબાઇલના એકમો સ્થપાયેલા છે. ભારતીય સેનાની જાટ રેજિમેન્ટ તેની બહાદુરી માટે વિશ્વવિખ્યાત છે. હરિયાણા એક્સ્પ્રેસ ક્રિકેટર કપિલદેવ, વિજેન્દ્રસિંગ તથા સુશીલકુમાર જેવા કુસ્તીબાજો, બૅડમિન્ટન-ચૅમ્પિયન સાયના નેહવાલ તથા બીજા અનેક રમતવીરો હરિયાણાની દેન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરિયાણા, પૃ. 125)