Categories
વાચન સમૃદ્ધિ

સ્ક્વૉશ

બંધિયાર કોર્ટમાં રમાતી બૉલ અને રૅકેટની રમત.

આ રમતની શરૂઆત ૧૮૫૦માં ઇંગ્લૅન્ડની હેરો સ્કૂલમાં થઈ હતી. ‘રૅકેટ’ નામની રમતમાંથી સ્ક્વૉશની રમતનો ઉદભવ થયો હતો. લંડનની સ્કૂલોમાં, સામાજિક ક્લબોમાં ટેનિસ અને ક્રિકેટ ઉપરાંત વધારાની રમત તરીકે સ્ક્વૉશનો પ્રચાર થયો. ત્યારબાદ બ્રિટિશ સૈન્યમાં આ રમત રમાતી થઈ અને તે દ્વારા આ રમત ઇજિપ્ત અને ભારતમાં આવી. ૧૯૨૯માં આ રમતના નિયંત્રણ માટે સ્ક્વૉશ રૅકેટ ઍસોસિયેશનની સ્થાપના થઈ. ૧૯૬૭માં ઇન્ટરનેશનલ સ્ક્વૉશ રૅકેટ ઍસોસિયેશનની સ્થાપના થઈ ત્યારે ગ્રેટ બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલૅન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ આરબ રિપબ્લિક તેના સભ્યો હતા. પાછળથી અમેરિકા અને કૅનેડાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. ભાઈઓ, બહેનો તથા જુનિયરો માટે આ રમતની સ્પર્ધાઓ યોજાય છે.

સ્ક્વૉશ રમતા ખેલાડીઓ

સ્ક્વૉશની રમત ચારેબાજુથી બંધિયાર કોર્ટમાં રમાય છે. તેની લંબાઈ ૯.૭ મી. તથા પહોળાઈ ૬.૪૦ મી. હોય છે. સામી દીવાલની છેક નીચે લાકડાની અથવા ધાતુની ૪૮ સેમી. પહોળી પટ્ટી હોય છે જે ટેલ્ટેલ, બોર્ડ અથવા ટિનથી ઓળખાય છે. તેના પર બૉલ અથડાય ત્યારે અવાજ થાય છે. કોર્ટની દીવાલો લીસી હોય છે. કોર્ટનું ભોંયતળિયું લાકડાનું અને દીવાલને સમાંતર હોય છે. ૫ સેમી. પહોળાઈની લાલ રંગની રેખાઓથી તે રેખાંકિત કરવામાં આવે છે. સ્ક્વૉશના રૅકેટનું માથું લાકડાની ફ્રેમવાળું જ્યારે હાથો લાકડું, ધાતુ અથવા ફાઇબર ગ્લાસનો બનેલો હોય છે. હાથા ઉપર પકડ માટે અનુકૂળ પદાર્થ લગાવી શકાય છે. રમતમાં વપરાતો દડો રબરનો અથવા મિશ્ર રબરનો હોય છે. તેનું વજન ૨૨.૩થી ૨૪.૬ ગ્રામ સુધીનું અને તેનો વ્યાસ ૩૯.૫ મિમી.નો હોય છે. સ્ક્વૉશની મૅચ પાંચ સેટની હોય છે; જેમાં ત્રણ સેટ જીતનાર ખેલાડી વિજેતા બને છે. રૅફરી ગૅલરીના મધ્યમાં બેસીને મૅચનું નિયંત્રણ કરે છે, જ્યારે માર્કર દરેક રમનારનો સ્કોર જાહેર કરે છે. રમતવીર દ્વારા દડો રમતમાં ચાલુ રહે અને પ્રતિસ્પર્ધીથી તેમ કરવાનું મુશ્કેલ બને તે રીતે આ રમત રમાય છે. આ રમતમાં ફક્ત સર્વિસ કરનારને જ ગુણ મળે છે. દડો દીવાલને અથડાઈને પાછો આવે અને લાકડાના ભોંયતળિયે બે વખત અથડાય તો ભૂલ ગણાય છે. લાકડાના ભોંયતળિયાને ફક્ત એક જ વખત બૉલ અથડાયા પછી તુરત જ દડાને રમવાનો હોય છે. દડો સામી દીવાલ સુધી ન પહોંચે તો ફટકો મારનાર ગુણ ગુમાવે છે. દડાને સતત બે વાર ફટકારવામાં આવે અથવા દડો ફટકો મારનારનાં કપડાંને અડકે તોપણ ભૂલ ગણાય છે. દરેક રમત ૯ ગુણની હોય છે. જ્યારે ૮ ગુણ સરખા થાય ત્યારે દડો ઝીલનાર ‘નો સેટ’ બોલે અને એ રીતે રમત ૯ ગુણની રમાય અને ‘સેટ-૨’ બોલે ત્યારે રમત ૧૦ ગુણ સુધીની રમાય છે. ડબલ્સની રમત માટે ૧૩૭ મી. લાંબો અને ૭૬ મી. પહોળો કોર્ટ હોય છે. આ રમત ૧૫ ગુણની હોય છે. બાકીના નિયમો સિંગલ્સની રમત મુજબના હોય છે. દીપિકા પલ્લીકલ, સૌરવ ઘોસાલ, ૠત્વિક ભટ્ટાચાર્ય, સાઇરસ પોંચા, જોશુઆ ચીનપ્પા, સિદ્ધાર્થ સચદે તથા હરીન્દરપાલ સન્ધુ ભારતના જાણીતા સ્ક્વૉશ-રમતવીરો છે. પાકિસ્તાનના સ્ક્વૉશ-રમતવીર જહાંગીરખાનનું નામ પણ ખૂબ જાણીતું છે. ત્યારબાદ પાકિસ્તાનના જ જનશેરખાને વિશ્વમાં સ્ક્વૉશ રમતમાં નામના મેળવી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

