Categories
વાચન સમૃદ્ધિ

ફ્લૉરેન્સ નાઇટિંગેલ

જ. ૧૨ મે, ૧૮૨૦ અ. ૧૩ ઑગસ્ટ, ૧૯૧૦

આધુનિક નર્સિંગના સ્થાપક અને સમાજ સુધારક ફ્લૉરેન્સ નાઇટિંગેલનો જન્મ ઇટાલીના ફ્લૉરેન્સ શહેરમાં થયો હતો. ફ્લૉરેન્સનો જન્મ એવા સમયે થયો જ્યારે નર્સો અને સૈનિકોને સમાજમાં આદરની દૃષ્ટિએ જોવામાં આવતાં નહોતાં. પિતા વિલયમ એડવર્ડ એક સમૃદ્ધ જમીનદાર હતા. ફ્લૉરેન્સે પોતાના પરિવારની સામે નર્સિંગ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી, પહેલાં તો એમના પિતાએ સખત વિરોધ નોંધાવ્યો, પણ છેવટે એમની વાત માની લીધી અને જર્મનીની પ્રોટેસ્ટંટ ડેકોનેસિસ સંસ્થામાં ફ્લૉરેન્સે નર્સિંગની તાલીમ લીધી. ૧૮૫૩માં તેમણે લંડનની મહિલાઓ માટેની એક હૉસ્પિટલ, ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ કેયર ઑફ સિંક જેન્ટલવુમન’ શરૂ કર્યું, જ્યાં તેમણે દર્દીઓની સંભાળ માટે ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરી અને નર્સોની કાર્યકારી પરિસ્થિતિમાં પણ સુધારો કર્યો. ઈ. સ. ૧૮૫૪માં બ્રિટિશ સરકાર દ્વારા ફ્લૉરેન્સની આગેવાની હેઠળ ઑક્ટોબર ૧૮૫૪માં ૩૮ નર્સોની ટીમ ઘાયલ સૈનિકોની સેવા માટે તુર્કી મોકલવામાં આવી હતી. એમની સખત મહેનત અને સારસંભાળને કારણે યુદ્ધમાં ઘાયલોની સંખ્યા ઓછી થઈ. યુદ્ધ દરમિયાન ફ્લૉરેન્સ રાતદિવસ ઘાયલ સૈનિકોની સંભાળ લેતાં રહ્યાં અને તેમના હાથમાં દીવો હતો તેથી તે ‘લેડી વિથ ધ લૅમ્પ’ તરીકે જાણીતાં થયાં. ભારતમાં પણ એમનું વિશેષ યોગદાન છે. ઈ. સ. ૧૮૬૦માં તેઓ આર્મી મેડિકલ સ્કૂલ ખોલવામાં સફળ રહ્યાં અને તેજ વર્ષે તેમણે નર્સો માટે ‘નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલ’ પણ ખોલી અને ‘નોટ્સ ઑન નર્સિંગ’ નામનું પુસ્તક પણ લખ્યું. દર્દીઓની અને ગરીબોની સેવા કરતી વખતે તેઓ પોતે બીમાર થઈ ગયાં હતાં, પરંતુ તેમણે પીછેહઠ કરી ન હતી. તેમણે નર્સોને યોગ્ય રીતે તાલીમ આપવાની પરંપરા શરૂ કરી અને નર્સિંગના કાર્યને સન્માનજનક વ્યવસાયમાં બદલી નાખ્યું. ફ્લૉરેન્સ નાઇટિંગેલને બ્રિટન સરકારે 1907માં તેના સર્વોચ્ચ સન્માન ‘ઑર્ડર ઑફ મેરિટ’થી નવાજ્યાં હતાં. આ સન્માન મેળવનારાં તેઓ પ્રથમ મહિલા હતાં. નર્સિંગ ક્ષેત્રે ઉમદા સેવા માટે તેઓના નામથી આંતરરાષ્ટ્રીય સ્તરે નર્સો માટે ‘ફ્લૉરેન્સ નાઇટિંગેલ મેડલ’ પણ આપવામાં આવે છે. આ મેડલને નર્સિંગ ક્ષેત્રમાં અપાતો સૌથી પ્રતિષ્ઠિત મેડલ માનવામાં આવે છે. ભારતમાં આજે પણ ‘પરિવાર અને કલ્યાણ મંત્રાલય’ દ્વારા ૧૯૭૩થી ‘રાષ્ટ્રીય ફ્લૉરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર’ આપવામાં આવે છે. નર્સિંગ અને સેવાના ક્ષેત્રમાં ફ્લૉરેન્સના યોગદાનને આજે પણ દુનિયા યાદ કરે છે અને તેમનો જન્મદિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઝીંઝુવાડા

