Categories
વાચન સમૃદ્ધિ

જોસેફ નાઇસફોર નીસ

જ. 7 માર્ચ, 1765 અ. 3 જુલાઈ, 1833

છબીકલાના અગ્રણી ફ્રેન્ચ સંશોધક જોસેફ નાઇસફોર નીસનો જન્મ ફ્રાંસના સાધનસંપન્ન કુટુંબમાં થયો હતો. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા. 1807માં તેમના ભાઈ કલૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય વાયુના મિશ્રણથી આંતરિક દહનથી ચાલતું એન્જિન બનાવ્યું. તેનું નામ પાયરેલોફેર આપ્યું. ઉપરાંત તેમણે પિસ્ટન અને સિલિંડરની રચનાની શોધ કરી. 1813માં તે વખતની છાપકામની નવી નવી ટૅકનિક અંગેના પ્રયોગોમાં તે વ્યસ્ત થઈ ગયા. કોઈ પણ લખાણનું સ્વયં બિંબ મળી આવે તે શોધી કાઢવા તેમણે અનેક પ્રયોગો કર્યા. તેમણે મિશ્ર ધાતુના પતરા ઉપર હળવા છતાં પ્રકાશગ્રાહી પદાર્થોનું અસ્તર ચડાવી તે ઉપર કોતરાયેલા અક્ષરોની પ્રતિકૃતિ તડકામાં ઊપસી આવે તેમ કર્યું. 1816ના એપ્રિલમાં ફોટોગ્રાફી માટે નવા પ્રયોગો કરી હીલિયોગ્રાફીની શોધ કરી. આ એક પ્રકારના કૅમેરા સાથેનું સાધન હતું. પછી તો ફોટો પાડવા માટે પ્રકાશની તત્કાળ અસર ઝીલનારો કાગળ બનાવવા અને પ્રકાશની મદદથી તેના પર કોઈ પણ પદાર્થનું પ્રતિબિંબ અંકિત થાય તે માટે ભિન્ન ભિન્ન પદાર્થો પર તેમણે અનેક પ્રયોગો કર્યા. 1822માં તેમને આ પ્રયોગમાં સફળતા મળી. 1826માં કૅમેરાનો ઉપયોગ કરી પોતાની પ્રયોગશાળામાં બારી બહાર દેખાતા એક દૃશ્યને પ્યૂટર પ્લૅટ પર આબેહૂબ ઝીલ્યું. આમાંથી કોતરેલા પતરા કે શિલા પરથી આકૃતિને છાપવાની કલા વિકસતી ગઈ. આમ નીચે પ્રાકૃતિક દૃશ્યોને પ્રકાશની મદદથી હૂબહૂ પ્રતિબિંબિત કરી બતાવ્યાં; એટલું જ નહિ, પરંતુ સાથે સાથે સ્વયંસંચાલિત કાગળ પર ફરી વાર નીપજતાં પ્રતિબિંબની શોધ પણ કરી. જોકે પોતાની શોધખોળ સંપૂર્ણ સિદ્ધિને વરે તે પહેલાં નીસનું અવસાન થયું. પરંતુ તેમણે કરેલા પ્રયોગો વધુ ઊંડાણપૂર્વક ચાલુ રાખતાં ડેગ્વેર કાળક્રમે સફળ થયા. તેમણે પ્રતિબિંબને ઝીલવા માટેનો સમય અતિશય ટૂંકાવી નાખ્યો. આમ હીલિયોગ્રાફીની શોધના મૂળ જનક નીસ ગણાય છે. જોકે નીસનું નમ પશ્ચાદ્ભૂમિમાં ઠેલાઈ ગયું છે અને ડેગ્વેરનું નામ મોખરે રહ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

ત્બિલિસિ (Tbilisi)

એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43´ ઉ. અ. તથા 44° 49´ પૂ. રે. પર કુરા નદીના બંને કાંઠે વસેલું છે. સોવિયેત સંઘના વિઘટન (1991) પછી જ્યૉર્જિયા સ્વતંત્ર પ્રજાસત્તાક બન્યું. આ નગરની કુલ વસ્તી 13,30,000 (2025, આશરે) હતી. તેના વાયવ્ય ખૂણે ગોરિ, નૈઋત્યે તેલાવિ તથા અગ્નિખૂણે રુસ્તાવિ નગરો આવેલાં છે. આઝરબૈજાન પ્રજાસત્તાકના પાટનગર બાકુથી તે નૈઋત્યમાં આશરે 435 કિમી.ના અંતરે છે. સમુદ્રની સપાટીથી તે 406થી 522 મી. ઊંચાઈ એ છે. નદીના કાંઠે તેનો પ્રલંબિત ભાગ 27 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે. ત્યાં વિદ્યુતશક્તિ પર ચાલતાં રેલ-એન્જિનો, એન્જિનિયરિંગને લગતી વસ્તુઓ, મશીનટૂલ્સ, સુતરાઉ કાપડ, ચામડાની વસ્તુઓ, પગરખાં, કાગળ, લાકડાનું રાચરચીલું, યંત્રો, તમાકુની બનાવટો, ધાતુની ચીજવસ્તુઓ, રેશમની વસ્તુઓ, ખનિજતેલની પેદાશોનાં તથા દારૂ ગાળવાનાં કારખાનાં વિકસ્યાં છે. પચરંગી વસ્તી ધરાવતું આ શહેર સડક તથા રેલવ્યવહારનું કેન્દ્ર હોવાથી તથા બાજુના જળવિદ્યુત મથકમાંથી તેને વીજળીનો પૂરતો પુરવઠો પ્રાપ્ત થતો હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રે તેણે હરણફાળ પ્રગતિ કરી છે.

