Categories
વાચન સમૃદ્ધિ

કવિમણિ દેશીગવિનયગમ્ પિલ્લાઈ

જ. ૨૭ જુલાઈ,૧૮૭૬ અ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૪

જાણીતા તમિળ કવિ દેશીગવિનયગમ્ પિલ્લાઈનો જન્મ કન્યાકુમારી જિલ્લાના થેરૂર ગામમાં શિવદનુ પિલ્લાઈ અને આદિલક્ષ્મીને ત્યાં થયો હતો. તેમના પિતાએ તેમનું નામ ‘દેશીગવિનયગમ્’ તેમના પૂજનીય દેવતા ઉપરથી રાખ્યું હતું. નવ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે જ શાળામાં તથા અન્ય સંસ્થાઓ સહિત ૩૬ વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું હતું. બાળકો માટે વ્યવસ્થિત રીતે કવિતા લખનારા પ્રથમ તમિળ કવિ તરીકે કવિમણિને શ્રેય આપવામાં આવે છે. તેમના ૧૯૩૮ના સંગ્રહ ‘મલારુમ્ માલૈયમ્’માં ૨૫થી વધુ બાળગીતો અને સાત કથાત્મક કવિતાઓનો સમાવેશ થાય છે. તેમની સૌથી વધુ લોકપ્રિય કૃતિઓમાંની એક બાળગીત ‘થોટ્ટથિન મેયુધા વેલ્લાઈ પાસુ’ (બગીચામાં ચરતી સફેદ ગાય) છે. તેમની કૃતિઓમાં ભક્તિગીતો, સાહિત્યિક અને ઐતિહાસિક કવિતાઓ, બાળગીતો, પ્રકૃતિ કવિતાઓ, સામાજિક વિષયો અને રાષ્ટ્રવાદી છંદો સહિત વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. પિલ્લઈએ એડવિન આર્નોલ્ડની ‘લાઇટ ઑવ્ એશિયા’નું તમિળ ભાષામાં રૂપાંતર કર્યું હતું. તેમણે ફારસી કવિ ઓમર ખય્યામનાં કાવ્યોનો તમિળમાં અનુવાદ કર્યો હતો. કવિમણિ એક સક્રિય સંશોધક પણ હતા, જેમણે તમિળ સાહિત્ય અને ઐતિહાસિક અભ્યાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે મદ્રાસ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા તમિળ લૅક્સિકન પ્રોજેક્ટ માટે સમીક્ષક તરીકે સેવા આપી હતી. તેમણે કંબારામાયણમ્ દિવાકરમ્ અને નવનીતા પાટિયાલ જેવાં કાર્યો માટે હસ્તપ્રતોનું પણ સંકલન કર્યું હતું. તેમના પુસ્તક ‘ગંધલૂર સાલાઈ’ને એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક અભ્યાસ માનવામાં આવે છે. ૧૯૪૦માં ચેન્નાઈની પચૈયપ્પા કૉલેજમાં તમિળ વિદ્વાન તમિલવેલ ઉમા મહેશ્વર પિલ્લઈ દ્વારા તેમને ‘કવિમણિ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. ૧૯૫૪માં થેરૂરમાં તેમનું એક સ્મારક બનાવવામાં આવ્યું હતું. ૨૦૦૫માં ભારત સરકારે તેમના માનમાં એક સ્મારક ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ટોંગા

