Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડી

જ. ૩૦ જુલાઈ, ૧૮૮૬ અ. ૨૨ જુલાઈ, ૧૯૬૮

એક સુવિખ્યાત ડૉક્ટર, સમાજસેવિકા તથા ભારતની મદ્રાસ વિધાનસભામાં પ્રથમ મહિલાઉપાધ્યક્ષ હોવાનું ગૌરવ ધરાવતાં ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડીનો જન્મ તમિળનાડુના પુદુકોટ્ટાઈ રજવાડામાં થયો હતો. પિતા એસ. નારાયણસ્વામી મહારાજ કૉલેજના પ્રિન્સિપાલ હતા. માતાનું નામ ચંદ્રામાલા હતું. તે જમાનામાં છોકરીઓને શાળામાં ભણવા માટે મોકલતા નહિ, પણ પિતા નારાયણસ્વામીએ આ માન્યતાનો ભંગ કરીને મુત્તુલક્ષ્મીને શાળામાં દાખલ કરી. ૧૯૦૩માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારી તે એકમાત્ર છોકરી હતી. પુદુકોટ્ટાઈના મહારાજની દરમિયાનગીરીને કારણે તેમને વિરોધની વચ્ચે કૉલેજમાં પ્રવેશ મળ્યો. રાજાએ સ્કૉલરશિપ પણ આપી. આમ મહારાજા કૉલેજમાં પ્રવેશ મેળવનારાં તેઓ સર્વપ્રથમ મહિલા બન્યાં. પ્રથમ વર્ગમાં કૉલેજ પાસ કરીને તેમણે મદ્રાસ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સર્જરીમાં ૧૦૦ માર્ક્સ મેળવી ડૉક્ટર બન્યાં. મહિલા અને બાળકોની સરકારી હૉસ્પિટલમાં હાઉસ સર્જન તરીકે નિમણૂક પામ્યાં. તેઓ ગાંધીજી અને ડૉ. એની બેસન્ટથી ખૂબ પ્રભાવિત હતાં. સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યાં પછી તેઓ સમાજસેવાના કાર્યમાં જોડાઈ ગયાં. ગરીબ સ્ત્રીઓ અને બાળકો માટે તેમણે સેવા કરી હતી. ૧૯૩૦માં તેમના દ્વારા સ્થાપના કરાયેલ ‘અવ્વાઈહોમ’માં આજે પણ તરછોડાયેલી સ્ત્રીઓ અને બાળકોને શરણ પૂરું પાડવામાં આવે છે. કન્યાકેળવણી તથા બાળકેળવણીક્ષેત્રે તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. ૧૯૨૭માં તેમણે બાળકો માટે ભારતની પહેલી હૉસ્પિટલ ખોલી. શાળાનાં બાળકોમાં ફરજિયાત સ્વાસ્થ્ય ચકાસણી, બાળકલ્યાણ કેન્દ્રની સ્થાપના અને આરોગ્યખાતામાં અલગ મહિલાડાયરેક્ટરની નિમણૂક, ગરીબ છોકરીઓ માટે ફીમાં રાહત તથા રહેવા માટે છાત્રાલયની સગવડ જેવાં પ્રજાકલ્યાણનાં કાર્યો તેમણે હાથ ધર્યાં. દેવદાસીની પ્રથા પર પ્રતિબંધ લાવતો કાયદો પસાર કરાવ્યો. સ્ત્રીઓની વિવિધ સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલાં હતાં. ૧૯૩૧થી ૧૯૪૦ સુધી તેઓ ‘સ્ત્રી ધર્મ’ સામયિકના તંત્રીપદે રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા ‘અડિયાર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના તેમણે ૧૯૫૨માં કરી હતી. ૧૯૫૬માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

ચમકતી ખુશમિજાજી

અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સમાજના પ્રશ્નો ઉકેલતા સમાજના અગ્રણીને કોઈએ પૂછ્યું, ‘તમે જાતજાતના લોકો સાથે ચર્ચા-વિચારણા કરો છો, તુંડે તુંડે મતિ: ભિન્ન-ને કારણે કેટલાયની સાથે કલાકો સુધી માથાકૂટ કરો છો. આટલું બધું થાય છે છતાં તમે કેમ હંમેશાં ખુશમિજાજ દેખાવ છો ?’ અગ્રણીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. લુચ્ચા, નાદાન, બેવકૂફ, કુટિલ અને દાવપેચ લડાવનારા ઘણા લોકો અહીં આવે છે. ઘણી વાર એમની ધૃષ્ટતા કે ક્રૂરતાને નમ્રતાનો અંચળો ઓઢાડે છે, પરંતુ એ બધાને જોતો રહું છું. માનવ-સ્વભાવને જાણતો હોવાથી એમની વાતોથી હું ઉશ્કેરાતો નથી, બલ્કે એમને માણું છું. એમની તરકીબો જોઈને મનોમન હસું છું. આવી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવતા સામાજિક અન્યાયોથી હૃદયમાં અત્યંત દુ:ખી પણ થાઉં છું.’ એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો, ‘એ તો બરાબર, પણ આટલી વ્યથા અને પરેશાની વચ્ચે ચહેરા પર આવું હાસ્ય રાખવું, સદાય ખુશમિજાજ રહેવું, માનવમનની કુટિલતાઓ જોવા છતાં મનને ક્રોધિત થવા દેવું નહીં. આ અશક્ય કઈ રીતે શક્ય બનાવો છો ? એની પાછળનું રહસ્ય શું?’ અગ્રણીએ કહ્યું, ‘પ્રાત:કાળે જાગ્રત થાઉં ત્યારે મનમાં એક વિચાર કરું છું કે આજે મારો દિવસ કઈ રીતે પસાર કરવો છે ? ઘોર નિરાશાથી કે ચમકતી ખુશમિજાજીથી ? પછી હું નક્કી કરું છું કે આ બંને વિકલ્પોમાંથી બુદ્ધિમાન માણસે ખુશમિજાજી જ પસંદ કરવી જોઈએ, એટલે હું દિવસભર ખુશમિજાજ રહેવાનું નક્કી કરું છું. અને બસ, પછી તો એ ખુશમિજાજી મારી આસપાસના વાતાવરણમાં ભરી દઉં છું. મારી વિકલ્પની પસંદગી સતત યાદ રાખું છું. એમ કરીને હું નિરાશાને નજીક આવવા દેતો નથી. આ છે મારી આનંદમસ્તીનું રહસ્ય.’