ગુજરાતની વાયવ્ય સરહદે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે આવેલું ગામ. તે સોલંકીકાલીન કિલ્લાને કારણે વધારે જાણીતું બનેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ૨૩° ૨૧´ ઉ. અ. અને ૭૦° ૩૯´ પૂ. રે. ઉપર આવેલું છે. ખારાઘોડાથી ઉત્તરે ૨૪ કિમી. દૂર આવેલું વીરમગામ-ખારાઘોડા બ્રૉડગેજ રેલવેનું તે મથક છે. ઝીંઝુવાડાથી ચારેક કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવનું મંદિર અને કુંડ છે. ભાદરવી અમાસને દિવસે ઝીલેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. ઝીંઝુવાડા આઝાદી પૂર્વે એજન્સીનું થાણું હતું. ઝીંઝુવાડાથી ખારાઘોડાનો કાચો રસ્તો ઓડુ થઈને જાય છે. બીજો પાકો રસ્તો તેને પાટડી સાથે જોડે છે. બીજા બે રસ્તાઓ જૈનાબાદ અને આદરિયાણાને ઝીંઝુવાડા સાથે જોડે છે. ઝીંઝુવાડા નજીકનો કચ્છના નાના રણનો વિસ્તાર વડાગરા મીઠાના ઉત્પાદન માટે જાણીતો છે. કૂવો ખોદીને ભૂગર્ભ ખારા જળનો મીઠું પકવવા માટે ઉપયોગ થાય છે. મીઠું પાટડી મોકલાય છે અને ત્યાંથી તેની બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસામાં નિકાસ થાય છે. આસપાસના વિસ્તારોમાં જુવાર, બાજરી, કપાસ વગેરે થાય છે. ઝીંઝુવાડા નજીકનાં ગામોનું ખરીદ-વેચાણ કેન્દ્ર છે. નજીકના કચ્છના નાના રણપ્રદેશમાંથી વહાણનું લંગર મળી આવ્યું છે. તેથી અગાઉ પ્રાચીન કાળમાં અહીં સમુદ્ર હશે એવું અનુમાન થાય છે. ચુંવાળનો પ્રદેશ તેની નજીક છે. અહીં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા, જૈન મંદિરો, રામજીમંદિર અને શિવમંદિર છે. રાજેશ્વરી માતાનું મંદિર કિલ્લાની દીવાલને અડકીને છે.

મડાપોળ દરવાજો, ઝીંઝુવાડા

ગામનો સ્થાપક ઝુંઝો રબારી હતો. દંતકથા પ્રમાણે ઝુંઝાએ કર્ણદેવની રાણી મીનલદેવીને કચ્છના નાના રણના બેટમાં રહેતા તપસ્વીને પુત્ર માટે વિનંતી કરવા સૂચવ્યું. તપસ્વીના વરદાનથી સિદ્ધરાજનો જન્મ થયો. આ કારણથી સિદ્ધરાજે ઝુંઝા રબારીની યાદ સાચવવા ઝુંઝાના નેસને ઝીંઝુવાડા નામ આપ્યું હશે. બીજી અનુશ્રુતિ પ્રમાણે મીનલદેવીએ ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થળ પાસે મુકામ કર્યો. નજીકમાં નેસમાં રહેતા ઝુંઝા રબારીએ રાણીની સેવા કરી અને રાણીને તે નેસથી ત્રણ કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવના મંદિરે લઈ ગયો. મંદિરના મહંત સિદ્ધનાથે પોતાની ચમત્કારિક શક્તિથી રાણીને ઊપડેલી પીડાનું શમન કર્યું. યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. સિદ્ધના ઉપકારને લીધે રાણીએ પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું અને નેસનું નામ રબારીના નામ ઉપરથી ઝીંઝુવાડા પાડ્યું. અહીં સોલંકીકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સીમાના રક્ષણાર્થે વ્યૂહાત્મક દૃષ્ટિએ કિલ્લો બાંધવામાં આવ્યો. આ કિલ્લો ડભોઈના કિલ્લાને મળતો છે. સિંધમાંથી સૌરાષ્ટ્રમાં પ્રવેશવા માટેના દ્વાર સમાન હોઈ તેનું મહત્ત્વ ઘણું હતું. કિલ્લો સમચોરસ ઘાટનો છે. તેની બાજુઓ ૩/૪ કિમી. લંબાઈની છે. કિલ્લાની ચારે બાજુએ મધ્યમાં પુરદ્વારો છે અને ચાર છેડે ચાર બુરજો આવેલા છે. કિલ્લાને ફરતા કુલ ૨૦ બુરજો છે. કોટની દીવાલ સાદી છે પણ પુરદ્વારો સુંદર કોતરકામવાળાં શિલ્પો ધરાવે છે. ઝીંઝુવાડાનાં પુરદ્વારોમાં દ્વારપાલિકાનાં શિલ્પ લગભગ ૩.૭૫ મી. અને નગરરક્ષક દેવોનાં શિલ્પ ૧.૮૦ મી.થી ૧.૯૫ મી.નાં છે. ચારે પુરદ્વારોનાં અનેક દેવદેવીઓ, અશ્વો અને ગજારૂઢ સ્ત્રીપુરુષોનાં યુગલો, નર્તકો, વાદકો અને મિથુન-શિલ્પો સુંદર કોતરણીયુક્ત છે. રાજગઢી સામેનું તળાવ ધોળકાના મલાવ તળાવને મળતું છે. તે શેષજળતળાવ તરીકે ઓળખાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જિદ્દુ કૃષ્ણમૂર્તિ