દક્ષિણ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની પશ્ચિમે આવેલો ૧૭૦ ટાપુઓનો બનેલો દેશ. ભૌગોલિક સ્થાન : ૨૦° દ. અ. અને ૧૭૫° પ. રે. આ ટાપુઓ ૧૫° દ. અ. થી ૨૩° ૩૦´ દ. અ. અને ૧૭૩° થી ૧૭૭° પ. રે. વચ્ચે આવેલા છે. તે ફિજીથી પૂર્વમાં ૬૪૦ કિમી. અને ઑસ્ટ્રેલિયાના સિડની  શહેરથી ઈશાન ખૂણે ૩૦૦૦ કિમી. દૂર છે. તેનું ક્ષેત્રફળ ૭૪૮ ચોકિમી. છે. પશ્ચિમ તરફના ટાપુઓ જ્વાળામુખીને કારણે ઉદભવ્યા છે, જ્યારે પૂર્વ તરફના ટાપુઓ ચૂનાના ખડકોવાળા છે. દક્ષિણમાં ટોંગા ટાપુ, ઉત્તરમાં વાવઉ જૂથ અને મધ્યમાં હાપાઈ જૂથના ટાપુઓ છે. ટોંગા સૌથી મોટો ટાપુ છે. મૃત જ્વાળામુખી કાઓ ૧૦૩૩ મી. ઊંચો છે. કેટલાક જ્વાળામુખી પર્વતો સમુદ્રમાં ડૂબેલા છે. ટોકુઆ ટાપુ ઉપરનો જ્વાળામુખી તથા અન્ય જ્વાળામુખી પર્વતો અવારનવાર ભભૂકી ઊઠે છે. ચૂનાના ખડકો તથા લાવામિશ્રિત જમીન ફળદ્રૂપ છે, જ્યારે પરવાળાના ટાપુઓની જમીન પ્રમાણમાં ઓછી ફળદ્રૂપ છે. ઉત્તરના ટાપુઓનું સરેરાશ તાપમાન ૨૩° સે. અને દક્ષિણના ટાપુઓનું સરેરાશ તાપમાન ૨૭° સે. રહે છે. સમુદ્રની અસરને કારણે ઠંડી ઓછી પડે છે. વાવઉ ટાપુમાં સૌથી વધારે વરસાદ ૨૨૮૬ મિમી. અને ટોંગા ટાપુ ખાતે ૧૭૦૨ મિમી. વરસાદ પડે છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આ ટાપુઓ ‘હરિકેન’ તરીકે ઓળખાતા વાવાઝોડાનો ભોગ બને છે.

ટોંગા ટાપુ

નારિયેળ અને તાડનાં વૃક્ષો દરિયાકિનારાના મેદાનમાં જોવા મળે છે. તરબૂચ, બ્રેડફ્રૂટ, વનિલાની શિંગો અને કેળાં અન્ય પાક છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ઉપરાંત લોકો ડુક્કર, મરઘાં અને ઢોર ઉછેરે છે. તેલની મિલો અને હસ્તકારીગરીની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ છે. દર વરસે અહીં પ્રવાસીઓ આવે છે. ૨૦૨૪માં ટોંગોની વસ્તી ૧.૦૫ (આશરે) લાખ હતી. દર ચોકિમી.દીઠ વસ્તીની  ઘનતા ૧૩૧ છે. કુલ વસ્તીના ૭૯% લોકો ગ્રામવિસ્તારમાં અને ૨૧% લોકો શહેરોમાં વસતા હતા. નુકુ અલાફો તેનું પાટનગર છે અને કુલ વસ્તીના બે-તૃતીયાંશ લોકો અહીં વસે છે. ૩૬ ટાપુઓમાં કાયમી વસ્તી છે. ટોંગાના લોકો પોલીનેશિયન જાતિના છે. મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેમની ટોંગન ભાષા સામોઅન ભાષા ઉપરથી ઊતરી આવી છે. ૯૦%થી ૯૫% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. આ ટાપુના લોકોનો વેપાર મુખ્યત્વે નેધરલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સાથે છે. સ્થાનિક પેદાશ અને હસ્તકારીગરીની વસ્તુઓની નિકાસ થાય છે. દેશનું ચલણ ‘પાંગા’ છે. ૧૯૦૦–૧૯૭૦ દરમિયાન આ ટાપુ ઇંગ્લૅન્ડનું રક્ષિત રાજ્ય હતું. ટુપૌ વંશનું શાસન (રાજાશાહી) ૧૦૦૦  વર્ષ જેટલું જૂનું છે. રાજા અને પ્રિવી કાઉન્સિલ દેશનો વહીવટ ચલાવે છે. અહીં બંધારણીય રાજાશાહી છે. ૪-૬-૧૯૭૦થી આ દેશ સ્વતંત્ર થયો છે. આ ટાપુની પ્રથમ મુલાકાત લેનાર ડચ વહાણવટી જેકબ લે મૈર હતો (૧૬૧૬). ૧૬૪૩માં એબલ ટાસ્માને અને ૧૭૭૩માં અંગ્રેજ વહાણવટી કૅપ્ટન કૂકે આ ટાપુઓની મુલાકાત લીધી હતી. આ ટાપુ રાજ્ય રાષ્ટ્રકુટુંબ(Commonwealth of Nations)માં જોડાયેલ છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

