Categories
વાચન સમૃદ્ધિ

બાલગંગાધરનાથ સ્વામી

જ. 18 જાન્યુઆરી, 1945 અ. 13 જાન્યુઆરી, 2013

સમાજસેવા દ્વારા જાગરણ કરનાર સંન્યાસી બાલગંગાધરનાથ સ્વામીનો જન્મ કર્ણાટકના બાનંદુર ગામમાં થયો હતો. પિતા ચિક્કાલિંગ ગૌડા અને માતા બોરામ્મા. તેમનું બાળપણનું નામ ગંગાધરૈયા હતું. 1963માં પ્રથમ વર્ગ સાથે મૅટ્રિક થયા પછી બૅંગાલુરુની આર્ટસ ઍન્ડ સાયન્સ કૉલેજમાં સ્નાતક થયા. તેમણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો અને આદિ ચુંચનગિરિ મઠના રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી. તેમનું નામ બાલગંગાધરનાથ સ્વામી રાખવામાં આવ્યું. તેમણે વેદ, ઉપનિષદ અને અન્ય ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. તેમણે 24 સપ્ટેમ્બર, 1974ના રોજ પ્રાચીન નાથસંપ્રદાયના શ્રી આદિ ચુંચનગિરિ મઠના 71મા ધર્મગુરુ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે 1973માં શ્રી આદિ ચુંચનગિરિ શિક્ષણ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. આજે દેશભરમાં 480થી વધુ શાળાઓ કાર્યરત છે. તેમણે પરંપરાગત શિક્ષણપદ્ધતિની હિમાયત કરી. સંસ્કૃત કૉલેજો અને આયુર્વેદિક હૉસ્પિટલ શરૂ કરી. બૅંગાલુરુ અને મૈસૂરમાં વાજબી દરે ખર્ચાળ તપાસ અને ઑપરેશન કરતી બીજીએસ ગ્લોબલ અને બીજીએસ એપોલો હૉસ્પિટલ શરૂ કરી. કુદરતી આપત્તિ સમયે પીડિતોને મફત અનાજ, વસ્ત્રો અને જરૂરી દવાઓ પૂરી પાડી. નિરાધાર મહિલાઓ અને બાળકો માટે અનાથાશ્રમો શરૂ કર્યા. મહિલાઓને પગભર થવા માટે વ્યાવસાયિક તાલીમકેન્દ્રો શરૂ કર્યાં. ‘ગો ગ્રીન અર્થ’ ચળવળ અંતર્ગત તેમણે ‘એક વ્યક્તિ એક છોડ’ અભિયાન શરૂ કર્યું. બૅંગાલુરુ અને તેની આસપાસના વિસ્તારોમાં પાંચેક લાખ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. વનમહોત્સવ અને જલસંવર્ધન કાર્યક્રમો દ્વારા પર્યાવરણનું જતન કરવાનું કાર્ય કર્યું. તેમણે ‘કર્ણાટક વનસંવર્ધન ટ્રસ્ટ’ની સ્થાપના કરી. ગરીબ બાળકોને નાતજાતના ભેદભાવ વગર બાલમંદિરથી લઈને મેડિકલ અને એન્જિનિયરિંગ સુધી ભણવા, રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમને આજીવન કરેલાં સમાજઉપયોગી કાર્યો બદલ અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. ભારત સરકારે 2010માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. યુ.એસ.ની ઇન્ટરનેશનલ હિન્દુ વૈદિક યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સ અને બૅંગ્લોર યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

તિરુચિરાપલ્લી

ભારતના તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. ‘ત્રિચિનાપલ્લી’ નામથી પણ તે ઓળખાય છે. આશરે ૪૫૧૧ ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાની ઉત્તરમાં પેરામ્બુર, ઈશાને આરિયાલુર, પશ્ચિમમાં કરુર; પૂર્વમાં થાન્જાવુર અને પુડુકોટ્ટાઈ અને દક્ષિણમાં મદુરાઈ જિલ્લાઓની સીમાઓ આવેલી છે. તેના લગભગ મધ્ય ભાગમાં થઈને કાવેરી નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે, જેથી તેના મોટા ભાગને સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. ડાંગરના ઉત્પાદનમાં આ જિલ્લો રાજ્યમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અહીં શેરડી, સોપારી, મરી અને બીજા પાકો થાય છે. આ જિલ્લામાંથી અગ્નિજિત માટી (fireclay), ચિરોડી (gypsum), ફેલ્સ્પાર, ક્વાટર્ઝ, ચૂનાખડકો વગેરે ખનિજો પ્રાપ્ત થાય છે. જિલ્લામાં અનેક કુટિર-ઉદ્યોગો છે. આ ઉપરાંત ખાદ્યપેદાશો, રસાયણો અને દવાઓ, વિદ્યુત-યંત્રસામગ્રી, ધાતુકીય અને બિનધાતુકીય પેદાશો, કાપડ તેમજ વાહનવ્યવહારનાં ઉપકરણો વગેરેને લગતા ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. જિલ્લાની વસ્તી ૩૧,૦૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે.