માઇકલ ફૅરડે

જ. ૨૨ સપ્ટેમ્બર, ૧૭૯૧ અ. ૨૫ ઑગસ્ટ, ૧૮૬૭

પ્રસિદ્ધ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેનો જન્મ લંડનની નજીકના પરગણામાં થયો હતો. તેમણે અનેક પ્રયોગો દ્વારા વિદ્યુત-ચુંબકત્વની ઘટના સમજાવવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. તેમના પિતા લુહારીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. શાળામાં જઈને શિક્ષણ મેળવવાનું તેમને માટે શક્ય નહોતું. આથી તેમણે ઘરે રહીને જ જ્ઞાન મેળવ્યું. તેર વર્ષની ઉંમરે પુસ્તકના એક વેપારીએે તેમને ઘેર ઘેર છાપાંઓ નાખી આવવાની નોકરી આપી. ત્યારબાદ એક પુસ્તકવિક્રેતાએ તેમને પોતાની દુકાનમાં રાખી બુકબાઇન્ડિંગનું કામ શીખવ્યું. અહીં મળતા ફાજલ સમયમાં માઇકલ પુસ્તકો વાંચતા. તેમનો માલિક પણ તેમને આ માટે ખૂબ પ્રોત્સાહન આપતો. એકવીસ વર્ષની વયે તેમને પ્રખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કામ કરવાની તક મળી. ૧૮૨૧માં તેમણે વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું પ્રાથમિક પ્રતિરૂપ (Primitive Model) બનાવ્યું. ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર પ્રથમ વિજ્ઞાની બન્યા. ૧૮૨૫માં તેમણે કોલટારમાંથી બેન્ઝિનને છૂટું પાડ્યું. ૧૮૩૧માં વિદ્યુત-ચુંબકીય પ્રેરણની ઘટના શોધી કાઢી. તેમણે સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો. તેમણે પરાવૈદ્યુતો (dielectrics), અવાહક પદાર્થોનો અભ્યાસ કર્યો. તેમણે ‘ફૅરડે અસર’ તરીકે જાણીતી ઘટનાની શોધ કરી. ૧૮૩૨ અને ૧૮૩૩માં તેમણે રસાયણશાસ્ત્રમાં વીજવિઘટન માટે સંખ્યાત્મક નિયમો આપ્યા. વિદ્યુત-મોટર અને વિદ્યુત-જનરેટરના તેઓ જનક હતા. તેમનાં વિજ્ઞાનને લગતાં અનેક પ્રકાશનો જાણીતાં થયાં છે. તેમનું મરણોત્તર પ્રકાશન ‘ધ વેરિયસ ફોર્સીઝ ઇન નેચર’ છે. ૧૮૧૩થી ફૅરડેએ રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યભાર સંભાળ્યો. તેઓ ડેવીના ઉત્તરાધિકારી બન્યા અને ઇન્સ્ટિટ્યૂટની પ્રયોગશાળામાં ડિરેક્ટર બન્યા. વિદ્યુત-રસાયણમાં તથા ધાતુ-વિજ્ઞાનમાં અનેક પ્રયોગો કર્યા. અત્યંત પ્રસિદ્ધ ‘ડેવી સેફ્ટી લૅમ્પ’માં પણ ફૅરડેનો મહત્ત્વનો ફાળો હતો. સર ડેવી તેમનાં છેલ્લાં વર્ષોમાં કહેતા કે ‘મારા જીવનની સૌથી મોટી જો કોઈ શોધ હોય તો તે છે માઇકલ ફૅરડે !