ગિરિલાલ જૈન

જ. ૨૬ જુલાઈ, ૧૯૨૨ અ. ૧૯ જુલાઈ, ૧૯૯૩

સફળ અને પ્રભાવશાળી તંત્રી તરીકે સહુની પ્રશંસા મેળવનાર ભારતના પીઢ પત્રકાર ગિરિલાલ જૈનનો જન્મ હરિયાણાના સોનીપત જિલ્લાના પીપળીખેડા ગામમાં થયો હતો. દિલ્હીમાં બી.એ.ની ડિગ્રી મેળવી, ૧૯૪૮માં ‘ઇન્ડિયન ક્રોનિકલ’માં ઉપતંત્રી તરીકે જોડાયા. ૧૯૫૦માં ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના દિલ્હી કાર્યાલયમાં તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૫૧માં રિપોર્ટર અને ૧૯૫૮માં ચીફ રિપોર્ટર થયા. ૧૯૬૧માં કરાંચીમાં અને ૧૯૬૨માં લંડનમાં ‘ટાઇમ્સ’ના વિશેષ પ્રતિનિધિ તરીકે કામ કર્યું. ત્રણ વર્ષ પછી ભારત આવ્યા અને ૧૯૬૫માં દિલ્હીમાં સહાયક તંત્રી નિમાયા. ૧૯૭૦થી ૧૯૭૬ દરમિયાન દિલ્હી આવૃત્તિના વરિષ્ઠ તંત્રી રહ્યા. તે પછી તેઓ ૧૯૭૮થી ૧૯૮૮ સુધી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીપદે રહ્યા હતા. તેમની ગણના ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના જૂની પેઢીના સમર્થ તંત્રીઓમાં થતી હતી. તેઓ ભારતી પરિષદ, ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તથા સંરક્ષણ અભ્યાસ તથા વિશ્લેષણ સંસ્થાના સભ્ય પણ રહ્યા હતા. એક તંત્રી તરીકે ગિરિલાલ જૈન ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ પર વરસો સુધી પોતાની છાપ મૂકી શક્યા હતા. તંત્રીપદેથી નિવૃત્ત થયા પછી પણ એમણે વિવિધ અખબારોમાં લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું. ‘ધ સન્ડે મેઇલ’ અને ‘ધ ઑબ્ઝર્વર’માં એમણે વિવિધ વિષયો પર ચિંતનાત્મક લેખો લખ્યા છે. તેમણે ભારત-ચીન સંબંધો તથા પાકિસ્તાનના સૈનિકવાદ વિશે પુસ્તકો લખ્યાં છે. તેમના પુસ્તક ‘ધ હિન્દુ ફિનોમિનને’ દેશના બૌદ્ધિકોમાં ખૂબ ચકચાર ફેલાવી હતી. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટેના આંદોલનને તેમણે ટેકો આપ્યો હતો. તેઓ આ આંદોલનને હિંદુ પુનરુત્થાનની અભિવ્યક્તિ ગણતા હતા. ૧૯૯૩માં બીમાર થયા પછી તેમાંથી ફરી સાજા થયા નહિ. આથી તેમની પુત્રી મીનાક્ષી જૈને આ પુસ્તકનું સંપાદનકાર્ય સંભાળ્યું. એક જ વર્ષમાં તેની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. ૧૯૫૧માં તેઓ સુદર્શન જૈન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમની પુત્રી મીનાક્ષી જૈન ઇતિહાસકાર છે જ્યારે સંધ્યા જૈન પત્રકાર છે અને પુત્ર સુનીલ જૈન ‘ફાઇનાન્શિયલ એક્સપ્રેસ’ના મૅનેજિંગ એડિટર રહી ચૂક્યા છે. ૧૯૮૯માં તેમને ‘પદ્મભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.