જ. ૧૧ મે, ૧૮૯૫ અ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૬

આંધ્રપ્રદેશના મદનાપલ્લીમાં જન્મેલા વીસમી સદીના મહાન તત્વચિંતક, પ્રવચનકાર અને લેખક જે. કૃષ્ણમૂર્તિનું ચિંતન કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં બંધિયાર નહોતું, પરંતુ એમણે હંમેશાં ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપીને વિશ્વપરિપ્રેક્ષ્યમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. અક્ષરજ્ઞાન વિનાનો માણસ અજ્ઞાની નથી, પરંતુ જે પોતાની જાતને ઓળખતો નથી એ અજ્ઞાની છે એમ તેઓ કહેતા હતા.

‘સ્વ’ની સમજ એટલે શિક્ષણ અને એમણે સમજાવ્યું કે, ‘માનવસમસ્યાઓ’નાં મૂળમાં અહમ્ છે અને તેનો ઉકેલ ‘પસંદગી વગરનાં નિરીક્ષણ વડે અહમનું વિસર્જન કરવામાં આવે.’ સિત્તેર જેટલાં પુસ્તકોમાં એમનાં ભાષણો, સંવાદ, પત્ર અને રોજનીશીનો સમાવેશ થાય છે. થિયૉસૉફિકલ સોસાયટીના વડા એની બેસન્ટના સહાયક લેડબિટરને જિદ્દુમાં ઈસુ અને બુદ્ધની કક્ષાના અસાધારણ તત્ત્વનું દર્શન થયું હતું, પરંતુ ૧૯૨૫ની ૧૩મી નવેમ્બરના રોજ એમના ભાઈ નિત્યાનંદનું મૃત્યુ થતાં માનવવિષાદ અને માનવયાતનાની ઉત્કટ અનુભૂતિથી જિદ્દુ કૃષ્ણમૂર્તિના જીવનમાં પરિવર્તન થયું. એમને તરુણાવસ્થામાં વિશ્વભરમાં પથરાયેલી થિયૉસૉફિકલ સંસ્થાઓમાંની એક ‘ઑર્ડર ઑફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ’નું અધ્યક્ષપદ આપવામાં આવ્યું હતું, તેનું એમણે ૧૯૨૯ની ૩જી ઑગસ્ટે જાતે જ વિસર્જન કરી દીધું. એથીયે વિશેષ સંઘ, સંસ્થા, ગુરુ, મંત્ર, જાપ, વિધિ, વિચારસરણી કે સંપ્રદાય સત્યનાં દુશ્મન હોવાની ઘોષણા કરી અને પોતે જગદગુરુ બનવા માગતા નથી એવી જાહેરાત કરી. વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ મેળવે તે માટે એમણે ઋષિવેલી-આંધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવુડ પાર્ક જેવાં સ્થળે તેમના વિચારોને કાર્યાન્વિત કરતી શાળાઓનું નિર્માણ કર્યું. તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધરાવતા આ આંતરરાષ્ટ્રીય વિચારકે સ્વિટ્ઝર્લૅન્ડમાં રહીને વિશ્વપ્રવાસ કર્યો અને સાદી, સરળ અંગ્રેજી ભાષામાં એમણે આપેલાં પ્રવચન અને પરિચર્યાઓનાં ધ્વનિમુદ્રણ પરથી ગ્રંથોનું સર્જન કર્યું. ગુજરાતી ભાષામાં પણ એમના ગ્રંથો પ્રાપ્ય છે. કૅલિફૉર્નિયામાં તેમનું અવસાન થયું.