ત્બિલિસિ શહેર

નગરમાં જ્યૉર્જિયા યુનિવર્સિટી(1918)નું મથક, જ્યૉર્જિયન અકાદમી ઑવ્ સાયન્સીઝ (1941), કલા અકાદમી, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિન તથા કૃષિ, વનવિજ્ઞાન, ઉદ્યોગો અને ટૅકનૉલૉજીને લગતી શિક્ષણસંસ્થાઓ આવેલી છે. ત્યાં પાંચમી સદીનું યહૂદીઓનું દેવળ, છઠ્ઠી સદીનું આન્ચિખાટિ દેવળ, તેરમી સદીનાં મેટેખિ દુર્ગ તથા દેવળ અને નદીના જમણા કાંઠા પર આવેલ ટેકરી પર પ્રાચીન કિલ્લો, આધુનિક સમયગાળામાં ઊભાં કરવામાં આવેલ વસ્તુસંગ્રહાલયો, ઉદ્યાનો, નાટ્ય તથા સંગીતગૃહો વગેરે પર્યટકો માટે આકર્ષણનાં સ્થળો ગણાય છે. ઇતિહાસ : ચોથી સદીથી છઠ્ઠી સદી દરમિયાન જ્યૉર્જિયાના શાસકોનું તે પાટનગર હતું. સાતમી, આઠમી તથા નવમી સદી દરમિયાન તેના પર પર્શિયનો, આરબો તથા ગ્રીકોનાં આક્રમણો થતાં રહ્યાં. 1387માં મૉંગોલવિજેતા તૈમુર લંગે તેના પર આધિપત્ય જમાવ્યું હતું. 1795માં પર્શિયન આક્રમણખોરોએ તેનો સંપૂર્ણ વિનાશ કર્યો હતો. 1801માં રશિયાના ઝાર શાસકોએ કૉકેસસ પર્વતમાળાના તેમના પ્રદેશના પાટનગર તરીકે તેની પસંદગી કરી. 1918–21 દરમિયાન જ્યૉર્જિયાના સ્વતંત્ર પ્રજાસત્તાકનું તથા 1991માં જ્યૉર્જિયા સ્વતંત્ર થયું ત્યારથી તે નવા પ્રજાસત્તાકનું પાટનગર છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

માઇકેલૅન્જેલો

જ. 6 માર્ચ, 1475 અ. 18 ફેબ્રુઆરી, 1564

યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. તેમનું સ્થાન રેનેસાં કાળના કલાના ટોચના ત્રણ કલાકારોમાં – લિયૉનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે છે. તેમના પિતાનું નામ લોદોવિકો દ લિયૉનાર્દો બઓનરાતી સિમોની અને માતાનું નામ ફાન્ચેસકા હતું. તેઓ જ્યાં જન્મ્યા એ નગરનું નામ બદલીને હવે ‘કૅપ્રિસ માઇકેલૅન્જો’ કરવામાં આવ્યું છે. તેઓ આજીવન અપરિણીત રહ્યા. ઈ. સ. 1475માં તેઓ ફ્લૉરેન્સમાં વસ્યા હતા. ઈ. સ. 1488માં તેઓ ચિત્રકાર ડોમેનિકો ઘીર્લાન્દાયોના શિષ્ય બન્યા, પરંતુ શિલ્પ પ્રત્યેના લગાવને કારણે તેઓ શિલ્પી બૅર્ટોલ્દો દ જિયોવાનીના શિષ્ય બન્યા. તેઓ ફ્લૉરેન્સના ધનાઢ્ય મૅડિચી કુટુંબના ઘરમાં જ રહ્યા. ‘મેડોના ઑવ્ ધ સ્ટેર્સ’ અને ‘બેટલ ઑવ્ ધ સેન્ટૉર્સ’ નામનાં શિલ્પો આ સમયની તેમની મહત્ત્વની કૃતિઓ ગણાય છે. તેમનાં બીજાં અગત્યનાં શિલ્પોમાં ‘સ્લીપિંગ ક્યૂપિડ’, ‘પિપેતા’, ‘ડેવિડ’ વગેરે છે. રોમમાં સિસ્ટાઇન ચેપલની છત ચીતરવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો. આ કામ તેઓએ એકલે હાથે ચાર વર્ષે પૂરું કર્યું. તેઓ લશ્કરના મૅજિસ્ટ્રેટ તથા ફ્લૉરેન્સના ગવર્નર નિમાયા. 1535ની સાલમાં તેઓને રોમના પોપ ત્રીજાએ વૅટિકેનના સત્તાવાર શિલ્પી, ચિત્રકાર અને સ્થપતિ તરીકે નીમ્યા. તેમણે ચેપલની છત ઉપર ‘ધ લાસ્ટ જજમેન્ટ’ (ફ્રેસ્કો) ચીતર્યું. જીવનના અંતકાળમાં સ્થાપત્ય તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું. જીવનના અંતકાળે શિલ્પો ‘ડિસેન્ટ ફ્રોમ ધ ક્રૉસ’, ‘પેલેસ્ટ્રિના પિયેતા’ અને ‘રોન્દેનિની પિયત’ શિલ્પ ખૂબ ધ્યાનાકર્ષક બન્યાં છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમનાં કાવ્યો ‘આધ્યાત્મિક આત્મકથા’ના નામે પ્રસિદ્ધિ પામ્યાં છે.