Categories
વાચન સમૃદ્ધિ

ઝીંઝુવાડા

ગુજરાતની વાયવ્ય સરહદે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે આવેલું ગામ. તે સોલંકીકાલીન કિલ્લાને કારણે વધારે જાણીતું બનેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ૨૩° ૨૧´ ઉ. અ. અને ૭૦° ૩૯´ પૂ. રે. ઉપર આવેલું છે. ખારાઘોડાથી ઉત્તરે ૨૪ કિમી. દૂર આવેલું વીરમગામ-ખારાઘોડા બ્રૉડગેજ રેલવેનું તે મથક છે. ઝીંઝુવાડાથી ચારેક કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવનું મંદિર અને કુંડ છે. ભાદરવી અમાસને દિવસે ઝીલેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. ઝીંઝુવાડા આઝાદી પૂર્વે એજન્સીનું થાણું હતું. ઝીંઝુવાડાથી ખારાઘોડાનો કાચો રસ્તો ઓડુ થઈને જાય છે. બીજો પાકો રસ્તો તેને પાટડી સાથે જોડે છે. બીજા બે રસ્તાઓ જૈનાબાદ અને આદરિયાણાને ઝીંઝુવાડા સાથે જોડે છે. ઝીંઝુવાડા નજીકનો કચ્છના નાના રણનો વિસ્તાર વડાગરા મીઠાના ઉત્પાદન માટે જાણીતો છે. કૂવો ખોદીને ભૂગર્ભ ખારા જળનો મીઠું પકવવા માટે ઉપયોગ થાય છે. મીઠું પાટડી મોકલાય છે અને ત્યાંથી તેની બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસામાં નિકાસ થાય છે. આસપાસના વિસ્તારોમાં જુવાર, બાજરી, કપાસ વગેરે થાય છે. ઝીંઝુવાડા નજીકનાં ગામોનું ખરીદ-વેચાણ કેન્દ્ર છે. નજીકના કચ્છના નાના રણપ્રદેશમાંથી વહાણનું લંગર મળી આવ્યું છે. તેથી અગાઉ પ્રાચીન કાળમાં અહીં સમુદ્ર હશે એવું અનુમાન થાય છે. ચુંવાળનો પ્રદેશ તેની નજીક છે. અહીં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા, જૈન મંદિરો, રામજીમંદિર અને શિવમંદિર છે. રાજેશ્વરી માતાનું મંદિર કિલ્લાની દીવાલને અડકીને છે.

મડાપોળ દરવાજો, ઝીંઝુવાડા

ગામનો સ્થાપક ઝુંઝો રબારી હતો. દંતકથા પ્રમાણે ઝુંઝાએ કર્ણદેવની રાણી મીનલદેવીને કચ્છના નાના રણના બેટમાં રહેતા તપસ્વીને પુત્ર માટે વિનંતી કરવા સૂચવ્યું. તપસ્વીના વરદાનથી સિદ્ધરાજનો જન્મ થયો. આ કારણથી સિદ્ધરાજે ઝુંઝા રબારીની યાદ સાચવવા ઝુંઝાના નેસને ઝીંઝુવાડા નામ આપ્યું હશે. બીજી અનુશ્રુતિ પ્રમાણે મીનલદેવીએ ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થળ પાસે મુકામ કર્યો. નજીકમાં નેસમાં રહેતા ઝુંઝા રબારીએ રાણીની સેવા કરી અને રાણીને તે નેસથી ત્રણ કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવના મંદિરે લઈ ગયો. મંદિરના મહંત સિદ્ધનાથે પોતાની ચમત્કારિક શક્તિથી રાણીને ઊપડેલી પીડાનું શમન કર્યું. યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. સિદ્ધના ઉપકારને લીધે રાણીએ પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું અને નેસનું નામ રબારીના નામ ઉપરથી ઝીંઝુવાડા પાડ્યું. અહીં સોલંકીકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સીમાના રક્ષણાર્થે વ્યૂહાત્મક દૃષ્ટિએ કિલ્લો બાંધવામાં આવ્યો. આ કિલ્લો ડભોઈના કિલ્લાને મળતો છે. સિંધમાંથી સૌરાષ્ટ્રમાં પ્રવેશવા માટેના દ્વાર સમાન હોઈ તેનું મહત્ત્વ ઘણું હતું. કિલ્લો સમચોરસ ઘાટનો છે. તેની બાજુઓ ૩/૪ કિમી. લંબાઈની છે. કિલ્લાની ચારે બાજુએ મધ્યમાં પુરદ્વારો છે અને ચાર છેડે ચાર બુરજો આવેલા છે. કિલ્લાને ફરતા કુલ ૨૦ બુરજો છે. કોટની દીવાલ સાદી છે પણ પુરદ્વારો સુંદર કોતરકામવાળાં શિલ્પો ધરાવે છે. ઝીંઝુવાડાનાં પુરદ્વારોમાં દ્વારપાલિકાનાં શિલ્પ લગભગ ૩.૭૫ મી. અને નગરરક્ષક દેવોનાં શિલ્પ ૧.૮૦ મી.થી ૧.૯૫ મી.નાં છે. ચારે પુરદ્વારોનાં અનેક દેવદેવીઓ, અશ્વો અને ગજારૂઢ સ્ત્રીપુરુષોનાં યુગલો, નર્તકો, વાદકો અને મિથુન-શિલ્પો સુંદર કોતરણીયુક્ત છે. રાજગઢી સામેનું તળાવ ધોળકાના મલાવ તળાવને મળતું છે. તે શેષજળતળાવ તરીકે ઓળખાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જિદ્દુ કૃષ્ણમૂર્તિ