Categories
વાચન સમૃદ્ધિ

શ્રદ્ધા સાથે સાવચેતી જરૂરી છે

જીવનમાં અન્ય પ્રતિ આદર અને સન્માન હોવાં જોઈએ, પરંતુ કોઈના પ્રભાવથી પૂર્ણ રીતે અભિભૂત થઈને જીવવું જોઈએ નહીં. આદર સાહજિક છે, કિંતુ પ્રભાવિત થવું અસાહજિક છે. પ્રભાવિત થાવ ત્યારે પૂર્ણ સાવચેત રહેવું. એ ખતરાથી ખાલી નથી. સાહિત્યમાં કોઈ નવો સિદ્ધાંત આવે, પ્રજાજીવનમાં કોઈ નવો નાયક પેદા થાય કે કોઈ વિભૂતિનું જીવન સ્પર્શી જાય અને તમે તેનાથી પૂર્ણ રૂપે પ્રભાવિત થઈ જશો તો તમારું વ્યક્તિત્વ ખંડિત રહી જશે. અખંડિત વ્યક્તિત્વની સાધના કરનાર રામ કે બુદ્ધ પાસે જશે, પરંતુ શ્રદ્ધાની સાથે સાવચેતી રાખશે. એમની પાસેથી જે કંઈ સાંપડશે, તેમાંથી જરૂરી ગ્રહણ કરશે. એમનું અનુકરણ કરવાને બદલે સ્વજીવનમાં એમની ગુણસમૃદ્ધિનો સાદર કરવાનો પ્રયત્ન કરશે. એમને આત્મસાત્ જરૂર કરો, પણ એમાં તમારી જાતને ડુબાડશો નહીં. વિભૂતિઓ કે સદગુરુની ભાવનાઓને પામવી, સમજવી અને આચરવી જોઈએ, પરંતુ એ ભાવનાને માર્ગે ચાલતાં વિભૂતિપૂજામાં દોરવાઈ જઈએ નહીં એનો ખ્યાલ રાખવો જોઈએ. હૃદયની ઊર્ધ્વતા માટે ભાવ જરૂરી છે, ભીતરની મસ્તી માટે ભક્તિ જરૂરી છે, આત્માને પંથે ચાલવા માટે મુમુક્ષુતા જરૂરી છે, પરંતુ એ બધું મેળવવા જતાં ક્યાંય ભૂલા પડી જઈએ નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. આત્મસાત્ કરવું તે શ્રદ્ધા છે. જાતને ડુબાડવી તે અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા સત્ય પાસે લઈ જાય છે. અંધશ્રદ્ધા અંધકારમાં ડુબાડી દે છે. કોઈ બાબત જીવનમાં ઉતારવા જેવી લાગે તો એને જીવનમાં ઉતારીને આત્મસમૃદ્ધ બનવું, પરંતુ અમુક જ વ્યક્તિની કે વિભૂતિની વાત આંખો મીંચીને માનવી કે પાળવી તે તમારામાં અપૂર્ણતા સર્જશે. પૂર્ણ પાસે જાવ, ત્યારે અભિભૂત થઈને અતિભક્તિ ન કરશો. એમના હૃદયવૈભવને આત્મસાત્ કરીએ.