ઉચ્ચ ટેકરી પર કિલ્લો અને મંદિર, તિરુચિરાપલ્લી

તિરુચિરાપલ્લી નગરનું ભૌગોલિક સ્થાન આશરે ૧૦° ૪૫´ ઉ. અ. તથા ૭૮° ૪૫´ પૂ. રે. પર કાવેરી નદીના કાંઠે તેના મુખત્રિકોણ-પ્રદેશની પડખે લગભગ ૧૫૦ મી.ની ઊંચાઈનાં મેદાનોમાં આવેલું છે. આ શહેરનું દૈનિક સરેરાશ ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૩૩.૭° સે. અને ૨૪° સે. હોય છે, જ્યારે તેના વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ ૧૮૪૦ મિમી. જેટલું છે. વાસ્તુશિલ્પની દૃષ્ટિએ પણ આ કિલ્લો મહત્ત્વપૂર્ણ છે. કિલ્લા પર જવા માટે પથ્થરોને કાપીને સીડીઓ બનાવવામાં આવી છે. આ કિલ્લામાં વિશાળ ચોગાન, સ્તંભોવાળો હૉલ, માતૃભૂતેશ્વર (મહાદેવ) તથા શ્રીગણેશજીનાં મંદિરો, કુંડ વગેરે આવેલાં છે. આ સિવાય આ ટેકરી પર પલ્લવકાળનાં અનેક ગુફામંદિરો છે, જે શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ પ્રખ્યાત છે. ઔદ્યોગિક દૃષ્ટિએ આ નગર પ્રગતિશીલ છે. અહીં વિવિધ પ્રકારના કુટિર-ઉદ્યોગો છે, જે પૈકી પરંપરાગત સુતરાઉ કાપડવણાટનો તથા સિગારેટ બનાવવાનો ઉદ્યોગ મુખ્ય છે. આ સિવાય તે રસાયણો અને દવાઓ, ખાદ્યપેદાશો, ધાતુપેદાશો, વાહનવ્યવહારનાં ઉપકરણો, અત્યાધુનિક વિદ્યુત યંત્રસામગ્રી અને તાપ-ભઠ્ઠી(thermal boiler)ને લગતા ઉદ્યોગો તેમજ રેલ-એન્જિનો બનાવવાની કાર્યશાળા ધરાવે છે. આ નગર રેલમાર્ગોનું મોટું મથક છે. ચેન્નાઈ તથા મદુરાઈ સાથે તે ધોરી માર્ગ તથા રેલમાર્ગથી સંકળાયેલું છે. વળી તે હવાઈમથક પણ ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તિરુચિરાપલ્લી, પૃ. 833 અથવા જુઓ https://gujarativishwakosh.org/તિરુચિરાપલ્લી/)

Categories
વાચન સમૃદ્ધિ

કમાલ અમરોહી

જ. 17 જાન્યુઆરી, 1918 અ. 11 ફેબ્રુઆરી, 1993

હિન્દી ફિલ્મજગતના નિર્માતા, નિર્દેશક, પટકથા લેખક તથા સંવાદલેખક કમાલ અમરોહીનો જન્મ ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેઓ ઉર્દૂ તથા હિન્દી શાયરી-કવિતાના પણ જાણકાર હતા. એમનું મૂળ નામ ‘સૈયદ અમીર હૈદર કમાલ નકવી’ હતું. એમણે શાળાકીય શિક્ષણ લાહોરમાં લીધું હતું. એ માહોલમાં જ લેખનનો શોખ જાગ્યો અને લેખક તરીકે કારકિર્દી શરૂ કરી. ગાયક મિત્ર કે. એલ. સહગલના બોલાવવાથી તેઓ લાહોર છોડીને મુંબઈ સ્થાયી થયા. જ્યાં એમની કલાને કાર્યક્ષેત્ર અને દિશા મળ્યાં. 1938માં ‘જેલર’ તથા ‘છલિયા’ ફિલ્મનાં પટકથા તથા સંવાદનું લેખન કરીને હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ત્યારબાદ ‘પુકાર’, ‘ફૂલ’, ‘શાહજહાં’ જેવી અનેક ફિલ્મોનું લેખન કર્યું. ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ના સંવાદોના લેખન માટે એમને ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1949માં ફિલ્મ ‘મહલ’ના નિર્દેશન સાથે ફિલ્મ દિગ્દર્શનમાં પણ પદાર્પણ કર્યું. ‘પાકીઝા’, ‘સાકી’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ જેવી અનેક ફિલ્મો આપી. 1983માં આવેલી ‘રઝિયા સુલતાન’ એ એમની અંતિમ ફિલ્મ રહી. લેખન-દિગ્દર્શન દ્વારા કમાલ અમરોહીએ સિનેજગતમાં ગુણવત્તાસભર કલાત્મક યોગદાન કર્યું છે. એમનું વ્યક્તિગત જીવન તથા લગ્નજીવન પણ અનેક ઉતારચડાવવાળાં રહ્યાં. મીનાકુમારી એમનાં ત્રીજાં પત્ની હતાં. જે લગ્નજીવન ખૂબ ચર્ચિત રહ્યું. દુઃખ, યાતના, પ્રેમની અનુભૂતિને પોતાની ફિલ્મોમાં કલાત્મક રીતે વાચા આપવા માટે તેઓ જાણીતા હતા. 1958માં એમણે કમાલ અમરોહી સ્ટુડિયોની સ્થાપના કરી, જ્યાં અનેક ફિલ્મોનાં સર્જન થયાં. એમણે આપેલ યોગદાન માટે 2013માં ભારતીય સિનેમાના શતાબ્દી ઉત્સવ દરમિયાન ભારત સરકાર દ્વારા એમના નામની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. કમાલ અમરોહીના પરિવાર દ્વારા ‘કમાલ ઔર મીના’ બાયૉપિક તૈયાર કરવામાં આવી જે કમાલ અમરોહીના જીવન અને કાર્યનો સુંદર માહિતીસભર ચિતાર આપે છે.