જ. ૧૧ મે, ૧૮૯૫ અ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૬

આંધ્રપ્રદેશના મદનાપલ્લીમાં જન્મેલા વીસમી સદીના મહાન તત્વચિંતક, પ્રવચનકાર અને લેખક જે. કૃષ્ણમૂર્તિનું ચિંતન કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં બંધિયાર નહોતું, પરંતુ એમણે હંમેશાં ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપીને વિશ્વપરિપ્રેક્ષ્યમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. અક્ષરજ્ઞાન વિનાનો માણસ અજ્ઞાની નથી, પરંતુ જે પોતાની જાતને ઓળખતો નથી એ અજ્ઞાની છે એમ તેઓ કહેતા હતા.

‘સ્વ’ની સમજ એટલે શિક્ષણ અને એમણે સમજાવ્યું કે, ‘માનવસમસ્યાઓ’નાં મૂળમાં અહમ્ છે અને તેનો ઉકેલ ‘પસંદગી વગરનાં નિરીક્ષણ વડે અહમનું વિસર્જન કરવામાં આવે.’ સિત્તેર જેટલાં પુસ્તકોમાં એમનાં ભાષણો, સંવાદ, પત્ર અને રોજનીશીનો સમાવેશ થાય છે. થિયૉસૉફિકલ સોસાયટીના વડા એની બેસન્ટના સહાયક લેડબિટરને જિદ્દુમાં ઈસુ અને બુદ્ધની કક્ષાના અસાધારણ તત્ત્વનું દર્શન થયું હતું, પરંતુ ૧૯૨૫ની ૧૩મી નવેમ્બરના રોજ એમના ભાઈ નિત્યાનંદનું મૃત્યુ થતાં માનવવિષાદ અને માનવયાતનાની ઉત્કટ અનુભૂતિથી જિદ્દુ કૃષ્ણમૂર્તિના જીવનમાં પરિવર્તન થયું. એમને તરુણાવસ્થામાં વિશ્વભરમાં પથરાયેલી થિયૉસૉફિકલ સંસ્થાઓમાંની એક ‘ઑર્ડર ઑફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ’નું અધ્યક્ષપદ આપવામાં આવ્યું હતું, તેનું એમણે ૧૯૨૯ની ૩જી ઑગસ્ટે જાતે જ વિસર્જન કરી દીધું. એથીયે વિશેષ સંઘ, સંસ્થા, ગુરુ, મંત્ર, જાપ, વિધિ, વિચારસરણી કે સંપ્રદાય સત્યનાં દુશ્મન હોવાની ઘોષણા કરી અને પોતે જગદગુરુ બનવા માગતા નથી એવી જાહેરાત કરી. વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ મેળવે તે માટે એમણે ઋષિવેલી-આંધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવુડ પાર્ક જેવાં સ્થળે તેમના વિચારોને કાર્યાન્વિત કરતી શાળાઓનું નિર્માણ કર્યું. તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધરાવતા આ આંતરરાષ્ટ્રીય વિચારકે સ્વિટ્ઝર્લૅન્ડમાં રહીને વિશ્વપ્રવાસ કર્યો અને સાદી, સરળ અંગ્રેજી ભાષામાં એમણે આપેલાં પ્રવચન અને પરિચર્યાઓનાં ધ્વનિમુદ્રણ પરથી ગ્રંથોનું સર્જન કર્યું. ગુજરાતી ભાષામાં પણ એમના ગ્રંથો પ્રાપ્ય છે. કૅલિફૉર્નિયામાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

સાયપ્રસ

ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ.