Categories
વાચન સમૃદ્ધિ

બલવંત મોરેશ્વર પુરંદરે

જ. ૨૯ જુલાઈ,૧૯૨૨ અ. ૧૫ નવેમ્બર,૨૦૨૧

ઇતિહાસકાર અને લેખક બલવંત પુરંદરે બાબાસાહેબ પુરંદરેના નામથી જાણીતા છે. તેમણે શિવાજી મહારાજને કેન્દ્રમાં રાખીને સર્જન કર્યું છે આથી તેમને ‘શિવ-શાહિર’ પણ કહેવામાં આવે છે. તેઓ સાત વર્ષના હતા ત્યારે પ્લેગને લીધે તેમનો પરિવાર પુણેથી સિંહગઢ કિલ્લાની તળેટીમાં ડોંજેમાં સંબંધીને ત્યાં સ્થળાંતરિત થયો. આ દરમિયાન કિલ્લાની મુલાકાત લીધી. પિતા તેમને કિલ્લાની અને મરાઠા સામ્રાજ્યની વાર્તાઓ કહેતા, આથી એ બધું એમના સર્જનનો વિષય બની રહ્યું. તેમણે આચાર્ય અત્રેના વર્તમાનપત્રમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું. દાદરા અને નગર હવેલીના મુક્તિસંગ્રામમાં ભાગ લીધો હતો. નાની ઉંમરે શિવાજીના શાસનને લગતી વાર્તાઓ લખી હતી. આ વાર્તાઓનો ‘થિનાગ્ય’ નામના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે ૩૬ પુસ્તકો લખ્યાં છે જેમાં ‘રાજા શિવ-છત્રપતિ’ અને ‘કેસરી’ પ્રસિદ્ધ છે. તેમના ‘રાજા શિવ-છત્રપતિ’ પુસ્તક પરથી ૨૦૦૮માં ટીવી. પર ‘રાજા શિવ-છત્રપતિ’ સિરિયલ રજૂ થઈ હતી. તેમણે શિવાજી મહારાજ પર ૧૨,૦૦૦થી વધુ પ્રવચનો આપ્યાં હતાં. તેમની સૌથી જાણીતી રચના ‘જાણતા રાજા’ છે. આ નાટકનું ૧૯૮૫માં પ્રથમ વખત મંચન કરવામાં આવ્યું હતું. મૂળ મરાઠીમાં લખેલ આ નાટક હિન્દી સહિત પાંચ ભાષાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. જેના ભારત અને વિશ્વમાં બારસો ઉપરાંત પ્રયોગો થયા છે. આ નાટકમાં ૨૦૦થી વધુ કલાકારો છે તેમજ હાથી, ઘોડા વગેરેને મંચ પર રજૂ કરવામાં આવે છે. તેમણે અંબેગાંવ પાસે ‘શિવસૃષ્ટિ’ની સ્થાપના કરી છે. મહારાષ્ટ્રભૂષણ ઍવૉર્ડ માટેના દસ લાખ રૂપિયાના પુરસ્કારમાંથી માત્ર ૧૦ પૈસા તેમણે સ્વીકારી પોતાના તરફથી તેમાં ૧૫ લાખ રૂપિયા ઉમેરી એ રકમ કૅન્સરના સંશોધન માટે દાન આપી હતી. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં હતાં. ૨૦૦૭-૦૮માં કાલિદાસ સન્માન, ૨૦૧૨માં પ્રાચાર્ય શિવાજીરાવ ભોસલે સ્મૃતિ પુરસ્કાર, ૨૦૧૩માં ડી.લિટ્., ૨૦૧૫માં મહારાષ્ટ્રભૂષણ, ૨૦૧૬માં જીવનગૌરવ પુરસ્કાર અને ૨૦૧૯માં પદ્મવિભૂષણથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.