Categories
વાચન સમૃદ્ધિ

ડિટ્રૉઇટ

યુ.એસ.ના મિશિગન રાજ્યનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : ૪૨° ૨૦´ ઉ. અ. અને ૮૩° ૦૩´ પ. રે.. રાજ્યની દક્ષિણ-પૂર્વ દિશામાં તે ડિટ્રૉઇટ નદીના પશ્ચિમ કાંઠા પર વસેલું છે. આ મહાનગરની વસ્તી ૪૪,૦૦,૫૦૦ (૨૦૨૪, આશરે) છે. નગરનો ભૌગોલિક વિસ્તાર ૧૩૩૭ ચોકિમી. જેટલો છે. તેનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં ૩° સે. તથા જુલાઈ માસમાં ૨૩° સે. હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૭૯૦ મિમી. પડે છે. યુ.એસ. અને કૅનેડાની સરહદે આવેલાં પાંચ સરોવરોમાં મિશિગન સરોવર મહત્ત્વનું છે. તેના પરથી આ રાજ્યને મિશિગન નામ આપવામાં આવ્યું છે. આ શહેર મોટર-કારના પાટનગર તરીકે વિશ્વવિખ્યાત છે. યુ.એસ.માં બનતી કુલ મોટર-કારમાંથી અર્ધાથી પણ અધિક મોટર-કારો અહીં તૈયાર થાય છે. વિશ્વમાં સૌથી મોટું અને જાણીતું ફૉર્ડ કંપનીનું વિશાળ કારખાનું અહીં આવેલું છે. આ ઉપરાંત મોટર-કાર ઉત્પન્ન કરતી અનેક કંપનીઓમાં ફિલન્ટ, લાન્સિંગ, ગ્રાન્ડ રેપિડ્સ અને પોન્ટિઆકનો સમાવેશ કરી શકાય. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતાં યંત્રો, રસાયણો, મશીન ટૂલ્સ તથા લોખંડ અને પોલાદની વસ્તુઓનું અહીં ઉત્પાદન થાય છે. અમેરિકાની મોટામાં મોટી મીઠાની ખાણો તેના આસપાસના પ્રદેશમાં આવેલી છે.

ડિટ્રૉઇટ શહેરનું એક દૃશ્ય

આ નગર રાજ્યનું મોટામાં મોટું બંદર છે.  આંતરિક જળ વાહનવ્યવહારની બાબતમાં ડિટ્રૉઇટ નદીનું સ્થાન વિશ્વમાં મોખરે છે. ૧૯૫૯માં સેન્ટ લૉરેન્સ જળમાર્ગ કાર્યરત થતાં આ નગરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદરનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ઈરી સરોવરના કિનારે આવેલા આ શહેરને જળમાર્ગે લોખંડ-પોલાદની પ્રાપ્તિ સરળતાથી થાય છે. શહેરની ઉત્તરે સેન્ટ ક્લૅર નદી તથા દક્ષિણે વિશાળ કાંપનું મેદાન તૈયાર કરતી રાયસીન નદી વહે છે. મોટર-કાર ઉપરાંત તૈયાર કપડાં અને વિશેષત: શર્ટના ઉત્પાદન માટે યુ.એસ. અને વિશ્વમાં આ શહેર જાણીતું છે. સરોવરકિનારે તેની રમણીયતા અને સુંદરતાને કારણે આ ઔદ્યોગિક શહેર પર્યટક શહેર તરીકે પંકાય છે. નગરમાં વેને રાજ્ય યુનિવર્સિટી (૧૮૬૮), યુનિવર્સિટી ઑવ્ ડિટ્રૉઇટ (૧૮૭૭) તથા ડિટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી (૧૮૯૧) છે. તે ઉપરાંત ડિટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ, ઐતિહાસિક સંગ્રહાલય તથા કૅનબ્રૂક અકાદમી ઑવ્ આર્ટ પણ ત્યાં આવેલાં છે. આ વિસ્તારમાં શ્વેત લોકો દાખલ થયા તે પહેલાં વ્યાનડોટ જનજાતિના લોકો અહીં વસતા હતા. ૧૭૦૧માં ફ્રેન્ચોએ ડિટ્રૉઇટ નદીના  ઉત્તર કિનારા પર દુર્ગ બાંધ્યો. ૧૭૬૦માં આ દુર્ગ પર બ્રિટિશ સૈનિકોએ કબજો કર્યો. ૧૭૯૬માં તેમણે તે કિલ્લો અમેરિકાને સોંપ્યો. ૧૮૨૫માં ઈરી નહેર ખુલ્લી મુકાતાં ત્યાંની વસ્તીમાં ધરખમ  વધારો થયો. ૧૮૩૭–૪૭ દરમિયાન આ શહેર મિશિગન રાજ્યનું પાટનગર હતું. અમેરિકાના આંતરવિગ્રહ (૧૮૬૧–૬૫) પછી નગરના ઔદ્યોગિક વિકાસની ઝડપમાં  વધારો થયો. પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪–૧૮) તથા બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯–૪૫) દરમિયાન આ નગરમાં લશ્કર માટેનાં સાધનો બનાવતાં કારખાનાં વિકસ્યાં. વીસમી સદીના આઠમા દશકમાં અમેરિકામાં ચાલતી મંદીની વિપરીત અસર આ નગરના ઔદ્યોગિક ઉત્પાદન પર પણ થઈ, પરંતુ સદીના નવમા દશકમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ધીમે ધીમે ઉછાળો આવતો ગયો.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

લતા મંગેશકર

જ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨

ભારતીય ગાયિકા. ‘સ્વરકિન્નરી’, ‘ભારતનો અવાજ’, ‘ભારતની કોકિલા’ જેવાં ઉપનામોથી જાણીતાં વિશ્વવિખ્યાત ગાયિકા લતા મંગેશકરનો જન્મ ઇંદોરમાં શાસ્ત્રીય સંગીતકાર દીનાનાથ મંગેશકરને ત્યાં થયો હતો. માતા શેવંતિ મંગેશકર ગુજરાતી હોવાને કારણે મરાઠી સંગીત સાહિત્ય સાથે, ગુજરાતી લોકસંગીત-સાહિત્ય સાથે પણ એમનો એક અલગ નાતો રહ્યો. સહજ ગાયનક્ષમતા બાબતે માતાએ લતાદીદીના પિતાનું ધ્યાન દોર્યું અને પાંચ વર્ષની વયે પિતા પાસે એમની શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ થઈ. પિતા ગાયન સાથે નાટક કંપનીનું સંચાલન કરતા હોવાથી શરૂઆતનાં વર્ષોમાં લતાદીદીએ અભિનય પણ કર્યો, પરંતુ અભિનય એમને રુચિકર ન લાગતાં અભિનયને તિલાંજલિ આપી. ૧૩ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માસ્ટર વિનાયકની કંપની સાથે અર્થોપાર્જનને માટે તેઓ પોતાના કુટુંબ સાથે ૧૯૪૫માં મુંબઈમાં સ્થાયી થયાં. ઉસ્તાદ અમાન અલી ખાંસાહેબ પાસે ફરીથી શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. ૧૯૪૬માં ફિલ્મ ‘આપકી સેવામેં’ માટે પ્રથમ હિન્દી ગીત ‘પા લાગું કરજોરી’ માત્ર સોળ વર્ષની ઉંમરે ગાયું. ત્યાર બાદ હિન્દી સિનેજગતના તમામ સંગીતનિર્દેશકના નિર્દેશનમાં ૫૦,૦૦૦થી પણ વધુ ગીતો એમણે ગાયાં અને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ અંકિત કર્યું. ૨૦૦૭માં ૭૮ વર્ષની વયે ‘દિલ તો પાગલ હૈ’માં પાર્શ્વગાયન કર્યું જે ખૂબ લોકપ્રિય બન્યું. ૨૦૨૨માં ભારતીય સેના તથા રાષ્ટ્રને સમર્પિત ‘સોગંદ મુઝે ઇસ મિટ્ટીકી’ સંગીતનિર્દેશક મયુરેશ પાઇના સંગીતનિર્દેશનમાં ગાયું. તેઓ અનેકાનેક ઍવૉર્ડ્ઝથી સન્માનિત થયાં જેમાં અનેક ફિલ્મફેર, વિવિધ રાજ્યો, સંસ્થાઓની સાથે લાઇફટાઇમ એચીવમેન્ટ, દાદાસાહેબ ફાળકે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ તથા સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનિત થયાં. ૩૬ ભાષાઓમાં વિવિધ ગીતો ગાનાર લતા મંગેશકર ભાષાના શબ્દોના અર્થ તથા ઉચ્ચાર બાબતે વિશિષ્ટ ધ્યાન આપવાની સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમને અનિવાર્ય ગણતાં. અનેક સામાજિક સેવાઓ તથા ભારતીય સેના માટે ઋણસ્વીકાર અને આર્થિક સેવા એમના જીવનનો એક ભાગ રહ્યો. ફોટોગ્રાફી એ લતાદીદીનો વ્યક્તિગત શોખ રહ્યો. ફિલ્મ સંગીત સાથે ભજનો, ગઝલો, ગરબા, મરાઠી સંગીત એમના કંઠમાં અમરત્વ પામ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રજાપ્રેમની પાઠશાળા

યુવાન અબ્રાહમ લિંકને ૧૭મા વર્ષે મજૂરી કરવાની શરૂ કરી. દોડવામાં, કૂદવામાં, વજન ઉપાડવામાં કે લાકડાં ચીરવા માટે કુહાડી ચલાવવામાં લિંકનની કોઈ સ્પર્ધા કરી શકે તેમ નહોતું. એણે એક મોટા રૂમાલમાં થોડાંઘણાં કપડાં બાંધી લાકડીને છેડે એ પોટલી લટકાવી, લાકડી ખભા પર ટેકવીને ૧૮૩૫માં પિતાનું ઘર છોડ્યું. એ સીધો ન્યૂ સાલેમ પહોંચ્યો અને ડૅન્ટન ઑફ્ટ નામના ખેડૂતની દુકાનમાં વેચાણ કરવાનું અને હિસાબ રાખવાનું કામ કરવા લાગ્યો. કુહાડી ચલાવનાર, હળ હાંકનાર અને ખેતરમાં મજૂરી કરનાર લિંકનને માટે આ કામ તદ્દન નવું હતું, પરંતુ એ ઉત્સાહભેર કામ કરવા લાગ્યો અને ગ્રાહકોને પ્રેમથી આવકારતો. બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ – બધાને પ્રામાણિકપણે તોલીને માલ આપવા લાગ્યો. એની પ્રામાણિકતા માત્ર વિચારમાં જ નહીં, પણ આચારમાં જોવા મળી. અબ્રાહમ લિંકનના મિલનસાર સ્વભાવને કારણે એની દુકાને ઘરાકી વધવા લાગી. જે કોઈ ગ્રાહક આવે એને માત્ર ઉમળકાથી આવકારે, એટલું જ નહીં, બલ્કે એની સાથે આત્મીયતાનો તંતુ બાંધી દેતો. કોઈને અખબાર વાંચીને સંભળાવતો, તો કોઈની સાથે દેશના રાજકારણની વાતો કરતો. કોઈને રમૂજી ટુચકા કહીને ગમ્મત કરતો. તેથી બનતું એવું કે ઑફ્ટની આ દુકાન ગામલોકોને માટે ચોરો બની ગઈ. ચીજવસ્તુ લેવા કે વેચવા તો આવતા, પરંતુ એની સાથે અબ્રાહમ લિંકન પાસેથી ગામગપાટા સાંભળવાની આશા રાખતા અને આજકાલ બનતી ઘટનાઓની જાણકારી મેળવતા. લિંકન સહુની વાતો પ્રેમથી સાંભળતો, એમનાં સુખદુ:ખની કહાની સાંભળીને એમની સાથે સહાનુભૂતિ દાખવતો અને કોઈને જરૂર હોય તો મદદ પણ કરતો. આવો લિંકન લોકોનો પ્રીતિપાત્ર બની ગયો. ઑફ્ટની આ દુકાન અબ્રાહમ લિંકનને માટે પ્રજાપ્રેમ પ્રાપ્ત કરવાની પાઠશાળા બની રહી.