તે ૩૫° ૦૦´ ઉ. અ. અને ૩૩° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ટર્કીથી આશરે ૬૪ કિમી. દક્ષિણ તરફ સ્થિત છે. તેનો વિસ્તાર આશરે ૯,૨૫૧ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી આશરે ૧૩,૫૮,૨૮૨ (૨૦૨૪, આશરે) જેટલી છે. નિકોસિયા તેનું પાટનગર તથા મોટામાં મોટું શહેર છે. નિકોસિયાનો ઘણોખરો ભાગ ગ્રીક વિસ્તારમાં રહેલો છે, જ્યારે તેનો થોડો ભાગ ટર્કી વિસ્તારમાં ગણાય છે. ભૌગોલિક રીતે આ દેશ એશિયામાં છે, પરંતુ ત્યાંના લોકોની જીવનશૈલી યુરોપના લોકોને વધુ મળતી આવે છે. ૧૯૬૦(૧૬-૮-૧૯૬૦)માં સાયપ્રસ સ્વતંત્ર દેશ બન્યો છે. સાયપ્રસમાં ટ્રુડોસ અને કાયરેનિયા – એમ બે પર્વતમાળાઓ આવેલી છે. તે બંનેની વચ્ચે મેસોરિયાનું ફળદ્રૂપ મેદાન આવેલું છે. નૈર્ૠત્ય સાયપ્રસની ટ્રુડોસ પર્વતમાળા પ્રમાણમાં મોટી છે. ૧,૯૫૨ મીટરની ઊંચાઈ ધરાવતું, માઉન્ટ ઑલિમ્પસ તેનું સર્વોચ્ચ શિખર છે. આ પર્વતમાળાનો ભાગ ગીચ જંગલોથી છવાયેલો છે. કાયરેનિયા પર્વતમાળા સાયપ્રસને ઉત્તર કાંઠે વિસ્તરેલી છે. અહીંનો સમુદ્રકંઠારપટ સોનેરી રેતીવાળો છે. પેડિયસ અહીંની મુખ્ય નદી છે.

સાયપ્રસની રાજધાની નિકોસિયા

આ દેશની આબોહવા લગભગ આખું વર્ષ ખુશનુમા રહે છે. શિયાળામાં ટ્રુડોસના ઊંચાઈવાળા ભાગો પર હિમવર્ષા થાય છે. મેદાની ભાગોમાં સરેરાશ વાર્ષિક વરસાદ ૩૦૦થી ૪૦૦ મિમી. જેટલો પડે છે, પરંતુ ટ્રુડોસ પર્વતો પર ૧,૦૦૦ મિમી. જેટલો વરસાદ પડે છે. દેશની મુખ્ય પેદાશોમાં સિમેન્ટ, સિગારેટ, પગરખાં, ઑલિવ ઑઇલ, કાપડ અને દારૂનો સમાવેશ થાય છે. જવ, ગ્રેપફ્રૂટ, દ્રાક્ષ, લીંબુ, ઑલિવ, નારંગી, કેળાં, બટાકા અને ઘઉં મુખ્ય ખેતપેદાશો છે. મુખ્ય ખનિજોમાં ઍસ્બેસ્ટૉસ અને ક્રોમાઇટનો સમાવેશ થાય છે. તાંબાની ખાણો પણ હતી જે હવે ખાસ પ્રમાણમાં રહી નથી. પ્રવાસન આ દેશનો મહત્ત્વનો ઉદ્યોગ છે. અહીંનો રમણીય સમુદ્રકંઠારપટ, ખાબડખૂબડ પહાડી પ્રદેશ, ટેકરીઓને મથાળે બાંધેલા કિલ્લા અને જૂનાં દેવળો  જોવાલાયક છે. દર વર્ષે અંદાજે ૨૪ લાખ લોકો અહીંનાં રમણીય દૃશ્યો, ઐતિહાસિક સ્થળો અને ખુશનુમા આબોહવાની મોજ માણવા આવે છે. સાયપ્રસમાં રેલમાર્ગો નથી, પરંતુ સડકમાર્ગો સારા છે. લિમાસોલ, કાયરેનિયા અને લાર્નેકા અહીંનાં મુખ્ય બંદરો છે. દેશનું હવાઈ મથક લાર્નેકા ખાતે આવેલું છે. દેશની વસ્તીના આશરે ૭૦% લોકો શહેરમાં વસે છે, જોકે મોટા ભાગના લોકો મેસોરિયાના મેદાની પ્રદેશમાં વસે છે. ગ્રીક અને તુર્કી અહીંની સત્તાવાર ભાષાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, સાયપ્રસ, પૃ. 117)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી